nature walk books and stories free download online pdf in Gujarati

પ્રકૃતિ વિહાર

સુખ, શાંતિ અને સંવાદનો ત્રિવેણી સંગમ વચ્ચે "પ્રકૃતિવિહાર".




માણસ જીવનમાં શું ઈચ્છે છે?? સુખ, શાંતિ અને સાચો સંગાથ, જેની સાથે મન ભરીને સંવાદ કરી શકે. આ ત્રણેય "સાચું" અને "નકલી" બંને હોઈ શકે. સ્થૂળ વસ્તુમાંથી જો તમને મળતું હોય તો, તે સુખ નાશવંત અને ક્ષણિક. જ્યારે સૂક્ષ્મ અને શાશ્વત વસ્તુમાંથી મળતું હોય તો, તે ચિરંજીવી અને સાચું .કોઈ આપણને પૂછે કે કેમ છો? તો તરત કહી દઈએ છે, બસ શાંતિ. પણ ભીતર શાંતિ કેટલી છે, તે આપણી જાત કરતાં વધુ કોને ખબર હોય!! "નિતાંત શાંતિ" જેની હર એકને જરૂર અને હર એકની શોધ છે. તે પ્રકૃતિની સમીપે જ મળી શકે. વાતો તો કોઈની પણ સાથે કરી શકાય. અમુક વાર કલાકો સુધીયે કરી શકાય. પણ જેનાંથી મન નિતાંત શાંતિ અને હળવાશ અનુભવે, પ્રશ્નોનું પૂર્ણવિરામ અનુભવાય, તે સાચો સંવાદ . પ્રકૃતિ સાથે થતો અશાબ્દિક સંવાદનો અનુભવ ક્યારે કર્યો છે? ખળખળ વહેતાં ઝરણામાં પગ બોળીને નિ:શબ્દ બેસી રહી, તે અવાજને ઘૂંટડે ઘૂંટડે પીવાનો પ્રયત્ન ક્યારે કર્યો છે? ઘટાદાર વૃક્ષોની છાયામાં બેસી પવનમાં હલતા તેનાં પર્ણનો મધુર લયબદ્ધ સંવાદ ક્યારેય સાંભળ્યો છે? વરસાદનાં છાંટાનો જમીન સાથે મિલાપ થતાં ઉદભવેલ મધુર રસમય અને ધબકારમય સુરાવલી સાંભળી છે!! પવનનાં સુસવાટાઓ કાનમાં જાણે કંઈક કહીને, સ્પર્શીને જતાં" ભાળ્યાં" છે?



પ્રકૃતિના આ સંવાદમાં ક્યારેય પોતાના વાદ, પોતાના ભાવ, પોતાની લાગણીઓ વહેંચી જોજો. આસ્વાદીત થતાં આવા સંવાદો તમને સ્થિર અને તથાગત બનાવશે. બાળકોનું મન એકદમ નિર્લેપ હોય છે, અનુભવોને કારણે લાગેલ તર્કો, ગ્રંથિઓ, અનુમાનોના પડો લાગેલા હોતાં નથી. માટે તે નિર્દોષ સ્મિતના, સહજ વર્તન વ્યવહારના અને અકારક ખુશ રહેવાની જાહોજલાલી ધરાવતા હોય છે. પ્રકૃતિની સમીપે, પ્રકૃતિના ખોળામાં ગાળેલી થોડીક ક્ષણો આપણને ભીતરથી આવાં પડો ખેરવી નાખી, નિર્લેપ થવાની સમૃદ્ધિ પૂરી પાડે છે. ભૂમિ, જળ, હવા, જે આપણાં મૂળભૂત તત્વો છે. તેની સમીપે થોડોક સમય જીવતાં, આપણને આપણાં "મૂળતત્વ", આપણા "સ્વ" તરફ જોડાવાની, પાછા વળવાની તક આપે છે. આ સહજપણે થાય છે. આજની ભાગદોડવાળા જીવનમાં આપણે આપણી જાતથી વિખૂટા પડી ગયાં હોવાનો અનુભવીએ છીએ. એક સમય એવો આવે છે જ્યારે આપણને કંઈ જ અડતું નથી. દિવસ અને રાત બસ એમ જ જાય છે. અને જિંદગી કોઈ જ અનુભૂતિ વગર નિરર્થક વહી જતી ભાસે છે. કેમ કે આપણે ભીતરથી અનુભૂતિ કરવાની ક્ષમતા ગુમાવી ચૂક્યા હોઈએ છે. આપણે ખૂલીને હસીયે નથી શકતાં, ખૂલીને રડીય નથી શકતાં, સાચો ગુસ્સો નથી કરી શકતાં કે સાચું લડીય નથી શકતાં. આમાંથી બહાર નીકળી, જીવને ફરી "જીવંત" બનાવવાં પ્રકૃતિથી મોટો કોઈ તબીબ નથી.



સારું "જોઈ શકાય" અને સાચું "નિરખી શકાય".




એસીની ઠંડકની સાથે સાથે પ્રકૃતિની "ટાઢક"ને ખુદમાં પ્રસરવા દો. કેમિકલને કારણે વધુ તીવ્ર બનેલ ઠંડીની સાથે સાથે પ્રકૃતિની સાચી "શીતળતા" ખુદને શ્વસવા દો. મનને તંદ્રામાંથી જગાડવા અને શાશ્વત વસ્તુઓ સાથે જોડવા, માનસિક તંદુરસ્તી અને ઈમોશનલ સ્ટ્રેન્થ રીગેઈન કરવાં, માનસિક પરિતાપોમાંથી ખુદને "પર" કરી લેવાં કુદરતમાં રત રહેવાનો થોડોક સમય અવશ્ય કાઢી લો .



હું "હું "મટી જઉ અને ભળી જઉ "સમષ્ટિ"માં,
હે કુદરત! તું એટલી જાહોજલાલી દેજે...!!


જે દુઃખ કે ખુશી તું બીજાને આપે,
તેની પરાનુભૂતિ કરી શકવાને તું સક્ષમતા દેજે..!!


સુનકાર વ્યાપી જાય સંવેદનાને,
તે પહેલાં તું જડતાં ખંખેરવાને તારો ખોળો દેજે..!!



અકારક અને કોઈ જ હેતુ વગર જ્યાં મન "પ્રફુલ્લિત" થઈ શકે છે. તે નદી ઝરણાં, પહાડો, જંગલોની સાથે જીવવા ક્ષણો ચોરતા રહો. ક્યાં સુધી તર્કથી જીવીશું? "જ્ઞેયથી અજ્ઞેય તરફ" વહેતાં રહો. માણસનાં "માનસ"નું ફ્રીમાં સમારકામ કરી આપતી ખુલ્લી પ્રયોગશાળા એટલે પ્રકૃતિ.




નિસર્ગના ખોળે જઈને જ "નૈસર્ગિક" બની શકાય છે.




કુત્રિમતાને બાય બાય કરવાં અને ખુદને "કુદરતી" એટલે કે "દંભ વગરનાં" સહજ વ્યક્તિત્વનાં માલિક બનાવવાં કુદરત સિવાય કોઈ વિકલ્પ નથી.




મિત્તલ પટેલ
"પરિભાષા"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED