Kurbanini Kathao - 4 books and stories free download online pdf in Gujarati

કુરબાનીની કથાઓ - 4

કુરબાનીની કથાઓ

રવીન્દ્રનાથ ટાગોર

અનુવાદ: ઝવેરચંદ મેઘાણી

1 - અભિસાર

2 - વિવાહ

***

1 - અભિસાર

મથુરા નગરીના ગઢની રાંગે એક સંન્યાસી સૂતેલા છે. એનું નામ ઉપગુપ્ત.

શ્રાવણ મહિનાની ઘોર રાત્રિ જામતી હતી. નગરનાં દીવા પવનને ઝપાટેઝપાટે બુઝાતા હતા. ગામના દરવાજા ધીરેધીરે બંધ થવા લાગ્યા. નગરને કાંગરે દીવા નથી. ઘનઘોર આકાશમાંયે તારા નથી.

એકાએક સૂતેલા સંન્યાસી અંધારામાં કેમ ઝબકી ઉઠયો? ઝાંઝરના ઝંકાર કરતો એ કોનો મધુર ચરણ એની છાતી સાથે અફળાયો?

ક્ષમાથી ભરપૂર એ યોગીની આંખો ઉપર એક ગુપ્ત દીવાનું આસમાની અજવાળું પડયું. એ કોણ હતું?

એ તો મથુરાપુરીની સર્વશ્રેષ્ઠ નટી પેલી વાસવદત્તા: આજ અંધારી રાતે એ કોઈ પ્રિયતમની પાસે જવા નીકળી છે. એના આસમાની ઓઢણાની અંદરથી યૌવન ફાટફાટ થતું તોફાને ચડયું છે. અંગ ઉપર આભૂષણો રણઝણી રહેલાં છે. મદોન્મત્ત એ રમણી આજ તો વળી વહાલાને ભેટવા સારુભાન ભૂલેલી છે. પૂરજોશમાં એ ધસ્યે જાય છે. અચાનક અંધારામાં એના કોમળ પગ સાથે સંન્યાસીનું શરીર અફળાયું. વાસવદત્તા થંભીને ઉભી રહી.

ઓઢણાના છેડામાં છુપાવેલો ઝીણો દીવો ધરીને એ સુંદરી સાધુના મોં સામે નિહળી રહી. સુકુમાર ગૌર કાંતિ: હાસ્યભરીએ તરુણાવસ્થા: નયનોમાં કરુણાનાં કિરણો ખેલે છે: ઉજજ્વળ લલાટની અંદર જાણે ચંદ્રની શીતળ શાંતિ દ્રવે છે. શાં અલૌલિક રૂપ નીતરતાં હતાં!

હાય રે રમણી! આવું રૂપ આજે ધરતી ઉપર રગદોળાય છે! એને ઢાંકવા પૂરાં વસ્ત્રો પણ નથી. તું શું જોઈ રહી છે? શામાં ગરક થઈ ગઈ છે, હે નારી? પગ ઉપાડ, પગ ઉપાડ. રાજમહેલનો નિવાસી કોઈ પ્રેમી તારી વાટ જોતો ઝરૂખામાં ઉભો તલતો હશે.

સંન્યાસીનાં ચરણ સ્પર્શીને વાસવદત્તા દીન વચને બોલી : `હે કિશોરકુમાર! અજાણ્યે આપને વાગી ગયું. મને માફ કરશો?'

કરુણામય કંઠે સાધુ બોલ્યા : `કંઈ ફિકર નહિ, હે માતા! સુખેથી સિધાવો. તમારે વિલંબ થતો હશે.'

તો યે આ અભિસારિકા કાં હટતી નથી? એના પગ કોણે ઝાલી રાખ્યા છે?

ફરી વાર એ દીન અવાજે બોલી: `હે તપસ્વી! આવું સુકોમળ શરીર આ કઠોર ધરતી ઉપર કાં રગદોળો છો? નિર્દય લોકોએ કોઈએ એક સુવાળું બિછાનું ય ન કરી આપ્યું?'

સાધુએ અબોલ રહીને હસ્યા જ કર્યું.

`મારે ઘેર પધારશો? એકાંતમાં પથારી કરી આપીશ. પધારો, હું પાછી વળું.'

`હે લાવણ્યના પુંજ! આજે તો જેનો વારો છે તેની પાસે જ જઈ આવો. એક દિવસ મારો પણ વારો આવશે ત્યાહે હું વિનાબોલાવ્યે તમારી કુંજમાં ચાલ્યો આવીશ. આજે તો સિધાવો જેને કોલ દીધો છે તેની પાસે.'

એટલી વારમાં તો અંધારેલાં વાદળાં તૂટી પડયાં. આકાશનું હૃદય ચીરીને વીજળી જાણે ઘર છોડી અભિસાર કરવા નીકળી પડી. ઘોર ગર્જના થઈ. જાણે પ્રલયના શંખ ફૂંકાયા. ત્રાસથી એ રમણી કંપી ઉઠી કોને માલૂમ છે કે ક્યાં સુધી એ કોમલાંગી ભિંજાણી હશે, થરથર કંપી હશે ને રડી હશે! એનો અભિસાર એ રાત્રીએ અધૂરો રહ્યો.

*

શ્રાવણ મહિનો વીતી ગયો. ત્યાર પછી તો ઘણા યે મહિના આવ્યા ને ગયા. ચૈત્ર માસની સાંજ પડે છે. વ્યાકુળ બનીને વાયુ જાણે કોઈને ભટવા ચાલ્યો છે. માર્ગ પરનાં તરુવરોને કૂંપળો ફૂટી છે. રાજાજીના બગીચામાં આજે બોરસલ્લી અને પારિજાતકનાં અપરંપાર ફૂલો મહેકી ઉઠયાં છે. મથુરા નગરીના તમામ નરનારીઓ આજે મધુવનમાં વસંતોત્સવ કરવા ગયાં છે. નિર્જન એ નગરીના ઝરૂખાઓમાં ડોકિયાં કરીકરીને આકાશનો ચંદ્ર મલકી રહ્યો છે. દૂરદૂરથી ગળાઈને બંસીના સ્વરો આવે છે. ચંદ્રના એ અજવાળામાં નિર્જન રાજમાર્ગ ઉપર એ કોણ ચાલ્યો જાય છે? એ તો પેલો સંન્યાસી ઉપગુપ્ત, પણ એ સંન્યાસી રાત્રે કાં રખડે?

દૂર દૂરથી બંસરીના સ્વરો આવે છે: માથે વૃક્ષોની ઘટામાંથી કોયલ ટહુકે છે: સામે ચંદ્ર હસે છે: આજે એ તપસ્વીની અભિસાર-રાત્રિ આવી પહોંચી કે શું?

નગર છોડીને તપસ્વી ગઢની રાંગે રાંગે ચાલ્યો. અજવાળું વટાવીને આંબાની અંધારી ઘટામાં પેઠો. એકાએક એના પગ થંભ્યા. એ પગની પાસે શું પડયું હતું?

દુર્ગંધ મારતું એક માનવશરીર: આખા અંગમાં રોમરોમમાં શીતળાનો દારુણ રોગ ફૂટી નીકળેલો છે. આખો દેહ લોહી-પુરમાં લદબદ થઈ ગેગી ગયો છે. કાયા સળઘીને જાણે કાળી પડી ગઈ છે.

ગામનાં લોકોએ ચેપી રોગમાં પિડાતી કોઈ બિચારી સ્ત્રીને ઘસડીને નગરની બહાર નાખી દીધેલી છે.

પાસે બેસીને સંન્યાસીએ એ બીમારનું માથું ઉપાડી ધીરેધીરે પોતાના ખોળામાં ધર્યું, `પાણી પાણી'નો પોકાર કરતા એ બે હોઠ ઉપર શીતળ પાણી રેડયું. કપાળ ઉપર પોતાનો સુકોમળ શીતળ હાથ મેલીને શાંતિનો મંત્ર ગાયો, ચંદનનો લેપ લઈને એ સડેલા શરીરને અંગે પોતાને હાથે મર્દન કર્યું ને પછી દરદીને મધુર અવાજે પૂછયું: `કાંઈ આરામ વળે છે, હે સુંદરી?'

`તમે કોણ, રે દયામય! તમે ક્યાંથી આવ્યા?'

દુર્બળ અવાજે દરદીએ પ્રશ્ન કર્યો, એની આંખોમાંથી આંસુની ધારા છૂટી.

મંદમંદ મુખ મલકાવીને સાધુ કહે છે: `ભૂલી ગઈ, વાસવદત્તા? શ્રાવણ માસની એ ઘનઘોર રાત્રીએ આપેલ કોલ શું યાદ નથી આવતો? આજે મારા અભિસારની આ મીઠી રાત્રી આવી છે, વાસવદત્તા!'

આંબાની ઘટામાંથી મંજરીઓ ઝરી, કોયલ ટહુકી, ચંદ્ર મલક્યો, યોગીનો અભિસાર ઉજવાયો.

***

2 - વિવાહ

રાતનો બીજો પહોર જામતો ગયો તેમ શરણાઈઓમાંથી બિહાગના સૂર નીકળવા લાગ્યા. ઢોલનગારાંનો કોલાહલ બંધ છે, માયરાની નીચે છેડાછેડી બાંધેલ વરકન્યા આંખો નમાવીને સપ્તપદીના મંત્રો સાંભળી રહ્યાં છે. ચોપાસના ઝરૂખાઓની બારીઓ ખોલીખોલીને નગરની રમણીઓ ઘૂમટાનાં ઝીણાં બોકારામાંથી વર-કન્યાને જોઈ રહી છે. અષાઢના નવમાં દિવસની એ ઝરમર ઝરમર વરસતી રાત્રીએ ધીરુંધીરું આકાશ ગરજે છે, ને ધરતી ઉપર ધીરીધીરી શરણાઈ બોલે છે. એ કોણ પરણે છે?

એક ક્ષત્રિય રાજા પરણે છે: મારવાડનો એક મંડળેશ્વર: મેડતાનો તરુણ રાજા શરણાઈના એકલા સૂર ક્ષત્રિયના વિવાહમાં નહિ તો બીજે ક્યાં વાગે?

ઈશાન ખૂણામાંથી વાયુના સુસવાટા વાય છે. આકાશની છાતી ઉપર વાદળાં ઘેરાય છે. માયરામાં મણિજડિત ઝુમ્મરો લટકે છે; દીવાઓ જાણે એ મણિઓની અંદર પોતાનાં હજારો પ્રતિબિમ્બો નિહાળી નિહાળીને નાચી રહ્યા છે. જ્યોતિઓથી ઝળહળતા એ લગ્નમંડપમાં અચાનક કોણ વિદેશી આવીને ઉભો રહ્યો? દરવાજે આ રણભેરી કોણ બજાવી? આ ગઢના નગારા પર ડાંડી કેમ પડી? જાનૈયાઓ વીજળીના ચમકારાની જેમ ખડા કેમ થઈ ગયા? તલવાર ખેંચીને ક્ષત્રિયો વરકન્યાની આસપાસ કાં વિંટાઈ વળ્યા? કોઈ યમદૂત આવી પહોંચ્યો કે શું?

ના; એ તો મારવાડરાજનો દૂત આવ્યો છે. વરરાજાના હાથમાં એક લોહીછાંટેલો કાગળ મૂકે છે અને સંદેશો સંભળાવે છે: `દુશ્મનો મારવાડમાં આવીને ઉભા છે, મરધરપતિ રામસિંહ રણે ચઢી ચૂક્યા છે. જોધાણનાથે કહાવ્યું છે કે હે માંડળિકો! હથિયાર લઈને હાજર થજો, બોલો રાણા રામસિંહનો જય!'

મેડતાનો રાજા માયરામાં ઉભોઉભો ગરજી ઉઠયો કે `જય, રાણા રામસિંહનો જય!' એની ભ્રૂકુટિ ખેંચાઈ ગઈ અને કપાળ પર પરસેવાનાં બિન્દુ જામ્યાં. પરણતી કન્યાની નમેલી આંખોમાં આંસુ છલછલ થાય છે. એનું અંગ થરથર થાય છે. પુરુષ પોતાની પરણેતરની સામે ત્રાંસી એક નજર નાખવા જાય ત્યાં દૂત બૂમ પાડી ઉઠયો કે `રાજપૂત, સાવધાન! હવે સમય નથી.' એ ભીષણ અવાજથી આંખો મંડપ જાણે કંપી ઉઠયો: દીવાની જ્યોતો જાણે થંભી ગઈ.

`અશ્વ લાવો, રે કોઈ દોડો! અશ્વ લાવો.' રાજાએ સાદ કર્યો. ચાર નેત્રો મળી ન શક્યાં. મુખમાંથી વિદાયનો એક ઉચ્ચાર પણ ન કરી શકાયો. એ વીરની છાતીમાંથી આંસુ ઉઠયાં. તે આંખોને ખૂણે આવીને જ પાછાં વળી ગયાં. હણહણતો અશ્વ આવી પહોંચ્યો.

એ-નો એ લગ્નમુગંટ, એ ની એ ગુલાબભરી અંગરખી, હાથમાં એ-નો એ મંગળ મીંઢોળ: ને રાજા અશ્વ ઉપર ચડી ચાલી નીકળ્યો. કન્યા તો ધોડાના ડબલા સાંભળતી રહી. મંડના દીવા મણિમાળામાં પોતાનાં મોં નિહાળતાં રહ્યાં. પુરોહિતનો મંત્રોચ્ચાર અરધે આવીને ભાંગી ગયો, અને શરણાઈના સૂરો શરણાઈના હૈયામાં જ સમાયા. અધૂરી રહેલી સપ્તપદી હવે ક્યારે પૂરી થવાની હશે?

કન્યાને અંત:પુરમાં લાવીને માએ રડતાંરડતાં કહ્યું : `અભાગણી દીકરી! પાનેતર ઉતારી નાખ. મીંઢોળ છોડી નાખ, ગયેલો ઘોડેસ્વાર હવે ક્યાંથી પાછો આવે?'

કુમારી કહે : `પાનેતર ઉતારવાનું કહેશો નહિ માડી! ને બાંધ્યા મીંઢોળ હવે છૂટવાના નથી. આ વેશે જ હું હમણાં મેડતાપુરને માર્ગે ચાલી નીકળીશ. ચિંતા કરશો નહિ, મા! રજપૂત પાછો આવ્યા વિના રહેશે નહિ. અધૂરા રહેલા ફેરા ત્યાં જઈને ફરી લેશું.'

પુરોહિતે આવીને આશીર્વાદ દીધો. દુર્વાનાં પવિત્ર તરણાં સાથે બંધાવ્યાં. નગરની નારીઓનાં મંગળ ગીત સાંભળતી રાજકુમારી વેલડીમાં બેઠી. સાથે રંગીન વસ્ત્રો પહેરીને દાસદાસીઓ નીકળ્યાં.

માતા બચ્ચી ભરીને કહે છે કે, `બેટા! આવજે હો!'

એની આંખમાં આંસુ સમાયાં નહિ.

બાપુ માથે હાથ મેલીને બોલ્યા : `દીકરી! આવજે હો!' એણે મોં ફેરવી લીધું.

છાનીમાની એણે આંખો લૂછી. ઘૂઘરિયાળી વેલ્ય ધૂળના ગોટા ઉડાડતી પાદર વટાવી ગઈ. નદીને પેલે પાર ઉતરી ગઈ. સ્મશાનની પડખે થઈને નીકળી ગઈ. માબાપ જોઈ રહ્યાં. ઓ જાય! ઓ દેખાય! ઓ આકાશમાંથી મળી જાય! ઓ શરણાઈનો સૂર સંભળાય!

અધરાત થઈ અને મેડતાપુરના દરવાજા પાસે મશાલોનો પ્રકાશ ઝળહળી ઉઠયો: શરણાઈઓના ગહેકાટ સાથે રાજકુમારી આવી પહોંચી.

નગરને દરવાજે પ્રજાજનોની મેદની જામેલી છે. સહુનાં અંગ ઉપર સફેદ વસ્ત્રો છે.

પ્રજાજનો બૂમ પાડી ઉઠયા: `શરણાઈ બંધ કરો.'

શરણાઈ બંધ પડી. દાસદાસીઓ પૂછયું : `શી હકીકત છે?'

નગરજનો બોલી ઉઠયા: મેડતાના રાજા આજે યુદ્ધમાં મરાયા. આંહીં એની ચિતા ખડકાય છે. એને અગ્નિદાહ દેવાશે.' કાન માંડીને રાજકુમારીએ વાત સાંભળી. આંસુનું એકે ટીપું પણ એ બે આંખોમાંથી ટપક્યું નહિ. વેલડીને પડદો ખોલીને કુમારીએ હાકલ મારી: `ખબરદાર! શરણાઈ બંધ કરશો મા! આજે અધૂરાં લગ્ન પૂરાં કરશું. છેડાછેડીની જે ગાંઠ બંધાઈ છે તેને ફરી ખેંચી બાંધશું. આજે સ્મશાનના પવિત્ર અગ્નિદેવની સમક્ષ, ક્ષત્રિયોની મહાન મેદની વચ્ચે સપ્તપદીના બાકી રહેલા મંત્રો બોલશું. બજાવો શરણાઈ, મીઠામીઠા સૂરની બધીયે રાગરાગણીઓ બજાવી લો.'

ચંદનની ચિતા ઉપર મેડતારાજનું મૂર્દુ-સૂતું છે. માથા પર એ નો એ લગ્નમુગટ, ગળામાં એ-ની એ વરમાળા: કાંડા ઉપર એ-નો એ મીંઢોળ: વિવાહ વખતનું એ મૃદુ હાસ્ય. હજુ હોઠ ઉપર ઝબકી રહ્યું છે. મૃત્યુએ એ વરરાજાની કાંતિનું એક કિરણ પણ નથી ઝૂંટવી લીધું. સૂતેલો વરરાજા શું કન્યાની વાટ જોતો જોટા મલકી રહ્યો છે? વેલ્યમાંથી રાજકુમારી નીચે ઉતર્યાં. છેડાછેડી બાંધીને વરરાજાના ઓશીકા આગળ બેઠાં. સૂતેલા સ્વામીનું માથું ખોળામાં લીધું. પુરોહિતે સપ્તપદીનો ઉચ્ચાર આરંભ્યો.

નગરની નારીઓનાં વૃંદ આવીને મંગત ગીતો ગાય છે, પુરોહિત `ધન્ય ધન્ય' પુકારે છે. ચારણો વીરાંગનાનો જયજયકાર બોલાવે છે, અને ભભડાટ કરતી ચિતા સળગી ઉઠે છે.

જય હો એ ક્ષત્રિય યુગલનો!

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED