Jewel of Ratan - Induben Prajapati books and stories free download online pdf in Gujarati

રતનનું રત્ન એટલે ઇન્દુબેન પ્રજાપતિ

આ વિશ્વમાં બે પ્રકારના યોગીઓ રહે છે. એક કે જેઓ ભગવતપ્રાપ્તી અર્થે સંસાર છોડીને સન્યાસ ધારણ કરીને નિરંતર ભગવાનનાં ધ્યાનમાં રચ્યા પચ્યા રહે છે અને બીજા કહેવાય છે કર્મયોગી કે જેઓ રાજા જનકની જેમ સંસારમાં જ રહીને, બધી સાંસારિક જવાબદારીઓ પૂર્ણ કર્તવ્યનિષ્ઠાથી નિભાવે છે છતાં પણ સાંસારિક દોષોથી સંપૂર્ણ અલિપ્ત રહી, કાદવમાં ખીલેલા કમળની જેમ આસપાસનાં વાતાવરણમાં પોતાનાં સત્કર્મોની સુવાસ ફેલાવે છે અને પોતાની સાથે સાથે અન્ય લોકોનો પણ ઉદ્ધાર કરે છે. ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ગીફતામાં કર્મયોગનો મહિમા ખૂબ જ ગાયો છે અને તેમને આવા કર્મયોગી લોકો કેટલા પ્રિય હોય છે એ પણ વર્ણવ્યું છે. પૃથ્વી પર ઘણાંય કર્મયોગી લોકો થયાં છે અને આજે પણ આપણા સમાજમાં આવા ઘણા કર્મયોગી લોકો છે કે જેઓ પોતાના સત્કર્મોની સુવાસ આજે સમાજમાં ફેલાવી રહ્યાં છે અને જનસેવા એ જ પ્રભુસેવાને પોતાનો જીવન મંત્ર માને છે.

ગુજરાતમાં પણ આવા એક કર્મયોગી મહિલા છે. જેમનું નામ છે ઇન્દુબેન આર. પ્રજાપતિ. આ કર્મયોગી મહિલાએ પોતાના સત્કર્મોની ધૂણી જ્યાં ધખાવી એ તીર્થ સ્થળ એટલે ' શ્રવણ સુખધામ સંસ્થા '. હાથમતી નદીના નિર્મળ જળને સ્પર્શીને આવેલી તથા માંકડી ડેમના કિનારે, અરવલ્લીની લીલી પર્વતમાળા ગળાના હારની માફક જેની શોભામાં વધારો કરે છે તેવી સંસ્થા એટલે શ્રવણ સુખધામ સંસ્થા. અરવલ્લીના અરણ્યમાં, કુદરતી સૌંદર્યથી સુશોભિત આ સંસ્થાનું વાતાવરણ ખુબ જ પાવન તથા શાંત છે. અહીંની સ્વચ્છતા જોઈને બે ઘડી રોકાવાનું મન થઇ જાય છે. આ સંસ્થા થકી ઇન્દુબેન પ્રજાપતિએ અનેક સેવાકીય પ્રવૃતિઓની ધૂણી ધખાવીને સમાજમાં સ્ત્રી સશક્તિકરણની સાક્ષાત મૂર્તિ સ્વરૂપે સ્થાપિત થયાં છે..

અરવલ્લીના અંતરિયાળ ગામડામાં જન્મેલા ઇન્દુબેન પ્રજાપતિનું વતન એટલે પુનાસણ. પુનાસણ એટલે વિશ્વશાંતિના કવિ અને મૂર્ધન્ય સાહિત્યકાર તરીકે પ્રસિદ્ધ થયેલા કવિ શ્રી ઉમાશંકર જોશીના ગામ બામણાની એકદમ પાસે આવેલું ગામ. ૧ નવેમ્બર ૧૯૬૩ના એક અભણ માતા તથા શિક્ષક પિતાના ઘરે જન્મેલાં ઇન્દુબેન પ્રજાપતિને પરોપકાર, શિક્ષણ, સેવા, કર્તવ્યનિષ્ઠા અને પ્રમાણિકતા જેવા ગુણો વારસામાં જ મળેલાં એટલે સમાજ માટે કઈંક કરી છૂટવાની ભાવના બાળપણથી જ તેમના હૃદયમાં ઘર કરી ગઈ હતી.

ઇન્દુબેન પ્રજાપતિએ પોતાનું શિક્ષણ પોતાનાં મોસાળ થુરાવાસ રીંટોળા ગામે નાનાશ્રીના ઘરે રહીને લીધું હતું. તેમણે ધોરણ ૧૦માં અંગ્રેજી વિષય સાથે પાસ થનારા પ્રજાપતિ સમાજનાં પ્રથમ દિકરી તરીકેનું બહુમાન મેળવ્યું હતું. ઉચ્ચ શિક્ષણમાં તેમણે લાઈબ્રેરીયનનો કોર્સ કર્યો. સમય જતાં એસ. કે. પ્રજાપતિ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં અને ગાંધીનગર સ્થાયી થયાં. ત્યારબાદ ગાંધીનગરમાં ‘ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ‘ ફરજ બજાવી. વર્ષ ૧૯૮૮ માં માતાનો સ્વર્ગવાસ થતાં પોતાના સેવાનિવૃત્ત પિતાની સેવા માટે વતન પરત આવ્યાં. હવે તેમના ખભા પર પતિનું અને પિતાનું એમ બે ઘરની જવાબદારી આવી ગઈ. ત્રણ પુત્રો અને એક પુત્રીની માતા હોવા છતાં પણ ઇન્દુબેને અનેક સંઘર્ષોનો સામનો કરીને પણ આ બંને જવાબદારીઓ બખૂબી નિભાવી. આ બધાની વચ્ચે પણ તેમના હૃદયમાં પોતાના વતન માટે કઈંક કરવું જ છે એવી ઝંખના તો હતી જ એટલે અનેક મુશ્કેલીઓની વચ્ચે પણ તેમણે વર્ષ ૧૯૯૬ માં બહેરા મૂંગા અને દિવ્યાંગ બાળકો માટે નિવાસી શાળાની શરૂઆત કરી. પોતાની બચતમાંથી તથા પિતા દ્વારા પોતાના પેન્શનમાંથી કરવામાં આવેલી મદદ વડે તેમણે આ શાળા વર્ષો સુધી સફળતાપૂર્વક ચલાવી. બાળક દિવ્યાંગ જન્મે એટલે લોકોને લાગે કે હવે આ બાળકનું જીવન નકામું થઈ ગયું. તે પોતાના જીવનમાં કઈં જ કરી નહિ શકે. આ પ્રકારના બહેરા મૂંગા બાળકોની વેદના જોઈને શરૂ કરેલી શાળાએ અનેક બાળકોને શિક્ષણ આપી આત્મનિર્ભર બનાવ્યાં અને તેમને પોતાના દિવ્યાંગપણાના ક્ષોભમાંથી મુક્તિ અપાવી.

પરોપકારની ભાવના સાથે શરૂ થયેલી શ્રવણ સુખધામ સંસ્થા ધીરે ધીરે વટવૃક્ષ બનીને ઉભરી અને સાબરકાંઠા, અરવલ્લી તથા રાજસ્થાનની સીમા પરના આદિજાતિના બાળકોમાં શિક્ષણની જ્યોત ફેલાવી; તેમને વ્યવસ્થિત અને સન્માનપૂર્વક જીવન જીવવાની પ્રેરણા આપી. શિક્ષણની સાથે સંસ્કારનું પણ સિંચન કરતી આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ સ્ત્રી સશક્તિકરણ, સ્વચ્છતા અને આધુનિક ટેક્નોફલોજી પર ભાર મૂકી છેવાડાના માણસને પણ જાગૃત કરી આત્મનિર્ભર બનાવવાનો છે. એક માતા જ્યારે સંતાનને જન્મ આપે છે ત્યારે જેટલું કષ્ટ સહન કરે છે એટલું જ કષ્ટ ઇન્દુબેન પ્રજાપતિએ આ સંસ્થાને જન્મ આપવામાં સહન કર્યું હતું. સામ, દામ, દંડ અને ભેદ સાથે કોર્ટ કચેરીના ચક્કર અને અનેક સંઘર્ષો વેઠીને તેમણે આ સંસ્થા ઊભી કરી છે.

આજે પણ અંતરિયાળ વિસ્તારની સ્ત્રીઓમાં જાગૃતિનો ખુબ જ અભાવ છે અને તેઓ એક અંધકારમય જીવન જીવી રહી છે. પોતાના ઘરના ખૂણામાંથી જે સ્ત્રીઓ બહાર આવવા મથી રહી હતી તેવી સ્ત્રીઓ માટે ઇન્દુબેન પ્રજાપતિ એક આશાનું કિરણ બન્યાં. અંતરિયાળ વિસ્તારની સ્ત્રીઓ પોતાના પગ પર ઊભી થાય, આત્મસન્માનપૂર્વક જીવી શકે તે માટે ઇન્દુબેનની શ્રવણ સુખધામ સંસ્થાએ ભગીરથ પ્રયાસો કર્યા છે. ભિલોડા અને વિજયનગર તાલુકાની બહેનોને સીવણની તાલીમ આપી ગૌરવભેર જીવન જીવતાં શીખવ્યું તથા આ સંસ્થા દ્વારા ચાલતાં સ્ત્રી સ્વાભિમાન અભિયાનના કારણે અહીંની વિદ્યાર્થિનીઓ અને સ્ત્રીઓમાં એક નવી જાગૃતિ આવી છે. આ સંસ્થા સાચા અર્થમાં તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.

ઇન્દુબેન દ્વારા સ્થાપિત આ સંસ્થા સ્ત્રીઓની નાનામાં નાની સમસ્યાઓની પણ ખુબ જ કાળજી રાખે છે. આજે પણ સ્ત્રીઓમાં માસિકધર્મ અંગે ઘણી ગેરસમજ પ્રવર્તે છે. એક સર્વે પ્રમાણે ભારતની ફક્ત ૧૦ ટકા મહિલાઓ જ સેનેટરી પેડનો ઉપયોગ કરે છે. જ્યારે ગ્રામીણ મહિલાઓ માસિકધર્મ સમયે માત્ર કાપડનો જ ઉપયોગ કરે છે. અંતરિયાળ ગામડાની મહિલાઓ શરમના કારણે સેનેટરી પેડ ખરીદતી નથી. આ પ્રકારની લાપરવાહીના કારણે ફંગલ ઇન્ફેક્શન અને ગર્ભાશયની વિવિધ બીમારીઓ સહિત ગર્ભાશયના કેન્સર જેવા રોગોની સંભાવનાઓ પણ વધી જતી હોય છે. શ્રવણ સુખધામ સંસ્થા આ અંતરિયાળ ગામડાની મહિલાઓ અને શાળામાં ભણતી દીકરીઓમાં આ બાબતે જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે તથા આ સંસ્થા દ્વારા સારા ગુણવત્તાયુક્ત અને પર્યાવરણને અનુકૂળ સેનેટરી પેડનું પણ ઉત્પાદન કરી ગ્રામીણ મહિલાઓને પોષાય તે રીતે વિતરણ કરવામાં આવે છે. ભારત સરકારના મિનિસ્ટ્રી ઑફ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના માધ્યમથી સી. એસ. સી. ઈ- ગવર્નન્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સ્ત્રી સ્વાભિમાન અભિયાન સેનેટરી નેપકીન ઉત્પાદનના યુનિટનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ યુનિટની વ્યવ્સ્થા અને જવાબદારી ઇન્દુબેન પ્રજાપતિના વચેટ સુપુત્ર ભાવેશ પ્રજાપતિ સંભાળી રહ્યા છે. આ અભિયાનના કારણે અહીંની સ્થાનિક અને કેટલીક જરૂરિયાતમંદ મહિલાઓને રોજગાર પ્રાપ્ત થયો છે. ગ્રામીણ ક્ષેત્રે ઉત્પાદિત આ સેનેટરી પેડ સ્વાભિમાન અભિયાન દ્વારા ધોરણ ૮ થી ૧૨ સુધી અભ્યાસ કરતી દીકરીઓને વિનામૂલ્યે વિતરણ કરતી સાબરકાંઠા- અરવલ્લીની આ પ્રથમ સંસ્થા છે જે આજે સાચા અર્થમાં અંતરિયાળ વિસ્તારની મહિલાઓ માટે ' પેડમેન ' બની છે.

આજે પણ અંતરિયાળ વિસ્તાર શિક્ષણથી અલિપ્ત રહ્યો છે. તેથી જ તેમનામાં જાગૃતિનો અભાવ હોય છે અને તેઓ મુખ્યધારાથી અડગા રહી જાય છે. શિક્ષણના અભાવના કારણે યુવાધન દારૂ, જુગાર અને ચોરીના રવાડે ચડી જાય છે. આ પ્રકારના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ વધે અને ગામડાનું બાળક પણ શહેરના બાળકની સાથે હરીફાઈમાં ઉતરી શકે તે માટે આ સંસ્થાએ શાળાઓ ઉપરાંત સાબરકાંઠા- અરવલ્લી જિલ્લાની સૌપ્રથમ ઈ- લાઇબ્રેરી શરૂ કરી. ગુજરાતી સાહિત્ય જેમના વગર અધૂરું છે તેવા મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોશીના નામે શરૂ કરેલી આ ઈ- લાઇબ્રેરી આજે અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો માટે જ્ઞાનનો અખૂટ સ્રોત સાબિત થઈ છે. સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી IAS શ્રી હર્ષ વ્યાસ અને ગુજરાતના જાણીતા પ્રેરણાત્મક વક્તા ( મોટીવેશનલ સ્પીકર ) શ્રી સંજય રાવલના વરદ હસ્તે તથા સંસ્થાના કો- ઓર્ડીનેટર ભાવેશ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ૯ ફેબ્રુઆરી, ૨૦૧૮ ના રોજ આ ઈ- લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું. આજે પણ આ સંસ્થાના તથા પુનાસણ ગામની આસપાસ વસતાં ગ્રામજનો, યુવાનો અને વડીલો આ ઈ- લાઇબ્રેરીનો લાભ લઇ રહ્યાં છે. ગ્રામીણ વિસ્તારના બાળકોને વિશ્વ કક્ષાનું જ્ઞાન ઇન્ટરનેટ, પ્રોજેકટર અને લેપટોપના માધ્યમથી મળી રહે તથા તેઓ કમ્પ્યુટર ક્ષેત્રે તજજ્ઞ બની રોજગારી પ્રાપ્ત કરી શકે તે માટે પણ આ સંસ્થા કાર્યરત છે. ઈ- લાઇબ્રેરી તેનું જ એક ઉદાહરણ છે. શાળા કોલેજોમાં યુવાનોમાં જાગૃતિ કેળવાય તે માટે સંસ્થા દ્વારા અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે તથા યુવાનો માટે પ્રેરણાત્મક સેમીનારનું પણ આયોજન કરવામાં આવે છે.

સંસ્થાના પ્રમુખપદની જવાબદારી હાલ ઇન્દુબેનના પતિશ્રી એસ. કે. પ્રજાપતિ બજાવી રહ્યા છે. કહેવાય છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે પણ અહીં ઇન્દુબેનની સફળતા પાછળ તેમના પતિશ્રી એસ. કે. પ્રજાપતિનો હાથ છે કે જેમેણે ઇન્દુબેનના માથે આવનાર દરેક દુઃખ પોતે જીલ્યાં છે. ગ્રામજનોમાં ધાર્મિક સહિષ્ણુતા, ભાઈચારો અને સહકારની ભાવના જળવાઈ રહે તે માટે ઇન્દુબેન દ્વારા સ્થાપિત આ સંસ્થા દ્વારા સમાજના દરેક વર્ગને સાથે લઈને ધાર્મિક ઉત્સવો જેવા કે પતંગોત્સવ, શરદપુનમ, જન્માષ્ટમી, દશેરાપર્વ પર ચાકપૂજન વગેરે અને રાષ્ટ્રીય ઉત્સવોની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. સંસ્થાની અંદર ઉજવાતાંં આ દરેક પ્રસંગોનું વિડીયો શુટિંગ અને ફોટોગ્રાફી કરીને તેને સોશિયલ મિડીયાના માધ્યમથી સતત જીવંત રાખી દેશના ખુણે ખુણે પહોંચાડવાનું કામ ઇન્દુબેનના સૌથી નાના સુપુત્ર હંસરાજ પ્રજાપતિ કરે છે અને તેમણે વિશ્વ સ્તરે સંસ્થાને ઉજાગર કરવામાં સિંહફાળો આપ્યો છે. હાલ તેઓ સંસ્થાનું પરચેઝીંગ ડિપાર્ટમેન્ટ સંભાળે છે. ઇન્દુબેનના સૌથી મોટા સુપુત્ર હિરેનભાઈ પ્રજાપતિ પણ સંસ્થાના અન્ય કામોમાં ખુબ જ મદદરૂપ થાય છે. ગ્રામજનોને સ્થાનિક ડિજિટલ સેવાઓનો લાભ મળી રહે તે માટે કોમન સર્વિસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. જેના થકી સેવા સેતુ, સ્વચ્છતા અભિયાન, પ્રધાનમંત્રીશ્રીના વિડિયો કોન્ફરન્સ કાર્યક્રમ અને સરકારશ્રીની વિવિધ યોજનાઓ ગામડાના છેવાડાના માનવીને મળી રહે તે માટે આ સંસ્થા સતત પ્રયત્નશીલ રહે છે. સંસ્થાના પ્રમુખશ્રીના કાર્યોને બિરદાવતાં, દેવરાજધામના મહંતશ્રી ધનગીરી બાપુ અને લઘુ મહંતશ્રી મહેશગીરી બાપુના વરદ હસ્તે સંસ્થાના પટાંગણમાં ‘ કુંભાર રત્ન ‘ એવોર્ડથી નવાજવામાં આવ્યાં છે જે ગુજરાત રાજ્યના સમસ્ત પ્રજાપતિ સમાજમાં પ્રથમ ઘટના છે. ટૂંક સમયમાં કુંભાર રત્ન એવોર્ડથી અન્ય મહાનુભાવોને નવાજવાનું સંસ્થાના પ્રમુખશ્રી એક. કે. પ્રજાપતિ વિચારી રહ્યા છે જે તેમણે એક ટેલીફોનિક વાતચિતમાં જણાવ્યું હતું.

શ્રવણ સુખધામ સંસ્થા દ્વારા ફેબ્રુઆરી ૨૦૧૮ થી રામનામ લેખન બેંકનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેનો મુખ્ય ઉદ્દેશ અંતરિયાળ અને ગ્રામીણ યુવાનોને જાતજાતનાં વ્યસનોમાંથી મુક્તિ અપાવી ધાર્મિકવૃત્તિ તરફ વાળવાનો છે. આ સંસ્થા જેટલું ધ્યાન માનવસેવાનું રાખે છે એટલું જ ધ્યાન અબોલ પશુપક્ષીઓની સેવાનું પણ રાખે છે કે જે અભિયાન ‘ વિહંગનો વિસામો ‘ નામથી શરૂ કરવામાં આવેલ છે તેનો ભાગ છે. આ અભિયાન વેગવંતુ બનવવાં માટે મોટીવેશનલ સ્પીકર સંદીપ જે. ડી. ભાવનગર, હાસ્ય કલાકાર કમલેશ પ્રજાપતિ અમદાવાદ, ગુજરાતના નામાંકિત સિંગર કુમારી કિરણ પ્રજાપતિ રાજકોટ વગેરે જેવા મહાનુભાવો કાર્યરત છે. પશુપક્ષીઓ માટે પાણીની સુવિધા તેમજ આસપાસના શ્વાન માટે રોટલો અને લાડુની સુવિધા પણ પૂરી પાડે છે. ઉનાળાની ઋતુ દરમિયાન પર્વત પર વસતા કપિરાજ માટે પાણી અને અન્નની સુવિધા પણ પૂરી પાડે છે. જે જીવદયાપ્રેમનું ઉત્તમ ઉદાહરણ છે. કોરોનાકાળમાં પડેલા લોકડાઉનમાં ભિલોડા અને આજુબાજુના વિસ્તારમાં આવતાં પરપ્રાંતિય ભાઈબહેનો ભુખ્યા ન રહી જાય તે માટે ભોજન પુરૂ પાડીને અભૂતપૂર્વ કામગીરી કરી હતી. સંસ્થા દ્વારા થતી સેવાકીય પ્રવ્રુત્તિઓથી પ્રભાવિત થઈ સંસ્થાના કાર્યોને બિરદાવવાં સ્વ. લીલાધર પંચાલે એક સુંદર કવિતાની રચના કરી છે જે અહીં આપેલી તસવીરમાં જોઈ શકાય છે.

આ સંસ્થા સમાજના ઉદ્ધારની સાથે સાથે લોકોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. જરૂરિયાતમંદ લોકોની પ્રાથમિક આરોગ્યલક્ષી સારવાર આયુર્વેદિક ઢબે કરી, ડાયાબિટીસ, બીપી અને કેન્સર જેવા હઠીલાં રોગોનું નિદાન સરળતાથી મળી રહે તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. આયુર્વેદિક સારવાર માટે ગીર ગાયનાં છાણ, મૂત્ર, દૂધ, ઘી અને છાશ વગેરે સરળતાથી મળી રહે છે. અહીં આયુર્વેદિક ઉદ્યાન પણ તૈયાર કરવામાં આવ્યો છે.

સંસ્થાનું બાંધકામ જુના જમાનાની રૂઢી મુજબ કરવામાં આવ્યું છે જેમાં જુના જમાનાની લુપ્ત થતી જતી વસ્તુઓને સાચવીને સંગ્રહ કરવામાં આવ્યો છે. સંસ્થામાં એસી કોન્ફરન્સ હોલ અને થીયેટર બનાવેલાં છે. અહીં સરકારશ્રીના વિવિધ કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. સંસ્થામાં લોન ગાર્ડન અને રજવાડી સ્ટેજનું પણ નિર્માણ કરવામાં આવેલું છે જેનો ઉપયોગ વિવિધ પ્રસંગે ભાડે આપી મેળવેલી રકમથી સંસ્થાનો વિકાસ કરવામાં આવે છે. સંસ્થાની મુલાકાતે આવનાર પરીવારના બાળકો તથા આસપાસના ગામનાં બાળકો માટે અહીં સુંદર બગીચાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે જેનો નાના ભુલકાઓ હોંશે હોંશે ઉપયોગ કરે છે. અહીં રમત ગમતના સાધનો અને વિવિધ કસરતો માટેના સાધનો પણ ઉપલબ્ધ છે. સંસ્થાની આજુબાજુ જોવાલાયક સ્થળો પણ ખુબ જ છે તેથી મુલાકાતીઓ માટે રહેવા અને જમવાની વ્યવ્સ્થા પણ કરવામાં આવી છે. પ્રકૃતિપ્રેમીઓએ અને હરવાં ફરવાના શોખીન લોકોએ એક વાર અચૂક આ સંસ્થાની મુલાકાત લેવી જોઈએ. આ સંસ્થા એક ચેરીટેબલ ટ્રસ્ટ હોઈ, સંપુર્ણ સંચાલન દાનથી મળેલ રકમથી થાય છે. ઇન્કમ ટેક્ષની કલમ ‘ ૮૦ જી ‘ પ્રમાણે અહીં આપવામાં આવતું દાન સંપુર્ણ કરમુક્ત ( ટેક્ષ ફ્રી ) છે. તેથી સમાજસેવાની ભાવના રાખતાં મહાનુભાવોએ આ સેવાભાવી સંસ્થાના વિકાસમાં અચૂક ફાળો આપવો જોઈએ.

અરવલ્લીના જાણીતા લેખકશ્રી ઈશ્વર પ્રજાપતિએ પણ આ સંસ્થાના સેવાભાવી કાર્યો ઉજાગર કરતો એક લેખ લખીને પોતાના બ્લોગ તથા પોતાના પુસ્તક ‘ વ્યક્તિ વિશેષ ‘ માં સ્થાન આપી, આ સંસ્થાના ઉત્સાહમાં વધારો કર્યો છે. અરવલ્લીના અરણ્યમાં કમળની પેઠે ખીલેલી આ સંસ્થા પોતાના સત્કર્મોની સુવાસ ચારેકોર ફેલાવીને સમાજના ઉત્થાનમાં સિંહફાળો આપી રહી છે. શ્રીમતી ઇન્દુબેનના સેવાબીજમાંથી પાંગરેલી સંસ્થા આજે વટવૃક્ષ બનીને ઉભરી છે અને તેઓ કો આસપાસના લોકોને પોતાની શીતળ છાયામાં સમાવી રહી છે. પરોપકારની જ્યોત જેવી આ સંસ્થાની એક વાર મુલાકાત અચૂક લેવી જોઈએ.

પાર્થ પ્રજાપતિ
( વિચારોનું વિશ્લેષણ ‌)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED