ગોરજ થી ગાય માતા સુધીની સફર. वात्सल्य દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગોરજ થી ગાય માતા સુધીની સફર.

ગોરજ થી ગાયમાતા સુધીની સફર.
🙏🏿
ગોરજ શબ્દ "શ્રીકૃષ્ણ ભગવાન"ના વખતથી બોલાતો આવ્યો છે.કેમકે ગોકૂળ વનરાવનના
બાળગોપાલ સાથે તેઓ વગડે ગાયો ચરાવતા આખ્યાનો,લેખ, કથા આપણે સાંભળી છે.(ગાયની વ્યાખ્યા વેદોએ કરી છે."ગાય એટલે કે જે પશુ સસ્તન છે,દૂધ આપે છે અને ગળે ધાબળી છે,તેવા પશુને ગાય કહેવાય.")બીજા શબ્દમાં કહીએ તો 'ગોધૂલી' શબ્દ તેને માટે વધુ બંધબેસતો આવે છે.સાંજે સીમાડે ચરીને જયારે ગામ તરફ આવતી બધીજ ગાયોના પગ ઉતાવળા હોય છે.કેમકે દુધાળા પશુ હોય તો તેનો માલિક દોહવા માટે વિશેષ લીલો ચારો કે ખાણ દોહવા વખતે ગભાણમાં આપતો હોય છે.બીજી બાજુ આખો દિવસ તેનું વાછરું ભૂખ્યું હોય છે,એટલે તેને ધવડાવવા તે ખુબ અધીરી બની હોય છએટલે સ્વાભાવિક ગાયના પગ જલ્દી પોતાના ઘર કે વાછરું પાસે જવા ઉપડતા હોય છે.ત્યારે તેના પગમાં સાંજ કે વાળુ ટાણે ઊડતી ધૂળને આપણે "ગોરજ" કહીએ છીએ.ગાય જયારે સવારે ઘેરથી છૂટે ત્યારે એકલ દોકલ ગામને પાદર તેનો માલિક મૂકી જાય.એકત્ર થયેલી ગાયોને "ધણ" કહેવાય.ગામની બહાર મોટું એક મેદાન હોય (હવે આવું મેદાન ભાગ્યેજ ક્યાંક ગામડે જોવા મળે છે.)આપણે એને "પાદર" કહીએ છીએ.અને એ પાદરમાં આખા ગામનાં પશુઓ રાત્રિ રોકાણ કે આરામ કરે.જેને ત્યાં વધુ પશુ હોય તે ત્યાં ઢોલિયો ઢાળી પોતાનાં પશુઓની સેવા ચાકરીમાં ચાર પુળો નાખે.દુઝણા પશુઓ પશુપાલક પોતાનાં ઘેર રાખે.કેમકે ઘરની સ્ત્રીઓને અનેક કામ હોય એટલે સવારે પાદર આવવું તેને માટે ઘણાં કામ ટાળી આવવું પડે.સાથે નાનાં વાછરુંને કૂતરું,બિલાડું હેરાન ના કરે એટલે સાચવવા માટે,સમયસર દૂધ દોહી અન્ય કામ માટે જોતરવાનું હોય એટલે તેવાં પશુઓ ઘેર બાંધી રાખે.પરંતુ જેમ જેમ સમય બદલાયો તેમ તેમ દુધાળા પશુઓને સાચવવાનાં અને વસુકી ગયેલા દુધાળા પશુઓને તગડી મુકવાં.હવેના લોકો ખૂબ સ્વાર્થી થઇ ગયા છે.અને એ પશુઓ રેઢા ચરી,ભેલાણ કરી પોતાનું ગુજરાન કરે.દુધાળા પશુઓ માટે ખાણ મૂકે, લીલો ચારો નાખે કેમકે તે માત્ર આવકનું સાધન સમજે છે.પહેલાં ગાય ગમે તેટલી ઘરડી થાય તો પણ તેને ખીલે મરે ત્યાં સુધી સેવા થતી.
ઓછા નામે આઠ થી દસ વેતર એ વિયાયા પછી તેનું શરીર કામ કરતું બંધ થાય ત્યાં સુધી સાચવતા.જુના લોકો કરતાં નવી પેઢી એ તો હદ વટાવી દીધી છે.તેના શરીરમાં આપણે દૂધની લ્હાયમાં રીતસર ગરમ ઇન્જેકસન મારી પરાણે ગરમ કરી દૂધ દોહતા નથી "દૂધ કાઢીએ છીએ"વાછડો કે પાડો છાસ પીતો કરી અકાળે એને મોતને માટે મજબુર કરીએ છીએ.અને તે પછીવાછડો કે પાડો રિબાઈ રિબાઈને જ મરે છે.આટલા આપણે બધા ક્રૂર બન્યા છીએ.સાચા ગોભક્તતો પોતાનાં ઘેર ગાયને પાળે છે.પરંતુ કહેવાતા ગોભક્તો માત્ર દેખાડો કરવા કે ફોટા પડાવવા પૂરતા જ પ્રસંગે ગાયો બાંધે છે.
આજે ગાય કે અન્ય પશુઓ માટે સાચવવાનો મોટો પ્રશ્ન છે.કોઈ ઠેકાણે જગ્યા બચી નથી.તેથી લોકો ગાયનું દૂધ વેચાતું લાવી પીવા માટે સસ્તું પડે છે.તેમ સમજી દુધાળા પશુઓ પાળતા માલિકો કરતાં દૂધ ખરીદી છૂટક વેચનાર વધુ કમાય છે. આ ખરેખર મોટી કમનસીબી છે. દૂધમાં ભેળસેળની તો વાત જ થાય તેમ નથી.હવે ચોખ્ખુ દૂધ શોધવા જવું હોય તો કોઈ આંતરિયાળ ગામડે વિશ્વાસુ પશુપાલક પાસે જવું પડે.દરેક મોટી મોટી સહકારી ડેરીઓમાં પણ અમુક ટકા ભેળસેળ થાય છે,જે કયો પદાર્થ નાખે છે તે તો ડેરીવાળા જાણે!
હાલના સંજોગોમાં ગાયની સંખ્યા કરતાં ગાયના દૂધની પેદાશ વધુ છે. જો કે ગાયના દૂધના નામે મોટું કૌભાંડ ચાલી રહ્યું છે.
આપણે આ દૂધને ઘેર જમાવી ઘી બનાવીએ ત્યારે મરેલા ઢોરની વાસ આવે તે રીતની આ ઘી માં વાસ આવે છે.જે વધુ દિવસ સંઘરી શકવા માટે અશક્ય છે.
હવે જમાનો ઇન્ટરનેટનો છે.એટલે માણસો પણ તે રીતના બની ગયા છે.કોઈએ ગાય રાખવી કે પાળવી નથી અને શુદ્ધતાની આશા રાખવી છે,તે ક્યારેય શક્ય નથી.
બાકી સાંજના સમયે કોઈ એકાદ ગામડે સાંજે જાઓ તો ગાયનું ધણ આવતું હોય ત્યારે તે ગાયોને કતારબંધ જોવાની મજા કંઈંક અલગ જ હોય છે.
હું નાનો હતો ત્યારે ગામડે મારે ઘેર એક "સિંધી" ગાય હતી.ખૂબ વ્હાલી હતી.હું એના ઉપર ચડી ઘોડ઼ો ઘોડ઼ો રમુ કે આંચળમાં સીધે સીધું મોઢું રાખી દૂધ ચૂસું છતાં તે બિલકુલ શાંત ઉભી હોય.હું એને ખંજવાળું તો પગ કાન પહોળા કરી આપણને ઈશારો કરે કે મને ગમે છે.ગમે ત્યાં હોય અને હું આવું એટલે તે ખુશી વ્યક્ત કરે.મારા હાથ ચાટે,ખભે માથું મૂકે આ તમામ પ્રક્રિયા મે જાતે અનુભવી છે.તે બેઠી હોય તો તેની પીઠે ટેકો આપી સુઈ જઈએ તો સ્હેજેય હલે નહીં,તેવી વ્હાલી ગાય મને ખૂબ સાંભરે છે.તે તેના વાછરું પાસેથી દૂધ બચાવી મારી બા મને સાંજે માટીની તાવડીમાં શેકેલો કડક બાજરીનો રોટલો આપતી ત્યારે એ દૂધની મીઠાશનો કઈંક અનેરો સ્વાદ આવતો.
માટે જ આપણે એને "ગાય માતા" કહીએ છીએ.
"ગોરજથી લઇને ગાય માતા સુધીની મારી શબ્દ સફર સારી લાગી હોય તો મિત્રો અભિપ્રાય જરુર આપજો."
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)