Kurbanini Kathao - 1 books and stories free download online pdf in Gujarati

કુરબાનીની કથાઓ - 1

કુરબાનીની કથાઓ

રવીન્દ્રનાથ ટાગોર

અનુવાદ: ઝવેરચંદ મેઘાણી

પૂજારિણી

અઢી હજાર વર્ષની જૂની આ વાત છે. મગધ દેશના રાજા બિમ્બીસારે પ્રભુ બુદ્ધને આજીજી કરી, કે `હે દેવ! શ્રીચરણના નખની એક કણી મળે તો બહુ જ સુખ પામીશ.'

`એ કણી લઈને જગતમાં શાં શાં ધતિંગ ફેલાવવા માગો છો, ભૂપતિ?' બુદ્ધે હસીને પૂછ્યું.

`એક જ ધતિંગ, પ્રભુ! અહિંસા અને સત્ય ખાતર આત્મસમર્પણનો સંદેશ.'

રાજબગીચાની અંદર એક ખૂણામાં નખની એ કણી દાટીને એના ઉપર બિમ્બીસારે સુંદર સ્તૂપ ચણાવ્યો. દેશદેશના કારીગરોએ આવીને સ્તૂપ ઉપર બારીક નકશી મૂકી. એ પથ્થરો જાણે હમણાં બોલી ઉઠશે, પોતાના જ રૂપ ઉપર મુગ્ધ બનીને પથ્થરો નાચી ઉઠશે, એવી શોભા શિલ્પકારોએ વિસ્તારી દીધી.

રોજ સાંજ પડે ત્યારે મહારાજનાં મહારાણી અને રાજબાળાઓ સ્નાન કરે, શુદ્ધ વસ્ત્રો પહેરે, છાબડીમાં ફૂલો વીણે અને સોનાની થાળીમાં પૂજાની સામગ્રી ભરીને સ્તૂપ પાસે પધારે. સ્તૂપની આસપાસ ફૂલોની માળા રાત્રિભર મહેકી રહે; અને કનકની આરતીમાં દીવાઓની જ્યોતિમાલા પરોઢ સુધી ઝળહળી રહે.

સંધ્યાએ સંધ્યાએ નવી પૂજા, નવાં પુષ્પો અને નવી જ્યોતિકાઓ.

*

વર્ષો વીત્યાં. બિમ્બીસાર રાજા મરણ પામ્યા. યુવરાજ અજાતશત્રુ સિંહાસને બેઠા. બ્રાહ્મણધર્મના એ ભક્તે નગરીમાં લોહીની નદીઓ વહેવડાવી, ને પિતાનો ધર્મ ઉખેડી નાખ્યો. યજ્ઞની જ્વાલાઓની અંદર એણે બૌદ્ધ ધર્મના શાસ્ત્રો સમર્પી દીધાં. રાજનગરીમાં એણે સાદ પડાવ્યો કે, `ખબરદાર! પૂજાનાં ત્રણ જ પાત્રો છે: વેદ, બ્રાહ્મણ અને રાજા. ચોથા કશાની યે પૂજા કરનારનો હું પ્રાણ લઈશ.'

નગરીનાં નરનારીઓ કમ્પી ઉઠયાં; બુદ્ધના નામનો ઉચ્ચાર બંધ થયો; યજ્ઞની વેદીમાંથી ઠેરઠેર જ્વાલાઓ છૂટી ને ખાઉંખાઉં કરતી આકાશમાં ચડવા લાગી.

સાદ પડયો તે દિવસની સાંજ આવી. રાજમહેલની એક દાસી નહાઈધોઈને તૈયાર થતી હતી: ફૂલો અને દીવાઓ સજ્જ કરતી હતી; એના હોઠ ઉપર બુદ્ધદેવના નામોચ્ચાર રમતા હતા.

એવી તે એ નારી કોણ છે? કાં એને ભય નથી? એણે શું રાજ-આજ્ઞા નથી જાણી?

શ્રીમતી નામની એ દાસી હતી. રોજ સાંજે રાજરમણીઓ સ્તૂપની પૂજા કરવા જાય ત્યારે આ અભણ ને અજ્ઞાન દાસી પૂજાની સામગ્રી સજ્જ કરી હાથમાં ઉપાડી પૂજનારીઓની સાથે જતી; જઈને આઘે એક ખૂણામાં ઉભી રહેતી; કાંઈ આવડે તો નહિ, પણ આંખો મીંચીને ઉભીઉભી રોજ એ કાંઈક બબડયા કરતી. એની કાલીઘેલી વાતો કેમ જાણે કોઈ અંતરિક્ષમાં સાંભળતું હોય. મીઠા મીઠા ઉત્તર દેતું હોય, તેમ આ દાસી છાનીમાની હસ્યા કરતી.

રાજ-આજ્ઞા એણે સાંભળી હતી.

ધૂપદીપ લઈને દાસી શ્રીમતી રાજમાતાની પાસે આવી ઉભી રહી : બોલી કે `બા! પૂજાનો સમય થયો.'

મહારાણીનું શરીર થરથરી ઉઠયું. ભયભીત બનીને એ બોલ્યાં : `નાદાન! નથી જાણતી? સ્તૂપ ઉપર ધૂપદીપ કરનારાંને કાં તો શૂળી મળશે, કાં તો કાળું પાણી મળશે. ભાગી જા ગોલી! પૂજાનું નામ હવે લેતી ના!'

