કુરબાનીની કથાઓ - 6 Zaverchand Meghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કુરબાનીની કથાઓ - 6

કુરબાનીની કથાઓ

રવીન્દ્રનાથ ટાગોર

અનુવાદ: ઝવેરચંદ મેઘાણી

પ્રભુની ભેટ

આખા દેશની અંદર ભક્ત કબીરની કીર્તિ વિસ્તરી ગઈ. સાધુસંતો એનાં ભજનોની ધૂન મચાવી ઠેરઠેર મસ્તી જગવતાં.

કબીરજીની ઝૂંપડીએ અપરંપાર લોકો આવવા લાગ્યાં.

કોઈ આવીને કહેશે : `બાબા! એકાદ મંત્ર સંભળાવીને મારું દરદ નિવારોને!'

કોઈ સ્ત્રીઓ આવીને વિનવશે કે `મહારાજ! પાયે પડું, એક દીકરો અવતરે એવું વરદાન દોને!'

કોઈ વૈષ્ણવજન આવીને આજીજી કરશે કે `ભક્તરાજ! પ્રભુનાં સાક્ષાત્ દર્શન કરાવો ને!'

કોઈ નાસ્તિક આવીને ધમકાવશે કે `ઓ ભક્તશિરોમણિ, દુનિયાને ઠગો નહિ. પ્રભુ પ્રભુ કૂટી મરો છો, તે એક વાર પ્રત્યક્ષ પ્રમાણથી સાબિત તો કરો કે પ્રભુ છે!'

સહુની સામે જોઈને ભક્તરાજ મધુર હાસ્ય કરતા ને માત્ર આટલું જ કહેતા: `રામ! રામ!'

મોડી રાત થાય ને માણસોનાં ટોળાં વિખરાય ત્યારે ભક્તરાજ એ નિર્જન ઝૂંપડીમાં એકલા બેસી ઈશ્વરનું આરાધન કરતા. એની બંને આંખોમાંથી આંસુની ધારા વહેતી. ગદ્ગદ્ સ્વરે એ પ્રભુને કહેતા કે `હે રામ! મેં તો જાણ્યું કે તેં દયા કરી મને કંગાલ યવનને ઘેર જન્મ આપ્યો, કે જેથી મારી આગળ કોઈએ નહિ આવે મને કોઈયે નહિ બોલાવે, સંસાર ધિક્કાર દઈને મને એકલો છોડશે; ને સહુનો તરછોડેલો હું તારી પાસે આવીને શાંત કીર્તન કર્યા કરીશ, તું ને હું બેઉ છાનામાના મળશું. પણ રે હરિ! આળી કપટબાજી શા માટે આદરી? મને શા અપરાધે છેતર્યો? તું જ, હે નિષ્ઠુર માયાવી! તું જ આ ટોળેટોળાંને છાનોમાનો મારી ઝૂંપડી દેખાડી રહ્યો છે. મને સતાવવા મારે આંગણે માણસોને બોલાવીને તું ક્યાં ભાગી જાય છે, હે ધુતારા?'

આમ રુદન કરતાં કરતાં આખી રાત વીતી જતી.

નગરીનાં બ્રાહ્મણોની અંદર મોટો કોલાહલ ઉઠયો. બ્રાહ્મણો બોલ્યા કે, `ત્રાહિ! ત્રાહિ! એક મુસલમાન ધુતારાના મોંમાં હરિનું પવિત્ર નામ! એ ખળના પગની રજ લઈને લોકો ભ્રષ્ટ થાય છે! અરેરે! હડહડતો કળિયુગ આવી પહોંચ્યો. પૃથ્વી હવે પાપનો ભાર ક્યાં સુધી ખમી રહેશે.'

બીજો બ્રાહ્મણ બોલ્યો: `ધરતી માતાને ઉગારવી હોય તો ઈલાજ કરો, જલદી ઈલાજ કરો; નહિ તો ધરતી રસાતાળ જશે.'

બ્રાહ્મણોએ ઈલાજ આદર્યા. એક હલકી સ્ત્રીને બોલાવી, એના હાથમાં રૂપિયાની ઢગલી કરીને કહ્યું કે, `એ ભગતડાનો ભરબજારે ભવાડો કરજે.' સ્ત્રી બોલી કે `આજે જ પતાવી દઉં.'

પોતાની શાળ ઉપર પાણકોરું વણીને ભક્તરાજ એ દિવસે બજારમાં વેચવા નીકળ્યો. ચારેય બાજુથી બ્રાહ્મણો આવીને ગોઠવાઈ ગયા હતા. અચાનક પેલી બાઈ દોડી આવી. ચોધારાં આંસુ પાડતી પાડતી એ કબીરને વળગી પડી, ડૂસકાં ખાતી ખાતી બોલવા લાગી કે, `રોયા ભગતડા! મને અબળાને આવી રીતે રખડાવવી હતી કે! શું જોઈને તે દિવસ વચન આપી ગયો હતો? વિના વાંકે મને રખડતી મૂકીને પછી સાધુનો વેશ સજ્યો! હાય રે! મારા પેટમાં ઓરવા એક મૂઠી અનાજ પણ ન મળે. મારાં અંગ ઢાંકવા એક ફાટેલ લૂગડું યે નથી રહ્યું, ત્યારે આવા ધુતારાની જગતમાં પૂજા થાય છે.'

ભક્તરાજ લગારે ચમક્યા નહિ, જરા યે લજ્જા પામ્યા નહિ. એનું પવિત્ર મુખારવિંદ તો મલકાતું જ રહ્યું.

પલવારમાં તો બ્રાહ્મણોએ કકળાટ કરી મૂક્યો : `ધિક્કાર છે. ધુતારા! ધર્મને નામે આવાં ધતિંગ! ઘરની બાયડી ભડભડતે પેટે ભીખ માગી રહી છે, અને તું લોકોને પ્રભુને નામે ઠગીને અમનચમન ઉડાવી રહ્યો છે! ફિટકાર છે તને, ફિટકાર છે તારા અંધ સેવકોને!'

મલકાતે મુખે કબીરજી બોલ્યા: `હે નારી! સાચોસાચ મારો અપરાધ થયો છે. મારે આંગણે અન્નજળ હોય ત્યાં સુધી હું તને ભૂખી નહિ રહેવા દઉં; મને માફ કર, ચાલો ઘેર!'

લોકોના ધિક્કાર સાંભળતાં સાંભળતાં સાધુવર એ સ્ત્રીનો હાથ પકડીને ચાલ્યા. બજારમાં કોઈ હસે છે, કોઈ ગાળો દે છે, કાંકરા ફેંકે છે; તો યે ભક્તરાજ હસતા જ રહ્યા એની આંખોમાં કોઈ નવીન નૂર ઝળકતું હતું. શેરીએ શેરીએ સ્ત્રી-પુરુષો ટોળે વળ્યાં. પગલે પગલે શબ્દો સંભળાયા કે `જોયો આ સાધુડો? જગતને ખૂબ છેતર્યું!'

ઝૂંપડીએ જઈને કબીરજીએ બાઈને મીઠે શબ્દે આદર કરી બેસાડી. એની આગળ જમવાનું ધરીને સાધુવર હાથ જોડી બોલ્યા: `બહેન! ગભરાઈશ નહિ. શરમાઈશ નહિ. મારા વહાલા હરિએ જ આજ તને આ ગરીબને ઘેર ભેટ કરી મોકલી છે.' સાધુવર એમ કહીને એ નારીને નમ્યા.

એ અધમ નારીનું હૃદય પલકવામાં પલટી ગયું. જૂઠાં આંસુ ચાલ્યાં ગયાં. સાચાં આંસુની ધારી છૂટી. એ બોલી: `મને ક્ષમા કરો! પૈસાના લોભમાં પડીને મેં મહાપાપ કરી નાખ્યું, મહારાજ! હું આપઘાત કરી મરીશ.'

`ના રે ના, બહેન! મારે તો આજ લીલા લહેર થઈ. હરિએ મારો ઠપકો બરાબર સાંભળ્યો. લોકો હવે મને સુખે બેસવા દેશે. આપણે બંને આંહીં હરિનાં કીર્તનો ગાશું. તું ગભરાતી નહીં.'

ભક્તરાજે જોતજોતામાં તો એ અધમ જીવાત્માને ઊંચે લઈ લીધો. દેશભરમાં વાત વિસ્તરી કે કબીરિયો તો એક પાખંડી દુરાચારી છે.

કબીરજી એ વાતો સાંભળીને માથું નીચે નમાવે છે ને બોલે છે: `વાહ પ્રભુ! હું સહુથી નીચે, બરાબર તારાં ચરણ આગળ.'

રાજાજીના માણસોએ એક દિવસ આવીને કહ્યું કે, `ભક્તરાજ! પધારો, તમને રાજાજી યાદ કરે છે.'

ભક્ત માથું ધુણાવીને બોલ્યા કે, `નહિ રે બાબા! રાજદરબારમાં મારું સ્થાન ન હોય.'

`રાજાજીનું અપમાન કરશો તો અમારી નોકરી જશે. મહારાજ!'

`બહુ સારું! ચાલો, હું આવું છું.'

પેલી બહેનને સાથે લઈને કબીર રાજસભામાં આવ્યા. સભામાં કોઈ હસે છે, કોઈ આંખના ઈશારા કરે છે, કોઈ માથું નીચે ઢાળે છે.

રાજા વિચારે છે કે, અરેરે! આ જોગટો બેશરમ બનીને બાયડીને કાં સાથે ફેરવે?

રાજાની આજ્ઞાથી પહેરેગીરે ભક્તને સભાની બહાર હાંકી મૂક્યા. હસીને ભક્ત ચાલ્યા ગયા.

રસ્તામાં એ સંત ઉપર લોકોએ બહુ વીતકો વિતાડયાં. પેલી બાઈ રડી, ભક્તને ચરણે નમીને બોલી: `હે સાધુ! મને દૂર કરો. હું પાપણી છું. તમારે માથે મેં દુ:ખના દાભ ઉગાડયા.'

સાધુ હસીને કહે : `ના રે, માતા! તું તો મારા રામની દીધેલી ભેટ છે. તને હું કેમ છોડું?'

***