પ્રાણ - વિલન ઓફ ધ મિલેનિયમ Khyati Maniyar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રાણ - વિલન ઓફ ધ મિલેનિયમ

ખાસ મિત્ર રાજ કપૂરની સામે માત્ર એક રૂપિયામાં ફિલ્મ સાઇન કરી અને પ્રાણ - રાજની મિત્રતા તૂટી

વિલન ઓફ ઘી મિલેનિયમ, પદ્મભૂષણને એક સમયે લોકો જાહેરમાં ગુંડો કહેતા હતા

2013માં ફાની દુનિયાને અલવિદા કહેતા પ્રાણના અંતિમ શબ્દો હતા...ભગવાન ફરી જન્મ આપે તો પ્રાણ જ બનીશ !




બોલીવુડમાં 60-70ના દાયકામાં જયારે પણ ખલનાયક એટલે કે વિલનની વાત કરવામાં આવે એટલે એક જ નામ સામે આવે અને એ છે પ્રાણ! સામાન્ય રીતે ફિલ્મોમાં દરેક કિરદારની આગવી ઓળખ હોય છે, પરંતુ બોલીવુડમાં પહેલાથી જ હીરોને સૌથી વધારે મહત્વન આપવામાં આવ્યું હતું. જોકે, હાલમાં વિલન અને હિરોઈનને પણ તેટલું જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. 2000 પહેલાના દાયકાની વાત કરીએ તો હીરોના નામથી જ ફિલ્મ ચાલતી હતી. જેમાં પણ 60-70ના દાયકામાં તો ખાસ હીરોની પસંદગી પર જ ફિલ્મનો દારોમદાર રહેતો હતો. તેવા સમયમાં પણ એક વિલન તરીકે પરાણે પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. એટલું જ નહીં તે દાયકામાં જન્મેલા અનેક બાળકોના નામ પણ આ વિલનના નામથી પ્રાણ જ પાડવામાં આવતા હતા.

પ્રાણ કૃષ્ણ સિકંદ અહલુવાલિયાનો જન્મ 12 ફેબ્રુઆરી 1920માં બ્રિટિશ શાસનમાં લાહોરમાં થયો હતો. બોલીવુડમાં તેઓ તેમના હુલામણા નામ પ્રાણથી વધુ પ્રચલિત થયા. એટલું જ નહીં ભારતીય સિનેમાના ઇતિહાસના મહાન ખલનાયક પૈકીના એક તરીકે આજે પણ જાણીતા છે. 1940 થી 1990 સુધી હિન્દી સિનેમામાં તેઓ એક પાત્ર અભિનેતા તરીકે જાણીતા હતા. તે સમયના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાં તેમના નામની ગણના થતી હતી.

શાળાકીય અભ્યાસની વાત કરીએ તો તેઓ ગણિતમાં ખૂબ જ નિપુણ હતા. પિતાની ટ્રાન્સફરેબલ જોબ હોવાના લીધે તેઓએ ભારતના ઘણા રાજ્યોમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમની પ્રોફેશનલ ફોટોગ્રાફર બનવાની ઈચ્છા હતી. જેના માટે તેમણે શિમલામાં એ. દાસ એન્ડ કંપનીમાં એપ્રેન્ટિસ તરીકે કામ શરૂ કર્યું. દરમિયાન શીમલામાં તેમણે રામલીલા નાટકમાં સીતાનો અભિનય કર્યો હતો જે નાટકમાં મદનપુરી રામનો રોલ કરતા હતા.

પ્રાણના ફિલ્મી કરિયરની વાત કરીએ તો 1940 થી 1947 સુધી હીરોની ભૂમિકા, 1942 થી 1991 સુધી નકારાત્મક પાત્રો અને 1967 થી 2017 સુધી સહાયક પાત્ર ભૂમિકા ભજવી. કહેવાય છે કે, 1940 ના અંત અને 1950-60, 1970 ના પ્રારંભમાં તો વિલન તરીકેના અભિનયનો પ્રાણનો ટોચનો સમય ગાળો હતો. પ્રાણ તેમના અભિનયમાં તો એટલા ઊંડે ઉતરીને કામ કરતા હતા કે, તેમને ભારતીય સિનેમા પર બેસ્ટ "વિલન" તરીકેનું બિરુદ મળ્યું હતું. તેમની વિલન તરીકેની એક્ટિંગ એટલી રીયલ અને અસરકારક લાગતી કે તે દાયકામાં ભારતીય લોકો તેમના બાળકોના નામ પ્રાણ રાખતા નહતા. પ્રાણે પોતાની લાંબી અને સફળ કારકિર્દીમાં 360 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. એક ઇન્ટરવ્યૂમાં પ્રાણે કહ્યું હતું કે, ઉપકાર ફિલ્મ પહેલા મને જોઈને લોકો અરે ઓ બદમાશ, અરે ઓ ગુંડા આવા નામોથી જ સંબોધતા હતા. પરંતુ ઉપકાર ફિલ્મથી ઘણું બદલાયું.

1965માં રિલીઝ થયેલ ફિલ્મ ગુમનામની વાત કરીએ તો પ્રાણ સાથે હેલન સેકન્ડ લીડ અભિનેત્રી હતી. તેમાં એક ગીતનું શૂટિંગ સ્વિમિંગ પૂલમાં હતું. શૂટિંગ પૂરું થયા બાદ મજાક મસ્તીમાં પ્રાણે હેલનને પુલમાં ખેંચી પણ હેલનને તરતા આવડું ન હતું. જેથી તે પ્રાણ પર ખુબ જ ગુસ્સે થયા હતા. ભારતીય ફિલ્મ જગતમાં પ્રાણીની ગણના એક સારા વ્યક્તિ તરીકે પણ થતી હતી. 1970-75 સમયગાળામાં બોબી ફિલ્મના કાસ્ટિંગ દરમિયાન રાજ કપૂરની ફી પાંચ થી દસ લાખ જેટલી હતી. જે પ્રોડ્યૂસરને પરવડી શકે તેમ ન હોવાથી તે ફિલ્મ માટે પ્રાણે માત્ર એક જ રૂપિયા ફી લીધી હતી. જેનાથી બે મિત્રોમાં અબોલા થયા અને ફરી ક્યારેય સાથે કામ પણ ન કર્યું.

પ્રાણને તેમની કારકિર્દીમાં ઘણા એવોર્ડ અને સન્માન મળ્યા હતા. 1967, 1969 અને 1972 માં શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો. 1997માં ફિલ્મફેર લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ પણ એનાયત થયો. 2000માં સ્ટાન્ડર્ડ દ્વારા વિલન ઓફ ધ મિલેનિયમથી પણ પ્રાણને નવાજવામાં આવ્યા. 2001માં તેમની કલા અને યોગદાન બદલ પદ્મભૂષણથી પણ સન્માનિત થયા. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, 2013માં ભારત સરકાર દ્વારા સિનેમા કલાકારો માટેના શ્રેષ્ઠ રાષ્ટ્રીય પુરસ્કાર દાદા સાહેબ ફાળકે એવોર્ડથી પ્રાણને સન્માનિત કર્યા. છેલ્લે 2010માં સીએનએનની ટોપ 25 એશિયન અભિનેતાઓની યાદીમાં પણ પ્રાણને સ્થાન મળ્યું હતું.

1972માં રિલીઝ થયેલી ફિલ્મ માટે પ્રાણને ફિલ્મફેર એવોર્ડ મળ્યો તેની સાથે સાથે આજ ફિલ્મને બેસ્ટ મ્યુઝિકનો એવોર્ડ પણ મળ્યો હતો. તે સમયે પ્રાણે ફિલ્મ ફેર એવોર્ડ સ્વીકાર્યો નહીં અને કહ્યું કે, બેસ્ટ મ્યુઝિક બેઈમાન નહીં પરંતુ પાકીઝાને મળવું જોઈએ. પાકીઝમાં ગુલામ મહંમદ દ્વારા સંગીત આપવામાં આવ્યું તે બેઈમાન કરતા એવોર્ડ માટે વધુ યોગ્ય છે.

વિલન ઓફ ઘી મિલિનિયમને એક્ટર ઓફ ઘી મિલેનિયમ અમિતાભ બચ્ચનને પણ તેમના શરૂઆતી દિવસોમાં મદદ કરી હતી. પ્રાણ અને અશોકકુમાર ફિલ્મી દુનિયા અને વાસ્તવિકમાં ખૂબ જ નજીકના મિત્ર હતા. તેઓએ 1951માં ફિલ્મ અફસાનાથી શરૂ કરી 1987 સુધી એક સાથે લગભગ 27 ફિલ્મોમાં અભિનય કર્યો જેમાં 20 તો સુપરહિટ ફિલ્મ હતી. 1991માં તેમની પ્રોડ્યુસર તરીકેની પહેલી અને છેલ્લી ફિલ્મ લક્ષ્મણ રેખા આવી જેમાં પણ તેમને ભૂમિકા ભજવી હતી. આખરે 93 વર્ષની ઉંમરે 12 જુલાઈ 2013ના રોજ વિલન ઓફ ઘી મિલેનિયમે ફાની દુનિયાને અલવિદા કહ્યું. તેમના અંતિમ શબ્દો હતા કે ભગવાન ફરીથી જન્મ આપશે તો પ્રાણ જ બનીશ.