શ્રીમતી પાછી વળીને રાજરાણી અમિતાને ઓરડે પહોંચી. રત્નજડિત આરસી ધરીને રાણીજી અંબોડો વાળતાં હતાં, ને સેંથામાં છટાથી હીંગળો પૂરતાં હતાં.

શ્રીમતીના હાથમાં પૂજાની સામગ્રી જોઈને રાણીજી ઝબક્યાં; હાથ હલી જવાથી એનો સેંથો વાંકોચૂંકો થઈ ગયો.

શ્રીમતી કહે : `રાણીજી! પૂજાનો સમય થયો.'

રાણી બોલ્યાં : `સાથે સાથે મરવાનો પણ સમય થયો છે કે શું? જલદી ચાલી જા અહીંથી. કોઈ જોશે તો રાજાજીનો કોપ સળગશે. મૂરખી! પૂજાના દિવસો તો ગયા.'

આથમતા સૂર્યની સામે ઝરૂખો ઉઘાડીને રાજકુમારી શુકલા એકલાં પડયાં પડયાં કવિતાનું પુસ્તક વાંચવામાં મગ્ન હતાં. ઝાંઝરનો ઝણકાર સાંભળી બારણા સામે જુએ – ત્યાં તો પૂજાનો થાળ લઈને ઉભેલી શ્રીમતી!

`કુંવરીબા! ચાલો પૂજા કરવા.'

`જા એકલી તું મરવા!'

*

નગરને બારણેબારણે શ્રીમતી રખડી; એણે પોકાર કર્યો કે `હે નગરનારીઓ! પ્રભુની પૂજાનો સમય થયો, ચાલો, શું કોઈ નહિ આવો? રાજાજીની શું આટલી બધી બીક? પ્રાણ શું આટલા બધા વહાલા?'

કોઈએ બારણાં ભીડી દીધાં, કોઈએ શ્રીમતીને ગાળો દીધી. કોઈ સાથે ચાલ્યું નહિ. શ્રીમતી એ રમ્ય સંધ્યાકાળની સામે જોઈ રહી. દિશાઓમાંથી ઊંચે ઉભુંઉભું જાણે કોઈ કહેતું : `સમય જાય છે, પુત્રી શ્રીમતી! પૂજાનો સમય જાય છે.' શ્રીમતીનું મોં પ્રકાશી ઉઠયું; એ ચાલી.

દિવસની છેલ્લી પ્રભા અંધારામાં મળી ગઈ. માર્ગ આખો નિર્જન અને ભયાનક બન્યો. લોકોનો કોલાહલ ધીરેધીરે બંધ પડયો. રાજાજીના દેવાલયમાંથી આરતીના ડંકા સંભળાયા. રાત પડી. શરદનાં અંધકારમાં અનંત તારાઓ ઝબૂકી ઉઠયા. દ્વારપાળે રાજમહેલનાં બારણાં બંધ કરી બૂમ પાડી કે `કચેરી બરખાસ્ત!'

એ મોડી રાતે રાજમહેલના પહેરેગીરો એકાએક કેમ ચમકી ઉઠયા? એમણે શું જોયું? ચોર? ખૂની? કે કોઈ ભૂતપ્રેત?

ના, ના! એમણે જોયું કે રાજબગીચાને એક ખૂણે, ગાઢ અંધકારની અંદર, બુદ્ધદેવના સ્તૂપની ચોપાસ કોઈક દીપમાળ પ્રગટાવી રહ્યું છે.

ખુલ્લી તલવાર લઈને નગરરક્ષકો દોડતા આવ્યા. સ્તૂપની પાસે જઈ જુએ છે, તો એક સ્ત્રી સ્તૂપની સામે ઘૂંટણ પર બેઠી છે; એની બિડાયેલી આંખો અને કાંઈક બડબડી રહેલા હોઠ ઉપર એક હાસ્ય ફરકી રહેલું છે. અંતરિક્ષમાં તને એ કોણ મિત્ર મળ્યો હતો, ઓ તરુણી?

નગરપાલે આવીને એ ધ્યાનભગ્ન શરીરને ઢંઢોળ્યું; સવાલ કર્યો કે `મૃત્યુને માથે લઈ અહીં આરતી કરનારી ઓ ફીટેલી! કોણ છે તું?'

`હું શ્રીમતી: બુદ્ધ ભગવાનની દાસી.'

ઉઘાડી તલવાર શ્રીમતીની ગરદન પર પડી. સ્તૂપનો એ પવિત્ર પાષાણ તે દિવસે લોહીથી ભીંજાઈને વધુ પવિત્ર બન્યો.

શરદ ઋતુની એ નિર્મળ રાત્રીએ, રાજબાગના ખૂણાની અંદર, એકાકી ઉભેલા એ સ્તૂપને ચરણે, આરતીની દીપકમાલાનો છેલ્લો દીવો ઓલવાઈ ગયો; પણ પેલી મરનારીના અંતરની જ્યોત તો જુગજુગાન્તર સુધી યે નહિ બુઝાય.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED