Kurbanini Kathao - 10 books and stories free download online pdf in Gujarati

કુરબાનીની કથાઓ - 10

કુરબાનીની કથાઓ

રવીન્દ્રનાથ ટાગોર

અનુવાદ: ઝવેરચંદ મેઘાણી

1 - પ્રતિનિધિ

2 - નગરલક્ષ્મી

***

1 - પ્રતિનિધિ

સતારાના કિલ્લા પર બેઠાબેઠા શિવાજી મહારાજ એક દિવસ સવારે જોઈ રહ્યા હતા કે પોતાના ગુરુજી રામદાસ નગરને બારણે બારણે ભિક્ષા માગતા અન્નહીન વસ્ત્રહીન ભટક્યા કરે છે.

રાજાના મનમા થાય છે: `અહો! આ તે શું ધતિંગ! ગુરુજીના હાથમાં ભિક્ષાની ઝોળી! જેને ઘેર કોઈ વાતની કમીના નથી, રાજરાજેશ્વર શિવાજી જેને ચરણે પડયો છે, લોકો જેના ખોળામાં બધી સંપત ધરી દે છે, તેવા એક સાધુની વાસનાનો યે અંત નહિ! વ્યર્થ છે – ફૂટેલા વાસણમાં પાણી લાવીને તરસ છિપાવવાનું જેમ વ્યર્થ છે, તેમ આ લોબી સાધુની તૃષ્ણા મટાડવા માટે એના હાથમાં રાજલક્ષ્મી ઠાલવવી પણ વ્યર્થ છે. પણ ના, એક વખત એની પરીક્ષા તો કરવી જોઈએ. ખબર પડશે કે આ સંન્યાસીની તૃષ્ણાને તળિયું છે કે નહિ.'

એમ વિચારીને મહારાજે કાગળ-કલમ લીધાં, કાગળ પર કાંઈક લખ્યું; બાલાજીને બોલાવ્યો ને આજ્ઞા કરી કે, `ગુરુજી જ્યારે આપણે દ્વારે ભિક્ષા માગવા પધારે ત્યારે એમની ઝોળીમાં આ કાગળ ધરી દેજો.'

ભિક્ષા માગતા માગતા ગુરુજી ચાલ્યા જાય છે. અંગ ઉપ કોપીન, હાથમાં ઝૂલી રહી છે એક ઝોળી, અને ગંભીર મોંમાંથી ગાન ઝરે છે: `હે જગત્પતિ! હે શંકર! સહુને તમે રહેવાનાં ઘર દીધાં, મને જ માત્ર રસ્તે ભટકવાનું સોંપ્યું. માડી અન્નપૂર્ણા સચરાચર સર્વને પોતાને હાથે ખવરાવી રહી છે. તમે જ, હે પરમ ભિખારી! મને એ મૈયાના ખોળામાંથી ઝૂંટવી લઈને તમારો દાસ બનાવી દીધો, આ ઝોળી લેવરાવી. શી તમારી માયા, પ્રભુ!'

ગાન પુરું થયું. ગુરુજી સ્નાન કરી કિલ્લાને દરવાજે આવ્યા. બાલાજીએ નમન કરીને એનાં ચરણમાં છત્રપતિની ચિઠ્ઠી મેલી. ગુરુજીએ પત્ર વાંચ્યો. પત્રમાં લખ્યું હતું કે `ગુરુદેવ! આજથી આખું રાજ્ય હું આપને ચરણ ધરી દઉં છું. હું પણ આપને આધીન થાઉં છું.'

ગુરુજી હસ્યા. બીજે દિવસે પોતે શિવાજી મહારાજની પાસે ગયા અને બોલ્યા : `બોલ, હે બેટા! રાજ મારે કબજે સોંપી દીધું તેતી તું પણ મારા કબજામાં આવ્યો. તો હવે બોલ, તું મારા રાજ્યમાં શું કામ કરીશ! તમારામાં શી શક્તિ છે, વત્સ?'

શિવાજી મહારાજે નમન કરીને એ જવાબ વાળ્યો કે `તમે કહો કે ચાકરી કરવામાં હું મારા પ્રાણ સમર્પીશ.'

ગુરુજી કહે કે `ના રે ના, તારા પ્રાણની મને જરૂર નથી. ઉપાડી લે આ ઝોળી, અને ચાલ મારી સાથે ભિક્ષા માગવા.'

હાથમાં ઝોળી લઈને શિવાજી ગુરુદેવની સાથે દ્વારે દ્વારે ભટકે છે. મહારાજને દેખી નાનાં બચ્ચાં ઘરની અંદર દોડી જાય છે અને આ તમાશો જોવા પોતાનાં માબાપને બોલાવી લાવે છે. અખૂટ વૈભવનો ધણી, બાદશાહોને પણ ધ્રુજાવનારો બહાદુર, અપરંપાર અનાથોનો સ્વામી શિવાજી આજ ઝોળી લઈને નીકળ્યો છે. એ જોઈને શિલા સમાન હૈયાં પણ પીગળી જાય છે. લોકો લજ્જાતી નીચે મોંયે ભિક્ષા આપે છે. ઝોળીમાં અનાજ નાખતા હાથ થરેથરે છે. નગર આખું વિચારે છે કે `વાહ રે મહાપુરુષોની લીલા!'

દુર્ગની અંદર બપોરના ડંકા વાગ્યા, ને કામકાજ છોડીને નગરજનો વિસામો લેવા લાગ્યા. ગુરુ રામદાસ તો એકતારા ઉપર આંગળી ફેરવતા ગાન ગાતા જાય છે; એની આંખોમાંથી અશ્રુધારા ચાલી જાય છે. શું હતું એ ગાન! `હે ત્રિલોકના સ્વામી! તારી કલા નથી સમજાતી. તારે ઘેર તો કશી યે કમીના નથી. તો યે માનવીના હૃદયને હૃદયે આમ ભિક્ષા માગતો કાં ભટકે છે, ભગવાન? તારે ત્યાં શાનો તોટો રહ્યો, સ્વામી? કંગાળ માનવીના અંતરમાં તેં અવી શી શી દોલત દીઠી, કે એ મેળવવા માટે પ્રત્યેકની પાસે તું કાલાવાલા કરી રહ્યો છે, રામ?'

ગુરુ ગાતા ગાતા રખડે છે. શિવાજી પાછળ પાછળ ચાલ્યા જાય છે. આખરે સાંજ પડી. નગરની એક બાજુ નદીને કિનારે સ્નાન કરીને ગુરુએ ભિક્ષામાં આણેલું અનાજ રાંધ્યું પોતે લગાર ખાધું, બાકીનું શિષ્યો જમી ગયા.

શિવાજીએ હસીને કહ્યું : `રાજપદનો ગર્વ ઉતારીને તમે મને ભિખારી બનાવ્યો છે, હે ગુરુદેવ! તો હવે બોલો, ફરમાવો, બીજી શી શી ઈચ્છા છે?'

ગુરુદેવ બોલ્યા : `સાંભળ ત્યારે. મારે માટે પ્રાણ અર્પવાની તેં પ્રજ્ઞા કરી છે. તો હવે ઉપાડી લે મારો ભાર. આજ આ નાની ઝોળીનો ભાર નથી ઉપાડવાનો, આ નાનકડી નગરીમાં નથી ભટકવાનું. આજ તો મારે નામે, મારો પ્રતિનિધિ બની ફરી વાર આ રાજગાદી સંભાળી લે. બેટા! મારું સમજીને રાજ્ય રક્ષજે. રાજા બન્યા છતાં યે હૃદય ભિક્ષુકનું રાખજે. લે આ મારા આશીર્વાદ, અને સાથે સાથે મારું ભગવું વસ્ત્ર. વૈરાગીના એ વસ્ત્રનો રાજધ્વજ બનાવીને તારા કિલ્લા પર ચડાવી દેજે. આજથી આ રાજ્ય નથી એને ઈશ્વરનું દેવાલય સમજજે. જા બેટા! કલ્યાણ કર જગતનું.'

એ મનોહર સંધ્યાકાળે, ગીતો ગાતી એ નદીને કિનારે નીચું માથું નમાવી શિવાજી શાંત બેસી રહ્યા. લલાટ ઉપર જાણે ફિકરનાં વાદળાં જામી પડયાં. ગોવાળની વાંસળી થંભી ગઈ. ગાયો ગામમાં પોહંચી ગઈ. સૂર્ય પણ સંસારને સામે કાંઠે તરી ગયો. શિવાજી મહારાજ સ્તબ્ધ બનીને બેસી જ રહ્યા. લૂંટારો બનીને રાજ્ય ચલાવવું સહેલ હતું, પણ આજ સાધુ બનીને સિંહાસને શી રીતે બેસાશે?

નદીને કિનારે પર્ણકુટીમાં તો તંબૂરાના તાનમાં ગુરુદેવના પૂરબી રાગિણીનાં ગાન ગુંજી ઉઠયાં હતાં: `મને રાજાના શણગાર સજાવીને સંસારમાં બેસાડયો, ને તમે તો છુપાઈને છેડે જઈ બેઠા! તમે કોણ છો, હે રાજાધિરાજ? મેં તો તમારી પાદુકા આણીને તખ્ત પર પધરાવી છે, પ્રભુ! હું તો તમારા પગના બાજઠ પાસે બેઠો છું. સિંહાસન પર મારું આસન હોય નહિ, હરિ! હવે તો આ જિંદગીની સંધ્યા આવી પહોંચી. હવે ક્યાં સુધી બેસાડી રાખશો, રાજા! હવે તો આવીને આપનું રાજ્ય સંભાળી લો, સ્વામી!'

શિવાજી મહારાજે એ ગાન સાંભળ્યું અને એ ભગવા ઝંડાને જગત પર અમર બનાવ્યો.

***

2 - નગરલક્ષ્મી

શ્રાવસ્તી નગરમાં દુકાળ પડયો. પ્રજામાં હાહાકર થઈ રહ્યો. પોતાનાં ભક્તજનોને ભેગાં કરીને બુદ્ધ ભગવાને સવાલ કર્યો : `બોલો પ્રિયજનો! ભૂખ્યાંને અન્ન દેવા તમારામાંથી કોણ કમ્મર બાંધે છે?'

ગુરુદેવનો સવાલ સાંભળીને રત્નાકર શેઠે માથું નીચું ઢાળ્યું અને હાથ જોડીને જવાબ દીધો: `આવા વિશાળ નગરને માટે અન્ન પહોંચાડવાની મારી શક્તિ નથી, પ્રભુ!'

ત્યાર પછી ગુરુદેવનાં નિરાશ નયનો સેનાપતિ જયસેનના મોં પર પડયાં. જયસેને જવાબ વાળ્યો: `છાતી ચીરીને હૃદયનું લોહી દેવાથી જો પ્રજાનો પ્રાણ ઉગરી શકે તો પલવારમાં હું કાઢી આપું. પ્રભુ! પણ મારા ઘરમાં એટલું અનાજ ક્યાંથી હોય?'

નિ:શ્વાસ નાખીને ધર્મપાલ બોલી ઉઠયો: `હું તો ભાગ્યહીન છું, પ્રભુ! મારા સોના સરખા ખેતરમાંથી દુકાળે બધો કસ શોષી લીધો; હું રાજ્યનો કર પણ કેવી રીતે ભરી શકીશ?'

બધાં એકબીજાંનાં મોં સામે જોવા લાગ્યાં. કોઈ જવાબ દેતું નથી. ચુપચાપ બની ગયેલી એ મેદનીમાં, ભૂખથી પીડાતાં એ પ્રજાજનોની સામે, બુદ્ધ ભગવાનની કરુણાળુ આંખો સંધ્યાકાળના ઉદાસ તારાની માફક ચોંટી રહી.

ત્યારે પછી એ સમુદાયની અંદરથી એક રમણી ઉભી થઈ. લાલ એનું લલાટ છે અને શરમમાં નીચું નમેલું એનું માથું છે. ગૌતમ પ્રભુના સાચા શિષ્ય અનાથપિંડદની એ દીકરી સુપ્રિયા હતી. વેદનાથી એની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં. બુદ્ધદેવના ચરણની રજ લઈને મધુર કંઠે બાઈ બોલી: `હે દેવ! આજે જ્યારે સહુએ નિ:શ્વાસ નાખી આપને નિરાશ બનાવ્યા છે, ત્યારે હું એક પામરમાં પામર સેવિકા આપની આજ્ઞા માથે ચડાવી લઉં છું. અનાજ વિના આજે જે માનવીઓ કલ્પાંત કરી રહ્યાં છે, તે બધાં મારાં જ સંતાનો સરખાં લાગે છે. નગરમાં આંગણે આંગણે અનાજ પહોંચાડવાનો ભાર આજે હું મારે માથે ધરી લઉં છું.'

સાંભળનારાં સહુ લોકોને નવાઈ લાગી. ગુરુદેવના માનીતા શિષ્યોમાંથી કોઈ હાંસી કરવા લાગ્યું, કોઈ ગુસ્સે થઈ ગયું, કોઈને લાગ્યું કે સુપ્રિયા પાગલ બની ગઈ છે. સખ્ત અવાજે સહુ એને પૂછવા લાગ્યા : `ઓ ભિખ્ખુની દીકરી! તું પોતે પણ ભિક્ષુણી! એટલું બધું અભિમાન ક્યાંથી આવી ગયું કે તું આવું વિકટ કામ તારે માથે ઉપાડી લે છે? તારા ઘરમાં એવા શા ભંડાર ભર્યા છે, ભિખારણ?'

બધાની પાસે માથું નમાવીને સુપ્રિયા બોલી: `મારી પાસે બીજું કાંઈ યે નથી; રહ્યું છે ફક્ત આ ભિક્ષાપાત્ર. હું તો પામર નારી છું, સહુથી ગરીબ છું. પરંતુ હે પ્રિયજનો! દયાના બળે જ ગુરુદેવની આજ્ઞા સફળ થશે, મારી શક્તિથી નહિ. મારો ભંડાર તો તમારા સહુના ઘરેઘરમાં ભર્યો છે. તમારી સહુની ઈચ્છા સાચી હશે તો મારું આ પામર ભિક્ષાપાત્ર પણ એક અક્ષયપાત્ર બની જશે. હું તમારે દ્વારે દ્વારે ભટકીશ ને તમે જે દેશો તે ભૂખ્યાંને ખવરાવીશ. માતા વસુંધરા જીવતી છે, ત્યાં સુધી શી ખોટ છે?'

ગુરુદેવે આશીર્વાદ દીધા, લોકોએ પોતાના ભંડાર એ ભિક્ષુણીના ભિક્ષાપાત્રમાં ઠાલવ્યા, અને આખી નગરી ભૂખમરામાંથી ઉગરી ગઈ.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED