Once Upon a Time - 27 books and stories free download online pdf in Gujarati

વન્સ અપોન અ ટાઈમ - 27

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 27

૧૯૮૬ની ૯ ડિસેમ્બરે કરીમલાલાનો ભાઈ અને સમદનો પિતા અબ્દુલ રહીમ ખાન શેરખાન દક્ષિણ મુંબઈમાં પોતાની કારમાં ઘરેથી પોતાની હોટેલ તરફ જઈ રહ્યો હતો ત્યારે એની કાર સાથે એક કાર અથડાઈ. રહીમ ખાન હજી તો કંઈ સમજે એ પહેલાં તો પિસ્તોલ અને તલવારો સાથે ગુંડાઓએ એને ઘેરી લીધો અને એને ત્યાં જ ખતમ કરી નાખ્યો.

રહીમ ખાનનો એના ભાઈ કરીમલાલા કે દીકરા સમદની જેમ કોઈ જ પોલીસ રેકર્ડ નહોતો,પણ એણે કમોતે મરવું પડ્યું હતું. રહીમ ખાન ડી.બી.માર્ગ પોલીસ સ્ટેશન પાસે પોતાના નામ પરથી આર.કે. હોટેલ ચલાવતો હતો. કરીમલાલા આ એકધારા ઘા ખાઈને માનસિક રીતે તૂટી રહ્યો હતો. છેવટે તેણે તેના એક આદરણીય મૌલવીની સલાહથી દાઉદ ઈબ્રાહીમ સાથે સમાધાન કરી લીધું હતું.

દાઉદના પઠાણ ગેંગ સાથેના વેરઝેરનો અંત આવ્યો હતો, પણ એની મહત્વાકાંક્ષાને કારણે એના અનેક દુશ્મનો ઊભા થવાના હતા. પઠાણ ગેંગને ઝુકાવ્યા પછી દાઉદ શક્તિશાળી માફિયા લીડર બની ગયો હતો. એ મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં પોતાના ખાસ માણસો ગોઠવવા માંડ્યો હતો. વિરાર અને વસઈમાં જેના નામની ધાક હતી એ ભાઈ ઠાકુર દાઉદનો સૂબો બની ગયો હતો. જોગેશ્વરી વિસ્તારમાં જેના નામથી ફેં ફાટતી હતી એ શરદ શેટ્ટી દાઉદનો રાઈટ હેન્ડ બની ગયો હતો. ચેમ્બુરમાં છોટા રાજન તો મઝગાંવ અને ભાયખલામાં બાબુ રેશિમ, રમા નાઈક અને અરુણ ગવળી, તો ઉલ્લાસનગરમાં પપ્પુ કાલાણી દાઉદના પ્યાદાં બનીને કામ કરવા માંડ્યા હતા. દાઉદ સાતમા આસમાનમાં હતો. વરદરાજન મુદલિયાર ઉર્ફે વર્દાભાઈના વળતાં પાણી થયા હતા, એટલે દાઉદ ઈબ્રાહીમને પડકારવાવાળું કોઈ રહ્યું નહોતું.

અમીરઝાદા, સમદ ખાન અને આલમઝેબને મારી નાખ્યા પછી દાઉદ ઈબ્રાહીમનો ગોલ્ડન પિરિયદ શરૂ થઈ ગયો હતો. બાકી એક સમય એવો હતો કે મુંબઈમાં વરદરાજન મુદલિયાર ઉર્ફે વર્દાનો કરીમલાલાથી પણ વધુ વટ પડતો હતો. અને પોલીસ અધિકારીઓ પણ એની સામે જતાં થરથરતા હતા, પણ મુંબઈના પોલીસ કમિશનરપદે જુલિયો ફ્રાન્સિસ રિબેરોની નિમણુક થઈ એ પછી વરદરાજનના દિવસો ભરાઈ ગયા હતા. એ અરસામાં રિબેરોની ધાકને કારણે જ દાઉદ દુબઈ જતો રહ્યો હતો. જો કે તે અવારનવાર છાનોમાનો ભારત આવતો-જતો રહેતો હતો....

પપ્પુ ટકલાએ અંડરવર્લ્ડકથાને વળાંક આપતા કહ્યું, ‘વરદરાજન મુદલિયાર ઉર્ફે વર્દાની મુંબૈયા અંડરવર્લ્ડમાં ભારે ‘ઈજ્જત’ હતી. એ માણસે વર્ષો સુધી અંડરવર્લ્ડમાં અમાપ સત્તા ભોગવી હતી. દાઉદે ઘણા પોલીસ અધિકારીઓને વધુ લાંચિયા બનાવ્યા હતા એવું કહેવાય છે, પણ એની શરૂઆત વરદરાજને કરી હતી. વરદરાજને એની ‘કરીઅર’ની શરૂઆત હાજી મસ્તાનના હાથ નીચે કરી હતી. પણ પછી એ પોતે સ્મગલર બની ગયો હતો. વરદરાજને સ્મગલિંગ માટે એક નવી જ મોડસ ઓપરેન્ડી શરુ કરી હતી. એમાં એને એ વખતના ઘણા બિઝનેસમેન અને ઉદ્યોગપતિઓનો પણ સહકાર મળ્યો હતો.

વરદરાજન ખલનાયક હતો, પરંતુ જેમના નામ ઢંકાઈ રહ્યા એવા ઘણા બિઝનેસમેન અને ઉદ્યોગપતિઓ તના ભાગીદાર હતા. વરદરાજન સાથે સંકળાયેલ બિઝનેસમેન અને ઉદ્યોગપતિઓ વિદેશથી ઊંચી કિંમતની મશીનરીઓ આયાત કરતા. એ મશીનરીનો તેઓ વીમો ઉતરાવી લેતા. એમણે વિદેશથી આયાત કરેલી મશીનરી મુંબઈ ડોકમાંથી ‘ચોરાઈ’ જતી. કહેવાની જરૂર નથી કે એ મશીનરી વર્દાના માણસો જ ‘ચોરી’ જતા. એ મશીનરી ‘ચોરાઈ’ જાય એટલે એ મશીનરી પર ચૂકવવી પડતી ૧૦૦થી ૨૦૦ ટકા કસ્ટમ્સ ડ્યુટી ભરવાની પળોજણ સંબંધિત ઉદ્યોગપતિઓએ ન કરવી પડતી અને એમણે વીમો ઉતરાવ્યો હોય એટલે તેમને એ ‘ચોરાયેલી’ મશીનરીનું વળતર મળી જતું. એમની મશીનરી એમને વર્દા પાસેથી પાછી મળી જાય અને એ મશીનરી ચોરવા માટે વર્દાને ‘વળતર’ મળી જતું. પછી વર્દા વિદેશી કાપડ અને સોનાની દાણચોરીમાં પણ વળગ્યો હતો. વર્ષો સુધી એનું આ ડીંડવાણું ચાલતું રહ્યું હતું. એ દરમિયાન એણે મુંબઈના માટુંગા અને કોલીવાડા વિસ્તારમાં પોતાનું ‘સામ્રાજ્ય’ વિકસાવ્યું હતું. કોલીવાડા વિસ્તારમાં વર્દાએ દેશી દારૂનો ધંધો ઊભો કર્યો હતો. એના ઘણા માણસો મટકાનો કારોબાર ચલાવતા થઇ ગયા હતા. મહારાષ્ટ્રના દરિયાકિનારે વિદેશી કાપડ અને સોના સહિત અન્ય સ્મગલિંગનો સમાન આવે એ મુંબઈ પહોંચાડવામાં તકલીફ ન પડે એ માટે પણ વર્દાએ ભેજું દોડાવ્યું હતું. એણે મુંબઈમાં વસતા તમિલ નાગરિકોની આગેવાની લઈને ‘તમિલિયન પીરલેઈ’ની નામની સંસ્થા બનાવી હતી, જે ‘નાગરિકોના હિત’માં પ્રવૃત્ત હતી. પણ હકીકતમાં વર્દા ‘તમિલિયન પીરલેઈ’ સંસ્થાની એમ્બ્યુલન્સમાં સ્મગલિંગથી આવેલા માલની હેરફેર કરાવતો હતો!

એંસીના દાયકાની શરૂઆતથી ૧૯૮૪ એમ દોઢેક દાયકા સુધી વર્દાનો સુરજ મધ્યાહ્ને તપતો રહ્યો. પણ ૨૭ માર્ચ, ૧૯૮૪ના દિવસે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની ઝપટે ચડી ગયો હતો. ૨૬ માર્ચ, ૧૯૮૪ના દિવસે મહારાષ્ટ્રમાં રાયગઢના દરિયાકિનારે એનું એક કન્સાઇન્મેન્ટ આવ્યું હતું. એ સામાન રાયગઢના દરિયાકિનારે એક ધર્મશાળામાં રાખવામાં આવ્યો હતો. બીજે દિવસે એ સામાન ‘તમિલિયન પીરલેઈ’ સંસ્થાની એક એમ્બ્યુલન્સમાં મુંબઈ આવવા રવાના થવાનો હતો પણ એ અગાઉ એ સામાન ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સના ડૅપ્યુટી ડિરેક્ટર સિદ્ધાર્થ શેખોને પકડી પાડ્યો હતો. સિદ્ધાર્થ શેખોને એ સામાન સાથે ‘તમિલિયન પીરલેઈ’ની એમ્બ્યુલન્સના ડ્રાઈવરની ધરપકડ કરી હતી અને એ ડ્રાઈવરે વર્દાનું નામ આપી દીધું હતું. તાત્કાલિક વર્દાની ધરપકડ કરવામાં આવી હતી. એને રત્નાગિરીમાં મેજિસ્ટ્રેટ સામે ખડો કરવામાં આવ્યો હતો, અને એ એક મહિના માટે લોકઅપમાં ધકેલાઈ ગયો. જો કે વર્દા માટે જેલ કે લોકઅપમાં જવાનો અનુભવ નવો નહોતો. એ સૌ પહેલા ૧૯૬૨માં મુંબઈ ડોક્યાર્ડમાં ચોરી કરતા પકડાયો હતો અને યલોગેટ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ એને લોકઅપમાં ધકેલી દીધો હતો. એ પછી ઓક્ટોબર ૧૯૮૩માં શ્રીકાંત વેંકટરામન નામના એક સામાન્ય વેપારીની ફરિયાદને કારણે એને લોકઅપમાં જવું પડ્યું હતું. એ પછી થોડો સમય નૅશનલ સિક્યુરિટી એક્ટ હેઠળ પણ એ જેલની હવા ખાઈ આવ્યો હતો. પણ ૧૯૮૪ના માર્ચ મહિનામાં અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે મોટો ફટકો માર્યો હતો. ડીઆરઆઈએ એનો રૂપિયા ૪૬ લાખનો સ્મગલિંગનો સામાન પકડી પાડ્યો હતો અને વર્દાની ધરપકડ કરી હતી.

જો કે એ તો હજી શરૂઆત હતી. વર્દાએ આગળ જે સમયનો સામનો કરવાનો હતો એની તો તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી!

(ક્રમશ :)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED