shivthi naraj uma books and stories free download online pdf in Gujarati

શિવથી નારાજ ઊમા

શિવમંદિર પાસે ટ્રેકટર ઊભું રહ્યું.પંથકમાં શિવમંદિર પ્રખ્યાત હતું,એટલે સામાજીક પ્રસંગ પતાવીને ટ્રેકટરમાં રહેલા બધા શિવજીના દર્શન કરવા નીચે ઉતર્યા.ઉમા નીચે ન ઉતરી.
'કેમ તારે દર્શન નથી કરવા, શિવના?'કપિલાએ પૂછ્યું. 'ના'ઉમાએ ટૂંકો જવાબ આપ્યો.
'છેટે બેઠી હશે'જેઠીએ કહ્યું.
'ના,પચાસની થઈ.છેટે બેહવાનું તો ક્યારનુંય બંધ થઈ ગયું છે.પાંચેક વરહ થયાં હશે,પણ હું શંકરના દર્શન નથી કરતી'ઊમાએ જવાબ વાળ્યો.
ઊમા,ગામડાની છોકરી,ગામડામાં ઉછરીને મોટી થઈ.ગામડામાં લગ્ન થયાં અને ગામડામાં જ મરવાની.એના સિવાય એના પિયર પક્ષનું કોઈ ગામડામાં રહેતું નથી.ઉમા અને એનો પરિવાર ગામડામાં, ખેતરમાં રહે છે.થોડી ખેતી અને પશુપાલન કરી એકવીસ વર્ષે સાસરે ગયેલી ઉમાના જીવનધોરણમાં કોઈ ફરક નથી હા,એનો સુંદર,લીસા ગાલવાળા ચહેરા પર કરચલીઓ ઉપસી આવી છે.એની આંખો ક્યારેય હસતી નથી.કોઈ વાતમાં હોઠ હશે તો આંખો સાથ નથી આપતી.પાણી વગરના અવાવરુ કૂવા જેવી એની આંખોમાં હવે પાણી ફૂટવાની પ્રતીક્ષા પણ મરી પરવારી છે.
આ ઉમા એક વખત ગામડાની નટખટ છોકરી હતી.સાત ઘોરણ ભણીને ઉઠી ગયેલી.એના બાપા ગ્રામસેવક હતાં.મમ્મી પાંચ ચોપડી ભણેલી,પણ ગામડાના રંગે રંગાઈ ગયેલી.એ જ પશુપાલન,એ જ છાણ,ઓખો,એ જ પાણીની તકલીફો.ઉમાની મમ્મીને કોઠે પડી ગયેલી,પણ એ એની છોકરીઓને શહેરમાં પરણાવવા માંગતી હતી.મોટીના લગ્ન શહેરમાં કરેલા.નાની ઉમા માટે પણ છોકરા જોતી ત્યારે શહેરના છોકરાઓ પર જ નજર રાખતી.
ઉમા ગામડાની છોકરી-સાવ ભોળી.એણે સારો પતિ મેળવવા કુંવારિકાઓ જે વ્રત કરે એ બધા વ્રત એણે પણ કરેલાં.ગૌરીવ્રત,જયા પાર્વતી,સોળ સોમવાર વગેરે.
ઉમાનું યૌવન સોળે કળાએ ખીલેલું હતું ત્યારે ગામડાના શહેરમાં અભ્યાસ કરતાં છોકરા સાથે એની આંખ મળી ગયેલી.શહેરની અદ્યતન ફેશનવાળો એ છોકરો બીજી નાતનો હતો અને ઉમાની જ્ઞાતિ કરતાં એ નીચી જ્ઞાતિનો ગણાતો,પણ યૌવનની આંખને પ્રેમ સિવાય કશું દેખાયેલું નહી.એ હરસેંગમાંથી હર્ષદ થયેલાં છોકરાને ચાહવા લાગેલી.
ઘણી વખત ભારો લેવા જવાના બહાને,ખેતરના ઊભા પાકની ઓથે કેટલીય વાર એણે એનું યૌવન હરસેંગ ઉર્ફે હર્ષદને સોંપી દીધેલું.ઉમા અને હર્ષદનું ઘર તો આ બાબતે સાવ અજાણ.બંને યૌવન એકમેકના પ્રેમમાં ગળાબૂડ થઈ ગયા.
એક દિવસ હર્ષદ સાથે ઉમા ભાગી ગઈ.ગામ આખામાં હાહાકાર થઈ ગયો.ઉમાના કુટુંબીજનો તો કેવા લાગ્યા કે ઉમાને વેચી મારી.ઊંચી જ્ઞાતિની છોકરી એનાથી નીચી ગણાતી છોકરીને લઈ ગયો.એક પછી એક ટીમ હર્ષદ અને ઉમાને શોધવામાં લાગી ગઈ.ઉમા અને હર્ષદ પકડાઈ ગયા.હર્ષદ ડરી ગયો અને ઉમાને ડરાવી દેવામાં આવી.બંનેને અલગ કરી દેવામાં આવ્યાં.ઉમાના પપ્પાએ તાત્કાલિક બદલી કરાવી લીધી.એમણે આખો જીલ્લો જ છોડી દીધો,કુંટુબીજનોનું લગ્ન કરવા માટે દબાણ વધતું ચાલ્યું.ઉમાની બા અને બાપુજી આ પ્રકરણ શાંત થઈ જાય પછી લગ્ન કરાવવાનું વિચારતાં હતાં,પણ કુંટુંબીઓના દબાણ સામે ઝૂક્યે છુટકો હતો.કોઈ સારા ઘરનો છોકરો તો એની સાથે લગ્ન કરવા તૈયાર થાય એમ ન હતો.આખરે એક અભણ અને ગમાર છોકરા સાથે એના લગ્ન કરી દેવામાં આવ્યાં.એ ઉમાની જ્ઞાતિનો હતો.કોઈના સાથે ભાગી ગયેલી,બીજા પુરુષથી ભોગવાયેલી સ્ત્રી સાથે લગ્ન કરવાની તૈયારી એ ઉમા સાથે લગ્ન કરવાની એની લાયકાતનું ઘોરણ નકકી થયું.
ગામડાની,સાત ઘોરણ ભણેલી,કામ કાજમાં હોંશિયાર,દેખાવડી ઉમા એની ખરે સમયે મકકમ નહી રહી શકેલા છોકરાને પ્રેમ કરવાની ભૂલને લીધે એનાથી જ્ઞાતિમાં નહી પણ ભણતર ગણતરમાં ઉતરતાં પુરુષની પત્ની બની ગઈ.ખેતરના એક ટૂકડામાં મજૂરી કરતી થઈ ગઈ.એક વખત વાંચવાનો શોખ ધરાવતી ઉમા હવે કોઈ વસ્તુના પડીકા સાથે બંધાઈને આવતાં પસ્તી અખબારના કાળા અક્ષરો વાંચતી.એનું જીવન પણ કાળું થઈ ગયું.
અભણ અને કામધંધો ન કરતો,વ્યસની પતિ,એના ભૂતકાળના આધારે એના પર વહેમ રાખતો,એને મારઝૂડ પણ કરતો.ઘર ચલાવવાની સઘળી જવાબદારી એના પર આવી પડી.એની મદદ કરનાર કોઈ ન હતું.એના પિયર પક્ષે પણ મોં ફેરવી લીધેલું.'કર્યુ છે એવું તો ભોગવ' એ એમનો જવાબ હતો.
સંસાર રથ ગબડવા માંડ્યો.ઉમા ત્રણ દીકરા અને બે દીકરીઓની માતા બની.એના પતિએ બીજું તો ઠીક પણ બાળકોથી એને સમૃદ્ધ કરી દીધી હતી.
બહોળા પરિવાર અને બેકાર પતિની સમસ્યા સામે એ ઝઝુમતી રહી.છોકરાઓ મોટા થશે ત્યારે સોનાનો સૂરજ ઉગશે એ આશા પણ ઠગારી નીવડી.વાતાવરણ અને વારસાના અભાવે છોકરાઓ પણ લાંબું ભણ્યાં નહી.એક ગાડીનો ડ્રાઈવર,એક ઈલેકટ્રીકની દુકાનમાં નોકર,એક રખડું પાક્યો.ઉમાની એક દીકરી તો કુંવારી મા બની.એ તો એક ડૉકટરની મદદથી બધું સમું સુતરું પાર પડ્યું.એક રાતે ઉમાની છોકરીને દવાખાને દાખલ કરી.એણે એક બાળકને જન્મ આપ્યો.ડૉકટરે એમના એક ડૉકટર મિત્રને દવાખાને બોલાવી તે બાળકને દત્તક બાળક તરીકે સોંપી દીધુ.ઉમાની ઈજ્જત રહી ગઈ.
આ ઉમા જીવનની સફર પાર કરી પચાસના અંકે પહોંચી છે.જીવને એણે આમ તો કંઈ નથી આપ્યું.ગામડાની એ ભોળી છોકરીએ યૌવનમાં કરેલી એક ભૂલની આજીવન યાતના વેઠી રહી છે.જો કે હવે એ ટેવાઈ ગઈ છે. હવે એને કોઈ પરિસ્થિતિ વિચલિત કરતી નથી.એણે ગીતાની સ્થિતપ્રજ્ઞ મનોદશા કેળવી લીધી છે.
એ કુંવારિકા હતી ત્યારે એણે મનગમતો પતિ મેળવવા કરેલા વ્રત વ્યર્થ લાગ્યાં છે.એને તો મનગમતો પુરુષ આપીને છીનવી લીધો છે એના ભાગ્યે.એ કદાચ શિવ અને પાર્વતીથી નારાજ છે,એટલે શિવમંદિરમાં જતી નથી.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED