battel of craw and caterpillar books and stories free download online pdf in Gujarati

કાગડા અને ઇયળનું યુદ્ધ

આ વાર્તા જંગલમાં શરૂ થઈ હતી. જેમાં એક નદીના કિનારે એક મોટું કેરીનું ઝાડ હતું. તેનું નામ આમ્રપલ્લવ હતું. તે ઝાડ પર ઈયળનો સુંદર મહેલ હતો. તેમના રાજાનું નામ સત્યપલ્લવ હતું. તે સત્યવાદી અને બુદ્ધિશાળી હતો, તેની પાસે ઘણા બધા શુરવીર સૈનિકો હતા અને ચાણક્યનીતિ વાપરનાર વૃધ્ધો હતા. તે વૃદ્ધ ઈયળો બધી ઈયળોને શિક્ષા અને અસ્ત્ર-શસ્ત્ર વિદ્યા આપતી. તેના ફરતા વૃક્ષો પર ઈયળો વસવાટ કરતી હતી. દરેક ઈયળ મહેનત કરતી હતી. તે પોતાના હકનું ખાતા હતા. ત્યાંના રાજા સહીત બધાં જ અલગ-અલગ કામમાં વ્યસ્ત રહેતા હતા. જ્યારે પણ મુશ્કેલી આવે ત્યારે તે એક થઈ જતી અને એકઠી થઈ ને તે મુશ્કેલીનો સામનો કરતી.

ઉનાળાની ઋતુની શરૂઆત થઈ હતી. તે સમયે તે જંગલમાં કાગડાઓનું રાજ હતું. કેમકે, તે પક્ષી હતા અને તે ઊડીને ગમે ત્યાં જઈને પાણી શોધી લેતા હતા. તે કાગડાઓનો પણ એક રાજા હતો, તે ખુબજ કામચોર, આળસી અને ઘમંડી હતો. તેમને માટે ઉનાળાની ઋતુ એટલે સંપૂર્ણ જંગલમાં રાજ કરવાની તક હતી. જોકે, ઉનાળાની ઋતુ તો હંમેશા આવતી પરંતુ તે સમયે તે જંગલમાં ગીધનું રાજ રહેતું પરંતુ તે હવે લુપ્ત થઈ ગયા છે. એટલે કાગડા ઊંચા થતા હતા.

તેમના ક્રૂર રાજાને જંગલમાં કાગસિંહ કેહતા હતા, તેની સાથે તેના જેવા બળવાન અને બુદ્ધિશાળી બીજા ત્રણ કાગડા હતા, જેમાં કાગસિંહનો વિશ્વાસુ કાગાભદ્ર, ત્યાર બાદ તેના કરતાં બુદ્ધિશાળી કાગકેન્દ્ર અને સૌથી વધું શક્તિશાળી કાગાબળેન્દ્ર. તે ચારેય મળીને બીજા કાગડાઓ ઉપર રાજ કરતા હતા. જોકે, કાગસિંહ પાસે આ બધા ગુણ હતા, તેથી તેને રાજા બનાવ્યો હતો.

ઘણા દિવસો પછી એકવાર એક કાગડાએ શ્રવણ નદી જોઈ અને તેના કિનારે આવેલા વૃક્ષોને પણ તેને જોયા જ્યાં ધગધગતા તાપમાં પણ ત્યાં શિયાળાની શીતળતાનો અહેસાસ થયો. આ જોઈ તે કાગડો ત્યાંના ક્રૂર રાજા કાગસિંહ પાસે ગયો અને તેને શ્રવણ નદીની વાત કરી તે સાંભળીને ભળભડતાં ઉનાળાના તાંપમાં તપેલા કાગડાઓ તેની સાથે શ્રવણ નદીને કિનારે ગયાં. ત્યાં તે પેટ ભરીને પાણી પીવા લાગ્યા. તે સમયે તે બધાંની નજર આમ્રપલ્લવ પર પડી જ્યાં ખૂબ મોટી - મોટી કેરીઓ હતી. જે જોઈ તે બધા આરામ કરવા લાાગ્યા. બીજા એક બે કાગડા ઉપર આકાશમાં ઉડવા લાગ્યા. જેવા તે વૃક્ષ પાસે ચ્યા ત્યારે તેમની નજર ઈયળો અને તેમના મહેલ પર પડી. જેથી તે ત્યાં જ ઉડતા-ઉડતા થોભી ગયાં. કાગસિંહે તેના સેનિકો દ્વારા સંદેશ મોકલ્યો. કાગડાનો દૂત ઈયળોના મહેલમાં ગયા અને તેમને કાગસિંહનો મોકલેલો સઁદેશ કાઢીને વાંચવાનું શરૂ કર્યું. જેમાં લખ્યું હતું કે, “તમારી સામે આ જે સંપૂર્ણ જંગલના રાજા કાગસિંહ આવી પોહચ્યાં છે. તેમની ઈચ્છા છે કે, તે તમારા રાજ્ય પર પોતાની સત્તા ચલાવવા માંગે છે અને તમે બધી ઈયળો અમારી ગુલામ થઈ જાઓ. અમે તમારા પર હુમલો નહીં કરીએ પરંતુ તમારું રક્ષણ કરીશું. જો તમે યુદ્ધ ચાહતા હો તો તમને બે દિવસનો સમય આપીશું ત્યારબાદ અમે તમારા પર આક્રમણ કરીશું.”

આ સઁદેશ સાંભળી સંપૂર્ણ આમ્રપલ્લવનગરમાં શાંતિ અને દુઃખનું વાતાવરણ છવાઈ ગયું. નગરના નાગરિકો લડાઈ માટે તૈયારી કરવા લાગ્યા. પરંતુ તે સમયે તેમના રાજા સત્યપલ્લવ અને ત્યાંના બુદ્ધિશાળી વૃધ્ધોની સભા યોજાઈ. રાજા તેમના મત લેવા લાગ્યા, જેમાં એક કીર્તિકાંત નામના વૃદ્ધ જેમણે તેમની બુદ્ધિથી ઘણી બધી મુશ્કેલી દૂર કરી હતી. તેમને આજે એક નવો ઉપાય કર્યો તેમણે કહ્યું કે જ્યાં સુધી કાગડાઓમાં એકતા છે, ત્યાં સુધી આપણે જીત મેળવી શકીશું નહીં. એટલે તેમણે પેહલા તો એક-બીજા સાથે યુદ્ધ કરાવવું પડશે.

ત્યાર બાદ બીજા દિવસે રાત્રીનો સમય હતો. સભા પૂર્ણ થઈ હતી. સંપૂર્ણ રાજ્યમાં સન્નાટો છવાઈ ગયો હતો. નગરમાં ચારેતરફ ભય છવાઈ ગયો હતો. તે સમયે સત્યપલ્લવે કીર્તિકાન્તને પૂછયું આપણી સામે આવેલા આ ક્રૂર રાજા ‛કાગસિંહ’ “સિંહ” કેમ કહેવાયો?

ત્યારે કીર્તિકાન્ત કહે છે. ;-

ઘણા સમય પહેલા કાગનો જન્મ એક ક્રૂર કાળા ગ્રહ માં થયો હતો. જેમાં તેની માતાએ તેને વિદ્યા આપી. થોડો યુવાન થયા બાદ ચતુરાઈથી ગીધની નજરમાં આવ્યા વિના જ નીકળી જનાર આ કાગ અને તેની માતા મહાન કહેવાયા. પરંતુ કાગને તેની માતા એ ક્યારે પણ કામ કરીને ખાવાની પરેણાં આપી ન હતી. જેથી, તેની માતાને જ હંમેશા ભોજનની વ્યવસ્થા કરવી પડતી હતી. એકવાર તેની માતાની તબિયત બગડી જાય છે. તેથી કાગને ભોજન વ્યવસ્થા માટે બહાર જવું પડે છે. તે આખો દિવસ જંગલમાં ભટક્યા કરે છે. પરંતુ, તેને કયાંય ભોજન મળતું નથી. તે નિરાશ થઈને ઘરે પાછો ફરતો હોય છે.

ત્યાં કાગની નજર બે સિંહ ઉપર જાય છે. તે બંને યુુદ્ધ કરી રહ્યાં હતા. જેથી, કાગ બે મહાન સિંહનું યુદ્ધ જુએ છે. બંને સિંહ સામ -સામે રાજ્ય માટે લડાઈ કરતા હોય છે અને તેમાંથી એક સિંહ ખુબ ઘાયલ થઈ જાય છે અને તે હાર માની જાય છે. તે સમયે કાગના મનમાં એક વિચાર આવે છે કે, આ સિંહના મૃત્યુ પછી હું તેને ભોજન બનાવી લઇશ. હવે કાગ તેનો પીછો કરે છે અને તેના મૃત્યુની રાહ જુએ છે, કાગ થોડા ક્ષણ પછી તે સિંહના વાગેલા પર ચાંચો મારવા લાગે છે. સિંહ ગુસ્સે થાય છે પરંતુ તે કાગ ને પકડી શકતો નથી. તેનો ફાયદો ઉપાડીને કાગ તે સિંહના મૃત્યુ સુધી તેને ચાંચો માર્યા કરે છે. છેવટ તેના મરતા તેના માન્સના લોચા લઈ કાગ તેની માતા પાસે જાય છે.

તેની માતા તેને પૂછવા લાગી તારે કેમ આટલી બધી વાર લાગી ? ત્યારે ઘમંડમાં આવેલ કાગ કહે છે કે, આજે મે સિંહનો શિકાર કર્યો જેથી મારો સંપૂર્ણ દિવસ તેને મારવામાં ગયો. આ સાંભળી તેની માંદી માતા આશ્ચર્યચકિત થઈને બેઠી થઈ ગઈ. તેની માતાએ આ વાત એમની આજુ-બાજુના કાગડાઓને કરી, પરંતુ તેઓ હસવા લાગ્યા અને તેમને પુરાવો માંગ્યો ત્યારે તે કાગ તેમને બધાને ત્યાં ઉડાડીને લઈ ગયો. તેમને એક મૃતક સિંહને જોયો તે પણ આશ્ચર્યચકિત થયાં કારણ કે, તે સિંહના શરીર પર માત્ર કાગડાની ચાંચોની નિશાની જ દેખાતી હતી. તેને તે સિંહના શરીર પર લાગેલા દરેક ઘા ઉપર તેની ચાંચો મારી હતી. જેથી બધા જ કાગડાઓ તેને સિંહ માર્યાનું બિરુદ આપ્યું અને ભેટ સ્વરૂપે તેના નામ “કાગની પાછળ સિંહ” લગાવ્યું.

કીર્તિકાન્ત કહે છે કે , : -આ રીતે કાગને સિંહનું બિરુદ મળ્યું.

ત્યારબાદ સત્યપલ્લવ તેના કક્ષમાં ચાલ્યો ગયો. હવે, સત્યપલ્લવની ઊંઘ પણ ઊડી ગઈ હતી. જ્યારે કીર્તિકાન્ત તેના ઘરે જઈને તેની ચાણકય બુદ્ધિનો ઉપયોગ કરે છે. તે સર્વ પ્રથમ તેના વીર પૌત્ર જેનું નામ શોર્ય હતું. જેના ગુણગાન સંપૂર્ણ રાજ્ય ગાતું હતું. તેને તેના દાદા કીર્તિકાન્ત કહે છે. “તારે યુદ્ધમાં નથી જવાનું.” આ સાંભળી શોર્ય ગુસ્સે થઈ ગયો અને તેના દાદાને તેને કહ્યું. “આ આપણાં વારસામાં નથી. ભાગવું કે છુપાવું એ મારા લોહીમાં નથી. ઘણા વર્ષો પહેલાં મારા માતા-પિતા એ પણ આઝાદી માટે પોતાના પ્રાણ ત્યજ્યાં હતા અને અત્યારે જ્યારે આપણો સમય આવ્યો ત્યારે તમે મને યુદ્ધ કરવાની અનુમતિ નથી આપતા. તમારા અને મારા પરતો રાજા અને સંપૂર્ણ પ્રજાને નિઃસંદેહ વિશ્વાસ છે. જો આપણે જ યુદ્ધથી નાશી જશું તો રાજ્યમાં હા...હા... કાર મચી જશે.”

જ્વાળાની જેમ ફુટી નીકળેલા શોર્યના ક્રોધને જોઈ. તેના દાદાએ તેને શાંત પાડવા કહ્યું. “પહેલાં યુદ્ધ નથી થવાનું.” આ સાંભળી શોર્ય સ્તબ્ધ થઈ ગયો. તેને કહ્યું. “તો પહેલાં શું થવાનું છે ?”

ત્યારે કીર્તિકાન્તે કે છે:- “આપણે કાલે જે કરવાનું છે તે કાલે તને ખબર પડી જશે, પરંતુ આજે અને અત્યારે જ રાત્રીના સમયે તું અહીંયાથી દૂર અવેલા ઝેરી વન તરફ જવા રવાના થા, જેમ બને તેમ વહેલા પહોંચી જા. ત્યાં જઈને સર્પ આકારની જડીબુટીના પાંદડા તોડીને લાવજે. તેને લાવીને આપણા વિશાળ સ્નાનાગારમાં ભેળવી દેજે.”

હજું શોર્ય કઈ બોલે તે પહેલાં જ. તેને કોઈ પણ પ્રશ્ન પૂછવાની ના પાડી દીધી. એટલે શોર્ય થોડાક સૈનિકો અને પાંદડાં ને ભરવા માટે પાત્રો લઈ નીકળી જાય છે.

બીજા દિવસે એક કાળા જેવો રાતો સૂરજ નીકળી આવ્યો. નગરના નાગરિકો પણ પોતાની આઝાદી માટે હથિયાર લઈને યુદ્ધના મેદાનમાં આવી પહોંચ્યા હતાં. તે સમયે બધાં જ ત્યાં હતા પરંતુ રાજા સત્યપલ્લવ અને કીર્તિકાન્ત આ બેમાંથી એક પણ ન હતા. થોડીવાર પછી રાજા અને કીર્તિકાન્ત ત્યાં આવ્યાં અને તેમણે કાગસિંહને ઊંચા અવાજે કહ્યું. “અમે તમારો ગુલામીનો પ્રસ્તાવ સ્વીકાર કરીએ છીએ. પરંતુ, તમારા રાજ્યમાં તો તમે ચાર વીર છો. તો અમે તમારામાંથી કોઈ પણ એક નીજ ગુલામી કરીશું. તે સાંભળી કાગસિંહ ખુશ થયો અને તેને ચોખ્ખું કીધું, તમે બધાં માત્ર મારી જ ગુલામી કરો.”

તે સાંભળી તેના બીજા ત્રણ વીર ગુસ્સે થયા અને તેમને કાગસિંહનો વિરોધ કર્યો. જેનાથી ક્રોધિત થઈ તેમને ત્રણેયને અને તેમનો સાથ સહકાર આપનારને પણ મોતની સજા આપી જેથી કાગડાઓમાં અંતર યુદ્ધ શરૂ થઈ ગયું.

જેમાં ત્રણ વીર કાગડા અને તેમનો સાથ આપનારને મોતને ઘાટ ઉતારવામાં આવ્યાં. જેથી, તે દિવસે કાગડા અને ઈયળનું યુદ્ધ ન થયું.

સાંજ ના સમયે શોર્ય તેની સેના સાથે સર્પ બુટી લઈને આમ્રપલ્લવ પહોંચ્યો. તેને આ વાતની જાણ થઈ. નગરમાં ખુશીનો માહોલ હતો. તે સમયે કીર્તિકાન્ત આવ્યા અને તે ઝેરીબુટીને ત્યાંના સ્નાનાગારમાં ભેળવ્યુ. કીર્તિકાન્તની આજ્ઞાથી દરેક ઇયળ તેમાં સ્નાન કર્યું. બધી જ ઇયળને એકઠી કરીને છેલ્લીવાર એકતાની મહાનતા દર્શાવી અને જણાવ્યું. આજે આપણે કાગડાઓની એકતા તોડી નાંખી છે. જેથી, જીત આપણી જ થશે.

બીજે દિવસે બધી જ ઇયળ કાગસિંહની સામે યુદ્ધ કરવા તૈયાર થઈ ગઈ હતી. તેમને કરેલા આ દગાથી ક્રોધિત થઈને કાગડા યુદ્ધના મેદાનમાં ઉતરી આવ્યા. તે કાગડાઓ બધી ઈયળોને ભોજન ગણતા હતાં. તેથી ખુશીથી ખાવા માટે આતુર થઈ ગયા. જ્યારે ઈયળ બધી જ ઝેરીસ્નાન કરીને આવી હતી. યુદ્ધ શરૂ થયું અને દરેક કાગડા ઈયળોને ઊપાડીને ખાવા લાગ્યા. જેની થોડીક ક્ષણોમાં જ કાગડાઓ મૃત્યુ પામ્યા અને ઈયળો વિજય થઈને ખુશી-ખુશી આમ્રપલ્લવમાં આવી ગઈ.

જો કાગસિંહ ના એ ત્રણ બુદ્ધિશાળી અને બળવાન કાગડાઓ હોત તો તે આ યુદ્ધના જીતી શકેત. તેથી, કીર્તિકાન્તે તેમની એકતા તોડી ને જીત મેળવી હતી.

આમ, બુદ્ધિથી અશક્ય કામ પણ કરી શકાય છે.

લેખક : યુવરાજસિંહ જાદવ


https://yuvrajsinhjadav3648.blogspot.com/2021/05/blog-post.html


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED