Baba Jaswantsingh books and stories free download online pdf in Gujarati

બાબા જશવંતસિંહ

શીર્ષક* = બાબા જશવંતસિંહ

આજકાલ લોકોને પ્રેમ વિશેના કોઈ ઉદાહરણ આપવાનું કહેવામાં આવે તો, મોટી ઉંમરના લોકો રાધા-કૃષ્ણના પ્રેમ વિશે જણાવશે જ્યારે યુવાવર્ગ રોમિયો-જુલિયેટ, લેલા-મજનુ અને હીર-રાંઝાના ઉદાહરણો આપશે. આજે આપણે એક એવી પ્રેમકથા વિશે જાણીશું કે, જેને વાંચીને કે જાણીને દરેક ભારતવાસીને ગર્વ થશે.

21 વર્ષની ઉંમરે ટ્રેનિંગ પૂરી કરી અને જ્યારે અરુણાચલ પ્રદેશમાં આવેલા તવાંગ જિલ્લામાં નુરનાંગ બ્રિજની રખેવાળી માટે ચોથી ગઢવાલ બટાલિયનની એક કંપની મૂકવામાં આવી. આ કંપનીમાં ઘણા નવયુવકો હતા જેમાંના એક હતા જશવંતસિંહ રાવત. રગોમાં ઊછળતું રક્ત, દિલમાં દેશપ્રેમ માટેની ભાવના અને લડાઈ માટેનું છૂટું મેદાન હોય તો એક જવાનને બીજું શું જોઈએ?

બરફથી ઢંકાયેલી પહાડીઓ અને ઊંચા ઊંચા વૃક્ષો, ખુશનુમાં વાતાવરણ, આવામાં ના થતો હોય તેને પણ પ્રેમ થઈ જાય. બટાલિયનના જવાનોને દુશ્મનોની ગતિવિધિ જાણવા અને સર્ચ ઓપરેશન માટે ઘણી વખત રહેણાક વિસ્તારોમાં અને પહાડીઓમાં વસતા લોકોની વચ્ચે જવાનું થતું. ત્યાં પહાડીઓમાં નૂરા અને સેલા નામની બે બહેનો રહેતી હતી. આવામાં જવાનીના જોશમાં અને ઉછળતા રક્તના ઉન્માદમાં સેનાના જવાન જશવંતસિંહને નૂરા નામની પહાડી છોકરી સાથે આંખ મળી ગઈ અને દિલ થી દિલ મળતાં લાગણીઓનું પ્રેમમાં પરિવર્તન થયું. સૈન્ય કાર્યવાહી સબબ ક્યારેક રહેણાક વિસ્તારમાં જવાનું થતું તો જશવંતસિંહ નૂરાને મળતાં તો ક્યારેક નૂરા આર્મી કેમ્પ તરફ જશવંતસિંહને મળવા આવતી. એકબીજા એ સાથે જીવવા અને સાથે મરવાના વચનો આપ્યા.

એવામાં ૧૯૬૨ના ભારત અને ચીન વચ્ચે યુદ્ધના મંડાણ થયાં. ભારતના મુઠ્ઠીભર સૈનિકો અને સૈનિકો પાસે ખૂબ જ ઓછા પ્રમાણમાં હથિયાર ઉપરથી વાતાવરણ નો પ્રકોપ ખૂબ જ ઠંડી અને સતત બરફ પડતો રહે જ્યારે ચીન પાસે અત્યંત આધુનિક મશીનરી અને 300 જેટલા સૈનિકોએ ભારત પર હુમલો કર્યો. પરિસ્થિતિ બેકાબૂ બનતા ઉપરી અધિકારીઓએ પીછેહઠ કરવા હુકમ કર્યો અને જવાનોને પાછળ ખસવાનો આદેશ અપાયો. બધા જવાનો આદેશ મુજબ પાછળ ખસવા તૈયાર પરંતુ આટલી જલદી હારમાની લે તો તો માનુ ધાવણ લાજે આથી રાયફલમેન જશવંતસિંહ રાવત, ત્રિલોક નેગી અને ગોપાલ ગોસાઈ આ ત્રણ જવાનોએ નક્કી કર્યું કે જરૂર પડશે તો દેશ માટે જીવ પણ આપશું પરંતુ જ્યાં સુધી આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી તો દુશ્મનોને માતૃભૂમિ પર પગ મૂકવા નહીં દઈએ.

લડતા લડતા ત્રિલોક નેગી અને ગોપાલ ગોસાઈ શહીદ થયા પરંતુ જશવંતસિંહે હાર ન માની અને પાંચ-પાંચ બંકરો એકલા હાથે સંભાળી અને દુશ્મનો પર ફાયરીંગ કરતા રહ્યા. નૂરા અને સેલા તેમને ત્યાં જમવાનું અને પાણી પહોંચાડતાં પણ જેને દેશ માટે શહીદ થવાની તમન્ના ઉપડી હોય તેને ભૂખ કે તરસ સાની લાગે?

સતત લડતા અને દુશ્મનો સાથે બાથ ભીડતાં જશવંતસિંહ સાથે નૂરા પણ સતત લડતી હતી. દુશ્મનો તરફથી ફાયરિંગ થોડું ધીમું પડતાં તેમણે નૂરાના ખોળામાં માથું ઢાળી અને તેમના સામે જોવા લાગ્યા નૂરા એ પણ આટલા સમયથી તરસ્યા જશવંત સિંહને થોડું પાણી આપ્યું અને જમવા માટેની થોડી વ્યવસ્થા કરવા તે વસ્તી તરફ જવા લાગી. જશવંતસિંહના ના કહેવા છતાં પણ નૂરા પોતાના પ્રેમીને અંતિમ ક્ષણોમાં ભોજન કરાવવા તે ત્યાંથી વસ્તી તરફ આગળ નીકળી તે દરમ્યાન દુશ્મનો તરફથી એક ગ્રેનેડ તેના તરફ ફેંકાતાં તેમણે ત્યાંજ પ્રાણત્યાગ કર્યા. પ્રેમિકાના મૃત્યુને જોઈ જશવંતસિંહ સમસમી ગયા અને તે માટી માથા પર લગાવી અને બમણા જોશથી દુશ્મનો પર તૂટી પડ્યા ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી સતત ભૂખ્યા અને તરસ્યા દુશ્મનોનો સામનો કરતા રહ્યા અને તેમણે આપેલા વચન મુજબ જ્યાં સુધી પોતાના શરીરમાં પ્રાણ હતા ત્યાં સુધી દુશ્મનોને એક ઇંચ પણ જમીન આપી નહીં. અંતે આપણે ભારત અને ચીન વચ્ચેના યુદ્ધમાં આપણી હાર થઈ.

પરંતુ કહેવાય છે કે હાલ પણ જસવંતસિંહની આત્મા અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લાની આસપાસના વિસ્તારોમાં ચોકી પૂરે છે અને ભારતીય સેનામાં આજ પણ તેમની નોકરી સતત ચાલુ છે. તેમને સમયાંતરે પ્રમોશન પણ અપાય છે અને તેમનો પગાર પણ ચાલુ છે. તેમની યાદમાં અરુણાચલ પ્રદેશના તવાંગમાં બાબા જશવંતસિંહ નામનું મંદિર પણ આવેલું છે.
અને નૂરા અને સેલાની યાદમાં ત્યાંની બે પહાડીઓના નામ આ બે બહેનોના નામ પરથી રાખવામાં આવ્યા છે. ભલે આ પ્રેમકથા પહાડીઓના ગર્ભમાં દફન થઈ ગઈ છે પરંતુ જસવંતસિંહની આત્મા આજે પણ તેની સાક્ષી પૂરે છે.

✍ - © ભરત રબારી
( માંગરોળ,જી. જુનાગઢ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED