Kurbanini Kathao - 5 books and stories free download online pdf in Gujarati

કુરબાનીની કથાઓ - 5

કુરબાનીની કથાઓ

રવીન્દ્રનાથ ટાગોર

અનુવાદ: ઝવેરચંદ મેઘાણી

1 - માથાનું દાન

2 - રાણીજીના વિલાસ

***

1 - માથાનું દાન

કોશલ દેશના મહારાજની તોલે તો કોઈ ન આવે. દુ:ખીને એ શરણ દેનારા અને દીનના એ પિતામાતા: એવાં એનાં યશોગાન ગવાતાં. પ્રભાતે એનું નામ લઈને લોકો પાવન થતાં.

કાશીનગરીની અંદર એક દિવસ ઉત્સવ થાય છે. દેવાલયોમાં ઘંટારવા બજે છે, લોકોનાં ટોળે ટોળાં ગીતો ગાય છે: `જય કોશલપતિ!' સાંજને ટાણે સ્ત્રીઓએ પોતાનાં આંગણાંમાં દીપમાળ પ્રગટાવી છે. કાશીરાજ પૂછે છે: `આ બધી શી ધામધૂમ છે?'

પ્રધાન કહે કે, `કોશલના ધણીનો આજે જન્મદિવસ છે.'

`મારી પ્રજા કૌશલના સ્વામીને શા માટે સન્માન આપે?'

`મહારાજ! પુણ્યશાળી રાજા માત્ર પોતાના મુલકમાં જ નહિ પણ જગત આખાના હૃદય ઉપર રાજ કરે છે. એની માલિકીને કોઈ માટીના સીમાડા ન અટકાવી શકે.'

`એ...એ...મ!' કાશીરાજે દાંત ભાંસ્યા. ઈર્ષાથી એનું હૃદય સળગી ઉઠયું.

ચૂપચાપ એક વારી કાશીની સેનાએ કોશલ ઉપર છાપો માર્યો. સેનાને મોખરે કાશીરાજ પોતે ચાલ્યા.

સેના વિનાનો એ નાનો રાજા કોશલેશ્વર બીજું શું કરે? ખડગ ધરીને રણે ચડયો, હાર્યો, લજ્જા પામીને જંગલમાં ગયો. પોતાને નગર પાછા આવીને કાશીરાજ વિજયોત્સવની રાહ જોઈ ઉભા રહ્યા.

`કોશલનું આખું રાજ મેં કબજે કર્યું છે. એની રિદ્ધિસિદ્ધિ મારી પ્રજા ભોગવશે. એ દેશના ઉચ્ચ હોદ્દાઓ ઉપર મારી રૈયતના માણસોને બેસાડીશ' એવા વિચારોમાં કાશીરાજ હરખાતો સામૈયાની વાટ જોતો રહ્યો.

પ્રજાએ હાહાકાર કરી મૂક્યો. ઘેરઘેર તે દિવસે શોક પળાયો. રાજાની ઈર્ષાનો ભડકો વધુ ભીષણ બન્યો. દેશદેશમાં એણે પડો વજડાવ્યો કે `કોશલરાજાનું માથું કોઈ લાવી આપે તો એને સવામણ સોનું આપું.' દેશદેશમાં `ધિક્કાર! ધિક્કાર!' થઈ રહ્યું.

*

જંગલમાં એક ભિખારી ભટકતો હતો. એની પાસે આવીને એક મુસાફરે પૂછયું : `હે વનવાસી! કોશલ દેશનો રસ્તો કયો?'

ભિખારીએ નિશ્વાસ નાખી કહ્યું : `હાય રે અભાગી દેશ! ભાઈ! એવું તે શું દુ:ખ પડયું છે કે તું બીજા સુખી મુલકો છોડીને દુ:ખી કોશલ દેશમાં જાય છે?'

મુસાફર બોલ્યો : `હું ખાનદાન વણિક છું. ભરદરિયે મારાં બારે વહાણ ડૂબી ગયાં છે. મારે માથે કરજનું કલંક છે. મન ઘણું યે થાય છે આપઘાત કરવાનું. પણ કરજ ચૂકવ્યા સિવાય કેમ મરાય! હે વનવાસી! એટલા માટે હું કોશલના ધણી પાસે જઈને મારી કથની કહીશ. એની મદદ લઈ ફરી વેપાર જમાવીશ. કમાઈને કરજ ચૂકવીશ.'

એ સાંભળીને પેલા ભિખારીનું મોં જરાક મલકાયું. તુરત તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં.

એ બોલ્યા : `હે મુસાફર! તારો મનોરથ પૂરો થશે. મારી સાથે ચાલીશ?'

બન્ને જણ ચાલ્યા. કાશીનગરમાં પહોંચ્યા. રાજસભામાં દાખલ થયા. એ જટાધારી ભિખારીનાં મોં ઉપર રાજકાંતિ ઝલકતી હતી. કાશીરાજની આંખો એ કંગાળ ચહેરા ઉપર ચોંટી. એણે પૂછયું : `કોણ છો? શા પ્રયોજનો અહીં આવેલ છો?

ભિખારી કહે : `હે રાજન! સુખસમાચાર દેવા આવ્યો છું.'

`શું?'

`કોશલરાજનું માથું લાવનારને આપ શું દેશો?'

`ક્યાં છે? ક્યાં છે? લાવ જલદી, સવા મણ સોનું આપું. અઢી મણ સોનું આપું, ક્યાં છે એ માથું?'

`રાજાજી! અઢી મણ સોનું આ વણિકને જોખી આપો અને સુખેથી આ માથું વાઢી લો.'

રાજા સ્તબ્ધ બનીને કોઈ પથ્થરની પ્રતિમા-શો આંખો ફાડી રહ્યો.

`નથી ઓળખતા, કાશીરાજ? એટલામાં શું ભૂલી ગયા? ઝીણી નજરે નિહાળી લો, આ કોશલરાજનું જ મોઢું કે બીજા કોઈનું?'

`કોશલના સ્વામી! હું આ શું જોઉં છું? આ તે સત્ય છે કે સ્વપ્ન?'

`સ્વપ્ન નહિ રાજા! સત્ય જ જુઓ છો. ચાલો, જલદી ખડગ ચલાવો. આ વણિકની આબરુ લૂંટાય છે!'

ઘડીવાર તો કાશીરાજ અબોલ બની બેસી રહ્યા. પછી એણે મોં મલકાવી કહ્યું : `વાહ વાહ, કોશલપતિ! મારું આટઆટલું માનખંડન કર્યું ને હજુયે શું માથું દઈને મારા પર વિજય મેળવવાની આ જુક્તિ જમાવી છે કે! ના ના, હવે તો આપની એ બાજી હું ધૂળ મેળવીશ. આજના નવીન રણસંગ્રામમાં તો હું જ આપને હરાવીશ.'

એટલું કહી એ જર્જરિત ભિખારીનાં મસ્તક પર કાશીરાજે મુગટ પહેરાવ્યો, એને પોતાની બાજુએ સિંહાસને બેસાર્યા; ને પછી ઉભા થઈ, સન્મુખ જઈ, અંજલિ જોડી કહ્યું : `હે કોશલરાજ! રાજ તો પાછું આપું છું, પણ વધારામાં મારું હૃદય પણ ભેટ ધરું છું; બદલામાં તમારું માથું લઉં છું; પણ ખડગની ધાર પર નહિ, મારા હૈયાની ધાર પર.'

***

2 - રાણીજીના વિલાસ

કાશીનાં મહારાણી કરુણા એકસો સહિયરોની સાથે નહાવા નીકળ્યાં છે. વરુણા નદીનાં નિર્મળાં નીર છલાછલ કરતાં વહે છે. અને માહ મહિનાનો શીતળ પનવ સૂ સૂ કરતો વાય છે.

નગરથી આઘેના એ નદીઘાટ ઉપર આજે કોઈ માનવી નથી. પાસે કેટલાક ગરીબ લોકોનાં ઝૂંપડાં છે. રાજાજીની આજ્ઞા હતી કે રાણીજી સ્નાન કરવા પધારે છે માટે સહુ ઝૂંપડાંવાસીઓ બહાર નીકળી જાઓ. એ કારણે ઝૂંપડાં નિર્જન પડયાં છે.

ઉત્તર દિશાના પવને આજ નદીને પાગલ બનાવી છે. પાણીની અંદર સવારનો સોનેરી પ્રકાશ પીગળી રહ્યો છે. છલછલ અવાજે નાચ કરતી ચાલી જતી નદી કોઈ એક નટી જેવી દીસે છે – જેની ઓઢણીમાંથી લાખ લાખ હીરા ને માણેક ઝળહળ થઈ રહેલ છે.

રમણીઓ નહાય છે. અંત:પુરના બંદીખાનેથી છૂટેલી એકસો સખીઓ આજે શરમનાં બંધન શી રીતે માને? એકસો કંઠના કલકલ ધ્વનિ, હાસ્યના ખડખડાટ, સુકોમળ હાથના છબછબ અવાજ અને મીઠા વાર્તાલાપ: નદી જાણે એ બસો હાથની થપાટો ખાઈને પાગલ બની. આકાશમાં જાણે શોર મચ્યો.

નહાઈને મહારાણી કાંઠે આવ્યાં. બૂમ પાડીને બોલ્યાં: `એલી! કોઈ દેવતા સળગાવશો? હું ટાઢે થરથરું છું.'

સો સખીઓ છૂટી અને ઝાડની ડાળીઓ ઝાલીને તાણવા લાગી પણ એ સુકોમળ હાથમાં એક પણ ડાળ ભાંગવાની તાકાત ક્યાંથી હોય? રાણીએ બૂમ મારી : `અલી! જુઓ, આ સામે ઘાસનાં ઝૂંપડાં રહ્યાં. એમાંથી એક ઝૂંપડાને દીવાસળી લગાવો. એના તાપમાં હું હાથપગનાં તળિયા તપાવી લઈશ.'

માલતી નામની દાસી કરુણ કંઠે બોલી: `રાણીમા! આવી તે મશ્કરી હોય! એ ઝૂંપડીમાં કોઈ સાધુસંન્યાસી રહેતા હશે કોઈ ગરીબ પરદેશી રહેતાં હશે; એ બિચારાંના એક નાના ઘરને પણ સળગાવી દેશો?'

`અહો, મોટાં દયાવંતાં બાઉ' રાણીજી બોલ્યાં: `છોકરીઓ! કાઢો અહીંથી આ દયાળુની દીકરીને અને સળગાવી દો એ ઝૂંપડું ટાઢમાં મારા પ્રાણ નીકળી જાય છે.'

`દાસીઓએ ઝૂંપડાને દીવાસળી લગાવી. પવનના સુસવાટાની અંદર જ્વાલા ભભૂકી, પાતાળ ફોડીને નીકળેલ અંગારમય નાગણીઓ જેવી એ મદોન્મત્ત સ્ત્રીઓ ગાનગર્જન કરતી કરતી માતેલી બની ગઈ.

પ્રભાતનાં પંખીઓએ પોતાના કિલકિલાટ બંધ કર્યા. ઝાડ ઉપર કાગડા ટોળે વળીને ચીસો પાડવા લાગ્યા. એક ઝૂંપડેથી બીજે ઝૂંપડે દા લાગ્યો. જોતજોતામાં તો બધાં ઝૂંપડાં ભળીને ભસ્મ થયાં.

અરુણરંગી રેશમી ઓઢણીના પાલવડા ફરકાવતાં રાણીજી, રમતાં ને ખેલતાં, સખીઓની સાથે પાછાં વળ્યાં.

*

રાજાજી ન્યાયાસન પર બેઠેલા હતા. પોતાનાં ઝૂંપડાંને રાણીજીની ટાઢ ઉડાડવા માટે આગ લાગી ગઈ એટલે ગૃહહીન બનેલાં ગરીબ લોકોએ રાજસભામાં આવી કકળાટ કરી મૂક્યો રાજાજીએ વાત સાંભળી. એની મુખમુદ્રા લાલચોળ થઈ ગઈ. તત્કાળ પોતે અંત:પુરમાં પધાર્યા.

`રાણીજી! અભાગણી પ્રજાનાં ઘરબાર બાળી ખાખ કર્યાં તે કયા રાજધર્મ અનુસાર?' રાજાજીએ પ્રશ્ન કર્યો.

રિસાઈને રાણી બોલ્યા: `કયા હિસાબે એ ગંદાં ઝૂપડાંને તમે ઘરબાર કહો છો? એ પચીસ ઝૂંપડાંનું કેટલું મૂલ્ય? રાજરાણીના એક પ્રહરના અમનચમનમાં કેટલું દ્રવ્ય ખરચાય છે, રાજાજી?'

રાજાની આંખોમાં જ્વાલા સળગી. રાણીને એણે કહ્યું : `જ્યાં સુધી આ રાજવી ઝરૂખામાં બિરાજ્યાં છે ત્યાં સુધી નહિ સમજાય કે કંગાલોનાં ઝૂંપડાં બળી જાય તો કંગાલોને દુ:ખ પડે. ચાલો, હું તમને એ વાત બરાબર સમજાવું.'

રાજાજીએ દાસીને બોલાવી આદેશ દીધો: `રાણીના રત્નાલંકારો કાઢી નાખો, એના અંગ ઉપરની સુંવાળી ઓઢણી ઉતારી લો.'

અલંકારો ઉતર્યા. રેશમી ઓઢણી ઉતરી.

`હવે કોઈ ભિખારી નારીનાં વસ્ત્રો લાવી રાણીને પહેરાવો.' રાજાએ હુકમ કર્યો.

દાસીએ આજ્ઞાનુસાર કર્યું. રાજાજીએ રાણીનો હાથ ઝાલીને રાજમાર્ગ પર લઈ ગયા. ભર મેદની વચ્ચે રાજાએ કહ્યું કે, `કાશીનાં અભિમાની મહારાણી! નગરને બારણે બારણે ભીખ માગતાંમાગતાં ભટકજો. એ ભસ્મીભૂત ઝૂંપડાં ફરી વાર ન બંધાવી આપો ત્યાં સુધી પાછાં ફરશો મા. વરસ દિવસની મુદત આપું છું. એક વરસ વીત્યે ભરસભામાં આવી, માથું નમાવી, પ્રજાને કહેજો કે થોડીએક કંગાલ ઝૂંપડીઓને સળગાવી નાખવામાં જગતને કેટલી હાનિ થઈ!'

રાજાજીને આંખોમાં આંસુ છલકાયાં; રાણીજી એ ભિખારિણીને વેસે ચાલી નીકળ્યાં. તે દિવસે રાજાજી ફરી ન્યાયાસન પર બેસી શક્યા નહિ.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED