Featured Books
શ્રેણી
શેયર કરો

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 9

પ્રભુને પત્ર


નામ : મૌસમ

સરનામું : સ્નેહીજનોના સ્નેહમાં,

મિત્રોની મુસ્કાનમાં,

પ્રકૃતિના હર પ્રહરમાં..

તારીખ : 32/15/9999

વાર : તહેવાર

પ્રિય પ્રભુ..!

સહૃદય વંદન...🙏


કેમ છે પ્રભુ ...? મજામાં ને..? આશા રાખું છું કે તું એકદમ મજામાં જ હોઇશ. હું પણ તારી કૃપાથી મજામાં જ છું. આમ તો આપણો વાર્તાલાપ નિયમિત રૂપે પ્રાર્થનાના માધ્યમથી થતો જ હોય છે પણ આ પ્રતિલિપિવાળા કહે છે કે તમારા સ્નેહીજનો કે મિત્રોને પત્ર લખો. પૃથ્વી પર તો ઘણા સ્નેહી જનો છે પણ મારો સાચો સ્નેહી, મારો શુભચિંતક, મારો મિત્ર તો પ્રભુ તું જ છે ને..! આથી વિચાર્યું લાવ તને જ પત્ર લખું.


સૌથી પહેલાં તો પ્રભુ હું તારો આભાર વ્યક્ત કરવા ઇચ્છું છું.


મારી દરેક પ્રાર્થના, મારી દરેક વિનંતીનો કોઈ ના કોઈ સ્વરૂપે પ્રતિસાદ આપી મારી અંદર, મારી પાસે, મારી આસપાસ હોવાનો અહેસાસ કરાવવા બદલ પ્રભુ તારો આભાર..😊🙏.


મારી દરેક મુશ્કેલીમાં.., મારી દરેક સમસ્યામાં મારી હિંમત બની તેની સામે લડવાની શક્તિ આપવા બદલ પ્રભુ તારો ખૂબ ખૂબ આભાર..😊🙏.


આખા વિશ્વમાં વ્યાપેલી કોરોના મહામારીથી મને અને મારા પરિવારને સુરક્ષિત અને સ્વસ્થ રાખવા બદલ પ્રભુ તારો દિલથી આભાર..😊🙏.


તુજ થકી જ મુજમાં સદ્દગુણો વિકસ્યા છે. સ્નેહ, સહકાર, સત્ય, સહાનુભૂતિ ને સમર્પણથી મારા જીવનને ફૂલોની જેમ મહેકાવવા બદલ પ્રભુ તારો સહૃદય આભાર..😊🙏.


હે પ્રભુ..! મારી તને કેટલીક પ્રાર્થનાઓ છે...કેટલીક વિનંતિઓ છે. જો તને યોગ્ય લાગે તો જરૂરથી તેના પર વિચાર કરજે.


પૃથ્વી પર થતી બળાત્કાર, ચોરી, લૂંટ,હત્યા, આતંકવાદ, ભ્રષ્ટાચાર, છેતરપીંડી જેવી ઘટનાઓ જોઉં છું ત્યારે મારુ મન વ્યાકુળ થઈ જાય છે અને વિચાર આવે છે કે તારા સુંદર સર્જનમાં ક્યાં ખામી રહી ગઈ કે આ કાળા માથા વાળો માનવી વિનાશ સર્જવા પર તુલ્યો છે..? કહેવાય છે કે સૌ તારા સંતાનો છીએ તો પ્રભુ કેટલાક સંતાનોમાં દુર્ગુણો કેમ ભર્યા..? તું તો સર્જનહાર છે તો તું ધારે તો દરેકના હૃદયમાં પ્રેમ, સહકાર, સહાનુભૂતિ,સમર્પણ જેવી લાગણીઓ ભરી શકતો.જો એવું કર્યું હોત તો આ વિશ્વ કેટલું સુંદર બની જાત..?


પ્રભુ...! મારી તને પ્રાર્થના છે કે સૌના હૃદયમાં સ્નેહ ને સહાનુભૂતિ જેવી લાગણીઓ ભર ને...! જેથી દુર્ગુણોથી પ્રેરાઈને થતી હૃદય કંપી ઉઠે તેવી ઘટનાઓનો અંત આવે.


મારે તને બીજી વાત એ કહેવી છે કે તારા નામે લોકો એકબીજાને છેતરે છે. લોકોમાં રહેલ અંધશ્રદ્ધા, વહેમ અને ખોટી માન્યતાઓનો ભોગ પ્રભુ તારા જ સંતાનો બની રહ્યા છે. તું તો જાણે જ છે પ્રભુ તારા દ્વારે ગરીબ બાળકો ભૂખે ટળવળે છે જ્યારે મંદિરમાં તને છપ્પન ભોગ ચડે છે, તને દૂધથી નવડાવે છે જે દૂધની જરૂર ભૂખ્યા બાળકોને હોય છે તે દૂધ તારા નામે ગટરમાં જાય છે. આ તે કેવી શ્રદ્ધા પ્રભુ..?


પ્રભુ...! મારી તને વિનંતી છે કે મહેરબાની કરીને તું લોકોમાં રહેલી અંધશ્રદ્ધા, વહેમ અને ખોટી માન્યતા દૂર કરી સાચી શ્રદ્ધા કોને કહેવાય તે લોકોને સમજાવ ને.


એક વાત મારે તને એ પણ કહેવી છે કે પૃથ્વી પરનો દરેક માનવી તારા સંતાન છે તો પ્રભુ લોકોમાં ઊંચ-નીચ,અમીર - ગરીબ, કાળા-ધોળા, દીકરા-દીકરી વગેરે જેવા ભેદભાવો કેમ પ્રવર્તે છે..? આવા ભેદભાવથી પ્રભુ તારા ઘણાં સંતાનો પીડાય છે. દીકરા-દીકરીનો ભેદભાવ તો લોકોમાં પ્રભુ તારા જ સર્જનને નાશ કરવા પ્રેરે છે. આવું કેમ પ્રભુ..? શું દીકરી તારું સર્જન..તારું સંતાન નથી..? તો કેમ આવો દૃષ્ટ ભેદભાવ સમાજમાં પ્રવર્તે છે..?


પ્રભુ...! મારી તને આજીજી છે કે સમાજમાં પ્રવર્તમાન ભેદભાવને દૂર કરી સૌને એકસમાન જીવવાની પ્રેરણા આપણને.


આવી તો ઘણી પ્રાર્થનાઓ છે પ્રભુ..પણ હમણાં બસ આટલું જ. જો તને સમય મળે તો મારી પ્રાર્થનાઓ પર વિચાર જરૂરથી કરજે પ્રભુ. અને બની શકે તો મને પણ પત્ર લખજે પ્રભુ...! ધ્યાન રાખજે તારું..તારા બનાવેલ માનવી ગમે ત્યારે તને બનાવી શકે છે. સૌનું ભલું કરજે. શરૂઆત દીનદુઃખી અને જરૂરિયાતમંદોથી કરજે. આભારસહ વિરમું છું.🙏😊


લિ.


તારું જ સર્જન..તારું જ સંતાન.


🤗 મૌસમ 🤗