Avantinath Jaysinh Siddhraj - 29 books and stories free download online pdf in Gujarati

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 29

૨૯

રાજમહાલયમાં

બંને જણા રાજમહાલય તરફ જવા માટે પુષ્પવાટિકાને માર્ગે ચાલી રહ્યા હતા. ચંદ્રજ્યોત્સના સરોવરનું, ધવલ આરસના કિનારાથી શોભતું નિર્મળ જળ અત્યારે પ્રકાશનાં લાખો પ્રતિબિંબ ઝીલતું શોભી રહ્યું હતું. એને કાંઠે કેટલાંક ધોળાં મૃગ અહીં તહીં ફરી રહ્યાં હતાં. એક-એક દ્રશ્યે કોઈ કવિની કલ્પના જાણે ખડી થતી હતી. 

ઉદયન અને કાક આગળ વધ્યા. સોપાનની પરંપરા ચડીને રાજમહાલયના મુખ્ય દ્વારે આવીને ઊભા. ત્યાં દ્વારભટ્ટે માધવદેવની પાસે જ ધંધરાજને ઊભેલો જોયો. એટલે એમનો રસ્તો સાફ થઇ ગયો. કાકભટ્ટે રાજમહાલયમાં પ્રવેશ કર્યો ને ચારે તરફ એક દ્રષ્ટિ કરી. મહાલયમાં ઠેરઠેર સ્ફટિક સુંદરીઓના હસ્તમાં સુગંધી દીપ જલી રહ્યા હતા. સામેની સ્તંભાવલિમાંથી ઊઠતી એમની પ્રતિચ્છાયાની એક મનોહર પંક્તિ રચાતી ઠેઠ રાજસિંહાસન સુધી જતી હતી. 

કાકે ત્યાં દ્રષ્ટિ કરી. રાજમંત્રીઓ, શ્રેષ્ઠીઓ, નગરજનો આવ્યા હોય તેમ જણાયું. એણે ઉદયનને ધીમેથી કહ્યું: ‘મહાઅમાત્ય કોણ છે?’

‘આવ્યા લગતા નથી.’

એટલામાં એક પ્રતિભાશાળી માણસ આવતો દેખાયો. એને જોઇને સભા ખડી થઇ ગઈ. ‘આ મહીદેવ – એ મહાઅમાત્ય છે!’ ઉદયને કાકના કાનમાં કહ્યું. 

થોડી વાર થઇ અને મહારાજ મદનવર્મા આવતા જણાયા એમની આગળ સોનેરી દીપિકા લઈને એક અનુચર ચાલતો હતો. પાછળ શસ્ત્રધારી સ્ત્રીસૈનિકો દેખાતાં હતાં. એમને પડખેથી વાયુ નાખતા બે માણસો આવી રહ્યા હતા. મોઢા આગળ સેનાધિપતી સજ્જનદેવ ચાલી રહ્યો હતો. એમણે રાજસિંહાસન ઉપર જગ્યા લીધી. અને દરેકે-દરેક સ્તંભની પાછળથી, એક-એક નર્તિકા નીકળી આવી. બે હાથ જોડીને મહારાજને નમસ્કાર કરી ક્ષણ એકમાં એ પછી અદ્રશ્ય થઇ ગઈ. 

હવે તમામ દીપીકાઓ પ્રગટવા માંડી. એમના તેજથી સ્ફટિક સ્તંભો જાણે આકાશી તારા મઢ્યા હોય તેવાં શોભવા માંડ્યા. સિંહાસનનાં રત્નોમાંથી તેજની કિરણાવલિ પ્રગટી રહી. એક અદ્ભુત દ્રશ્ય થઇ રહ્યું. કાકે મદનવર્મા તરફ દ્રષ્ટિ કરી. અને એ નવાઈ પામ્યો. એમનામાં શું હતું તરત કળી શકાતું ન હતું. પણ જેમ કોઈ, એક સુંદર દ્રશ્ય જુએ અને એનાથી એ હરહંમેશ આકર્ષાયા જ કરે, એવું કાંઈક રાજાના ચહેરા ઉપર બેઠું હતું. એમાં જાણે કે કોઈ દિવસ ન ખૂટે એટલી બધી રસસૃષ્ટિ રેલાઈ ગઈ હતી. કેવળ રસની ખાતર રસ – જાણે જ રસનિધિના સાંનિધ્યમાં બેસીને તમામ સૃષ્ટિને ભૂલી જઈએ – એવું કાંઈક ઘેન એણે રાજાની આંખમાં જોયું. એનો ચહેરો કોમળ છતાં પુરુષત્વભર્યો અને રસિક હતો. એની આંખમાં અત્યંત ઉચ્ચ પ્રકારની રસિકતાનાં વહેણ દેખાતાં હતાં. એના હોઠ જાણે કવિતા બોલવા ઉત્સુક હોય છતાં કવિતા બોલવા માગતા ન હોય – એવી દ્વિધાવૃત્તિમાં પડેલાં કવિજનની યાદ આપતાં હતા. 

કાકને લાગ્યું કે એ પોતાની રાજનીતિના બરાબર પ્રતિક જેવો છે. એ યુદ્ધમાં માનતો ન હોય, તે છતાં અનિવાર્ય યુદ્ધ માટે તત્પર હોય, એવો દેખાતો હતો. સૌ, કોઈકના આવવાની રાહ જોતા હોય તેમ લાગ્યું. 

‘કેમ ક્યાં છે ગુર્જરેશ્વર મહાદેવ? હજી આવ્યા નથી?’

‘પ્રભુ! એમને આવતાં થોડી વાર થાય તેમ છે. એમણે આવતી કાલે સંન્યસ્તમઠના તમામ સંન્યાસીઓને ભોજન માટે નિમંત્રણ આપ્યું છે. એમાં જરા વાર થઇ. મહારાજ પોતે પગે ચાલીને આમંત્રણ આપવા ગયા હતા!’

કાક અને ઉદયન બંને ચમકી ગયા. એમને કુમારપાલ વિશે શંકા ગઈ. એમને ધંધરાજને ખોળવા નજર ફેરવી. પણ એ ક્યાંય દેખાતો ન હતો.

એટલામાં બહાર મેદાનમાં શંખનાદ થયો, રણભેરી વતી, વાજિંત્રના ઘોષ થયા અને એની પાછળ તરત જ મંગલપ્રશસ્તિના શબ્દો સંભળાયા.

મહારાજ જયસિંહદેવ આવતા હોય તેમ જણાયું. ઉદયને પોતાની જાતને જરાક વધારે છુપાવવા માટે એક તરફ ખસીને એક મહાન સ્તંભની આડશ લીધી. કાકે તરત જ પાછળ દ્રષ્ટિ કરી. દ્વારમાંથી આવતા મહારાજ જયસિંહદેવ પોતે દેખાયા. તેની પાછળ સેનાપતિ કેશવ ને ત્યાગભટ્ટ હતા. બર્બરકને ત્યાં દ્વાર પાસે એક તરફ ઊભો રહી જતો કાકે જોયો. પણ મહારાજની આગળ ચાલતા મલ્હારભટ્ટને એણે જોયો અને એના હાજાં ગગડી ગયાં. તેણે ઉદયન તરફ દ્રષ્ટિ કરી. 

મલ્હારભટ્ટને આંહીં મહારાજની પ્રશસ્તિ ગાતો અને મહારાજના આગમનનું સૂચન આપતો જોઇને  ઉદયન પોતાના સ્થાન ઉપર બેઠોબેઠો પણ છળી ગયો. એના મનમાં કૈંક વાતનાં ઘોડાં ઘડાઈ ગયાં. એનું ચાલે તો એ અત્યારે જ ભાગીને પહેલાં તો સંન્યાસીમઠમાં પહોંચી જાય; કુમારપાલને ચેતાવી દે. એને ખાતરી થઇ ગઈ કે મલ્હારભટ્ટે કુમારપાલની આંહીંની હાજરીની વાત ગમે તેમ જાણીને મહારાજને પહોંચાડી દીધી લાગે છે. વર્ષોનું બંધન – અને પોતાની તમામ યોજનાને નિષ્ફળ બનાવતું આ સાહસ – કુમારપાલજીએ કેમ ફરીને ઉપાડ્યું એની એને નવાઈ લાગી. પણ હવે અત્યારે કાંઈ બીજો ઉપાય જ ન હતો. 

મલ્હારભટ્ટના પ્રશસ્તિશબ્દ સાથે જ મહારાજ જયસિંહદેવે રાજમહાલયના ખંડમાં પ્રવેશ કર્યો. આખી સભા એક પગે થઇ ગઈ હતી. સ્તંભિકાની પાછળથી નીકળીને નૃત્યાંગનાઓએ મસ્તક નમાવ્યાં. સ્ત્રીસૈનિકોએ મહારાજને ચરણે ધરાતી હોય તેમ સોનેરી મૂઠવાળી સમશેરોને મસ્તકે અડાડીને મહારાજને સાદર કરી. નગરજનો, શ્રેષ્ઠીઓ, મંત્રીઓ, નતમસ્તકે મહારાજને નમી રહ્યા. જયસિંહદેવે ગૌરવથી બે પગલાં આગળ ભર્યા અને મહારાજ મદનવર્મા પોતે પોતાના સિંહાસન ઉપરથી ઊતરીને તત્કાલ સામે ચાલ્યા. અને મહારાજની પાસે આવીને એમને પ્રીતથી ભેટી પડ્યા: ‘અરે! મહારાજ! ગુર્જરપતિ! આજ તમે અમારી કાંતિનગરીને જન્મસાફલ્ય આપ્યું છે. કલિયુગમાં જ્યાં જીવન ટૂંકા છે ત્યાં મહારાજ! આટલો પ્રીતિઉત્સવ થાય એ જ એક વસ્તુ ઈચ્છવા જેવી રહી છે!’ મદનવર્માએ કહ્યું.

મહારાજ જયસિંહદેવે મદનવર્માનો હાથ પ્રીતિથી પકડ્યો અને આગળ ચાલ્યા: ‘મહારાજ! તમને ઈશ્વરે કાંઈક અલૌકિક શક્તિ આપી છે. જેને મળો છો એને પ્રીતિથી વશ કરી લો છો. મને કંઈક એવું મળ્યું હોત!’

મદનવર્મા હસી પડ્યો. એના મોંમાંથી આવતું હાસ્ય પણ એક પ્રકારની રસિકતા ધારી રહ્યું હતું મહારાજ જયદેવ એ જોઈ રહ્યા.

ઉદયન અને કાક, બંને ગજ વિશેની વાતમાં વધારે રસ ધરાવતા હતા. મહારાજને સિંહાસન પ્રત્યે જતા જોઈ રહ્યા, અને બંને એક-ધ્યાન એકકાન થઇ ગયા. 

થોડી વાર સુધી તો બંને રાજાધિરાજની વચ્ચે કંઈક પ્રેમગોષ્ઠિ થઇ રહી. ઉદયન અને કાક પોતપોતાની જાત પ્રગટ થઇ ન જાય એવી સાવચેતી રાખતા શબ્દેશબ્દ પકડવાની આતુરતા બતાવી રહ્યા હતા. એટલામાં નૃત્યાંગનાઓએ સૌના મનને આકર્ષનારું અદ્બુત અપ્સરા નૃત્ય શરુ કર્યું.

થોડા વખત માટે ત્યાં શાંતિ છવાઈ ગઈ. કેવળ આંખો બોલી રહી હતી. અને આંખો જ જાણે સાંભળી રહી હતી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED