Premagni - 16 books and stories free download online pdf in Gujarati

પ્રેમાગ્નિ - 16

પ્રેમાગ્નિ

Dakshesh Inamdar



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

સવારે ઊઠીને મનસાએ વિનોદાબાને કહ્યું, “હું પરવારીને સાંઈબાબાના દર્શન કરીને હેતલનાં ઘરે જઈને આવીશ. ઘણો સમય થઈ ગયો હેતલને મળી નથી.” વિનોદાબા કહે હા દીકરા, જઈ આવ તારૂં મન છૂટું થશે. મનસા ઘરેથી નીકળી પ્રથમ મંદિરે ગઈ દર્શન કરીને સીધી મોક્ષનાં ઘરે પહોંચી. એનો જીવ દર્શનમાં નહોતો ઈશ્વરમાં નહોતો, ફક્ત મોક્ષમાં જ હતો. એણે ઘરે તાળું જોયું કમ્પાઉન્ડનાં દરવાજે- ઝાંપે પણ તાળું જોયું. મોક્ષની ગાડી કમ્પાઉન્ડમાં હતી. એને ખબર જ ના પડી કે કોને પૂછે? એટલામાં પ્રેમિલાબેન બૂમ પાડીને કહ્યું, “મોક્ષભાઈ તો સવારના બેગ લઈને નીકળી ગયા છે. કદાચ ક્યાંક બહારગામ ગયા લાગે છે ? શું તમને ખબર નથી?” મનસાએ કહ્યું, “ના મને ખબર નથી. હમણાંથી હું એમને મળી નથી.” મનસા આભાર કહીને ત્યાંથી હેતલનાં ઘરે ગઈ. હેતલને મળીને કહે, “ચાલ ક્યાંક બહાર જઈએ. મારે વાત કરવી છે.” મનસાનું મોં જોઈને જ હેતલને ખબર પડી ગઈ કે કંઈક ગંભીર થયું છે.

મનસા અને હેતલ સોસાયટીનાં નાકે આવેલ ગાર્ડનમાં ગયા ત્યાં શાંતિથી બેઠા. મનસા હેતલના ખોળામાં મોં મૂકીને રડી પડી. હેતલ કહે, “પણ શું થયું કહે તો ખરી.” મનસાએ છેલ્લા બે દિવસમાં બનેલું બધું જ કહ્યું. વ્યોમના માંગાની વાત કરી. પછી કહ્યું, “વાડીમાં લઈ જઈને હસુમામાએ ચોક્કસ મોક્ષને કંઈક કહ્યું, એમાં મોક્ષ નારાજ થઈને ચાલ્યા ગયા. હું મોક્ષના ઘરે પણ જઈ આવી,એમના પાડોશી કહે તેઓ કદાચ બહારગામ ગયા. ક્યાં ગયા હશે? મને તરછોડી દેશે? મારાંથી કેવી રીતે જીવાશે? હેતલ, મોક્ષ વિનાની જિંદગીની મને કલ્પના જ નથી. હવે શું થશે?” હેતલે આશ્વાસન આપી કહ્યું, “થોડી ધીરજ રાખ થોડો સમય જવા દે. બધું સારૂં થશે.” હેતલ પણ મનસાની હાલત જોઈને દુઃખી થઈ ગઈ. એણે મનસાને ઘણી સમજાવી. પછી મનસાએ કહ્યું“હું તારા ઘરે આવીશ હમણાં તું ઘરે પાછી જા. કાકી ચિંતા કરતા હશે.” મનસા દુઃખી હદયે ઘરે પાછી આવી.

આમ ને આમ ત્રણ દિવસ વીતી ગયા. મોક્ષના કોઈ સમાચાર નથી. મનસા સાવ સૂનમૂન થઈ ગઈ છે. એને જાણે કશામાં રસ નથી રહ્યો. આખો દિવસ મોબાઈલ તપાસ્ચા કરે છે નથી કોઈ મેસેજ ના ફોન. મનસાને પાકો વહેમ પડી ગયો છે કે હસુમામાને કારણે જ મોક્ષ એને છોડીને જતો રહ્યો છે.

હસુમામાનો ફોન આવ્યો. વિનોદાબાએ ઉપાડયો છે. વિનોદાબા ફોનની વાત સાંભળીને બધી વાતમાં હા પાડી રહ્યા છે. મનસાને થયું, ચોક્કસ મારી વાત ચાલે છે. એટલામાં વિનોદાબા ફોન મૂકીને મનસાનાં રૂમમાં ગયા. મનસા પોતાનાં બેડ પર પાછળ તકિયાનો ટેકો લઈને હાથમાં ઓશીકું લઈને બેઠી છે. મનસાની આંખો ભારે છે. વિનોદાબા કહે, “બેટા, કેમ આવી દશા કરી છે? તારૂં રૂપ જો દશા જો તારૂં ધ્યાન રાખ.” વિનોદાબાએ મનસાના માથ પર હાથ ફેરવ્યો. મનસાથી ના રહેવાયું. એ વિનોદાબાને વળગીને ખૂબ રડી. વિનોદાબા પણ રડી પડયા. તેઓ કહે, “દીકરા આમ ક્યાં સુધી ચાલશે?” મનસા કહે, “મા હસુમામાએ મોક્ષને કંઇક કહ્યું છે એટલે જ મોક્ષ જતા રહ્યા.” વિનોદાબા કહે, “મને પણ એવો વિચાર આવેલો મેં હસુને એ વડોદરા ગયો તે પહેલાં બોલાવીને પૂછ્‌યું કે હસુ તારાથી તો કંઈ એવું કહેવાઈ ગયું નથી કે મોક્ષ કોઈનેય મળવા ના રોકાયો અને ચાલ્યો ગયો.” હસુએ સ્પષ્ટ ના પાડી. કહે, “મેં તો એને સામેથી બોલાવેલો. હું શા માટે એવું કંઇ કરૂં કે કહું ? ચોક્કસ મોક્ષને અચનાક ક્યાંક જવાનું આવ્યું હશે.” મનસા કહે, “એમનો મોબાઈલ તો સ્વિચ ઓફ ના આવેને. મને ફોન કરે કે મેસેજ કરેને. સાવ આવી રીતે સંપર્ક કેવી રીતે કાપી શકે? બા, મારૂં દિલ તૂટી ગયુ છે મારો જીવ બળે છે ચિંતા થાય છે.”

વિનોદાબા કહે, “બેટા તું આમ જીવ ના બાળીશ. તું જ આવું કરીશ તો અમારૂં શું થશે ? અમે બે દિવસથી અન્નનો દાણો મોંમા નથી મૂક્યો. પાછલી ઉંમરમાં અમને આવી સજા કેમ મળી ? દીકરા અમારો તો વિચાર કર.”

મનસા કહે, બા હું કોલેજ જઈને આવું છું વિનોદાબા કહે, “અત્યારે કોલેજ? કોલેજ તો બંધ હશેને! પરીક્ષાઓને બધું પૂરૂં થઈ ગયું છે હમણાં કોલેજમાં કોણ હોય?” બા હું જઈને તરત જ પાછી આવું છું મને છેલ્લીવાર જવા દો પછી નહીં જઉં ત્યાં કોઈકને તો માહિતી હશે જ. મારે ફક્ત જાણવું છે મોક્ષ ક્યાં છે? મને છોડીને કેમ ગયા? મારો શું વાકં છે? આપણને શિક્ષા કેમ મળી જાણવું છે. વિનોદાબા બહુ કંઈ કહી ના શક્યા, જવા દીધી. મનસા કોલેજ પહોંચીને તરત સ્ટાફરૂમમાં ગઈ ત્યાં મિસ પંડયા હાજર જ હતા. મનસાએ નમસ્કાર કરી નિઃસંકોચ પૂછી લીધું, “મોક્ષ સર ક્યાં છે? તમને માહિતી છે? મારે કામ છે.” મિસ પંડયા કહે, “અરે મનસા તને ખબર નથી? મોક્ષ તો થોડા દિવસ પહેલાં આવીને મને પેપર્સ આપીને ગયા પછી કોલેજ આવ્યા જ નથી. હા...હા.. એ એવું કહીને ગયા હતા કે અચાનક કામ આવી ગયું છે એટલે બહારગામ જાઉં છું. પાછો ક્યારે આવીશ નક્કી નથી પણ ફોન કરીશ. આનાથી વધારે મારી પાસે કોઈ માહિતી નથી.” મનસા નિરાશ થઈ ગઈ. સ્ટાફરૂમની બહાર નીકળી સામે જ સુરેશ મળ્યો. મનસાએ સુરેશને પૂછ્‌યું, “મોક્ષ સર ક્યાં છે? ક્યાં ગયા છે?” સુરેશ કહે, “મનસાબહેન, સર છેલ્લે મળ્યા ત્યારે ઉતાવળમાં હતા એમની પાસે બેગ હતી ક્યાંક બહારગામ જતા હતા એવું લાગ્યું. મને ઘરની ચાવીઓ આપી છે અને કહ્યું ધ્યાન રાખજે સાફસૂફી કરાવજે હું ફોન કરીશ. બસ આનાથી વધારે કંઈ જ ખબર નથી. પણ બહેન! સાહેબ ખૂબ નિરાશ અને દુઃખી જણાતા હતા. એમનામાં મૂડ જ નહોતો. તેઓ અહીંથી રિક્ષામાં બેસીને ક્યાંક ગયા એટલી ખબર છે.”

મનસાને ખાતરી થઈ ગઈ કે ચોક્કસ વાડીમાં હસુમામા સાથે કંઈક થયું હોવું જોઈએ. મોક્ષના કોઈ ખાસ સગા નથી. તેમનાં સાળી અને સાઢુભાઈ તો અહીં શહેરમાં જ છે તો બહારગામ ક્યાં ગયા? આમ વિચારતી તે વાડીએ પાછી ફરી.

મનસા નિરાશ થઈને કોલેજથી પાછી આવી. એને કોઈ ખાસ માહિતી મળી નહીં, એટલું ચોક્કસ જાણવા મળ્યું કે મોક્ષ ક્યાંક બહારગામ ગયા છે અને લાંબા સમયે પાછા આવશે, કારણ કે મિસ પંડયાને એમનાં કામ સોંપી ગયા છે. સુરેશને ઘરની ચાવીઓ આપી છે. મનસાને ખબર જ નહોતી પડી રહી એ શું કરે ? ઘરે આવીને વિનોદાબા કહે, “દીકરા ચાલ જમી લઈએ તારી જ રાહ જોઉં છું.” મનસા કહે, “બા તમે અને કાકી જમી લો મને બિલકુલ ભૂખ નથી.” વિનોદાબા કહે, “આમ અન્નનો અનાદર ના કરાય દીકરા એ સારી વાત નથી. તું કોલેજ જઈને આવી. ત્યાં શું થયું ખબર પડી?” મનસા કહે, “બા તમને ખબર જ છે મોક્ષ હવે નહીં આવે. તેઓ ક્યાંક બહારગામ ચાલ્યા ગયા છે. હસુમામા સાચું નથી કહી રહ્યા પરંતુ કંઈક તો થયું જ છે.” વિનોદાબાના ખૂબ આગ્રહથી જમવા તો બેઠી પરંતુ રોટલીના બે ટુકડા મોંમા મૂક્યા પરંતુ ખવાયું જ નહીં. હાથ ધોઈને ઊભી થઈ ગઈ. પોતાના રૂમમાં ચાલી ગઈ. ફરી ફોન ઓન કર્યો પણ કોઈ મેસેજ નથી. મોક્ષનો ફોન સ્વિચ ઓફ જ આવ્યો.

મનસા રૂમમાંથી બહાર નીકળી વાડીમાં ગઈ અને પોતાનાં પ્રિય આમ્રવૃક્ષોની સામે જોઈને બાંકડે બેઠી. મનોમન પ્રાર્થના કરવા લાગી, હે ઈશ્વર, હે વૃક્ષ દેવતા! મારા પાલનહાર મારી પ્રકૃતિ મા મારા મોક્ષ ક્યાં છે? ક્યાં ચાલ્યા ગયા? મારા પર આવો કેર કેમ વર્તાવ્યો? મનસાની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. બે હાથો જોડીને પૂછી રહી મને કેમ છોડી દીધી? કોઈ સંદેશ કોઈ મેસેજ કંઇ જ નથી. આવી રીતે મને કેમ તડપાવે છે? મારો કોઈ ગુનો? મનસા દરેક વૃક્ષને સંબોધીને કહી રહી છે તમે મારા જન્મથી સમજણથી મારા સુખદુઃખના સાથી છો. બાપુનાં ગયા પછી તમે જ મારા આધાર છો તમારી વાચા મને બનાવી મને સમજણ આપો હું શું કરૂં? મારા મોક્ષ વિના મારા શ્વાસ નહીં ચાલે. મનસા રડતી રહી. રડતાં રડતાં બાંકડા પર જ નીંદર આવી ગઈ. અચાનક કંઇક સ્પર્શ થયો એની આંખ ખૂલી. એનાં પગ પરથી બે સર્પ પસાર થઈ ગયા. મનસાએ જોયુ, પરંતુ એને ના કોઈ ડર ના કંઈ ભય બસ જોતી રહી. બે નાગ-નાગણની જોડી જઈ રહી હતી. મનસા કહે, હે નાગેશ્વર, તમે તો બન્ને સાથે છો મારા જીવનસાથી ક્યાં છે? મને મેળાપ કરાવો. મનસાએ જોયું તો નાગ-નાગણ બન્ને એકબીજાને વીંટળાઈને પ્રેમ કરી રહ્યા હતા. થોડીવારમાં બન્ને ફક્ત પૂંછડીનાં ટેરવે જ વીંટળાયેલા ધરતી પર ઊભા થઈ ગયા અને પરસ્પર પ્રેમ કરી રહ્યા હતા. મનસાએ જોયું, વિચાર્યું આ શું સંકેત છે? એણે ફરીથી પ્રાર્થના કરી, હે નાગેશ્વર! તમારી જેમ અમારી જોડી અખંડ રાખજો. ભલે અત્યારે વિરહ છે પરંતુ અમારૂં મિલન કરાવજો. મનસા મોક્ષને મનોમન કહી રહી છે ભલે તમે મને છોડીને ગયા પરંતુ આ જોગણ તમારા નામની માળા જપશે. આમ પ્રાર્થના કરીને ઘરે પાછી આવી. પોતાના રૂમમાં આવીને ફોનમાં જોયું, એક મેસેજ આવેલ છે.

મોક્ષ કોલેજમાં મિસ પંડયાને કામ સોંપી, સુરેશને પોતાના ઘરની ચાવીઓ અને પૈસા આપી ધ્યાન રાખવા સૂચના આપી પોતે ફોનથી સંપર્કમાં રહેશે એમ જણાવી રેલવેસ્ટેશન આવ્યો. આવીને હરિદ્વાર જતી ટ્રેનની તપાસ કરી. એના નસીબે આજે ટ્રેન જવાની હતી. હજી બે કલાકની વાર છે એણે સ્લીપરની ટિકિટ કઢાવી. બે કલાક સ્ટેશન પર પસાર કર્યા. મેગેઝિન અને આજનું પેપર ખરીદ્યું. કશામાં ચિત્ત ના ચોંટ્‌યું. એ ટ્રેનનો સમય થયો. પ્લેટફોર્મ પર આવીને પોતાની સીટ શોધીને અંદર ગોઠવાયો. થોડીવારમાં સફર શરૂ થઈ. પોતાની સીટ પર એકલો અટૂલો બેઠો છે. ટ્રેનની સફર સાથે સાથે પોતાનાં અત્યાર સુધીના જીવનની સફર યાદ આવી ગઈ. નાનો હતો ત્યારે માબાપના અવસાન પછી કાકાકાકીને કોઈ સંતાન ના હોવાથી એમણે પોતાનો પુત્ર માનીને ખૂબ લાડથી ઉછેર્યો. એમની શક્તિ પ્રમાણે સુખ આપીને લાડ પૂરા કર્યા. બન્ને ખૂબ જ પ્રેમાળ હતા પણ એ સુખ લાંબુ ના ટક્યું. શિખા સાથે મોક્ષનાં લગ્ન પછી તરત બન્નેનું એક એક્સિડેન્ટમાં અચાનક મૃત્યું થયું. મોક્ષ પાછો આધાર વિનાનો થઈ ગયો. ફરીથી છત્રછાયા ગુમાવી. એ પછી શિખાને અકાળે ગુમાવી.

કુદરતે એક હાથે આપ્યું બીજા હાથે પાછું લીધું પાછું આપ્યું. હવે મનસાને લઈને મારાથી જુદી કરીને બસ એવું જ કર્યું. મનસાને આપી એવો અહેસાસ થાય કે મારો જન્મોનો પ્યાર મને મળી ગયો સંપૂર્ણ તૃપ્તિ હતી- ના કોઈ ખોટ ના ખાલીપો. બસ, સંપૂર્ણ પ્રેમ તૃપ્તિ. અમે બે જીવ એક થઈ ગયા હતા. પરંતુ કુદરતે મને મનસા સાથે મેળાપ કરાવ્યો જુદા જ કરવા. કેમ કુદરત આટલી ક્રુર બની મારી સાથે? હસુમામાનાં રૂપે મારા જીવનમાં મોટો અંતરાય પાડી દીધો મનસાથી મને જુદો કરી દીધો.

“મનસાનાં કુટુંબને નાલેશી લાગે એવું હું કરી પણ ના શકું, મારો જીવ જ એવો છે. ન તો હું કોઈની લાગણી દુભાવી શકતો અને ન તો કોઈનું અપમાન કરી શકતો. મારા દિલ સાથે મારી લાગણી સાથે કોઈ પણ રમી શકે એટલી આસાન હું રમત કરી આપતો. મારી કંટ્રોલ સામેવાળા પાસે જ આવી જાય એટલી મારી નબળાઈ છે. હે પ્રકૃતિ, હે મા, મારો આ સ્વભાવ સારો કે ખોટો? આ મારી નબળાઈ કે મારૂં ગૌરવ? હું કેવી રીતે મૂલવુ મારા સ્વભાવને હું શું કરૂં? હું કોઈને નુકશાન કરી મારી ફાયદો નથી કરી શકતો.”

ટ્રેન ગતિ પકડતી જતી હતી એમ મોક્ષના વિચાર ગતિ પકડતા હતા. એના વિચારો ટ્રેનની જેમ આવનાર સ્થળોને પાછળ મૂકી આગળની મંઝિલ તરફ ગતિ કરી રહ્યા હતા. મોક્ષના વિચાર હવે ભૂતકાળને ભૂલીને ભવિષ્ય તરફ દષ્ટિ કરતા હતા. હું મનસાને કે એના કુટુંબને મારા થકી મુશ્કેલીમાં ના જ મૂકી શકું. હું હરિદ્વાર જઈ રહ્યો છું ગુરૂજીની નિશ્રામાં, ત્યાં જ મને શાંતિ મળશે. એમનાં ચરણોમાં પડીને મારૂં મન શાંત કરવા મનનું સમાધાન કરવા પ્રાર્થના કરીશ.

હરિદ્વાર સ્ટેશન નજીક આવી રહ્યું છે. હરિદ્વાર ઉતરનાર મુસાફરોમાં ચહલપહલ વધી ગઈ છે. બધા પોતાનો સામાન સીટ નીચેથી અને બર્થ ઉપરથી ઉતારીને સ્ટેશન આવે તે પહેલાં દરવાજા સુધી પહોંચવાની ઉતાવળ કરવા લાગ્યા. મોક્ષે કફની અને લેંઘો પહેર્યા છે. બે દિવસની મુસાફરીમાં દાઢી વધી ગઈ છે. એણે દાઢી પર હાથ ફેરવ્યો- પોતાની દશા પર પોતે જ હસી રહ્‌

*

હરિદ્વારા સ્ટેશન આવ્યું અને મોક્ષ પોતાની બેગ લઈને ઉતર્યા. પ્લેટફોર્મ પર પાણીનું નળ ખોલી હાથ-મોં ઘોયા. ફ્રેશ થયો પછી મા હાથ લૂછી સ્ટેશનની બહાર નીકળી- સડક તરફ વળ્યો. રસ્તાની બન્ને તરફ અલગ અલગ દુકાનો, હોટલો, ખુમચા વગેરે હતા, ત્યાં એક રેસ્ટોરાં હતી ત્યાં જઈને ગરમ ચા પીધી. પછી રિક્ષાવાળાને બોલાવીને મુક્તાનંદ આશ્રમ લઈ જવા જણાવ્યું. મોક્ષ રિક્ષામાંથી બજાર જોઈ રહ્યો. ત્યારબાદ એકદમ શાંત વિસ્તાર ચાલુ થયો. ત્યાં થોડેક આગળ જઈને રિક્ષા ઊભી રહી. સામે મોટું બોર્ડ લાગેલું હતું. “મુક્તાનંદ આશ્રમ”. મોક્ષે રિક્ષાવાળાને ભાડું ચૂકવ્યું અને એણે આશ્રમમાં જવા પગ ઉપાડયા. મોક્ષ આશ્રમનું પ્રવેશદ્વાર જોઈને જ ખુશ થઈ ગયો. હરિદ્વારની વાત જ નિરાળી છે. મા ગંગાના પવિત્ર કાંઠે વસેલી નગરી. સાધુ-સંતોની નગર. અહીં સાક્ષાત હરિ અને હર વસે છે. આ સ્થળ સંતોનું પિયર છે. સતયુગથી આત્મસાક્ષાત્કાર કરેલો છે. સિઘ્ધિઓ મેળવેલી છે. ગંગાના કાંઠે આવેલા મઠ, આશ્રમ, જંગલ, ગુફાઓ બધે અલગ અલગ પ્રકારનાં ૠષિમુનિ અને સાધુઓ રહે છે. પોતાના આશ્રમ સ્થાપેલા છે અને ભગવાનનું નામ સ્મરણ કરે છે. ગીતા, વેદ, ઉપનિષદ વગેરેનું પઠન કરે છે ભણાવે છે અને લોકોનું કલ્યાણ કરે છે. લોકોનું ધર્મનું જ્ઞાન આપે છે. અહીં ગંગાના કિનારે આવેલ જંગલોમાં ઉત્તમ વનસ્પતિ છે. દિવ્ય વૃક્ષો છે. આયુર્વેદીય ઔષધીય વૃક્ષો- પુષ્પો વેલા અને છોડ આવેલા છે. અહીં અખરોટ, રૂદ્રાક્ષ, ચંદન, વડ, પીપળ, નેતર, વાંસ, સાગ, કદંબ, અશોક, પલાસ, લીમડાં, વૃક્ષો તથા ફૂલોનાં નિતનવા વૃક્ષો છોડ-વેલીઓ લતાઓ છે. અહીં કુદરતે વિપુલ પ્રમાણમાં પ્રાકૃતિક સંપત્તિનો વિસ્તાર કર્યા છે. મોક્ષ તો આશ્રમમાં પ્રવેશતાં જ પ્રકૃતિ પ્રત્યે મોહિત થઈ ગયો.

મુક્તાનંદ આશ્રમના પ્રવેશદ્વારથી જ આશ્રમની ભવ્યતા સુંદર હરિયાળાં વૃક્ષોથી ઘેરાયેલો વિસ્તાર એકદમ પવિત્ર ગંગા નદીના કિનારે જ આશ્રમ પોતાનો આગવો ઘાટ સુંદર વૃક્ષો મોહક લતાઓ. અલગથી ગૌશાળા-ભોજનશાળા, યજ્જ્ઞશાળા, પંખીઓને ચણવા માટે સુરક્ષિત ચબૂતરા, શાંતિપાઠ શાળા, અભ્યાસ હોલ, સભાખંડ, યોગ શિબિર માટે વિશાળ યોગાન, ૠષિ અને શિક્ષકગણ તથા શિષ્યોની એક લાઈનમાં કુટીર, ઓટલા, મોટામોટા વૃક્ષો. અહીં કુદરતે ખોબે અને ખોબે સુંદરતા આપી છે. ગુલાબ, મોગરો, રાતરાણી, પારસ, જાસુદ, ચાંદની, જૂઈ, જાઈ, કરેણ, ચંપા, એકઝોરા, માલતી, વાસંતી, મધુમાલતી, ચમેલી જેવા કેટલાય વૃક્ષો હતા. મોક્ષ તો મોહિત થઈને આગળ વધી રહ્યો હતો. ત્યાં સભાખંડ તરફથી ગુરૂજીનો અવાજ આવતો સાંભળ્યો. એના પગ અટક્યા, એ અવાજની દિશામાં આગળ વધ્યો. અહીંથી એને ગંગાજીના નીરના વહેણના પણ અવાજ સંભળાવા લાગ્યા. સંપૂર્ણ શાંતિ પ્રવર્તતી ફક્ત ગુરૂજીનો મૃદુ અવાજ સંભળાઈ રહ્યો હતો. ગુરૂજી અત્યારે સભાખંડમાં પ્રવચન આપી રહ્યા છે. એ સાંભળવામાં તલ્લીન થઈ ગયો. પોતાની બેગ સભાખંડમાં એકતરફ મૂકીને એ ચંપલ કાઢી બિલકુલ વિક્ષેપ ના થાય એ રીતે બેસી ગયો. ગુરૂજી કહી રહ્યા હતા. ગુરૂજીની બેઠક સામે જ જમીન પર ગાદી પાથરી છે. ગુરૂજીની બાજુમાં એમનાં દેવગુરૂનું આસન છે ચાંદીનું મોટું સિંહાસન છે, એમાં એમના ગુરૂદેવની તસવીર મૂકી છે. એમના આશ્રમવાસી શિષ્યો ભગવા કપડાં ધારણ કરે છે. ગુરૂજી ફક્ત સફેદ વસ્ત્ર પહેરે છે. ગુરૂજી કહે, “મને મારા ગુરૂએ, મારા ઈશ્વરે, મારા આત્માને પાણી જેવો નિર્મળ અને રંગ વિનાનો બનાવ્યો. તેઓ મારામાં એમનો ભક્તિ રૂપ-રંગ ચઢાવે છે. આશીર્વાદના રંગે મને રંગી રહ્યા છે. મારો કોઈ રંગ નથી, મારો રંગ ભક્તિરંગ. આપણે સૌ ઈશ્વરનાં અંશ છીએ. ગુરૂજી કહે આ સંસાર આ સૃષ્ટિ મહાસાગર જેવી છે. આ મહાસાગરમાં આપણા જેવા લાખો કરોડો જીવ છે. બધા જ અદશ્ય રીતે એકબીજાથી જોડાયેલા છે, બધાને એકબીજા સાથે કોઈ ને કોઈ લખ્યો કે અલખ્યો સંબંધ છે. એકબીજાને સંવેદના છે, એક ૠણાનુંબંધ છે. દરેકના કર્મ પ્રમાણે- પ્રેમ પ્રમાણે ૠણાનુબંધ પ્રમાણે સંબંધ થાય છે. તૂટે છે. આ બધી ઈશ્વરની લીલા છે. આપણા ઉપર ઈશ્વરની કૃપા છે. દરેક જીવને પોતાના શરીરની આસપાસ એક ‘ઓરા’ છે. જેટલાં તમે સકારાત્મક વિચાર ધરાવતા હો એટલો ઓરા તેજસ્વી બને છે. દરેક વ્યક્તિનું વ્યક્તિગત એના ‘ઓરા’ થી જાણી શકાય છે. દરેક ઓરા પોતાના તેજ પ્રમાણે- દરેક જીવ પોતાના પ્રેમ કામનાઓ ઇચ્છાઓ પ્રમાણે બીજા જીવ સાથે આદાનપ્રદાન કરે છે. પોતાના પ્રેમ લાગણી અને સંવેદનાઓનું આદાનપ્રદાન કરે છે. તમારા ઓરાનું તેજ તમારી સકારાત્મકતા પર આધારિત છે. તમે તમારા ઓરાને બીજા જીવના ઓરા સાથે ખૂબ પ્રેમ અને લાગણીથી ભેળવ્યો હોય તો તે યુગ્મ ઓરા છે, એનું તેજ ઘણું વધે છે. એને કોઈ જુદું ના કરી શકે.”

મોક્ષ શાંતિથી સાંભળી રહ્યો છે, એની આંખમાંથી અશ્રુધારા વહી રહી છે.એને એવું લાગી રહ્યુ છે કે ગુરૂજીની અસ્ખલિત વાણી એના માટે જ બોલી રહી છે. એ જ સમજી રહ્યો છે. વિશાળ સભાખંડમાં ઘણા શ્રોતાઓ બેઠા છે બધા ખૂબ જ ભક્તિભાવથી સાંભળી રહ્યા છે. મોક્ષને મુસાફરીનો થાક ક્યાં ગાયબ થઈ ગયો ખબર જ ના પડી. વ્યાખ્યાન પૂરૂં થયું. ભાવિકો ગુરૂજીના આશીર્વાદ લઈને સભાખંડની બહાર જઈ રહ્યા છે. મોક્ષનો વારો આવ્યો. એ ગુરૂજીના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરવા લાગ્યો. ગુરૂજીના પગ પકડી લીધા અને ચોધાર આંસુએ રડી પડયો. ગુરૂજીએ પગમાં ભીનાશ વર્તાતા એમણે આવનારને ઊભો કર્યો. આશ્ચર્ય સાથે મોક્ષને જોઈને ખૂબ જ આનંદ પામ્યા. એમણે મોક્ષને ગળે લગાડી લીધો અને આશિષ આપ્યા- પ્રભુ તને સંપૂર્ણ બનાવે, ખૂબ જ સુખી સંપન્ન બનાવે. આયુષ્યમાન કરે. તું સદા આનંદમાં રહે. પ્રભુ તારી દરેક ઇચ્છાપૂર્તિ કરે. અને પછી મોક્ષને પૂછ્‌યું કેમ અચાનક આવવાનું થયું? તેં જણાવ્યું પણ નહીં કે તું આવી રહ્યો છે? કોલેજ કેમ ચાલે છે? હમણાં તો પરીક્ષાઓ પતી ગઈ હશે એટલે સમય કાઢી લીધો અહીં આવવા માટે. ઘણું સારૂં કર્યું મને ખૂબ જ ગમ્યું. તું મારી બાજુની કુટીરમાં જ નિવાસ કર. એમણે એમનાં એક શિષ્યને સૂચના આપી અને મોક્ષનો સામાન એમની કુટિરની બાજુની કુટિરમાં જ મૂકવા કીધું અને મોક્ષને ત્યાં લઈ જવા જણાવ્યું. મોક્ષ, તું થોડીવાર આરામ કર પછી શાંતિથી મારી પાસે આવ. આપણે સાથે ભોજન લઈશું અને ખૂબ વાતો કરીશું.

મોક્ષ ગુરૂજીના ખાસ શિષ્ય બલિરામજી સાથે કુટિરમાં પહોંચ્યો. બલિરામે સામાન મૂક્યો અને મોક્ષને જરૂરી વસ્તુઓ આપી સામાન મૂકવા તથા જરૂરી ચીજો ઉપલબ્ધ કરાવી. સ્નાનઘર બતાવ્યું પછી કંઈ જરૂર પડે તો એને યાદ કરવા કહીને ચાલ્યો ગયો. મોક્ષે કુટિર બંધ કરી, સ્નાનાદિથી પરવારી કપડાં બદલ્યા અને પથારીમાં બેઠો. એને વિચાર આવ્યો, આજે ૩ દિવસ થઈ ગયા. મનસા ચિંતા કરતી હશે, ખૂબ પરેશાન હશે. મારે એના જીવને શા માટે દુઃખી કરવો ? એના મેસેજ અને મિસકોલ જોયા. મનસાના મેસેજમાં, મોક્ષ તમે ક્યાં છો? ફોન બંધ કેમ આવે છે?તમને શું થયું છે? હસુમામાએ કંઈ કીધુ? મને છોડીને કેમ ગયા? મારો જીવ નીકળી જશે. આમ બધા જ મેસેજમાં મોક્ષની ચિંતા, દુઃખ ફરિયાદ હતી. મોક્ષે મનસાને મેસેજ લખવાનું ચાલુ કર્યું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED