Home is a temple books and stories free download online pdf in Gujarati

ઘર એક મંદિર

“ઘર એક મંદિર”

DIPAKCHITNIS(DMC) dchitnis3@gmail.com

શહેરમાં સ્થિત થયા પછી, લગભગ બંધ રહેતું અમારું ગામડા ગામનું જૂનું ઘર કાઢી નાખવાનો વિચાર આવ્યો. જે વાસમાં અમારૂ ઘર હતું ત્યાંના જૂના પાડોશીઓ પણ હવે શહેરમાં રહેવાં ચાલી ગયેલ હતા. મોટાભાગના એ તો પોતાનાં ઘર કાઢી નાખ્યા હતા. એટલે જન્મ-મરણ જેવા કોઈ સામાજિક પ્રસંગે કે લાંબી રજાઓમાં ગામડાનાં એ ઘરમાં થોડા દિવસ રહેવા જતા ત્યારે ઘણું અતડું પણ લાગતું. કારણ નવા પાડોશીઓ આવી ગયા હતાં અને તેમની સાથે નાતો બંધાયો જ ન હોય અમને પણ જાણે આંગતુક-મહેમાન જ ગણે એટલે હવે એ ઘર રાખવાનું કોઈ આકર્ષણ રહ્યું નહોતું.

વળી બંધ રહેવાને કારણે જૂનું ઘર વધારે જીર્ણ બનતું જતું હતું. ચોમાસુ ભારે હોય તો પતરાંના છાપરામાંથી પાણી અંદર ઉતરતું હતું, પરિણામે એક કરામાં થોડી તિરાડ જેવું પડેલ હોય તેમ જણાતું હતું. ખુલ્લી અરક્ષિત ઓસરી અને કચરાના થર જામે કરે. એટલે બા ની સંમતિ લઇ ઘર કાઢી નાખવાનો વિચાર પાકો કર્યો. યોગ્ય ઘરાક મળે તો વેચવા માટે ગામમાં રહેતા અમારા એક વ્યવહારકુશળ અને ભલામણ કરી કે શહેરમાં ચાલ્યા આવ્યા. પછી એક દિવસ ‘ઓફર’ આવી પણ ખરી, પણ ઓફર વ્યાજબી હતી. ઓફર કરનાર માણસ પણ સારો અને ભરોસાપાત્ર હતો, એટલે હવે વિલન કે આનાકાનીનો પ્રશ્ન ન હતો.

પણ એ ક્ષણેથી મનમાં વ્યથા જાગી, રહી રહીને વ્યગ્ર કરતો વિચાર આવવા લાગે કે શા માટે બાપદાદાનું ઘર કાઢી નાખવું ? ત્રણ ચાર પેઢીથી ચાલ્યા આવતા માટીના ખોરડાને સ્થાને ત્યાં આ ઘર, ઈંટોનું પાકુ ઘર મારા બાપાએ બંધાવેલું કહો કે ઘણી ખરી મજૂરી ઘરના સૌએ જાતે કરીને બાંધેલું. તે માટે પોતાના બળદગાડામાં ઈંટો તાણી લાવેલા ચણતર માટે ગાર તૈયાર કરવા ગામના આંબા તળાવની ચીકણી માટી જાતે ગોડી લાવેલા લાકડા માટે અમારા ખેતરના જુના લીમડા પાડેલા. છેક મોભારા સુધી ગારનાં તગારા મારી બાએ ઉપર ચડાવેલા. પછી શહેરમાં અમે છોકરાઓ એ જ્યારે નવાં ઘર બંધાવવામાં માંડ્યા ત્યારે પોતાના દીકરાઓના એ મકાનો નોકરિયાત સુપરવાઇઝરોની દેખરેખ નીચે દ્વારા બંધાતા જોઈ, મનમાં થોડું રાજી થતા મા-બાપ ઘણીવાર ગામડાગામનું અસલવારીનું એ ઘર કેવું નવેસરથી જાત મહેનતથી પોતે બાંધેલું તેની ભાવુકતાથી વાત કરતા હતા.

એ ઘરમાં જ અમે ભાઈ-બહેનોનો જન્મ થયેલો. એટલું જ નહીં, એ જ ઓરડામાં અમારા દાંપત્ય જીવનનો આરંભ થયેલો અને એ જ ઓરડામાં મારા સંતાનોનો જન્મ પણ થયો અનેક સારા-માઠા પ્રસંગો જીવનમાં આવ્યા, આ ઘર તેનું સાક્ષી

ઘરના આંગણામાં કેટલું રમેલા ! એક દિવસ એ આંગણું વટાવી ખભે થેલી ભરાવી ગામ નિશાળે ભણવા બેઠેલા. એક દિવસ દૂર પરગામ સુધી ભણવા ગયા. એ જ આગણું વટાવી શહેરમાં જઈ વસ્યાં. એ ઘરના આંગણામાં અમારી બહેનોના અને ભાઈઓના લગ્નમંડપો બંધાયેલા હતા. ત્યાં જ્ઞાતિજનો સાથે ઝઘડાઓ અને સ્નેહમિલનો થયેલાં ત્યાં પાડોશીઓ સાથે ઊંચા અવાજે બોલાચાલી એ જ આંગણામાં અમારા પરિવારના અબોલ સભ્યો બંધાતા- ભેંસ, પાડા, બળદ.

એ ઘરની ઓસરીમાં મારા દાદા અને પછી દાદાનો ચોકો થયેલો, અને થોડા વર્ષો પણ મારા બાપાનો.

અમારા ઘરની બંને બાજુએ બીજા ઘર છે એક ઘર છે મારા ખરેખરના આજન્મ સાથીનું, તે પણ બંધ છે, મારો મિત્ર રોટલો રળવા દેશના અનેક સ્થળોએ ફરી, ઘરભાગ્યાં પછી હવે અમદાવાદમાં રહે છે. તે પછીના મકાનમાં કાશીફોઈ રહેતા હતા. તેમને ઉઠી ગયે(મરણ થયે) તો વર્ષો થઈ ગયા. જ્યાં વર્ષો સુધી રેતની કલાકની શીશી લઈને રોજ સામાયિક કરતા એ ઓસરીમાં હવે ફાંદવાળા એક બારોટ સુતા જોવા મળે. સામેના ઘરનો માલિક પ્રૌઢ વયે પણ કુંવારું જ ઉઠી ગયો. અને એ ઘર પણ એક દિવસ પડી ગયું અને નવી દિશાને બારણે નવું થયું છે.

આમ બધું બદલાઈ ગયું છે, છતાં થવા માંડ્યું છે કે શા માટે અમારે અમારું એ ઘર વેચી નાખવું ? જૂનું તોયે બાપદાદાનું ઘર. એ ઘર છે, માત્ર ચાર દીવાલો ને છાપરાનું મકાન નથી. મકાન તો પૈસાથી ખરીદી શકાય, બાંધી શકાય, પૈસા લઈને વેચી શકાય, પણ ‘ઘર ?’ ઘર એ તો ભાવના છે. એ માત્ર પૈસાથી ખરીદી કે બાંધી શકાય નહીં એટલે થવા માંડ્યું કે ભલે ઘર જૂનું થાય, જીર્ણ થાય, ભલે પડી જાય, પણ ઘરે છો રહેતું.

બીજી બાજુ પાછું મન તર્ક કરે કે આ બધા લાગણીવેડા છે. જો ગામમાં જવાનું જ ના હોય તો ઘર રાખી રાખવાનો શો અર્થ છે ? સારા પૈસા ઉપજે છે. એટલા પૈસા ફિક્સ્ડ ડિપોઝિટમાં મુકોને, તોય......

છેવટે ઘર કાઢી નાખવામાં વિચાર રહ્યો. પણ અમે બધા ભાઈઓએ છેલ્લે છેલ્લે સહ પરિવાર બાપદાદાના એ ઘરમાં સાથે રહેવામાં વિચાર કર્યો. કાયમ માટે કાઢી નાખવાનું છે. તો એ ઘરમાં બધા સાથે લઈ રહીએ.

વળી પાછું ઘણા વખતનું બંધ ઘર ખૂલ્યું.

જોતજોતામાં તો નાના-મોટા પરિવારજનોથી એ સુનું ઘર ગાજતું-ગુંજતું થઈ ગયું. મારા એક નગરવાસી મિત્રને પણ આ વેળા તો ગામડાડાગામનું ઘર જોવા સાથે લઈ ગયો। પુરાણા દિવસો પાછા આવ્યા હતા. બાપાના મૃત્યુ પછી મારી બા લગભગ ઉદાસ રહ્યા કરતી. ઘરના પ્રસંગોમાં રસ લેતી નહી. તે પણ અહીં આવીને સૌની વચ્ચે પ્રસન્ન લાગી.

પરંતુ હવે ઘરની પ્રત્યેક દીવાર મને ઠપકો આપવા લાગી. જ્યાં હંમેશા બેસેતો, જ્યાં બેસીને પહેલો એકડો ઘુંટેલો અને જ્યાં બેસીને પછી દરેક રજામાં અભ્યાસના ગ્રંથો ઉથલાવતો ત્યાં બેઠો ત્યાં ભીંતે ટેકો દેતાં જ તે મને અંદરથી હચમચાવી રહી. મે પાછા વળીને તેના પર હાથ ફેરવ્યો, તે કહી રહી, “આટલે દહાડે આવ્યા અને હવે બસ….”

હું વ્યગ્ર બની ગયો. આંગણામાં ખાટલો ઢાળીને બેઠો. હવે ત્યાં ગમાણ ખાલી હતી, ખીલા હતા પણ ઢોરઢાંકર નહોતા. પરંતુ એ બધા જ જાણે એ તરફ નજર જતાં એકસાથે ભાંભરી ઉઠ્યા. હું એકદમ ઊભો થઈ ગઈ. શૂન્ય આંખે ભરાયેલું આંગણું જોતો રહ્યો. ઘરના નેવા કેટલા બધા ચોમાસા એનું સંગીત સાંભળ્યું છે ! અહીં તોરણ નીચે મારી બહેનો પરણવા બેઠી હતી અને અને દાદી, દાદા અને બાપુની નનામીઓ બંધાઈ હતી. ગળે ડૂમો ભરાવા જેવું થયું

ઘરના ઓરડામાં ગયો. બંધ જીર્ણ ઓરડો વધારે ભેખર લાગ્યો. પછીતની એક નાની જાળીમાંથી થોડું અજવાળું આવતું હતું. આઅ ઓરડો એક વેળા કોઠીઓ-કોઠઓથી ભરેલો રહેતો. એ બધું ક્યારનુંય કાઢી નાખ્યું છે, પણ ત્યાં હજી ખૂણામાં વલોણાની મોટી ગોળી અને ખીટીએ મોટો રવૈયો લટકે છે.

વચલા ખંડમાં, જ્યાં અમે સૌ જમતા, ત્યાં થઈ ફરી વાર ઓસરીમાં આવું છું, બા એકલી બેઠી છે. અત્યારે આઘાંપાછાં છે. જોઉ છું તો ઘરડી બા રડી રહી હતી. બાને ઓછું સંભળાય છે. હવે ઝાઝું કાઢે એમ પણ નથી. મેં પાસે જઈ પુછ્યું, “ આ શું ? તું રડે છે બા ?”

અને એનાથી મોટેથી રડાઈ ગયું, “આ ઘર.... એટલું માંડ આંસુ અને હીબકાં સહતે બોલી. બાપુજીના અવસાન વખતે નહોતી રદી એટલું બ રડી રહી હતી. ધીરે ધીરે હીબકાં વચ્ચે એણે કહ્યું, “આ ઘર.... હું જીવું છું ત્યાં સુધી ના કાઢશો. હવે હું ઝાઝા દિવસ નથી. પછી તમ તમારે….”

‘‘પણ બા, મેં કહ્યું હતું ને ?”

‘‘કહ્યું હશે. પણ હવે પાછા અહીં આવ્યા પછી....ના તમે ના કાઢશો.” એનું રડવાનું અટકતું નહોતું.

બા ને રડતી જોઈને મને દુઃખ થયું પણ વિશેષ આનંદ થયો. એનું હૃદય હજી જીવતું જાગતું છે. એને હજી જગતમાં, જીવનમાં રસ છે. અમે તો માનતા હતા કે માત્ર દહાડા કાઢે છે પણ ઘર માટેનો આ રાગ….

મારા મનમાં પણ ઊંડે ઊંડે અપરાધભાવ તો હતો ઘર કાઢવાની વાતથી. પણ હવે તો રીતસરનો સણકો ઉપડ્યો. ઘર સૌની સંમતિથી વેચવાનું વિચારેલું. બાનાખત પણ થઇ ગયું હતું. જોકે તે દિવસથી દરેક જણ ઘરની વાત આવતાં મૂંગું પડી જતું.

એટલામાં નાનો ભાઈ મકાન ખરીદનારની સાથે આવ્યો. ઘરમાં બીજા સૌ પણ ભેગા થઈ બાની આસપાસ બેસી ગયા હતાં. બાને સમજાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા, “આપણે નવું સગવડોવાળું મકાન આ ગામમાં જ બંધાવીશું. આ જ ઘરના પૈસામાંથી તમે કહેશો તેવું…”

બા કહે “આ ઘરને મોભે મેં ઈંટો ચઢાવી છે. તમારા બાપે કેટલી હોશથી બાંધ્યું છે. એટલે તમારે મારા ગયા પછી ભગવાન કરે ને મહેલ ચણાવજો.... પણ આ ઘર તો..” નાનો ભાઈ સ્થિતિ પામી ગયો એણે મકાન ખરીદનારને કહ્યું, ભાઇ હમણાં ખમી જાઓ. આ ઘર આપીશું ત્યારે તમને જ આપીશું.”

મેં જોયું કે અમે સૌ ની છાતી પરથી પથ્થર ઉતરી ગયો હતો. વરસાદ પછી ખૂલેલા આકાશ જેવું બાનું મોઢું જોઈને જાણે જીર્ણ ઘર હસી રહ્યું હતું. અદ્રષ્ટ ગૃહદેવતાની પ્રસન્નતાનો સૌને સ્પર્શ થયો હતો.

પહેલા અમે ભાઈઓ-બહેનો બધા દિવાળીની રજાઓમાં મોટેભાગે ગામડાના ઘરે જઈએ. બા-બાપા જાણે આ દિવસોની રાહ જોતા હોય. ઘર ભરાઈ જાય કલકોલાહલથી. દિવાળીની રજાઓ પૂરી થતા એક પછી એક કુટુંબએકમો નીકળી જાય. બંને બહેનો ચાલી જાય. અમે બંને ભાઈઓ છોકરાઓ સાથે નીકળીએ. આંતરે દિવસે, એ જ દિવસે સવારે કે સાંજે બા-બાપા પોતાના સંતાનોને ઝાંપા સુધી વળાવવા આવે. બાપા ક્યારેક ધીમે ધીમે ચાલતા ભાગોળે બસ સુધી આવે. અમે અમારી ધમાલમાં હોઈએ. જલ્દી આવજો. સંભાળજો કહીને નીકળી પડતા.

પણ પછી ખાલી ઘરમાં પાછા ફરતા વૃદ્ધ મા-બાપને ઘર કેવું ભેકાર લાગતું હશે તે હવે કંઈ સમજુ છું. આવા તો ઘેર ઘેર વૃદ્ધ મા-બાપ છે ખાસ તો ગામડામાં.

કવિ ‘ઉશનસ’ની ‘વળાવી બા આવી’ એ પ્રસિદ્ધ કવિતામાનો વિરહબોધ મને અડકી ગયો. એ કવિતા મને આખી મોઢે હતી. હું ઘર ની આગળની મોટી ગેલેરીમાં બેસીને એ યાદ કરવા લાગ્યો – ના, એ કવિતા હું રચવા લાગયો - જાણે એ પંક્તિઓ સ્મૃતિમાંથી નહીં, મારી આ ક્ષણોની અનુભૂતિમાંથી ઊતરતી હતી – પહેલા ત્રુટક ત્રુટક અને પછી સળંગ - જાણે છેકછાક વિના રચાઈ ગઈ:

રજાઓ દિવાળી તણી થઈ પૂરી, ને ઘર મહીં,

દહાડાઓ કેરી સ્ખલિત થઇ શાંતિ પ્રથમની

વસેલાં ધંધાર્થે દૂર-સુદૂર સંતાન નીજનાં,

જવાનાં કાલે તો……

દિવાળીની રજાઓ પડતાં, ગામડાગામમાં માતા-પિતા સાથે રહેવા દૂર વસેલાં સંતાન આવતા. ઘરમાં મનની એક ‘શાંતિ’ સ્થપાતી. પણ હવે રજાઓ પૂરી થતાં સૌ સંતાન જશે, એથી મનની શાંતિ ડહોરાઈ ગઈ છે. જવાને આગલે દિવસે રાત્રે બા-બાપા, ફોઈ અને છોકરા-છૈયા બેઠા હતા. હવે કદાચ આવતી દિવાળીએ વાત, એમ વિચારતા હશે કે તે વખતે બા-બાપાએ, ગં. સ્વ. ફોઈએ આ બધાની વચ્ચે પોતાને ક્રમે લખાયેલા સંતાનોના વીરહને પણ જાણે જોઈ લીધો ! પણ એને ઉવેખી ને સુઈ ગયા.

-જનક જનની ને ઘર તણા

સદાના ગંગામાં સ્વરૂપ ઘરના સૌ ફોઈ સહુએ

લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ

નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નીજ જગ્યા,

ઉવેખી એને સૌ જરઠ વળી વાતે, સુઈ ગયા

સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા ગઈ અર્ધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું.છોકરા-છૈયાવાળુ ભર્યું ઘર લઈ ને સવારે મોટાભાઈ ઉપડ્યા તેની સાથે જાણે અડધી વસ્તી ખાલી થઈ ગઈ, નાના છોકરાઓ જાય એનો ખાલીપો વધારે સાલે. એમના જતા આખું ઘર શાંત બની ગયું, અને તે પછી: બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લેઇ નિજની નવોઢા ભાર્યાઓ પ્રિયવચનમંદસ્મિતવતી બે નાના ભાઈ મીઠું બોલતી અને હળવું વસ્તી એવી પોતાની નવોઢા પત્નીઓ લઈને બપોરે ગયા અને પછી કવિ લખે છે:

વળાવી બા આવી નિજસકલ સંતાન ક્રમશઃ

ગુરુ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે

જે ઘરમાં જીતો આપણા સંતાનાનો, સંતાનોના સંતાનોનો કલકલોલ હતો. તે આખા ઘરમાં વિરહ આજે વ્યાપી ગયો હતો - અને બા ઘરમાં જઈ શકી નહીં, ને પગથીયે જ બેસી ગઈ, કવિએ કહ્યું – ‘પડી બેસી પગથિયે’ – પડી બેસી માં વૃદ્ધ મા-બાપની સંતાનોના જતા અનુભવવાથી મર્મભેદી ની:સહાયતા પ્રગટ થઈ છે. ‘પડી બેસી પગથિયે’- પોતાના ગયા પછી મા આમ ઘરને પગથીયે જ બેસી પડી હશે ? એ તો પોતાની દુનિયામાં ખોવાઈ જવાના, પણ અહીં પાછળ રહેનાર ? બીજા એક કવિ એ કહ્યું છે…

ઘર તજીને જનારને

મળતી વિશ્વની વિશાળતા

પછવાડે અડવા થનારને

ભરખે ઘર કેરી શૂન્યતા

આખી વાતની વિડંબના તો એ છે કે વિચ્છેદભાવ દિવાળીના ઉત્સવ સાથે રચાય છે. દિવાળી મંગલમય પર્વ પણ દિવાળી જતાં વૃદ્ધ મા-બાપને કરને લખાયેલા વિરહ પવઁ.

આ કવિતા એકદમ આપણી છે મારી છે, તમારી છે, હું ઘરમાં બેઠો છું, આ કવિતા માનસપટ પર રહું છું.

હું દિવંગત બા-બાપુનું તીવ્રતાથી સ્મરણ કરું છું. મેં કદી વિચાર નહોતો કર્યો કે દિવાળીની રજાઓ પૂરી થતા અમને વિદાય આપ્યા પછી ઘેર પાછા ફરતાં બાપાના કે બા ના પગ કેવા ઢીલા પડી જતા હશે - અને પછી ખાલી આંગણામાં કે માડીમાં પ્રવેશતા પથ્થરની જેર પર જ ખુંભીને અઢેલીને બા બેસી પડતી હશે….

આવું કેમ ? કેમ આવું ? આપણે સમજીએ ત્યારે મોડું કેમ થઈ ગયું હોય છે ? એક પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી.. અને આ ક્રમ અનંત છે શું છે અનંત નું એક ‘‘ઘર એક મંદિર”

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED