The vision of man books and stories free download online pdf in Gujarati

માનવીનો દ્રષ્ટિવંત

માનવીનો દ્રષ્ટિવંત

માનવીની જોવાની દ્રષ્ટિ-નજર જેવી હોય છે, તેવું તે જોઈ શકે છે, સાંભળી અને સમજી શકે છે. જો માનવીના આંખો ઉપરના ચશ્મા પર ધૂળ જામેલી હશે તો તેની આખી દુનિયા જ ઘૂઘરી દેખાશે. માનવીના ચશ્મા જે રંગના હોય, તેવી જ દુનિયા તેને દેખાતી હોય છે. માનવી તેના ચશ્મા પર લાગેલ ધૂળ રૂપી નજરને જ્યાં સુધી સાફ કરી શકે નહીં ત્યાં સુધી તેને વાસ્તવિક દુનિયા શું છે તે જોઈ શકતો નથી. માનવીની સાચી નજર જ સાચું જોઈ શકે છે. અને તેના આધારે જ જીવનમાં તેના કદમ આગળ વધારી શકે છે. નકારાત્મક દ્રષ્ટિ-નજર માનવીને તેની સીમાઓ માં કેદ કરી દે છે. અને તેની પરેશાની અને મુશ્કેલીઓનો વધારો કરે છે. જ્યારે સકારાત્મક નજર માણસને સીમા મુક્ત કરે છે અને જીવનનો નવો માર્ગ ચીંધે છે.

માનવીનું જોવાની રીતનું નિર્માણ તેનામાં બાળપણથી જ થવા લાગે છે. જે પ્રકારનું વાતાવરણ, પરિવારના લોકો તરફથી મળે છે, તે મુજબ જોવાની, વિચારવાની અને સમજવાની રીત સમજાવે છે. તે પકડનો માનવીનો દ્રષ્ટિકોણ બનતો જાય છે. અને માનવી આજીવન તે નજરથી જીવનને જોવે છે અને માણે છે, સમજે છે. માનવીના જોવાના દ્રષ્ટિકોણની તેના વ્યક્તિત્વ પર અનેક ઘણી અસર પડતી હોય છે. જેના અનેકાનેક દ્રષ્ટાંતો જોવા મળે છે.

એક ગુરુકુળમાં બે રાજકુમારો અભ્યાસ કરતા હતા. બંને અલગ-અલગ રાજ્યોના વારસદાર હતા. એક દિવસ તેમના ગુરુકુળના આચાર્ય બાળકોને ઉદ્યાનમાં ફરવા લઈ ગયા. ત્યાં આચાર્યની નજર આમ્રવૃક્ષ પર પડી. એવામાં એક બાળક આવ્યો અને વૃક્ષની ડાળીઓ પર ડંડા મારીને ફળ તોડવા લાગ્યો. આચાર્યએ રાજકુમારોને પૂછ્યું “આ બાબતમાં તમારા બંનેનો શું મત છે ? પહેલા રાજકુમારે કહ્યું, “વૃક્ષ પણ ધંધા ખાધા વિના ફળ આપતું નથી. મતલબ એ કે લોકો પણ દબાણ લાવીને તેમની પાસે કામ કરાવી શકાય છે.” બીજા રાજકુમારે કહ્યું, “ગુરૂજી ! મને લ છે કે જ રીતે આ વૃક્ષ ડંડા ખાઈને પણ મીઠું આમ્ર ફળ આપી રહ્યુ છે, તેવી રીતે વ્યક્તિ પણ પોતે દુઃખ સહન કરીને બીજાને સુખ આપી શકે છે. આમ અપમાનને બદલે ઉપકાર કરી શકે છે.”

ગુરુદેવ થોડું મલકાયા અને બોલ્યા, “જુઓ ! જીવનમાં નજરને જોવાનું જ મહત્વપૂર્ણ છે. એક જ ઘટના પ્ર તમારા બંનેના મત અભિપ્રાય અલગ છે કારણ તમારી બંનેની જોવાની નજરમાં ભિન્નતા સમાયેલી છે. માનવી પોતાની નજર અનુસાર જ જીવનની વ્યાખ્યા કરતો હોય છે, અને તેને અનુરૂપ કાર્ય કરતો હોય છે અને તેના અનુસાર જ તે તેવા જ ફળ ભોગવતો હોય છે.” તે મુજબ માનવી પોતાની સ્વાભાવિક પ્રકૃતિ લઈને જ જન્મ લે છે. વાતાવરણ અને સંબંધિત પરિવારજન જો તેની પ્રકૃતિ સાથે મેળ ખાય છે તો તે વાતાવરણમાં મગ્ન થઈ જાય છે, તેમની વાતો જલ્દી સાંભળે છે અને સમજે છે અને જો વ્યક્તિ ની પ્રકૃતિ વાતાવરણ સાથે મેળ નથી ખાતી તો તે ગૂંગળામણ અનુભવે છે, ત્યાંથી દૂર જવાન ખેવના રાખે છે. પોતાને અનુરૂપ અને અનુકૂળ લોકો તથા વાતાવરણની તલાશમાં રહે છે.

મહાભારતમાં પ્રસંગને જો યાદ કરવામાં આવે તો દુર્યોધન અને તેના ભાઈઓનો જન્મ રાજમહેલોમાં થયો. મામા શકુનિનુ પળેપળ તેઓને સાનિધ્ય પ્રાપ્ત થયું અને તેને અનુરૂપ તે તમામ ભાઈઓને દ્રષ્ટિ નિર્મિત બની. જ્યારે બીજીબાજુ જોઈએ તો યુધિષ્ઠિર અને તેમના અન્ય ભાઈઓનો જન્મ વનમાં થયો, માતા કુંતી તથા ભગવાન શ્રીકૃષ્ણનું તેઓને મજબૂત સાનિધ્ય પ્રાપ્ત થયું અમે તેમની નજરમાં ફરક પડ્યો. એકવાર શાસ્ત્રોનું શિક્ષણ આપતી વખતે આચાર્ય ગુરુદ્રોણના મનમાં યુધિષ્ઠિર અને દુર્યોધનની પરીક્ષા લેવાની મનોકામના જાગી. તેમણે વિચાર્યું, “ આ બધાની વ્યવહારિક બુદ્ધિની પરીક્ષા કેમ ન લેવામાં આવે ?”

બીજા દિવસે આચાર્ય ગુરુદ્રોણ રાજકુમાર દુર્યોધનને પોતાની પાસે બોલાવી ને કહ્યું, “વત્સ ! તું સમાજમાં સારા માણસની પરખ કર અમે એવી વ્યક્તિને શોધીને મારી સમક્ષ ઉપસ્થિત કર.” દુર્યોધને કહ્યું, “ જેવી આજ્ઞા ગુરુદેવ.” અને એ સારા માણસની શોધમાં નીકળી પડયો. થોડા દિવસ પછી દુર્યોધન આચાર્ય ગુરુદ્રોણ પાસે આવીને બોલ્યો, “ગુરુદેવ !, મેં ઘણા નગરો અને ગામોનું પરિભ્રમણ કર્યું પરંતુ ક્યાંય કોઈ સારો માણસ ન મળ્યો. આને પરિણામે હું કોઈને આપણી સમક્ષ લાવી ન શક્યો.” ત્યાર પછી ગુરુદ્રોણે બીજે દિવસે રાજકુમાર યુધિષ્ઠિરને પોતાની પાસે બોલાવીને કહ્યું, “ બેટા ! ગમે ત્યાંથી કોઈ ખરાબ માણસ ને શોધીને લાવ.”

યુધિષ્ઠિરે કહ્યું, “ ઠીક છે ગુરુદેવ ! હું પ્રયત્ન કરું છું.” આટલું કહીને તે ખરાબ માણસની શોધમાં નીકળી પડ્યા. ઘણા દિવસો પછી યુધિષ્ઠિર આચાર્ય ગુરુદ્રોણ પાસે પરત ફર્યા. આચાર્યએ યુધિષ્ઠિરને પૂછ્યું. “ કોઈ ખરાબ માણસ ને સાથે લાવ્યો?” યુધિષ્ઠિરે ગુરુદ્રોણને વંદન કરતા કહ્યું, “ ગુરુદેવ ! મેં આપના આદેશ અનુસાર બધી જગ્યાએ ખરાબ માણસની શોધ કરી, પરંતુ મને કોઈપણ ખરાબ માણસ ન મળ્યો.” આચાર્ય ગુરુદ્રોણ મલકાઇને બોલ્યા, “ જે વ્યક્તિ જેવો હોય છે, એવા જ બધા તેને દેખાય છે. એટલે દુર્યોધનને કોઈ સારી વ્યક્તિ ન દેખાઈ અને યુધિષ્ઠિરને કોઈ ખરાબ માણસ ન મળી શક્યો.” વાસ્તવમાં જેવો આપણો જોવાનો નજરીયો- દ્રષ્ટિકોણ હોય છે, તેઓ જ સંસાર આપણને દેખાય છે.

આ બાબતે સંત કબીર દાસ જી તેમના શબ્દોમાં કંઇક આ મુજબ કહે છે.

बुरा जो देखन मैं चला, बुरा न मिलिया कोई l

जो मन खोजा आपना, मुझसे बुरा न कोई l

સંત કબીરદાસ જી કહેવા માગે છે કે, બુરાઈને ખોજ કરવામાં આવે તો સૌથી પહેલા બુરાઈ આપણને આપણા પોતાનામાં જ બહુ મળી જશે. આપણે નકામા જ બીજાના દોષ શોધવામાં લાગી રહીએ છીએ. સૌથી પહેલા આપણે આપણી અંદર ડોકીયુ કરીને જોવું જોઈએ કે ક્યાંક મારામાં જ કોઈ દોષ તો છુપાયેલો નથી ને. માનવીની સૌથી મોટી ગેરસમજ છે એ હોય છે કે માનવી ખુદને ખોટો ઠરાવી શકતો નથી. માનવી પોતાની હંમેશા સાચો માને છે અને એમ વિચારે છે કે મારાથી તો કોઈ જ ભૂલ થઈ ન શકે. હકીકતમાં, આ માનવીનો પોતાનો અહં સિવાય બીજું કાંઈ નથી. વાસ્તવમાં માનવી પોતાની અંદર રહેલા દોષોને કારણે જ બીજાના દોષોને શોધવા જતો હોય છે. આત્માના આવરણમાં છવાયેલી કાલીમા જ આપણને બહાર નજરે પડે છે. જો આ કાલીમા સાફ કરી નાખવામાં આવે તો બહાર પણ વધુ સ્પષ્ટ દેખાવા લાગશે.

એકવાર એક યુવાન દંપતીએ રહેવા માટે પોતાના નવા ઘરમાં પ્રવેશ કર્યો અને ઘર ગૃહસ્થીની બધી સામગ્રીઓ સજાવવામાં લાગી ગયા. ઘરને વ્યવસ્થિત કરવામાં લાગી ગયા, ઘરનો સરસામાન વ્યવસ્થિત કર્યા પછી તેઓ પોતાની બાલ્કનીમાં બેઠા, તો તેમણે પોતાની સામેના ઘરમાં તાર ઉપર ધોયેલા કપડા સુકાતા જોયા. પત્ની કહેવા લાગી કે, “ કેટલા ગંદા કપડાં ધોયા છે બની શકે કદાચ તેઓને કપડા ધોવા ની રીત ખબર ન હોય.” આ વાત પર ઉપર પતિએ બહુ ધ્યાન ન આપ્યું. બીજા દિવસે સવારે નાસ્તા વખતે ફરી એ જ વાત થઈ. ઘણા દિવસો સુધી પત્ની પડોશમાં સાફ કપડા ન ધોવાવવાની બાબત પર અફસોસ કરતી રહી.

એક દિવસ રવિવારે જ્યારે દંપતિ નવરાશની પળોમાં બાળકનીમાં બેઠું તો પત્નીએ જોયું કે પાડોશના કપડાં ખુબ જ ચમકદાર દેખાઈ રહ્યા હતા. તે કટાક્ષ કરતા બોલી કે, “ લાગે છે કે તેમને કપડાં ધોવાની રીત આવડી ગઈ છે અથવા તો તેમણે કપડાં ધોવાનો સાબુ પાવડર બદલી નાખ્યો છે.” પતિએ શાંત ભાવે જવાબ આપ્યો- “ આજે સવારે વહેલા ઊઠી ને મેં આપણી બાલ્કનીના કાચ સાફ કર્યા છે. કપડા તેમના ગંદા નહોતા, પરંતુ આપણી બાલ્કનીના કાચ ગંદા હતા.” આ જવાબ સાંભળીને પત્ની ખુબ શરમાઈ ગઈ તેણે વિચાર્યું કે આજ પછી કોઇપણ ટીપ્પણી કરતા પહેલા પોતાનો દ્રષ્ટિકોણ પરખવો અને ત્યાર પછી જ કંઈક બોલવું.

हम बदलेंगे युग बदलेगा,

हम सुधरेंगे युग सुधरेगा,

મતલબ જ્યાં સુધી આપણે પોતે બદલાઇશું નહીં, સુધરીશું નહીં, ત્યાં સુધી યુગ પરિવર્તન આપણને આપણા નજરમાં નહીં આવી શકે. આ વાતને પ્રજ્ઞા ગીતની પંક્તિમાં આ રીતે કહેવામાં આવી છે.-”बदला जाए दृष्टिकोण तो इंसान भी बदल सकता है, दृष्टिकोण में परिवर्तन से अरे जहान बदल सकता है l” જોવા જઈએ તો વાત ફક્ત માનવીના નજરની છે. જો માનવીની નજર તેનો દ્રષ્ટિકોણ સાફ હોય, સકારાત્મક હોય, તો જીવનની દિશા જ આપોઆપ બદલાઈ જાય છે. અને જો નજરમાં દ્રષ્ટિકોણમાં નકારાત્મકતા હોય તો જીવનની દિશા પણ ખાઈમાં પડી જાય છે જ્યાંથી ઉગરવાનું, નીકળવાનું સહેલું નથી રહેતું. આથી માનવીએ પોતાના જીવન માટે સારી રીતે જીવન જીવવા કયો દ્રષ્ટિકોણ અપનાવવો અને બની ગયેલ દ્રષ્ટિકોણને કેવી રીતે સુધારવો તે તેણે પોતે વિચારવાનું છે. ટૂંકમાં આ બાબતે કહીએ તો “ જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ.”
Dipak Chitnis (dchitnis3@gmail.com)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED