સાધન શુદ્ધિ - દિવ્યેશ ત્રિવેદી Smita Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાધન શુદ્ધિ - દિવ્યેશ ત્રિવેદી

નેતરપુર આમ તો બહુ નાનું ગામ કહેવાય. પરંતુ બદલાયેલી રાજકારણની સંસ્કૃતિની હવા એને પણ લાગી હતી. પંચાયતની ચૂંટણીઓમાં આ વખતે ભારે રસાકસી અને ઉત્તેજના વ્યાપેલી હતી. અત્યાર સુધીની ચૂંટણીઓ ને આ વખતની ચૂંટણીઓ વચ્ચે એક પાયાનો તફાવત એ હતો કે દર વખતે ચિત્ર પહેલેથી નક્કી થઈ જતું હતું. અને આ વખતે છેક છેલ્લી ઘડી સુધી કોઈ પરિણામની કલ્પના કરી શકતું નહોતું. ભલાકાકા અને માસ્તરકાકા વચ્ચેનો જંગ એવો હતો.

ભલાકાકા પટેલ ઉર્ફે ભલાકાકા તો વર્ષોથી ગામના રાજકારણીની શાલ વીંટીને ફરતા હતા. પંચાયતની ચૂંટણીઓ લડવાની અને જીતવાની એમને પ્રેક્ટિસ થઈ ગઈ હતી. આ વખતે એમની સામે મૂળજીભાઈ ભટ્ટ ઉર્ફે માસ્તરકાકા મેદાનમાં હતા એટલે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. મૂળજીભાઈ આજીવન શિક્ષક હોવાથી એમને ગામનું દરેક નાનું મોટું માસ્તરકાકા કહીને જ બોલાવતું. ભલાકાકાના પરમેનન્ટ પ્રતિસ્પર્ધી હરગોવનદાસનો એક માત્ર જીવનમંત્ર ભલાકાકાને પછાડવાનો હતો. એમણે અનેક દાવપેચ ખેલ્યા હતા પરંતુ દર વખતે ભલાકાકા એમને એકાદ ડગલું પણ પાછળ પાડી દેતા હતા. બન્ને જમીન-જાગીર અને પૈસાની બાબતમાં સરખા ઊતરે એમ હતા. છતાં હરગોવનદાસ ઉર્ફે દાસભાઈની એક માત્ર ઉણપ એમનો તોછડો સ્વભાવ હતો. એને કારણે ભલાકાકા મેદાન મારી જતા હતા.

દાસભાઈ એટલા જ માટે આ વખતે નવી ચાલ ચાલ્યા હતા. એમણે પોતે ભલાકાકા સામે ઝુકાવવાને બદલે માસ્તરકાકાને તૈયાર કર્યા. સામાન્ય રીતે રાજકારણને નકરો ગંદવાડ ગણતા માસ્તરકાકા ભલાકાકા સામે ચૂંટણી જંગમાં ઊતરવા તૈયાર જ ન થાય. એટલે દાસભાઈએ માસ્તરકાકાને સિદ્ધાંતોનો કાવો પાઈ દીધો અને માસ્તરકાકા તૈયાર થઈ ગયા. માસ્તરકાકા મેદાનમાં આવ્યા છે એ જાણ્યું ત્યારે તો આખા ગામમાં એક પ્રકારની ઉત્તેજના વ્યાપી ગઈ. સૌ કોઈને લાગ્યું કે આ વખતે ખરેખર રસાકસીભર્યો જંગ જામશે.

માસ્તરકાકાએ ચૂંટણી-પ્રચાર શરૂ કરતાં પહેલાં જ જાહેર કર્યું કે, હું ગાંધીજીએ સૂચવેલા નિયમોનો ચુસ્ત આગ્રહી છું અને સાધન શુદ્ધિમાં માનું છું. હું પૈસાદાર નથી અને પૈસાથી ચૂંટણી લડવા માંગતો નથી. હું સિદ્ધાંતોને ખાતર ચૂંટણી લડવા માંગતો નથી. હું સિદ્ધાંતોને ખાતર ચૂંટણીમાં ઊભો છું. એમની પડખે દાસભાઈ હતા. છતાં એમણે દાસભાઈ સાથે પણ સાધન શુદ્ધિની શરત કરી હતી.

અમારા ગામની સીમ છોડો કે તરત જ નેતરપુર ગામની હદ શરૂ થાય. અમારું ગામ તાલુકા મથક હોવાથી નેતરપુર સહિત આજુબાજુના ગામોનો મોટા ભાગનો વહેવાર અમારા ગામ સાથે જ હતો. એમાંય નેતરપુર તો પાંચ-દસ કે વીસ વર્ષ અમારા ગામનો જ એક ભાગ બની જવાનું છે એ નક્કી છે. એટલે ત્યાંના લોકો સાથે પરિચય ઘણો. ભલાકાકા, દાસભાઈ અને માસ્તરકાકાને અમારા ઘર સાથે ય સંબંધ. એટલે આ ચૂંટણીમાં અમને પણ વિશેષ રસ પડે એ સ્વાભાવિક હતું. માસ્તરકાકા પ્રત્યે ઘણું માન હોવાથી અમે માસ્તરકાકાને ચૂંટણીમાં મદદ કરવા પણ જતા હતા.

મતદાનનો દિવસ નજીક આવતો જતો હતો. દાસભાઈ પૂરેપૂરા સક્રિય હતા. મતદાનની આગલી રાત્રે ગામ આખામાં જબરી ચહલપહલ હતી. એકેએક ચહેરા પર રહસ્ય બુરખો તાણીને ફરતું હોય એવું લાગતું હતું. દાસભાઈ તો ગજબના કારભારમાં પડ્યા હતા. ફળીમાં ખાટલા પર બેઠા બેઠા દાસભાઈ બે-ત્રણ જુવાનિયાઓ સાથે ઘૂસપૂસ કરતા હતા. ત્યાં અચાનક માસ્તરકાકા આવી ચડ્યા. એ વાત સાંભળી ગયા હતા. એટલે ગુસ્સે થઈ ગયા પરંતુ દાસભાઈએ એમને શાંત પાડ્યા. ખૂણે લઈ જઈને ખાસ્સી અડધા કલાક સુધી એમની સાથે મંત્રણાઓ કરી. અંતે ઢીલાં પગે માસ્તરકાકા ઘેર જઈને સૂઈ ગયા.

બીજે દિવસે મતદાન થયું. સાંજે જ મતગણતરી હાથ ધરાઈ અને રાત પડતાં પહેલાં તો પરિણામ પણ જાહેર થઈ ગયું. માસ્તરકાકા ૩૬ મતે જીત્યા હતા. દાસભાઈની આંખોમાં જબરી ચમક હતી. જિંદગીનો મકસદ જાણે પૂરો થઈ ગયો હોય એવી ખુશી એમના ચહેરા પર છલકાતી હતી. માસ્તરકાકાને હારતોરા થયા અને ગુલાલ ઊડાડીને એમનું નાનકડું સરઘસ પણ કાઢવામાં આવ્યું. લોકોમાં પણ ખુશીનું વાતાવરણ પ્રસરી ગયું હતું.

ત્રણ દિવસ પછી પંચાયતની સભા મળી. સભામાં ભૂતપૂર્વ પ્રમુખ તરીકે ભલાકાકા પણ હાજર હતા. ભલાકાકાએ સામે ચાલીને માસ્તરકાકાને અભિનંદન આપ્યા. સભા પૂરી થઈ અને સૌ કોઈ બહાર નીકળ્યા ત્યારે માસ્તરકાકા એકલા બેસી રહ્યા. અડધા કલાક પછી બહાર નીકળ્યા ત્યારે એમના ચહેરા પર રાહતની લાગણી દેખાતી હતી. મોડેથી ગામમાં આગની પેઠે સમાચાર પ્રસરી ગયા કે માસ્તરકાકાએ સભાપતિ તરીકે અને પંચાયતના સામાન્ય સભ્ય તરીકે પણ રાજીનામું આપી દીધું છે. માસ્તરકાકાને સૌ આવી આવીને પૂછવા લાગ્યાં. પરંતુ એમણે તો અકળ મૌનની ચાદર ઓઢી લીધી હતી.

થોડા દિવસમાં વાયરો શમી ગયો, પરંતુ માસ્તરકાકા રાજીનામાના રહસ્યનો ભાર વાતાવરણમાં હજુ ય ભારેખમ વાદળની જેમ લટકતો હતો. એક દિવસ માસ્તરકાકા અમારા ગામમાં આવ્યા અને અમારે ઘેર મળવા આવ્યા. મોટાભાઈએ હળવે રહીને વાત છેડી અને માસ્તરકાકાએ પહેલી વાર દિલ ખોલીને વાત કરી.

માસ્તરકાકાએ કહ્યું, “ચૂંટણીની આગલી રાત્રે દાસભાઈએ મને કહ્યું કે, બાકી બધું બરાબર છે. પરંતુ માત્ર કોળીવાસની પંચાવન ચોકડીનો જ પ્રશ્ન છે. ભલાકાકા દારૂ પાશે. આપણે દારૂ પાઈએ અને એક એક ચોકડીની પાંચની નોટ આપીએ મને એ મંજૂર નહોતું. પણ દાસભાઈએ કહ્યું કે, ચૂંટણી જીતવા માટે આટલું તો કરવું જ પડે. હું માન્યો નહીં એટલે દાસભાઈએ મને કુળદેવીના સમ આપીને ચૂપ રહેવા કહ્યું. મારી જીભ સીવાઈ ગઈ. હું ચૂંટણી જીત્યો અને મેં જે બન્યું તે માતાજીની ઈચ્છાથી બન્યું છે એમ માનીને મન મનાવી લીધું. પરંતુ અભિનંદન આપવા આવ્યા ત્યારે…ત્યારે… શું… શું… એમની સાથે આંખ મિલાવી શક્યો નહીં. તમે જ કહો, હું મારા પ્રતિસ્પર્ધી સાથે આંખ ન મિલાવી શકું એવી જીત કે એવી ખુરશીની કે એવી સત્તાની કઈ કિંમત? આજે મને સંતોષ છે કે સાધન શુધ્ધિમાં હું ચૂક્યો, છતાં ચૂકીને મારા રસ્તે પાછો આવી ગયો છું”

માસ્તરકાકાને મૂરખ કહેવા, મહાન કહેવા કે નિતાંત ઈમાનદાર કહેવા?