Sabandh ane Sambodhan books and stories free download online pdf in Gujarati

સબંધ અને સંબોધન

સહુ વાંચક મિત્રોને દિવાળીના મારા પ્રણામ , આ વખતે હું વાર્તાને બદલે એક આર્ટીકલ આપ સહુ સમક્ષ રજુ કરું છું મારો આર્ટીકલ " સબંધ અને સંબોધન " હું માનું છું વાંચવા કરતા સમજવા જેવો વધુ છે.

સબંધ અને સંબોધન .....
હંમેશા મનમાં આ પ્રશ્ન તરવરતો રહે છે કે શું? સંબોધન થી સબંધ બંધાય છે અને જળવાય છે ?


હું તો માનું છું ‘તુંકારો’ હોય કે માનાર્થ સંબોધન હોય, સંબોધનમાં મહત્વની છે શબ્દોમાં રહેલી હેતાળતા ,જે નક્કી કરે છે કે આ સબંધ કેટલો નજીકનો છે કેટલો મહત્વનો છે ,જો લાગણીઓમાં બનાવટ હોય તો ગમે તેવું સંબોધન કૃત્રિમ લાગે છે. ક્યારેક તમે ના માનવાચક શબ્દ સામે તુકારનો ભાવ વધુ આત્મીય અને મીઠો લાગે છે .


હું મારીજ વાત જણાવું તો લગ્ન પછીનો તરતનો લગભગ દોઢ વર્ષના ગાળા દરમિયાન હું અને મારા પતિ વિનોદ અલગ રહ્યા હતા , શરૂશરૂમાં હું પત્રમાં તમે લખતી, ત્યારે હું ઈચ્છુ તોય મારી લાગણીઓ ને વહાવી શકતી નહોતી , છેવટે મેં તું લખવાનું શરુ કર્યું તો હુ મિત્રની જેમ તેમની સાથે સાહજિકપણે ખુલતી ગઈ ,આજે પણ હું જ્યારે તેમને બોલાવું તો તુજ કહું છું પણ હા જ્યારે કોઈ ત્રીજી વ્યક્તિ સાથે તેમની વાત થાત તો ચોક્કસ તમે નું માનવાચક બોલાય છે કારણ તેમને હાલ હું મારા જીવનનાં હુ પ્રથમ માનાર્થ વ્યક્તિ માનું છું. પરંતુ જેને ગાઢ પ્રેમથી સમર્પિત હોઈયે તેને એકાંતમાં ‘તું’ કહેવાની મજા પણ અલગ જ હોય છે.

આ પણ આટલુજ સાચું છે કે જેને માન આપતા હોઈએ તેને તમે કહેવામાં અને સાભળવામાં પણ આનંદ આવતો હોય છે , કેટલીક ઓફિસરોની પત્નીઓ તેમના પતિને સાહેબ કહીને બોલાવે છે કારણ તેમની આજુબાજુ કામ કરતા માણસો તેમને સાહેબ કહે છે તો આ માનવાચક શબ્દ પત્નીઓને મીઠો લાગે છે અને તેઓ પણ અપનાવી લે છે.


આવીજ રીતે દેશમાં કેટલીક સ્ત્રીઓ અને અહી પરદેશમાં તો ખાસ મમ્મીઓ બાળકો સાથે તેમના પતિને વ્હાલમાં ડેડી કહીને સંબોધે છે ,આમ કરવામાં તેમને એક આનંદ હોય છે કે આ જેને ડેડી કહેવાય છે તે વ્યક્તિ તેના બાળકોનો પિતા છે. આનો અર્થ લગીરે તેમને ડેડી બનાવી દેવાનો નથી હોતો.

કસ્તુરબા પણ ગાંધી બાપુને બાપુ કહી સંબોધતા હતા , કેટલીક સ્ત્રીઓના પતિ બહુ ઉચાં સ્થાન ઉપર હોય તો તેઓ તેમના પતિને નામ પાછળ ભાઈ લગાડી તેમનાં નામને માનવાચક રીતે ઉચ્ચારતા હોય છે , મારે મતે આ બધું જાહેરમાં જરૂરીયાત છે ,જો તમે તમારા નજીકના ઓને માન આપશો તો તેમાં તમારી અને તેમની બંનેની શોભા વધી જશે

હા આ વાત ઉપર થી એક વાત યાદ આવી કેટલાક મહાનુભાવોને તમે ભાઈ કહીને સંબોધો તો તેમને નથી ગમતું ,તેઓ વિચારે છે કે ભાઈનું માનવાચક પૂછડું તેમને ભાઈ બનાવી દેશે
મને તેમની આ સોચ ઉપર ક્યારેક હસવું આવે છે ,જો આમ થતું હોત તો જે પત્નીઓ તેમના પતિને ડેડી કહેતી હોય તેમના પતિ તેમના બાપ બની ગયા હોત.....


ખેર આતો જેવી જેની સમજ, બાકી કોઈના નામ પાછળ ભાઈ કે બહેન લગાડી સંબોધવું તે માત્ર તેમને અપાતા માન કે લાગણીનો દેખાવ માત્ર છે બાકી લાગણીઓ વહેતી નદી જેવી હોય છે જે મારા મૂળ સૂત્ર પ્રમાણે તેનો રસ્તો આપોઆપ કરી લેતી હોય છે. બાકી નામ અને સબંધોના કોચલામાં બાધી રાખેલી લાગણીઓ જલ્દી ગંધાઈ ઉઠે છે , માત્ર એક વાતનો ખ્યાલ હંમેશા રાખવો જરૂરી બને છે કે સંબોધનની રામાયણ માં કોઈનું અહં નાં ઘવાય.

કેટલાકને કોને કેવી રીતે બોલાવવા તેનું કોઈ ભાન હોતું નથી , જાહેરમાં સ્ત્રીઓને હમેશા માન થી બોલાવવી ઘટે છે ,હા મિત્ર હોય તો વાત અલગ બને છતાય પરસ્પર એકબીજાનું માન સાચવવું મિત્રોની ફરજ બને છે.

બાકી જ્યાં પ્રેમ હોય ત્યાં ટુંકારો તો આવીજ જવાનો. આપણે શું ભગવાનને દરેક વખતે તમેજ કહીએ છીએ ? નાં ક્યારેક જગત પિતાને પણ આપણે તું કહી આપણી ભાવના અર્પણ કરીએ છીએ, મારા વ્હાલા કહી સંબોધીએ છીએ.


આવીજ રીતે આપણા ગમતા કલાકારો જે જાહેર જીવનમાં બહુ આગળ પડતા છે નામવંતા છે તેમને આપણે આપણી વાતોમાં ટુંકારે કે નામથી બોલાવીએ છીએ, પણ જ્યારે તેમની સામે જઈયે ત્યારે શું તેમને માત્ર નામ અને ટુંકારે બોલાવી શકીશું? ના કારણ આમ કરવાથી આપણા ગમતા પાત્રોની મજાક ઉડાવતા હોઈએ તેવું લાગશે અને સામે વાળી વ્યક્તિ પણ આ ટુંકારો સહન નહિ કરી સકે. માટે જગ્યા અને સ્થાન જોઈ સંબોધન કરવું જોઈએ.

આપણે, ઘરમાં થતી વાતચીતમાં, અરસપરસના સંબોધનની સીધી અસર નાના બાળકો ઉપર પણ પડી શકે છે ,ક્યારેક દેરાણી જેઠાણીના સંબોધન માં દેરાણીના બાળકો પણ ભાભી બોલતા કે જેઠાણીના બાળકો કાકીને બદલે નામથી બોલાવતા થઇ જાય છે ,અહી ભાવ અને માન એક સરખા જ હોય છે માત્ર સંબોધન બદલાઈ જાય છે.

પરંતુ વડીલોએ બાળકોને એક વાત સમજાવવા જેવી છે કે મોટાઓને હંમેશા માન આપવું જોઈએ અને તેની શરૂવાત સંબોધન થી થાય છે ,જે રીતે આપણે કોઈને બોલાવીએ તેવો ભાવ આપોઆપ પ્રગટ થાય છે, અને તેથીજ આપણે બાળકોને મોટાઓને પ્રણામ કરતા શીખવીએ છીએ

અરે હા ! ક્યારેક તો મજાકમાં પણ સાવ ઓડીનરી લલ્લુ પંજુ જેવાને પણ શેઠ કે રાજા જેવા શબ્દોનું ઉપનામ અપાય છે ,કોઈ સાવ કાળો હોય તેને સફેદો કહેવાત સાવ પાતળાને પહેલવાન પણ કહેવાય છે. જોકે આ વાત થઇ મજાક ની પણ ક્યારેક આ બધા નામ ઉપનામ માણસની ઓળખ પણ આપતા હોય છે.


આપણા સમાજમાં જેમ પૈસો વધે તેમ સંબોધન પણ બદલાતા જાય છે ,જેમકે ગરીબ રાખતો હોય ત્યારે મનુને મનીયો કહે છે પછી પૈસો કે હોદ્દો વધતા મનુભાઈ પછી મનુભાઈ શેઠ જેવા માનવાચક ઉપનામ મળી જાય છે "નાણાં વગરનો નાથિયો, નાણે નાથાલાલ" . જેમ પૈસો બોલે છે તેમ તેની સાથે જોડાએલા ના નામમાં પણ વજન આપોઆપ આવી જાય છે, માટેજ મોટા માણસના નામ પાછળ શેઠ , સર, સાહેબ બહેન મેમ મેડમ જેવા સંબોધન લગાડાય છે .


આવીજ રીતે કોઈ માટે મનમાં માન હોય તો તેને બોલાવવાની લઢણ અલગ હોય છે અને કોઈ માટે સ્વાર્થ કે ગુસ્સો હોય તો બોલવાની બોલાવવાની લઢણ સાથે સંબોધન ને પણ બદલાઈ જાય છે.
ક્યારેક એમ પણ બને છે કે આપણે કોઈને કાયમ તમે કહેતા હોઈએ તેને ગુસ્સામાં આવીને ટુંકારો થઇ જાય ત્યારે સામાન્ય રીતે થતી બોલચાલ આસમાને પહોચી જાય છે અને આ એક ટુંકારો વાત થી વધી ગાળાગાળી સુધી પચોહાવાનો રસ્તો ખુલ્લો કરી આપે છે , બરાબર આમજ જો કાયમ તું કહેનારને ગુસ્સામાં તમે કહી એ ત્યારે તેજ વસ્તુ આઘાતજનક લાગી વાતને વધારી મુકે છે.


એક તું અને એક તમે માં કેટલો બધો ભાવ રહેલો છે તે સમજવાની વસ્તુ છે , કદી કોઈને સંબોધનમાં ફરજ નાં પાડવી જોઈએ કારણે સંબોધન દિલથી થતા હોય છે .પરાણે બોલતા સબંધોમાં સાહજીકતા ચાલી જતી હોય છે. અને સાથે સાથે એક વાત યાદ રાખવી જોઈએ કે " સંબોધન થી સબંધ નથી મપાતો ,સબંધ સમજણ અને લાગણી થી મપાય છે ".


રેખા વિનોદ પટેલ(વિનોદિની )

ડેલાવર (યુ એસ એ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED