Adhurap - 17 books and stories free download online pdf in Gujarati

અધૂરપ. - ૧૭

અર્પણ

એ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.

પ્રસ્તાવના

આ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય...

પરિકલ્પના
ફાલ્ગુની દોસ્ત

પ્રકરણ-૧૭

રાજેશ પોતાના રૂમમાં ગયો ત્યારે ભાર્ગવી કપબૉર્ડમાં કપડાં ગોઠવી રહી હતી. એ ઉંધી ઉભી પોતાનું કામ કરતી હોવાથી એને ખ્યાલ નહોતો કે અપૂર્વ દરવાજા પાસે ઉભો રહી એને તાકી રહ્યો છે, ભાર્ગવી કપડાં મૂકીને ડોર બંધ કરવા જ જતી હતી ત્યાં એની નજર અપૂર્વના અને પોતાના લગ્ન થયા ત્યારે અપૂર્વએ જે કોટ પહેર્યો હતો તેમાં ગઈ, એણે એ કોટને હાથ ફેરવ્યો અને એ બોલી, "અપૂર્વ હું તમારી વિરોધી નથી પણ આપણા વિચાર અલગ હોવાથી આજ રાત્રે જમતી વખતે હું અમૃતાભાભી અને રાજેશભાઈના ભવિષ્યમાટે બાળકની વાત જરૂર બધાની સમક્ષ મુકીશ, મને માફ કરજો અપૂર્વ...."
આટલું બોલી એ હતાશ થઈ ડોર બંધ કરી એના પર માથું ટેકવી જાણે ઊંડો નિસાસો નાખી રહી હતી ત્યાં જ અપૂર્વ એની સમીપ જઈ ને ધીરેથી એના કાન પાસે બોલ્યો, "હું જાણુ છું કે તું મારા વિરોધમાં ન જ હોય..."

ભાર્ગવી અચાનક આમ અપૂર્વને સાંભળીને ખુબ જ ખુશ થઈ ગઈ અને અપૂર્વને ખુશ થઈ ભેટી પડી. અપૂર્વએ પણ એને હળવી થવા દીધી. થોડી ક્ષણ એમ જ રહ્યા બાદ અપૂર્વએ ભાર્ગવીની માફી માંગી અને કહ્યું, "હું કાલે તારી સાથે જેમ વર્ત્યો એ મારે નહોતું કરવું જોઈતું, પણ જે થયું તે થયું પણ આજ નહીં ૨/૪ દિવસ જાય એટલે હું ખુદ રાજેશભાઈને વાત કરીશ.."

ભાર્ગવીને પોતાના કાન પર વિશ્વાસ જ ન આવ્યો એને તરત જ પ્રોમિસ માંગી લીધું, કારણ કે આજે આખો દિવસ ભાર્ગવીને પોતાની સાથે જે થયું એ બધું જ પિક્ચરની રીલની જેમ એની નજર સામે એક પછી એક બધી જ એની સાથે થયેલ ઘટનાઓ યાદ આવી હતી આથી એ અપૂર્વને વચનબંધ કરવા ઈચ્છતી હતી, એ કોઈ પણ ભોગે અમૃતાભાભીની સાથે અન્યાય ન થાય એની તકેદારી રાખવા ઈચ્છતી હતી અને અપૂર્વએ ભાર્ગવીને વચન આપીને થોડી સફળતા ભાર્ગવીને અપાવી દીધી હતી. ભાર્ગવીનો જાણે અડધો ભાર હળવો થઈ ગયો. છતાં મનમાં રહેલ અપૂર્વની જૂની છાપથી એને ડર હતો કે અત્યારે મને ના પાડી અને પછી પોતે પણ નહીં કહે તો? આવો નેગેટિવ વિચાર આવ્યો છતાં ભાર્ગવીએ અપૂર્વ કોઈ જ મનમાં પાપ રાખીને વચન નથી જ આપતો એવું વિચારીને જ આખરી મત મનમાં રાખ્યો. ત્યારબાદ બંને જમવામાટે ડાઇનિંગ ટેબલ તરફ ગયા. અપૂર્વને મોડું થયું હતું આથી ઘરના અમુક સભ્યોએ જમી લીધું હતું. ભવ્યા તો ઊંઘી પણ ગઈ હતી.

રાજેશ પોતાના મનમાં ખુબ ગ્લાનિ અનુભવતો હતો. એને થઈ રહ્યું હતું કે મેં પતિ તરીકેની કોઇ ફરજ બજાવી જ નહીં. એને મનોમન વિચારમાં ડૂબેલ જોઈને અમૃતા બોલી તમે ખોટી ચિંતા ન કરો જે થવાનું હશે એ થશે પણ આમ ચિંતા કરશો તો તમારી તબિયત પણ બગડી જશે. હું જોઉં છું કે તમે સરખું જમતા પણ નથી, અત્યારે પણ સરખું જમ્યું નહીં. બંન્ને વચ્ચે વાત થઈ રહી હતી અને અચાનક અમૃતાને ખુબ પેટમાં દુખવા લાગ્યું. ધીરો ધીરો દુખાવો તો અમૃતાને સહન કરવાની ટેવ જ પડી ગઈ હતી. અત્યારે દુખાવો એનાથી સહન જ નહોતો થતો. રાજેશે ડૉક્ટરને ફોન કરી તરત અમૃતાની જાણ કરી, ડોક્ટરએ કીધું કે, "હું આ પરિસ્થિતિ જાણી જ ગયો હતો આથી જ ઓપરેશન નું કીધું. અત્યારે તમે મેં જે દવા આપી છે એમાં એક એક્સટ્રા દવા છે એ અમૃતાને આપો એટલે એને દુખાવામાં રાહત થશે.'

અપૂર્વ, ભાર્ગવી અને શોભાબહેન ટેબલ પર આવી ગયા પણ રમેશભાઈ હજુ આવ્યા નહોતા, આથી ભાર્ગવી એમને બોલવવા ગઈ અને શોભાબહેનને જાણે મોકો મળી ગયો.

ભાર્ગવી રમેશભાઈને પૂજા રૂમમાં જ સીધી બોલાવવા ગઈ. કારણ કે, એમને એવી ટેવ હતી જયારે એમનું મન ઉંચક રહેતું ત્યારે એ ભગવાન પાસે બેસી માળા કરતા હતા. ભાર્ગવી પણ ત્યાં જ બેસી ગઈ અને એમની માળા પુરી થવાની રાહ જોવા લાગી, કારણકે અધવચ્ચેથી માળામાં વિક્ષેપ પાડવો ભાર્ગવીને ઠીક ન લાગ્યો..

શોભાબહેને ફરી વાત શરૂ કરી, "અપૂર્વ દીકરા! મારી ચિંતામાં તું શું ઉપાધિમાં હતો એતો તું બોલ્યો જ નહીં. "

મમ્મીના આ પ્રશ્નએ અપૂર્વને યાદ આવ્યું કે ઓફિસેથી આવ્યો ત્યારે મમ્મી રોતા હતા. આથી એને મમ્મીને વળતો પ્રશ્ન કર્યો કે, "તમે કેમ રોતા હતા?"

જોતું હતું ને વૈધે કીધું એમ શોભાબહેને વાત ચાલુ જ કરી દીધી, "દીકરા હું પણ એક મા છું. મને પણ તકલીફ થાય જો ઘરમાં બધા ખુશ ન હોય તો.. એમાં અમૃતા અને ભાર્ગવી બંન્ને ભેગી થઈ આ ઘરમાં અશાંતિ જ ઉભી કરે છે. એ બંન્ને સાંજે રસોઈ કરતા કંઈક વાત કરતી હતી, પણ હું જેવી રસોડામાં ગઈ કે વાત કરતી બંધ થઈ ગઈ.. એ જરૂર કાંઇક ષડયંત્ર જ કરતી હશે, એ ચિંતામાં મન દુઃખી હતું એ તે અનુભવી લીધું. આટલું બોલી એ અપૂર્વ શું પ્રતિભાવ આપે છે એ જોવા લાગ્યા.

અપૂર્વએ વાત શાંતિથી સાંભળી પણ હવે એનો આંખ ઉપરનો પડદો હટી ગયો હતો. આથી એણે મમ્મીને પૂછ્યું, 'તમને એની કંઇ વાત પરથી એવું લાગ્યું? તમે એવું શું સાંભળ્યું? અને એવું તો શું જોયું કે તમે ચોક્કસ પણે કહો છો કે એ બંન્ને કાંઇક ષડયંત્ર જ કરતી હતી... ?મને કહો એટલે હમણાં જ વાતનો ખુલાસો થઈ જાય.. ભાર્ગવી આવે એટલે પૂછું એને અને જો કઈ આનાકાની કરે તો બે ઝાપટ મારીશ તો બધું જ સાચું કહેશે."

શોભાબહેન સહેજ ગભરાયા. કારણ કે, આજે આખો દિવસ અમૃતા આરામ જ કરતી હતી. નાનું સૂનું કામ કર્યું પણ રસોડામાં તો ગઈ જ નહોતી. આથી હવે વાત પકડી રાખવામાં શોભાબહેનનું જ નુકશાન એને લાગ્યું આથી એમણે તરત વાત બદલતા કહ્યું કે, "મેં તને એમ કહ્યું હતું કે મને એવો વહેમ ગયો, અને વહેમ પર થોડી ચોખવટ કરાય દીકરા??"

અપૂર્વ તરત પોતાના મમ્મીની જુઠ્ઠી વાત સમજી ગયો. આજે જે થોડુંઘણું પણ એના મનમાં એના મમ્મી માટે માન હતું એ પણ સાવ ઘટી ગયું. મનમાં એક દર્દનો સિસકારો અપૂર્વના દિલને વીંધી ગયો કે આ મારા મમ્મી છે?!! કોઈ મા આવી કઈ રીતે હોઈ શકે?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED