Ardh Asatya - 13 books and stories free download online pdf in Gujarati

અર્ધ અસત્ય. - 13

અર્ધ અસત્ય.

પ્રકરણ-૧૩

પ્રવીણ પીઠડીયા

“મારાં ત્રણેય મોટા બાપુમાંથી કોઇને પણ સંતાન સુખ મળ્યું નહોતું.” એવું બોલતી વખતે અનંતસિંહના અવાજમાં એક ન સમજાય એવી પીડા, એક ગમગિનિ ભળેલી હતી. અભય એ સાંભળીને સ્તબ્ધ બની ગયો. રાજ પરિવારમાં સંતાનોના જન્મની બાબત ઘણી વિચિત્ર હતી એમાં કોઇ શક નહોતો. તે વિચારમાં પડયો કે આ વાતનું અનુસંધાન પૃથ્વીસિંહનાં ગાયબ થવાની ઘટના સાથે જોડી શકાય કે નહી? ઉપરાંત તેને અનંતની ફોઇ વૈદેહીસિંહના આજીવન કુંવારા રહેવા વિશેનું રહસ્ય પણ જાણવાની ઇચ્છા ઉદભવી હતી. આ બે બાબત તેને સૌથી વધુ ખટકી હતી અને તેણે એ વિશે તપાસ કરવાનું મન બનાવી લીધું હતું.

“તું આ વિશે થોડું વિસ્તારથી જણાવી શકે?” અભયે તેના મનમાં ઉઠતા સંદેહના નિરાકરણ હેતું પૂછયું. બની શકે કે તેને જે વિચાર ઉદભવ્યો હતો એ સાવ નિરર્થક પણ હોય.

“મને જાણ છે ત્યાં સુધી વિષ્ણુસિંહજી બાપુનાં લગ્ન થયા તેના બે વર્ષ પછી પણ તેમના ઘરે સંતાન ન થતાં એ સમયે ઘણાં ઉપાયો અજમાવવામાં આવ્યાં હતા. ડોકટરોની દવાઓ, બાધાઓ, માનતાઓ, હોમ હવનો... વગેરે તમામ પ્રયત્નો કરવા છતાં જ્યારે કોઇ પરિણામ મળ્યું નહી ત્યારે કુદરતની જેવી મરજી એમ માનીને એ પરિસ્થિતિ સ્વીકારી લેવામાં આવી હતી. પરંતુ એ પછી એવું જ મયુરસિંહજી અને દિલિપસિંહજી બાપુના કિસ્સામાં પણ બન્યું હતું. એમને પણ કોઇ સંતાન થયાં નહોતા એટલે રાજ પરિવારમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. ત્રણ-ત્રણ પુત્રોના ઘરે જ્યારે પારણું ન બંધાય ત્યારે ગમેતેવો કઠણ મનનો માનવી પણ વિચારમાં પડી જાય છે. પૃથ્વીસિંહજીને પણ ઉપાધી પેઠી હતી કે ક્યાંક એમનો વંશ અહી જ ખતમ ન થઇ જાય. એ પછી મારા પિતાજીના લગ્ન થયા અને મારો જન્મ થયો ત્યારે સમગ્ર પરિવારમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું અને રાજગઢમાં ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો. દિવસો સુધી એ ઝલસો ચાલ્યો હતો. રાજગઢની તીજોરીઓ ખુલ્લી મુકી દેવાઈ હતી. ભેટ સોગાદો અને દાન-ધર્મનો તો જાણે ધોધ વહેવડાવવામાં આવ્યો હતો.” અનંતસિંહ જાણે ખુદ પોતાના જન્મોત્સવમાં મહાલતાં હોય એવી રીતે ત્યારે શું થયું હતું એ વર્ણવી રહ્યાં હતા.

અભય ભારે ઉત્સૂકતાથી સાંભળી રહ્યો હતો. તેનું દિમાગ અનંતસિંહની એક-એક વાતની નોંધ લેતું હતું અને એમાથી તારણો કાઢતું હતું. હજું સુધી કોઇ સ્પષ્ટ દિશા કે પછી કોઇ ચોક્કસ તારણ ઉપર તે આવી શક્યો નહોતો.

“તારો જન્મ કઇ સાલમાં થયો હતો?” અચાનક તેણે અનંતને સવાલ કર્યો. આમ તો તે બન્ને સરખી ઉંમરના જ હતા છતાં કંન્ફર્મ કરવું જરૂરી હતું. કદાચ બન્નેના જન્મ વચ્ચે એકાદ વર્ષનો ફાંસલો હોય એવું બની શકે.

“૧૯૮૯માં. ત્યારે મારા પિતા ભૈરવસિંહ ચોવીસ વર્ષના હતાં અને દાદા ઓગણ-પચાસ કે પચાસ વર્ષના હશે. આજે, એટલે કે ૨૦૧૯માં દાદા જો અત્યારે અહીં રાજગઢમાં હાજર હોત તો તેઓની ઉંમર એંસી વર્ષની આસપાસ હોત.” અનંતે કહ્યું.

“એ કયાં અરસામાં ગુમ થયા હતાં? આઇમીન, સાલ કઇ હતી?”

“હું એ સમયે કદાચ ત્રણેક વર્ષનો હોઇશ એટલે સમજ કે ૧૯૯૨ની સાલ હશે. આઇ થિંક ૧૯૯૨ જ હશે. મેં ક્યારેય એ બાબતે વધું વિચાર્યું જ નહોતું. એક દિવસ સમાચાર આવ્યાં કે પૃથ્વીસિંહ બાપુ તેમની હવેલીમાં નથી. હું એ સમયે ઘણો નાનો હતો એટલે મને એ ઘટનાની ગંભીરતા તો ક્યાંથી સમજાય પરંતુ જેમ-જેમ મારી સમજ શક્તિ વધતી ગઇ તેમ-તેમ મને સમજાતું ગયું કે મારા દાદા એક દિવદ અચાનક રાજમહેલ છોડીને ક્યાંક ચાલ્યાં ગયા હતા. હવે એ જાતે ચાલ્યાં ગયા હતા કે કોઇએ તેમને ગુમ કરી નાંખ્યાં હતા એ રહસ્ય હજું સુધી એક રહસ્ય બનીને જ રહી ગયું છે.”

“એક મિનિટ અનંત, તે શું કહ્યું હમણાં?” અનંતની વાત સાંભળીને અભય જબરજસ્ત રીતે ચોંકયો હતો. કંઇક હતું જે તેને ખટકયું હતું.

“ક્યારે?” અનંતસિંહને સમજાયું નહી કે અભય શું પૂછવાં માંગે છે!

“પૃથ્વીસિંહ બાપુ તેમની હવેલીમાં નથી... એ મતલબનું હમણાં કઈંક બોલ્યોને તું! એનો શું મતલબ હતો? પૃથ્વીસિંહ બાપુની પોતાની અન્ય કોઈ જગ્યાએ અલગ હવેલી હતી એવું તો નથી કહેવા માંગતો ને!?” અભયને અપાર આશ્વર્ય ઉદભવ્યું.

“અરે... તને નથી ખબર! તાજ્જૂબ કહેવાય. રાજગઢનો બચ્ચો-બચ્ચો જાણે છે કે અહીંની મુખ્ય હવેલી તો આ હવેલીઓ છે ને, તેની પાછળનાં ભાગે આવેલી છે. અત્યારે જો કે એ હવેલી ખંડેર બનીને ઉભી છે પરંતુ એક સમયે તેની જાહોજલાલી જોવા જેવી હતી. મારા દાદા પૃથ્વીસિંહ અને તેમનાં પિતા વિક્રમસિંહજી એ હવેલીમાં જ તો રહેતા હતા અને ત્યાંથી જ સમગ્ર રાજગઢનો વહીવટ ચલાવતા હતા. વિક્રમસિંહના મૃત્યુ બાદ અને પૃથ્વીસિંહને ત્યાં પાંચ સંતાનો જનમ્યાં બાદ, દાદાએ પોતાના પાંચ સંતાનો માટે આપણે અત્યારે જ્યાં બેઠા છીએ એ પાંચ હવેલીઓ બનાવરાવી હતી અને પાંચે ય ને એક એક હવેલી સોંપી દીધી હતી. એ દરમ્યાન તેમણે તો એ જ હવેલીમાં રહેવાનું પસંદ કર્યું હતું. પરંતુ...” અનંતસિંહ એકાએક બોલતા અટકી ગયા અને તેમણે દિવાનખંડની દિવારે લટકતી દાદાની ભવ્ય તસ્વીર ભણી જોયું.

“પરંતુ શું અનંત?” અનંતસિંહના આમ એકાએક રોકાવાથી અભયને તાજ્જૂબી થઇ હતી. તેણે જોયું તો અનંત તેના દાદાની તસ્વીરને એકટશે નિહાળી રહ્યો હતો.

“મારા દાદા ખરેખર “જેમ” હતાં અભય. તેમના જેટલું વિશાળ હદય ધરાવવા વાળો વ્યક્તિ એમ જ તો ક્યાંક ચાલ્યો ન જાય ને! બધા ભલે કહેતા હોય કે દાદા પોતાની મરજીથી ગયા છે પરંતુ... હું એ માનવા બીલકુલ તૈયાર નથી. જે વ્યક્તિ પોતાના સંતાનો માટે, રાજગઢની પ્રજાનાં ઉસ્થાન માટે જીવતો હોય, એ વ્યક્તિ અચાનક એક દિવસ બધું છોડીને કોઇ જ દેખીતા કારણ વગર ક્યાંક ગાયબ થઇ જાય? ઇમ્પોસીબલ. મારું દિલ કહે છે કે તેમની સાથે જરૂર કંઇક અજૂગતી ઘટના ઘટી હશે.” આદ્ર શ્વરે અનંત એકધારું બોલી ગયો. તે એક રાજકુમાર હતો. આમ ભાવુક થઇ ઉઠવું તેના જિન્સમાં નહોતું છતાં કોણ જાણે કેમ પણ જ્યારથી તે રાજગઢ આવ્યો હતો અને દિવાલે લટકતી દાદાની તસ્વીર જોઇ હતી ત્યારથી અજીબ-અજીબ ખ્યાલો તેના મનમાં ઉઠતા હતા અને તે ભાવુક થઇ જતો હતો.

“જો એવું કંઇ હશે તો એ સામે આવ્યાં વગર રહેશે નહીં. હું તને કોઇ આશ્વાસન આપવા નથી માંગતો પરંતુ એટલું ચોક્કસ કહીશ કે મારાથી બનતી તમામ કોશિશો હું કરીશ છુટીશ. પૃથ્વીસિંહજીના ગાયબ થવાનું રહસ્ય ગમે તે હોય પરંતુ હું એ દુનિયા સમક્ષ ઉજાગર કરીને જ જંપીશ એ વાતનું તને વચન આપું છું.” અભય પણ જોશમાં આવી ગયો હતો. અનંત તેનો જીગરી યાર હતો. નાનપણથી જ અનંતને તેણે રાજકુમારની છટાથી રૂઆબભેર જીવતો જોયો હતો. તે આમ ઢીલો પડી જાય એ કોઇ કાળે તેને મંજુર નહોતું.

અનંતસિંહે આભારભરી નજરોથી અભય તરફ જોયું. અભયે પણ નજરોથી જ તેને સધીયારો આપ્યો અને ફરી પાછા તેઓ વાતોએ વળગ્યાં.

“મારે એ હવેલી જોવી છે. ખરેખર મને આ વાતનો ખ્યાલ જ નહોતો કે પાંચ હવેલીઓ સિવાય પણ અન્ય બીજી હવેલી હશે!” અભયને નવાઇ ઉપજી હતી કે રાજગઢમાં ઠાકોર પરિવારની અન્ય કોઇ જગ્યાએ હવેલી હોય અને એ વાતની તેને ખબર ન હોય! એવું તો ભાગ્યે જ બને.

“તને ખબર છે પણ તું ભુલી ગયો છે. જરાં તારી યાદદાસ્ત ઉપર જોર લગાવ એટલે બધું યાદ આવી જશે.” અનંતસિંહે કહ્યું. તેમનાં ચહેરા ઉપર એકાએક હળવી મુસ્કાન આવી હતી.

અભય ભારે દુવિધામાં અટવાઇ પડયો. તેને કેમ કશું યાદ આવતું નહોતું?

( ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED