એ.... રાત वात्सल्य દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એ.... રાત

એ.... રાત..!!!!
સૌરાષ્ટ્રના શત્રુંજય ડુંગર ઉપર સરકારી પીટીસી છે,તેમાં લોકભારતી સણોસરા સંસ્થાના "યુવા સંગમના" યુવાનો દ્વારા વેકેશન શિબિરનું આયોજન કરેલું.તે શિબિરમાં જુદી જુદી ગુજરાતની કૃષિ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓના આવેદન મુજબ બધા મળીને પચાસ વિદ્યાર્થીઓની બેંચ હતી.તેમાં આપણા ખ્યાતનામ મૂર્ધન્ય લેખક સ્વ.મનુભાઈ પંચોળી (દર્શક) મુખ્ય મહેમાન અને વક્તા તરીકે આમંત્રિત કરેલા હતા. આ મહામાનવની સેવા મને,કુ.ગીતા સુવાગીયા અને શ્રીભાસ્કરભાઈ એમ ત્રણ જ્ણને દર્શકની સેવા -સુશ્રુષા સોંપેલી.
સાત દીવસીય આ શિબિરમાં સતત એકે એક પળનો સદુપયોગ, સમય પાલનની સખત કાળજી લેવાતી હતી.મારી આ શિબિરમાં હાજરીથી મને ઘણું બધું જીવનનું ભાથું મળેલું. મે માસ હતો.સખત ગરમી હતી,સાથે ડુંગર ઉપર શેત્રુજી નદી પર બાંધેલો ડેમ અને સરોવરમાં સ્નાન કરવાની તે વખતે ખૂબ મજા આવી હતી.
સહભોજન,સહશયન તેમજ સહવિચરણથી અનેરી ધરતી,અનેરું વાતાવરણ અને એકમતના મિત્રો વચ્ચે એ સાત દિવસની શિબિરમાં એટલી તો મિત્રતા બંધાઈ ગઈ જાણે જનમો જનમનો નાતો હોય તેવું અનુભવાતું હતું.
. મને ગાવાનો,ગરબા રમવાનો,કાવ્ય સર્જન,પેઇન્ટિંગ,એન્કરિંગ,આર્ટ,મ્યુઝિક વગાડવાનો,મજાક કરવાનો અને સાથે સાથે લખવાનો શોખ હતો.એ વખતે મોબાઈલ જેવું હાથવગુ સાધન ન્હોતું પરંતુ નોટબુક અને ખિસ્સામાં પેન સતત લટકતી રહેતી.કઈંક નવું લખવાની ટેવ મારા જીવનનો એક અંગત હિસ્સો બની ગયો.બધા મિત્રો કહેતાં "તારા અક્ષર સરસ છે." મને મારી સ્કૂલથી માંડી મહાશાળા ના બ્લેક બૉર્ડ ઉપર સુવિચાર લખવાની ટેવ હતી.તે અને નાનપણથી અક્ષરો સારા લખવાની તમન્નાથી મને સુલેખનમાં પ્રથમ નંબર આવતો.
આ શિબિરમાં મારી ટીમમાં એક ભાઈ અને એક બેન હતાં.જે ખૂબજ ફ્રિ માઈન્ડનાં હતાં.અમેં ખૂબ જ્ઞાન ગમ્મ્ત સાથે મજા કરતાં.આખો દિવસ કોઈ એક વિષય પર કરોળીયાના ઝાળા જેમ અનેક વિચારો ફેલાતા,મગજ કસવાનું અને નોટબુકમાં ટપકાવવાનું અને તે બધું ચિંતન રાત્રિ સભામાં મૌલીક રજૂ કરવાનું.નહીં માનો દરેક દિવસે આ શિબિરમાં ઘણા મહેમાનો વારાફરતી આવતા રહેતા.તેમાંના સ્વ.શ્રીનાનાભાઈ ભટ્ટ,શ્રીનારાયણ ભાઈ દેસાઈ,જગદીશભાઈ શાહ, સ્નેહરશ્મિ જેવા મોટા ગજાના કવિ - લેખકોથી અમને બધાંને એકી સાથે અમૂલ્ય લ્હાવો અને સાહિત્યિક ક્ષેત્રે ભાથું મળતું.
. આ શિબિરના હર્ષ ઉલ્લાસમાં દિવસો પૂરા થયા.છેલ્લા દિવસે સૌને શું ગિફ્ટ આપવી તે યુવા સંગમના પ્રમુખ "રહીમભાઈ સુમરા" ની ટીમે આયોજન કરી રાખેલું હતું.સવારે સનાનાત્યાદી નાસ્તો કરી સભા ગૃહમાં એકત્ર થયા.જાણે કન્યાવિદાય હોય તેવાં દૃશ્યો સર્જાયાં.એકમેકને દિલથી ભેટી ભેટી ને કહેતા હતા... આવજે દોસ્ત!ક્યારે મળીશું?હવે ખબર નહીં. ક્યારે મળશું? આ વિદાયની ઘડી માં શિબિરની મેનેજમેન્ટ ટીમે એક ડ્રોઈંગ પેપર પર શીર્ષક જગ્યાએ દરેક શિબિરાર્થી નું નામ લખી.સભા ગૃહમાં ટેબલ ઉપર દરેક પેપર મુકી દીધાં અને તેના ઉપર દરેકે દરેક પેપેર ઉપર શિબિરના અને વ્યક્તિગત મંતવ્યો લખવાના હતાં.તે જ આ શિબિરનું અમારાં માટે પ્રમાણપત્ર હતું.મે આ મંતવ્ય પેપર મારી ફાઈલમાં આજે પણ સંઘરેલું છે.જયારે તે ફાઈલ ખોલું છું ત્યારે શિબિર દરમ્યાનની તમામ ગતિવિધિ મારી આંખોમાં તગતગે છે.
. શિબિરની યાદો સાથે છુટા પડી બસ દ્વારા અમદાવાદ વાયા કરી હું મારા ગામ કમાલપુર જવા રાધનપુર સુધીની બસ પકડી.અર્ધી રાત વીતી ચૂકી હતી.બસમાં હું બેઠો હતો તે સીટમાં સહ પ્રવાસી બેન હતી.બેઉ રાધનપુર બસ સ્ટેન્ડ પર ઉતર્યા.દરેક પોતપોતાનાં ઘર તરફ જતાં હતાં. અમેં બેઉ રાતના ત્રણ વાગે બસ ડેપો પર હતાં. પેલાં બેન ગભરાતા સૂરે કહેવા લાગ્યાં. ભાઈ મારે કૉલીવાડા જવું છે કેટલું થાય, કોઈ સાધન મળશે? એક સામટા સવાલથી મને તેમની પરિસ્થિતિ સમજાઈ ગઈ.મે કીધું કે અહીંથી પંદર સત્તર કિલોમીટર છે.રાત્રે કોઈ સાધન નથી જતું પરંતુ ચિંતા ના કરો.નજીકના મોટી પીપળી હાઇવે ટ્રકમાં ઊતરી જઈએ ત્યાંથી કોઈ સાધન મળી જશે.રાતના ચાર વાગે તે સ્ટેન્ડ પર ઉતર્યા પણ કોઈ વાહન ના મળ્યું.પછી વિચાર્યું કે ચાલો ચાલતાં તમને મુકી જાઉં.નહીં માનો પીંપળી થી કૉલીવાડા પગપાળા પહોંચતાં પ્રભાત થઇ ગયું હતું.હું તે સ્ત્રીને ગામને પાદર મુકી પાછો મારે ગામ પગપાળા કમાલપુર જવાનું હતું એટલે ઉતાવળે હું નીકળી ગયો.આખી વાટમાં એ બેન જોડે માત્ર એટલું જ પૂછ્યું કે તેનો જવાબ એટલોજ હતો... મારે શિક્ષિકાની નોકરીનો ઓર્ડર છે. હાજર થવા જવામાં હું આ વિસ્તારમાં અજાણી હતી.માટે કઈ બસમાં જવું તે સૂઝ ન્હોતી.અંતે એક વાક્ય બોલી અમેં બેઉ છૂટાં પડ્યાં તે વાક્ય હતું.
"મને તમારામાં કોઈ ભગવાનનું કામ કરવા મોકલેલો અવતાર હોય તેવું લાગે છે"
વાર્તા /લેખ પુરી થાય છે... પરંતુ મારું આ વાક્ય હમેશાં યાદ રાખજો 👇🏿
(સંકટ સમયે સ્વાર્થ નહીં નિસ્વાર્થ સેવા કરીએ )
. - સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )