Sanjay Drushti - 5 books and stories free download online pdf in Gujarati

Sanjay Drushti - 5


સંજય દ્રષ્ટિ

-ઃ લેખક :-

સંજય પીઠડીયા

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

રમેશાયણ ગુણ્‌યા બે

મે મહિનો એટલે માથાભારે તડકો! મે મહિનો એટલે લૂ અને બફારો! મે મહિનો એટલે વેકેશન! મે મહિનો એટલે કેરીનો રસ! પણ મે મહિનો ગુજરાતની ધિંગીધરા માટે, બોલીવુડ માટે અને કાવ્યવિશ્વ માટે ખોટનો મહિનો.

જી હાં, મિત્રો! આજે ગુજરાતી ભાષા સાથે જોડાયેલા બે ‘રમેશ’ને યાદ કરવા છેઃ એક રમેશ પારેખ (અવસાનઃ ૧૭ મે, ૨૦૦૬) અને બીજા રમેશ મહેતા (અવસાનઃ ૧૧ મે, ૨૦૧૨). બેય છ અક્ષરના નામ વાળા...બેય પોતાના કામમાં અવ્વલ દરજ્જે આવે...બંનેની પોતાની આગવી ઓળખ. રમેશ પારેખ ગયા ત્યારે ગુજરાતી કવિતાનો ધણી ગયો અને જ્યારે રમેશ મહેતા ગયા ત્યારે બોલીવુડનું હાસ્ય અનાથ બન્યું. આ લેખમાં બંનેની સરખામણી કરવાની મારી કોઈ ઈચ્છા નથી (અને લાયકાત પણ નથી) પણ જે મહિનામાં આ બંને હસ્તીઓ મોટા ગામતરે ચાલી ગઈ એ જ ‘મે’ મહિનામાં વાત કરવી છે બંનેએ ચાતરેલા ચીલાની, ઘનદાટ જંગલમાં બનાવેલા કેડાની, મીઠી વાવની!

***

રમેશ પારેખ એટલે ધગધગતો લાવારૂપી કાવ્યપુરૂષ! રમેશ પારેખ એટલે લોહીના શરીરરૂપી પહાડમાંથી વહેતું કવિતાનું ઝરણું! ર.પા. વિશે ઘણાં લોકોએ ઘણું બધું લખ્યું છે પણ એમના ગીતો અને કાવ્યોની વિશેષતાઓ વિશે વાત કરવી છે. કોઈ પંક્તિ રમેશ પારેખની છે એવું ખબર પણ ના હોય છતાં લોકોના હોઠે અને હૈયે રમતી હોય. કવિતામાં એમના જેવી વિષય-વિવિધતા, શબ્દ-સૂઝ અને વાક્ય-રચના પણ ભાગ્યે જ કોઈના નસીબે હશે. એમની સૌથી મોટી વિસંગતતા એ છે કે ભલે એ ઓળખાયા કાવ્ય અને ગીતસમ્રાટ તરીકે પણ એમની સાચી ઓળખ તો ‘અછાંદસ’ કાવ્યોમાં હતી. રમેશ પારેખે અછાંદસ કવિતાઓનો એક ટ્રેન્ડ શરૂ કરી દીધો હતો. તમે કોઈ વાર ‘ખોતરનારા ખુસાલિયા’ની કવિતા વાંચો કે ‘ભગવાનનો ભાગ’ વાંચો - એક અલગ જ તાજગી જોવા મળશે એ કવિતાઓમાં. એમની કવિતાઓના શીર્ષક પણ કેવા? ‘કલમને કાગળ ધાવે’, ‘ચર્ચગેટની ટ્રેનો બરછટબૂંધી’, ‘પત્તર ન ખાંડવાની પ્રાર્થના’, ‘કાગડો મરી ગયો’, ‘સાંઈબાબાછાપ છીંકણી વિશે’, ‘શી/સી/એ’, ‘પેનબાઈ ઈંડું ક્યાં મૂક્શો?’, ‘જાંબુડી હેઠ’, ‘કાગડાએ છુટ્ટું મૂક્યું છે ગળું’, ‘ઘઉંમાંથી કાંકરા વીણતા હાથનું ગીત’, ‘બાબુભાઈ બાટલીવાલા’, ‘ફાંસી પહેલાંની ઈચ્છા’, ‘મા ઝળઝળિયાજીની ગરબી’, ‘સમળી બોલે ચિલ્લીલ્લીલ્લી’, ‘વૈજયંતીમાલા અથવા ઠાકોરજીની છબીમાં’, ‘વરસાદ ભીંજવે’, ‘મનજી કાનજી સરવૈયા’, ‘પગાયણ’, ‘હસ્તાયણ’! કાવ્યો-ગીતો સિવાય એમણે ‘સગપણ નામે ઉખાણુ’ અને ‘સૂરજને પડછાયો હોય’ નામના નાટકો પણ લખ્યાં છે.

‘ખલાસીનું ગીત’ હોય કે ‘શિકારીની બંદૂકમાં ઊંગેલું ગીત’. ‘રેતીને છંછેડનાર મૂરખનું ગીત’ હોય કે ‘મદારીનું પ્રણયગીત’ - આ બધું લખ્યાં પછી જો તમે એમને ‘પૂછો કે, ધંધો?’ તો કહે કે ‘મારી કવિતા એ તો મેં વિશ્વના હોઠ પર કરેલું ચુંબન છે’. કવિતાએ શિયાળાની સવારે તાપણું પણ બનવું પડે અને ઉનાળાની બપોરે છાંયડો પણ! રમેશ પારેખે સ્તનોની સોફ્ટનેસ, ભીડનો ભેંકાર અને મીરાના મનસૂબા શણગાર્યા છે. ‘તમને ફૂલ દીધાનું યાદ છે’ પણ બાપુએ ગરબીમાં ગાયેલું ‘હા રે, અમે ગ્યાં તા...’ એ ગીત યાદ છે? એમણે કાલિદાસને મૂતરડીમાં મેઘદૂતના નામે પડકારો કર્યો છે, અને આસપાસના અકસ્માતોથી અકળાઈને ઈશ્વરને પણ તોફાનમાં ગધેડીનો કહ્યો છે. ‘સાત રંગના સરનામે’ આ ‘મનપાંચમનો મેળો’ લાગ્યો હોય ત્યારે ‘એક છોકરી પાસે એક છોકરો ગયો’ અને કહ્યું ‘ઝૂરૂં છું એમ તમે પણ’ ઝૂરો. ‘એક છોકરી જ્યારૂકની’ ‘ઓણુંકા વરસાદમાં’ સિટ્ટીના હીંચકે ઝૂલતાં છોકરાના મનમાં ઉઠેલા સ્નેહપ્રપાતને ‘ઉથલાવવા મથે છે’ ત્યારથી લોકો વિચારે છે કે ‘એક છોકરો + એક છોકરી + કંઈક બીજું?’ ‘આવું હરહંમેશા થાય’ કે ‘સ્વપ્નમાં’ લોકો ‘જુએ જળનું સપનું’ અને ‘નદીએ હબસણ ન્હાય’ એ જાણીને ‘શયનખંડમાં’ એમને ‘કંઈક તો થાતું હશે...’ (પોઈન્ટ ટુ બી નોટેડ - આ ફકરામાં અવતરણ ચિહ્‌નોમાં લખાયેલા શબ્દો એ ર.પા.ની કવિતાના શિર્ષકો છે!)

હ્ય્દયના સંવેદનોને ઉત્કંઠાથી ઝીલીને સુપેરે શબ્દોનું રૂપ આપીને જોતજોતામાં એમણે ગુજરાતભરને પોતાની કલાના દિવાનગીમાં ડૂબાડી દીધા. આજે રમેશ પારેખની કવિતાઓ અને શબ્દકૃતીઓ મનની ‘માલીપા’ ‘હડિયાપાટી’ કરે છે. તેમના સંચાલન કરાયેલા મુશાયરામાં એક અલગ મસ્તી લાવવામાં તેમની જબરી કલા હતી. જીવનના અસ્ત સમયે પણ ખાધેપીધે સુખી અને પોતાની ત્રીજી પેઢીને રમાડવાની મજાયે લીધી. રમેશ પારેખ કુમારચંદ્રક, રણાજિતરામચંદ્રક, નર્મદચંદ્રક, નરસિંહ મહેતા એવોર્ડ, કલાગૌરવ પુરસ્કાર, ગુજરાત સાહિત્ય અકાદમી અને દિલ્હી સાહિત્ય અકાદમીના એવોર્ડ અને બીજા કેટલાય સન્માનોના આબાદ ધણી રહ્યા છે. પણ ક્યાંક એમની રચનાઓની સુગંધને પારખીએ તો ખબર પડે કે અંદરથી એ માણસ ખુશ ન હતો. એમના ગીતો અને કાવ્યો એના અંતરમનના ઊંંડાણ અને એકલતાની ચાડી જરૂર ખાય છે. એમણે એવું પણ લખ્યું છે કે, મૃત્યુની અંતિમ ક્ષણે તમામ સ્વજનોના સ્મરણ થાય, હેડકી ચડે નેપ પછી ફેરવી તોળે છે. ‘ના, ના, લગાતાર હેડકી ઉપડી હોય તે ક્ષણે તું ઉભી હોય સ્મિતવંતી ટગરટગર ને છેલ્લી હેડકી શમી જાયપ ને હું મૃત્યુ પામું!’ કવિ મકરંદ મુસળેએ પોતાની એક કવિતામાં લખ્યું છે - “ઈ તો રમતો જ હતો. રમવું જ હતું ઈ ને. ઈ તો રમવા જ આયો’તો. રમી રમીને ‘રમેશ’ થઈ ગ્યો’તો ઈ."

આપણે ત્યાં ‘સર્વાનુમતિ’ નહોતી છતાં ભગવાને પોતાનો ભાગ માંગવા માટે ર.પા.ને પોતાની પાસે બોલાવી દીધા. ર.પા.ના ગયા પછી આ કવિતાજગત ‘એક સૂની હવેલી’ છે. આ તો ‘ગોરમાને પાંચે આંગળીએ પૂંજ્યાં’ હશે ત્યારે આપણને ર.પા. જેવા કાવ્ય-‘સંત’ મળ્યા, નહીં તો એમના વગર કાવ્યજગતમાં ‘સૂર્યનું પગલું મળે નહીં’. ‘ગઢને હોંકારો તો કાંગરા ય દેશે’ પણ ર.પા. વગર હવે ‘સુદામાની વિમાસણ’ કોણ સાંભળશે?

***

“ઓહોહોહોહો.....કિયા ગામના ગોરી?”

“રાજનગરના!”

“ઓહોહોહોહો....રાજ ય નોખું નગર ય નોખું ને તમે તો હાવ નોખાં....”

આવા ‘ઓહોહોહોહો’ના લહેકાથી સંવાદો બોલી બોલીને લોકોના દિલમાં જેમણે જગ્યા બનાવી એ આપણા લોકલાડીલા રમેશ મહેતા! સૌરાષ્ટ્રની તળપદી સંસ્કૃતિને સંવાદોમાં ઢાળવામાં રમેશ મહેતા માહિર હતા. એક ઉત્કૃષ્ટ લેવલનું સાહિત્યિક હ્યુમર ગુજરાતી ફિલ્મોમાં પીરસનારાઓમાં રમેશ મહેતાનો જોટો જડવો મુશ્કેલ છે. ૧૯૮૦ના દાયકા સુધી એક મોટા કોમેડિયન તરીકે એમનો ભારે દબદબો રહ્યો. બોલીવુડમાં ‘સ્ટારડમ’ કોને કહેવાય એનું ઉત્તમ ઉદાહરણ રમેશ મહેતાએ પૂરૂં પાડયું હતું. જે સમયમાં નરેશ કનોડિયા, ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા, રોમા માણેક, હિતેન કુમાર જેવા સુપરસ્ટાર લોકોના દિલોદિમાગ પર છવાયેલા હોય એ વખતે લોકો ફિલ્મોના પોસ્ટરમાં રમેશ મહેતા છે કે નહીં એ જોઈને ફિલ્મની ટિકિટ ખરીદે - આ કોઈ નાનીસૂની વાત નથી. લોકોને વલ્ગર જોક્સ સાંભળવા ભલે ન ગમે, પણ રમેશ મહેતાના નોન-વેજ અને દ્‌વિઅર્થી જોક્સ પર તાળીઓના ગડગડાટ થતા. મરાઠી ફિલ્મોમાં ‘દાદા કોંડકે’ અને ગુજરાતી ફિલ્મોમાં ‘રમેશ મહેતા’ ઉપર ‘હળવા’ને બદલે ‘હલકા’ હોવાનો આક્ષેપ હતો પણ તોયે લોકો એમના દિવાના હતા. એમની બોલી અને લખાણ બોલીવુડમાં એક અલગ સ્ટાઈલ બની ગઈ હતી.

બીજી ભાષાઓમાં હશે કે કેમ, પણ કોઈના નામની પાછળ ‘નો’, ‘ની’, ‘નું’, ‘ના’ જોડીને પ્રેમ દર્શાવવાની સવલત ફક્ત ગુજરાતીમાં જ હશે! ‘વાયડીના’, ‘ગાંડીના’, ‘ગૂંગણીના’, ‘વેવલીના’, ‘ઘેલઘાઘરીના’, ‘ડાહ્યલીના’ જેવા શબ્દો સૌરાષ્ટ્રમાં પહેલાંયે બોલાતા અને હજીએ બોલાય છે. પણ આપણા બોલીવુડમાં આ શબ્દો રૂપેરી પડદે બોલવાની શરૂઆત રમેશ મહેતાએ કરી અને કરાવી. એ સિવાય ગુજરાતી સિનેમાના પડદે ક્રિયાપદોમાં પણ નો-ની-નું-ના લગાડવાની પ્રથા રમેશ મહેતાથી શરૂ થઈ. ‘હાલતીનો થા’, ‘ઊંભીનો રે’ જેવા પ્રયોગોનો વાક્યોમાં ઉપયોગ એમણે કર્યો અને સૌરાષ્ટ્ર-કાઠિયાવાડની એ પ્રથાને આગળ ધપાવી. રમેશ મહેતાને અભિનય અને કલાનો વારસો તેમના પિતા ગીરધરભાઈ તરફથી મળેલો. પોતાના કરિયરની શરૂઆતમાં લાઈટીંગના કામ, પછી રંગભૂમિ પર ઉમદા કલાકાર તરીકે, નાટકોના લેખક તરીકે, ગુજરાતી ફિલ્મોમાં અદ્‌ભૂત એક્ટિંગ કરવામાં અને પટકથા-સંવાદ લખવામાં એમની ખૂબી હતી. જેમ હીરો સાથે કોઈ એક હીરોઈન સૂટ થાય એમ રમેશ મહેતાની જોડી મંજરી દેસાઈ કે રજની બાળા સાથે જ રહેતી. રમેશ મહેતાની લોકપ્રિયતાની ઊંંચાઈ એટલી હદે હતી કે એમને હીરોની જેમ પોતાની ફિલ્મમાં એક ગીત પર ફરજીયાત પણે પરફોર્મ કરવાની ફરજ પાડવામાં આવતી. એમનું ગીત ‘તારી બા ને બજરનું બંધાણ’ એક વાર યુટ્‌યુબ પર જોઈ લેજો, જલસો પડી જશે! એ ફક્ત હાસ્ય કલાકાર જ નહોતા, એક ઉમદા લેખક પણ હતા - રાજા ભરથરી, હોથલ પદમણી, હસ્તમેળાપ, વાલો નામોરી જેવી ફિલ્મોની સ્ક્રીપ્ટ તેમણે જ લખી હતી. એમણે લખેલા નાટકો જેમ કે ‘હું એનો વર છું’ અને ‘સૂડી વચ્ચે સોપારી’ રાષ્ટ્રીય સ્તરે પણ ખ્યાતિ પામ્યા હતા.

સંત સુરદાસ, પારકી જણી, સોરઠની પદમણી, ઝૂલણ મોરલી, આંગણે વાગે રૂડા ઢોલ, સાજન તારા સંભારણા, રાજા ભરથરી, હોથલ પદમણી, હિરણ ને કાંઠે, જેસલ તોરલ, માલવપતિ મૂંજ, દેશ રે જોયા રે દાદા પરદેશ જોયા જેવી સફળ ફિલ્મોની શૃંખલામાં ઝળકેલા રમેશ મહેતા ગુજરાતી સિનેમામાં કોમેડીનો પર્યાય બની ગયા હતા. હા, ‘ગાજરની પિપૂડી’ નામની એક ફિલ્મમાં એ હીરો તરીકે પણ આવ્યા હતા. મહેમૂદ, મુકરી, કેશ્ટો મુખર્જી, અસરાની, જગદીપ જેવા કલાકારો જ્યારે હિન્દી ફિલ્મોમાં ધૂમ મચાવી રહ્યા હતા ત્યારે એકલપંડે બોલીવુડને પેટ પકડીને હસાવનારા એકમાત્ર રમેશ મહેતા હતા. ૭૦ની વય પછી એમણે બે આલ્બમ પણ કર્યા - ‘તારી બા ને બજરનું બંધાણ’ અને ‘મારે હવે પરણવું છે!’

ભલે ગુજરાતી ફિલ્મોમાં એક વિશિષ્ટ લહેકો અને ગામઠી શૈલીમાં પોતાના સંવાદોની રમૂજી રજૂઆત કરી હોય પણ જીવનભર દર્શકોને પેટ પકડીને હસાવનારા આ ઉમદા કલાકારના હાસ્યની પાછળ ગંભીર સંઘર્ષ અને ઊંંડાણભરી લગનની ગાથા જોડાયેલી છે. રમેશ મહેતાને એક ઈન્ટરવ્યુમાં પૂછાયું હતું કે તમારા જીવનનો કરૂણ પ્રસંગ કયો? ત્યારે રમેશ મહેતા કહે છે, “મારી પત્ની વિજયાલક્ષ્મી મને મૂકીને સ્વર્ગ સિધાવી એ મારા જીવનનો સૌથી કરૂણ પ્રસંગ છે. પત્નીના અવસાન બાદ એક વાર હું હાલોલમાં શૂટીંગ પૂરૂં કરી આદત મુજબ રાજકોટ આવવા પહોંચ્યો ત્યારે મને યાદ આવ્યું કે પત્ની તો ગુજરી ગઈ છે. હવે હું કોને મળવા ઘરે જાઉં છું? હવે હું મકાનને મળવા જાઉં છું કે ખાલીખમ રસોડાને? જે હિંચકા પર અમે સજોડે હીંચકતા ઈ હીંચકો તો હવે હલવાનું જ ભૂલી ગયો છે. હવે હું એ ધૂળ ચડેલા હીંચકાને મળવા જાઉં કે સૂની પડેલી સેજને મળવા જાઉં છું?”

ગોંડલ તાલુકાના નવાગામમાં જન્મેલા રમેશ મહેતા જેવો બીજો કોઈ કોમેડિયન બોલીવુડને મળવો મુશ્કીલ હી નહીં નામુમકીન હૈ! જેમની સ્મશાનયાત્રામાં રોકકળ ન થતાં એમની ફિલ્મોના લહેકાદાર ડાયલોગ અને ગીતોની સીડી વગાડવામાં આવી હોય એ ખરેખર એક હાસ્યકલાકાર જ હોઈ શકે.

***

શરીરના બાહ્યભાગમાં ક્યાંય વાગે તો ડેટોલ કે હળદર લગાડીને શરીરમાંથી નીકળતા લોહીને થોડી વાર માટે બંધ કરી શકાય પણ સમયના ઘા જેણે ખાધા હોય એની ભીતર આવા લોહીના ફુવારાને કેવી રીતે શાંત કરી શકાય? આવા આંતરભાગમાં થયેલા ઘાવથી જ જન્મે છે કવિતાના શબ્દો અને જેણે અંદર દુઃખ જોયું છે એના મોઢે જ હાસ્યના ફુવારા છૂટી પડે છે. પ્રસિદ્ધ હાસ્યકલાકાર શાહબુદ્દીન રાઠોડને કોઈએ કહ્યું કે મારે પણ હાસ્યકલાકાર બનવું છે. ત્યારે શાહબુદ્દીનભાઈ બોલ્યાઃ “તમારે હાસ્યકલાકાર બનવું છે? તો તમારા આંસુ બતાવો મને!” રમેશ પારેખ અને રમેશ મહેતા - આ બંને મહાન વ્યક્તિઓની ખોટ ગુજરાતી પ્રજાને હંમેશા સાલવાની, પણ એમણે આપેલા ઉત્કૃષ્ટ વારસાને બિરદાવીએ એ જ આપણા દ્વારા એમને અપાયેલી શ્રદ્ધાંજલી કહેવાય!

પડઘોઃ

એક ખાબોચિયું ઉંબરમાં આવ્યું : સુકાયું

હતો ‘રમેશ’ને મોટો પ્રસંગ જાણું છું (રમેશ પારેખ)

ઘડવૈયા, મારે ઠાકોરજી નથી થાવું...

‘ન્યાય, નીતિ સૌ ગરીબને મોટાને સહુ માફ; વાઘે માર્યું માનવી, એમાં શો ઈન્સાફ?’ આ પંક્તિનો લાઈવ અનુભવ થોડા દિવસો પહેલાં થયો અને થતો રહેવાનો. આજકાલ જમાનતનો જમાનો છે. પળવારમાં કોર્ટના ફેંસલામાં મોટા મોટા ગુનેગારોના કર્મોનો ‘હિસાબ’ થઈ જાય છે. આ વિષય પર ઘણું બધું લખાઈ ચૂક્યું છે પણ મારે જે વિષય પર વાત કરવી છે એ અલગ છે.

અપ્રમાણસરની સંપત્તિ ભેગી કરવાના ગુનામાં સંડોવાયેલા તમિલનાડુના ભૂતપૂર્વ (અને હવે ફરી નીમાયેલા) મુખ્યમંત્રી જયલલિતાને સરકારે નિર્દોષ જાહેર કર્યા. ‘અમ્મા નિર્દોષ છે’ આ સમાચાર આવ્યા એના લગભગ પાંચેક મિનિટમાં જ અમ્માના સમર્થકો અને અનુયાયીઓ ફટાકડા ફોડવા માંડયા, મિઠાઈઓ વ્હેંચવા માંડયા, સ્ત્રીઓ-પુરૂષો રસ્તા પર નાચવા માંડયા, “અમારા અમ્મા એ સાઉથ ઈંડિયાના ‘ઝાંસી કી રાની’ છે” એવા ઉદ્‌ગારો ઉચ્ચારવા માંડયા. મારી ઓફિસના એક ભાઈએ તો કેડબરીનું મોટું બોક્સ મંગાવીને બધાને ગળ્યું મોઢું કરાવ્યું. અમ્મા ખરેખર નિર્દોષ છે કે નહીં એ તો રામ જાણે પણ એક વાત નોંધનીય છે કે ‘ચાહનાની ચરમસીમા’ને કારણે કાળા માથાના માનવી જ્યારે લોકોમાં પૂજાવા લાગે છે ત્યારે એક અલગ દુનિયા નિહાળવા મળે છે. થોડાં સમય પહેલાં રાજકોટમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂર્તી અને મંદિર બનાવવામાં આવ્યું હતું. મૂર્તીનું અનાવરણ થવાના એક દિવસ પહેલાં ખુદ ન.મો.એ ટ્‌વીટર પર આ વાતનો વિરોધ કર્યો અને આ વાત સાથે લોકોનો ઉત્સાહ પણ ફ્લશ થઈ ગયો. ૧૯૮૩માં ‘કુલી’ ફિલ્મ રિલીઝ થયેલી પણ એ ફિલ્મના શૂટિંગ દરમ્યાન અમિતાભ બચ્ચનને ઈજા થયેલી. ફિલ્મના શૂટીંગ વખતે કોઈને ઈજા થાય ને દરેક ધર્મના લોકો એક થઈને એ કલાકારના જીવન માટે પ્રભુને પ્રાર્થના કરતાં હોય એવું ફિલ્મજગતના ઈતિહાસમાં પહેલી વાર જ બનેલું. જો કે ઈશ્વરકૃપાથી અમિતાભ બચી ગયા પણ પોતે ઈશ્વરની હરોળમાં આવી ગયા. એ પછી આજ સુધી અમિતાભ બચ્ચનની એક નાનકડી ઝાંખી મેળવવા દર રવિવારે એમના ચાહકોના ટોળા એમના મુંબઈમાં આવેલા ‘જલસા’ નામના બંગલાની બહાર ઊંમટી પડે છે. ૧૯૮૨થી ચાલતો આ એમનો વર્ષોનો ક્રમ છે અને આજસુધી તૂટ્‌યો નથી. કે.બી.સી. પર રમવા આવેલા મહાનુભાવો હોય કે ‘ફોન-અ-ફ્રેન્ડ’માં અમિતાભ સાથે ફોન પર વાત કરનારા હોય, મોટા ભાગના લોકો એમ કહેતા હોય છે કે વર્ષોથી અમારી તમને મળવાની કે તમારી સાથે વાત કરવાની ઈચ્છા હતી. છે આવો દબદબો બોલીવુડના કોઈ બીજા કલાકારનો? સચિન તેંડુલકરની ઈમેજ કેવી? લિવિંગ લેજન્ડમાંથી લિવિંગ ગૉડ! ‘જો ક્રિકેટ એક ધર્મ છે તો સચિન એ ધર્મનો ભગવાન છે’, એવા મેસેજ ફરતાં થાય એ કાંઈ નાનીસૂની વાત નથી. સચિને જ્યારે બેવડી સદી ફટકારી હતી ત્યારે ખુદ સુનિલ ગાવસ્કરે કહેલું કે હું સચિનના ચરણસ્પર્શ પણ કરીશ. દક્ષિણ ભારતમાં ફિલ્મી કલાકારો જેટલી લોકપ્રિયતા ભાગ્યે જ કોઈ બીજા ક્ષેત્રમાં જોવા મળતી હશે. બોલીવુડમાં અમિતાભ છે એમ દક્ષિણભારતમાં રજનીકાંત! રજનીકાંત એના ચાહકો માટે લિવિંગ ગૉડ છે. એકાદ વાર દક્ષિણભારતના કોઈ શહેરમાં કોઈ થિયેટરની બહાર લટાર મારશો તો ફિલ્મના જે-તે ફિલ્મસ્ટારોના બે માળની ઊંંચાઈ જેટલા તોતિંગ પોસ્ટરો અને એ પોસ્ટરો પર ચઢાવેલા જાડા હારના ગુચ્છા જોવા મળશે. ફિલ્મ અભિનેત્રી ખુશ્બુનો બોલીવુડમાં ભલે કોઈ ભાવ ના પૂછતું હોય પણ સાઉથમાં તિરૂચિરાપલ્લી નામના શહેરમાં તેના મંદિરો બનેલા છે. એન.ટી.રામારાવ કે એમ.જી.રામચન્દ્રન્ જેવા ફિલ્મી હીરોની લોકપ્રિયતા એવી જબરજસ્ત હતી કે એમના અવસાન પછી કેટલાય લોકોએ આપઘાત કરી લીધેલા. આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન રાજશેખર રેડડીનું હેલિકોપ્ટર તૂટી પડતાં નિધન થયું તેની પાછળ પણ લોકોએ આપઘાત કરેલા. બાળ ઠાકરેની અંત્યેષ્ટિ વખતે સંપૂર્ણ મહારાષ્ટ્રમાંથી ૨૦ લાખથી પણ વધુ શિવસૈનિકો મુંબઈ આવેલા. બાળ ઠાકરે ભલે નોન-મહારાષ્ટ્રીયનો માટે માથાનો દુખાવો હતા પણ મુંબઈના શિવાજી પાર્કમાં શિવસેનાની રેલીમાં કોઈવાર જાઓ તો અનુભવ થાય કે કહેવાતા શિવસૈનિકોમાં બાળ ઠાકરે માટે કેટલી કદર હતી. એવું જ રાજ ઠાકરેનું પણ છે. ‘મનસે’ની સ્થાપના થઈ એ દિવસથી જ એ તડ-ફડ માણસના અનુયાયીઓમાં દિવસે-બમણી રાત્રે-ચાર્ગણી પ્રગતિ થઈ છે. કહેવત છે કે કાગડા બધેય કાળા જ હોય અને એટલે જ માનવીને ભગવાન માનવાનો શિરસ્તો ફક્ત ભારતમાં જ નથી. વિદેશોમાં પણ આવા કિસ્સાઓ નોંધાયા છે. માઈકલ જેક્સનને તો લોકો એવા પૂજતા કે એના મોત પછી વિશ્વભરના ચાહકોએ એની માટે આંસુ સાર્યાં. જેક્સનના મૃત્યુ પછી મોતના સમાચારને વિગતવાર જાણવા માટે એના ચાહકોને કારણે ગુગલ, ટ્‌વીટર અને વિકીપીડિયાની વેબસાઈટ ક્રેશ થઈ ગઈ હતી. ‘રોક એન્ડ રોલ’ના કિંગ તરીકે ઓળખાતા વિશ્વવિખ્યાત અમેરિકન ગાયક-અભિનેતા એલ્વિસ પ્રેસ્લીના ચાહકો એ બાબત સ્વીકારવા તૈયાર નહોતા કે એ મૃત્યુ પામ્યા છે.

ધર્મ-ધુરંધર હોય, રાજનેતા હોય, અભિનેતા હોય, કુદરત હોય, ઈશ્વર હોય કે કોઈ પણ પ્રકારનો આદર્શ હોય - કોઈને પૂજવું એ માણસનો સ્વભાવ છે. આદર જ્યારે અહોભાવ બને છે ત્યારે આસ્થાની સરવાણી ફૂટે છે. લોકપ્રિયતા જ્યારે સીમા વટાવી દે, આસમાનને આંબે ત્યારે આદરનું રૂપાંતર આરતીપૂજામાં અને પ્રશંસાનું રૂપાંતર પ્રાર્થનામાં થાય છે. ભારતમાં ધર્મગુરૂઓ સૌથી વધુ લિવિંગ ગૉડ બન્યા છે. પટ્ટપૂર્ત્િાના સત્ય સાઈબાબા, બગદાણાનો બાવલિયો, વીરપુરના જલાબાપા, શિર્ડીવાલે સાંઈબાબા, સતાધારના શામજીબાપુ, ગુરૂ નાનક અને બીજા અનંત નામો લઉં તોયે ઓછા પડે. આ દરેક સંતોનું પદ તેમના ભક્તોમાં ભગવાનની લગોલગ છે. મોરારિબાપુ, આર્ટ ઑફ લિવિંગના શ્રી શ્રી રવિશંકર મહારાજ, પ્રમુખસ્વામી મહારાજ, રાધે માં, માતા અમૃતાનંદમયી, નિરંકારી બાબા - આ બધાં જ ગુરૂ છે પણ લોકોની આસ્થા એમનામાં ગુરૂ કરતાં પણ વધુ છે. યોગ્ય સંતો પૂજાય એનો વાંધો નહીં, પણ ખોટા પૂજાય પછી સેક્સ-રેકેટો અને કૌભાંડો બહાર આવે છે. શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર છે? પણ વધુ પડતી શ્રદ્ધા સારી નહીં કારણ કે એ પછી અંધશ્રદ્ધા બની જાય છે. ભારતમાં અંધશ્રદ્ધાનો ગેરફાયદો જેટલો ઉઠાવાય છે એવો કદાચ અન્યત્ર ભાગ્યે જ ઉઠાવાતો હશે. લાભુમા અને તપસ્વીઓ આજેય પૂજાય છે પણ જ્યારે આંખ સામેથી પટ્ટી ઊંતરે ત્યારે ખબર પડે છે કે કંકોડા છે. ‘નિર્મલ’ નામના એક બાબાના દરબારમાં જવા માટે ૩-૪ મહિના પહેલાં બુકીંગ કરાવવું પડે અને એ પણ અંદાજે બે-અઢી હજારની ટિકિટ લઈને! બાબાનો સંત-સમાગમનો સમય પૂરો થાય ત્યારબાદ પૂર્ણાહુતિ વખતે ભક્તો પોતાના પર્સ-વૉલેટ-પાકીટ ખુલ્લા રાખે અને દૂરથી નિર્મલબાબા કીરપા (કૃપા) વરસાવે. જો એ રીતે બધાં લોકો પાસે ધન આવી જતું હોય તો પછી પોતે જ એકઠું ન કરી લેવાય? લોકો પાસે અઢી હજારની ટિકીટ શું કામ લેવી પડે? અખો ભગત કહી ગયો છે - આંખના આંધળા અને ગાંઠના પૂરા લોકો સ્વેચ્છાએ લૂંટાતા હોય છે. આવા અંધશ્રદ્ધામાં ડૂબેલા જનોની દ્રષ્ટિ સુધારવા જ ‘ઉમેશ શુક્લા’ અને ‘રાજુ હિરાણી’ જેવા લોકોને બહાર આવવું પડે છે.

એક માણસ પોતાના જ પગનો અંગૂઠો ધોઈને પીતો હતો. કોઈએ આવીને પૂછ્‌યું - શું કરો છો? તો પેલા માણસે નિખાલસતાથી જવાબ આપ્યો - મારૂં માહાત્મ્ય વધારૂં છું.......આ બહુ નાની વાત છે પણ આજે પોતાનો અંગૂઠો ધોઈ પીનારા લોકોનો ત્રોટો નથી. જીવતા જગતિયું કરનારા ઓછા નથી. નેતાઓ પોતાના પૂતળાઓ મૂકાવે, મંદિરો બનાવડાવે, નાના-નાની પાર્ક કે રસ્તા કે ચોકને પોતાના નામ આપે. જેને પૂજાવાના બહુ અભરખા હોય એને આ બધું બહુ ગમે. પણ આ કાંટાળો તાજ પોતાની મરજીથી નહીં કર્મોથી પહેરાય છે. વિધાતા જ્યારે આપણી ઉપર કોઈ પાઘડી બાંધે ત્યારે જેનું માથું હલતું નથી એ જ આગળ વધે છે. કાળા માથાનો માનવી જ્યારે ભગવાન બનીને પૂજાવા માંડે ત્યારે એ માનવીની જવાબદારી છે કે પોતાના પદની કે હોદ્દાની ગરિમા જાળવે. એકવાર આપણી પાસે ફોર-વ્હીલર આવી જાય પછી સાયકલ કે બાઈકવાળા સાથે ઝઘડો કરવો આપણને શોભા ન દે. પોતાના પદની ઠાવકાઈ જાળવવી જરૂરી છે. અમિતાભ કે સચિનને જે લોકો મળેલા છે એ એમ કહે છે કે એ ‘ડાઉન ટુ અર્થ’ છે. સચિન જ્યારે રમતો ત્યારે આઉટ થઈ જાય તો અમ્પાયર આંગળી ઉઠાવે એ પહેલાં એ પીચ છોડી દે. ખોટી રીતે આઉટ અપાયો હોય તો પણ કદી કાંઈ બોલ્યો નથી. માનવીય નબળાઈથી જે પર થઈ જાય છે એ માનવીના ઝૂંડમાં ઉપર આવી જાય છે. વિનમ્રતા અને વિવેક જ માણસને તારે છે. ગુજરાત તો જેસલ જાડેજા જેવા ચોરટાને પણ પૂજે છે પણ એ માટે જેસલ જેવો પશ્ચાતાપ જોઈએ, શરણાગતી જોઈએ. એટલે જ કવિ ‘દાદ’ના ખૂબ જ પ્રચલિત ભજનમાં કહેલું છે કે કોઈ યુદ્ધમાં શહીદ થયેલાં સૈનિકના પાળિયા થાવું સારૂં, પણ પીળા પિતાંબર અને વાઘામાં વીંટાઈને ઠાકોરજી થાવું નહીં સારૂં...

પડઘોઃ

એક મંદિરમાં લગાડેલું બોર્ડ - મંદિરમાં પગરખાં પહેરીને આવશો તો ચાલશે પણ અભરખા પહેરીને નહીં આવતાં (ફેસબુક પર વાંચેલી એક કટાક્ષ પોસ્ટ)

અધિક - થોડા ઔર ચલેગા!

એય ને વળી પાછો અધિક માસ શરૂ થઈ રહ્યો છે. હા, એ જ પુરૂષોત્તમ માસ! બેનું, દીકરીયું, માવડીયું ગોર પૂંજવા જશે અને ‘આંબુડુ જાંબુડુ’ ગાશે. સામાન્ય રીતે ૩૨ મહિના ૧૬ દિવસ ૩ કલાક અને ૧૨ મિનિટ પસાર થયા બાદ અધિક માસની વ્યવસ્થા પંચાંગમાં કરવામાં આવી છે. એટલે કે દર ત્રીજા વર્ષે અધિક માસ હોય છે. ચંદ્ર માસના ગણિતથી વર્ષ ૩૫૪ દિવસ ૯ કલાકનું હોય છે અને સૌર માસના ગણિતથી વર્ષ ૩૬૫ દિવસ ૬ કલાકનું હોય છે. આ બંને વચ્ચેનું અંતર અધિક માસ દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. સીધી સરળ ભાષામાં કહીએ તો પુરૂષોત્તમ માસ એટલે વિષ્ણુ ભગવાનના અવતારરૂપની પૂજા. આપણા સંવતવાળા કેલેન્ડરમાં કોઈવાર તિથિઓનો ક્ષય આવતો હોય છે તો કોઈવાર એકસ્ટ્રા તિથિઓ આવે - આ દરેકનું એડજસ્ટમેન્ટ કરવા માટે ગણિતજ્ઞોએ અધિક માસ મૂક્યો છે. કુદરતને ખબર છે કે માનવીને ‘અધિક’ શબ્દ સાથે બહુ લગાવ છે એટલે જ એ આપણને દર ત્રણ વર્ષે ‘અધિક માસ’ આપે છે. અધિક એટલે વધારે, વધારાનું નહીં! હિંદુ કેલેન્ડર જ નહીં, અંગ્રેજી કેલેન્ડરમાં પણ દર ચાર વર્ષે ‘લીપ યર’ આવે છે જેમાં ફેબ્રૂઆરી મહિનામાં ૨૯ દિવસ હોય.

અધિક મેળવવું એ તો માણસની જન્મોજનમની અંતરની એષણા છે. જન્મથી અંતિમ ઘડી સુધી યે દિલ માંગે મોર. બાળક જ્યારે માતાના સ્તનમાંથી ધાવણ ધાવતું હોય ત્યારે એને થોડું ખેંચીને દૂર કરવાનો પ્રયત્ન કરશે, બાળક સ્તનપાન કરવાનું મૂકવા ઈચ્છશે જ નહીં, એને હંમેશા અધિક ધાવણ જોઈએ. એ જ બાળક મોટું થાય ત્યારે એક ને બદલે બે ચોકલેટ જોઈએ. પાડોશીના બાળક પાસે હોય એના કરતાં વધારે રમકડાં જોઈએ. શાળામાં ક્લાસમેટ લાવે છે એના કરતાં સારી પેન-પેન્સિલ જોઈએ. કૉલેજમાં જાય તો બીજા પાસે હોય એના કરતાં મોંઘો મોબાઈલ જોઈએ. પોકેટમની ૫૦૦ રૂપિયા હોય તો એના બદલે ૧૦૦૦ રૂપિયા જોઈએ. શિક્ષણ ભલે આજના જમાનાની જરૂરિયાત હોય પણ એમાંય આપણી આ જ વૃત્તિ છે. એસ.એસ.સી થઈ જાય પછી ગ્રેજ્યુએશન, એના પછી પોસ્ટ-ગ્રેજ્યુએશન, એ પતે એટલે એમ.બી.એ., પછી પી.એચ.ડી. - અધિક ને અધિક શિક્ષણ મેળવવામાં અડધી જુવાની વહી જાય છે. ઑફિસમાં જાય તો બીજા કરતાં વધારે પગાર જોઈએ. સાથે સાથે પ્રમોશન જોઈએ. સારૂં મકાન, એમાં લેટેસ્ટ ફર્ન્િાચર. નાના ફ્રીજને બદલે ડબલ-ડોરનું ફ્રીજ. બે મોઢાને બદલે ચાર મોઢાવાળો ગેસનો ચૂલો. પંખાને બદલે એ.સી. જોઈએ. એક માળનું મકાન હોય તો ચાલો ટેરેસ કરી લઈએ, ટેરેસ હોય તો ચાલો ટેરેસ પર એકાદી રૂમ બાંધી લઈએ. આ લિસ્ટ હંમેશા વધતું જ જાય છે. આપણને દરેક વાતમાં ‘થોડા ઔર ચલેગા’ એવું કહેવાની આદત પડી ગઈ છે. તીન પત્તી રમવા બેઠા હોય અને થોડાંક રૂપિયા હારી જાઓ ત્યારે તમને એમ થાય કે હજી થોડી વાર રમી લઉં એટલે જે ગ્યા છે એ કવર થઈ જાય. પણ એ કવર કરવામાં જે બચ્યા હોય એય હારી જવાય અને પછી ઘરે જીને કવર વગરના ઓશિકા પર માથું રાખીને સૂઈ જવું પડે. શેરબજારનું પણ એવું જ છે. આવતી કાલે શેરનો ભાવ વધુ થશે ત્યારે વ્હેંચી દઈશ એ લાલચમાં જે પહેલા મળતો હોય એનાથી અડધો ભાવ પણ ન મળે. બહાર રેસ્ટોરેન્ટમાં જમવા જીએ ત્યારે ૧ ફુલ સૂપ મંગાવવાને બદલે બે વન-બાય-ટુ મંગાવીએ, આમ કરવાથી થોડું વધારે સૂપ મળે. આવું જ ગણિત શેરડીનો રસ પીવા જીએ ત્યારે પણ હોય. પીત્ઝા ખાવા જીએ ત્યાં પીત્ઝા જે ભાવનો હોય લગભગ તેટલી જ કિંમતના ચીલી-ફ્લેક્સ અને પૅપર ઉઠાવી લઈએ છીએ. ‘જોઈએ જોઈએ’ કરવા વાળા આપણને એ ખબર નથી કે કેટલું ઈનફ છે. બસ ભેગું કરતા રહો અને મનને મંદિરમાંથી ઉકરડામાં ફેરવી નાખો.

તમને ખબર છે કે માણસ હંમેશા ઠરવાને બદલે એકદમ મહાબળેશ્વર કેમ બનતો જાય છે? કારણકે એ સદાય મોહગ્રસ્ત રહે છે. આપણે જાણે ૧૫૦-૨૦૦ વર્ષ જીવવાના હોઈએ એટલું ભેગું કરીએ છીએ. દસ હજાર આ બેંકમાં ફિક્સમાં મૂકી દઈએ, પાંચ વર્ષમાં એ પાકી જશે. પંદર હજાર પેલી આ બેંકમાં મૂકી દઈએ, સાત વર્ષમાં એ પાકી જશે....ઈ બધું પાકી જાય ત્યાં પોતે પાકી ગ્યો હોય! પછી માંદગી મમળાવતો થઈ જાય એટલે એના એ જ પૈસા ડૉક્ટરને પધરાવવા પડે. ઉર્દૂ શાયર અકબર મૈરઠીનો એક શેર છેઃ “આગાહ અપની મૌતસે કોઈ બશર (માનવ) નહીં, સામાન સો બરસ કે હૈ, પલ કી ખબર નહીં”. એક શેઠ પાસે અઢળક મિલકત હતી. નોકર-ચાકર ચોવીસે કલાક હાજર રહેતાં. પાણી માંગે તો દૂધ મળે એવી જાહોજલાલી હતી. એ જ શેઠે એક વાર એના મુનિમને પૂછ્‌યું, “આપણી પાસે કેટલી સંપત્તિ હશે?” મુનિમે જવાબ આપ્યો કે આપણી પાસે તમારી એકોતેર પેઢી સુધી ચાલે એટલી સંપત્તિ છે. આ સાંભળીને શેઠ રડવા માંડયાં. મુનિમે પૂછ્‌યું, “શેઠ, કેમ રડો છો?” ત્યારે શેઠ બોલ્યાં - તો પછી મારી બોતેરમી પેઢીનું શું થાશે? બોલો, બોતેરમી પેઢીની ચિંતા કરવા વાળા લોકો પણ છે આ દુનિયામાં!! જીવતા તો આવી વૃત્તિ હોય, પણ મર્યા પછી પણ ન છૂટે. એટલે જ શબાના આઝમીના પિતા કૈફી આઝમીએ આવા લોભિયાઓ માટે એક શાયરી લખેલીઃ

ઈન્સાન કી ખ્વાહીશોં કા કોઈ ઈન્તીહા (મર્યાદા) નહીં,

દો ગજ જમીન ભી ચાહિયે, ઉસે દફનાને કે બાદ...

ભારતમાં સૌ પ્રથમ લોકોને રૂપિયા જીતાડે એવો શો વર્ષ ૨૦૦૧માં શરૂ થયો જેનું નામ હતું - કૌન બનેગા કરોડપતિ. એના થોડા દિવસમાં અનુપમ ખેર અને મનિષા કોઈરાલા સંચાલિત શો આવ્યો હતો - સવાલ દસ કરોડ કા! અને ત્યારબાદ ગોવિંદાને લઈને હજી વધારે કમાવી આપે એવો શો આવ્યો - જીતો, છપ્પર ફાડ કે! - આમ માણસની લાલસા પણ વધતી જ જાય છે. અંગ્રેજીમાં લોભી માણસને ‘ગ્રીડી-પીગ’ કહેવાય છે એટલે ખા-ખા કરતો ડૂક્કર! અને આવી લાવ લાવની વૃત્તિને અંગ્રેજીમાં ‘ગ્િામ્મી મોર’ કલ્ચર કહેવાય છે. ગ્િામ્મી એટલે ભૌતિક વસ્તુઓ ખાસ કરીને પૈસો પ્રાપ્ત કરવાની અણથંભી અને વણથંભી દોટ, ધનલોભ, અતિતૃષ્ણા એટલે ગ્િામ્મી મોર. જેમ પેટનું ભૌતિક ખાઉધરાપણું હોય છે એમ મન અને મગજનું પણ ખાઉધરાપણું હોય છે. આપણને દરેકને કીર્ત્િાની પણ ભૂખ હોય છે જેને અંગ્રેજીમાં ‘ઈન્ટેલેક્ચ્યુઅલ હંગર ફોર ફેઈમ, મની ઍન્ડ પાવર’ કહેવાય છે. પણ જે ચીજ પ્રાપ્ત કર્યા પછી આપણને સંતોષ ન થાય તો એમ સમજવું કે એ ચીજ આપણને જોઈતી જ ન હતી, છતાં આપણે એ પ્રાપ્ત કરી. એક હિંદી કવિએ સાચું કહ્યું છેઃ “ગોધન, ગજધન, બાજધન ઔર રતનધન ખાન; જબ આવે સંતોષધન સબ ધન ધૂલ સમાન!” અનુભવ કહે છે કે સંતોષ સાથે સુખ જોડાયેલું છે અને અસંતોષ સાથે અસુખ જોડાયેલું છે. જેટલું હોય તેટલું ઓછું પડે એવી માનસિકતાને લીધે માણસ સતત કણસતો રહે છે. સદીઓથી સંગ્રહીત થયેલા અનુભવને કારણે જ માનવજાતને ‘સંતોષી નર સદા સુખી’ કહેવત મળી છે.

ૈંક ર્એ કીીઙ્મ ંરટ્ઠં ર્એ રટ્ઠદૃી ીર્હેખ્તર

છહઙ્ઘ ૈક ર્એ ુટ્ઠહં ર્ં દ્બટ્ઠાીર્ ંરીજિ રટ્ઠઅ

ર્ડ્ઢ ર્હં ટ્ઠઙ્ઘઙ્ઘ ર્ં રૈજ ર્જજીજર્જૈહજ

મ્ેં જેહ્વંટ્ઠિષ્ઠં કર્િદ્બ ંરી

જીેદ્બર્ ક રૈજ ઙ્ઘીજૈિીજ, ્‌ીટ્ઠષ્ઠર રૈદ્બ

ર્‌ હ્વી જટ્ઠૈંજકૈીઙ્ઘ

- જીહીષ્ઠટ્ઠ

રોમન પાદશાહના નૈતિક સલાહકાર સેનેકાએ હજારો વર્ષો પહેલાં કહેલું કે માનવીએ તૃષ્ટિ, સંતોષ, ઈચ્છાનિવૃત્તિ, પર્યાપ્તપ્રાપ્તિ અને સંતૃપ્તિનો ગુણ પણ શીખવો પડશે. ગીતામાં કૃષ્ણ ભક્તનાં લક્ષણો ગણાવે છે ત્યારે કહે છેઃ ‘સંતુષ્ટઃ સતતં યોગી’. સદાય સંતુષ્ટ રહેવું એ જેવીતેવી ઉપલબ્ધિ નથી. અમેરિકામાં સંતોષ માટે એક શબ્દપ્રયોગ વપરાય છે - ફિલોસોફી ઑફ ઈનફનેસ. અધિક માસ ભલે ત્રણ વર્ષે એકવાર આવે, પરંતુ અધિકત્વ તો આજીવન માણસની સાથે વણાયેલું છે. નોટની થપ્પી જ્યારે તિજોરીમાં ગોઠવીએ ત્યારે એમાં બાઝેલી તાણ એ વખતે દેખાતી નથી. અધિકની લ્હાયમાં એ ભૂલાઈ જાય છે કે બધા લાભ શુભ નથી હોતા, પણ બધામાં નાનકડું શુભ એ મોટામાં મોટો લાભ હોય છે. આમ તો ‘લાભ’’ અને ‘લોભ’માં ફક્ત એક માત્રાનો જ ફરક છે એટલે કે લાભમાં લાલચની માત્રા ઉમેરાય એટલે એ લોભ બની જાય છે. પણ એ માત્રા ક્યારે કઈ માત્રામાં વાપરવું એ નિર્ણય મહત્ત્વનો છે.

પડઘોઃ

હે ઈશ્વર, આમ તો મારી પાસે પૂરતું છે.

અમૂલ્ય રત્ન જેવી બે આંખો, આનંદથી બંસરી બજાવી શકાય એવું મુખ, ધનથી ન ખરીદી શકાય એવી તંદુરસ્તી છે.

હે ઈશ્વર, આમ તો મારી પાસે પૂરતું છે.

આકાશમાં સૂર્ય છે, મારા હાથને કામ મળી રહે છે, ખાવાપીવાની ખેંચ નથી અને પ્રેમ કરી શકું એવા માણસો છે.

હે ઈશ્વર, આમ તો મારી પાસે પૂરતું છે.

પણ જેનાથી મને સુખ, શાંતિ અને સંતોષ મળતો નથી, એવી વસ્તુઓનો મોહ છોડાવી દે.

મને વધારે ભોગી બનાવીને જાત સાથે બનાવટ કરીને, અકરાંતિયો બનાવી દેતી, લાલચુ બનાવી દેતી, આ લાલસામાંથી મુક્ત કર.

(કવિ રમેશ પુરોહિતે ‘સુખની કેડી કંકુવરણી’માં લખેલી એક પ્રાર્થનાનો ભાવાર્થ)

અક્ષર-નાદ અને શબ્દ-નાદ

લખવું એ એક શારીરિક પ્રક્રિયા છે. જ્યારે આપણું મગજ આપણી ભુજા, હાથ અને આંગળીઓને જ્જ્ઞાનતંતુ વડે આદેશ આપે છે ત્યારે લખાણનો જન્મ થાય છે. આપણને દરેકને બાળપણમાં નર્સરીમાં-શાળાઓમાં એક સરખા કક્કો-બારાખડી કે એબીસીડી શીખવવામાં આવે છે છતાં દરેકની હેન્ડરાઈટીંગ કે લખાણ અલગ અલગ હોય છે. શા માટે? લખવા માટેનો ઉદ્દેશ આપણા મગજના ઊંંડાણમાં રહેલી સર્જનાત્મક પ્રક્રિયાઓમાંથી અર્થસભર હાવભાવના પ્રતિનિધિ તરીકે લખાણ દ્વારા બહાર આવે છે. ભલે આપણે એક પ્રમાણભૂત (સ્ટાન્ડર્ડ) અક્ષરોનું માળખું શીખ્યા હોઈએ, છતાં શબ્દો અને અક્ષરોને દરેક લોકો પોતાના વિચારો પ્રમાણે વ્યક્ત કરતાં હોય છે. એક અમેરિકન આંકડાશાસ્ત્રીએ એવું નિર્ધારિત પણે કહેલું કે બે લોકોના અક્ષરો એકસરખા હોવાની સંભાવના ૬૮ અબજમાં એકની છે!

આપણે ભલે કોઈનું મગજ ન વાંચી શકતાં હોઈએ, પણ લોકોના અવાજ-સ્વર, હાવભાવ, અંગસ્થિતિ, શારીરિક મુદ્રાઓ, શરીરનું બંધારણ અને કપડાં પહેરવાના ઢંગથી લોકોના આંતરિક માનસિક વર્તન અને વહેવારનો અંદાજ લગાડી શકાય છે. કોઈ ટેલીફોન બૂથની બહાર ઊંભા હોઈએ ત્યારે ભલે અવાજ ન સંભળાતો હોય પણ બૂથમાં વાત કરનાર વ્યક્તિની મુખમુદ્રા અને અંગસ્થિતિ પરથી આપણને વાતના ‘મૂડ’નો ખ્યાલ આવી જાય છે, એવું જ હેન્ડરાઈટિંગનું પણ છે. જેમ અલગ અલગ લોકોના ચહેરા, ફિંગર-પ્રિન્ટ્‌સ, અવાજ અને અવયવોમાં વૈવિધ્ય હોય છે એમ અલગ અલગ લોકોના હસ્તાક્ષરના નમૂનામાં પણ વિવિધતા જોવા મળે છે. આપણી લાગણીઓ અને ભાવનાઓ આપણા લખાણના સરમુખત્યાર છે. કોઈ લખાણમાં રહેલા શિષ્ટાચાર, ગોઠવણી અને બે શબ્દો વચ્ચેની જગ્યા - આ દરેકથી કોઈનું વ્યક્તિગત વર્તન નક્કી કરી શકાય છે. હસ્તાક્ષર ઉપરથી લોકોના ચારિત્ર્‌ય ઈત્યાદિ વિષે અનુમાન કરવાની કળાને અંગેજીમાં ગ્રાફોલોજી (ય્ટ્ઠિર્રર્ઙ્મખ્તઅ) કહેવાય છે. ગ્રાફોલોજી એ ગ્રીક શબ્દ ‘ગ્રાફિન’ પરથી બનેલો છે જેનો અર્થ થાય છે ’લખવું’.

આપણને પહેલો-વહેલો વિચાર એ આવે કે કોઈના હસ્તાક્ષરનું અવલોકન કરીને શું મળવાનું? ગ્રાફોલોજીનો મહદ્‌અંશે લોકો પોતાને કે બીજાને જાણવામાં, સામેવાળાના માહ્યલાંને શોધવામાં ઉપયોગ કરે છે, અને આવું કરવાવાળા સ્પેશિયાલિસ્ટો પણ હોય છે. અપરાધવિજ્જ્ઞાનમાં આ વિદ્યાનો ખૂબ ઉપયોગ થાય છે. ઘણી એવી કોલેજો અને યુનિવર્સ્િાટીઓ છે જે ગ્રાફોલોજીના કોર્સ માટે લોકોને પ્રોત્સાહિત કરે છે. અદાલતમાં કોઈ હેન્ડરાઈટીંગ નિષ્ણાંત દ્વારા આપવામાં આવેલા પુરાવાને પણ માન્ય રખાય છે. મનોવૈજ્જ્ઞાનિકોની જેમ જ ગ્રાફોલોજી જાણકાર લોકો વકીલ-એટર્નીઓ સાથે મળીને કોણે, શું, ક્યારે, કઈ પરિસ્થિતિમાં લખ્યું છે એ જાણવામાં મદદ કરે છે. હેન્ડરાઈટીંગ દ્વારા મળતા સંકેતોને કારણે તબીબી વિજ્જ્ઞાને પણ દર્દીઓની શારીરિક અપંગતા કે વિકૃતિ જાણવા માટે ગ્રાફોલોજીમાં વધુ રસ બતાવ્યો છે. પહેલાના સમયમાં હેન્ડરાઈટીંગ વડે દર્દીની માનસિક અવ્યવસ્થા જાણી શકાતી હતી. હવે મગજને પોષણ આપતી કે હ્ય્દયને પોષણ આપતી - કઈ ધમનીમાં વધુ સખ્તાઈ છે એ જાણી શકાય છે. હસ્તાક્ષરનું અવલોકન ‘સંધિવાના દુખાવા’ને અને ‘હાઈ બ્લડપ્રેશર’ના દર્દી વચ્ચે પણ તફાવત શોધી આપે છે.

કોઈ પણ પાનું કે પૃષ્ઠ એ લખનાર પાસે રહેલી જગ્યા કે વિસ્તાર દર્શાવે છે. સમજો કે લખનારના સંભવિત લખાણ માટેનો અખાડો. લખવાના ઝટકા કે સ્ટ્રોક એ લખનારના જાગૃત અને અજાગૃત મગજની સ્થિતિ દર્શાવે છે. નીચે દર્શાવેલા ગુણધર્મોમાંથી એક-બે કે બધાનો સમન્વય કરીને લખવાનો લય અને સ્વરૂપ ઓળખી શકાય છે અને તેનાથી લખનારનું સમતોલન સમજી શકાય છે.

૧.કોઈ પણ લખાણમાં ઊંભા ઝટકા-પ્રહાર-રેખાઓ એ લખનારના ચરિત્રનું દર્શન કરાવે છે જ્યારે આડા પ્રહાર (જેમ કે શબ્દોને ખેંચીને લખવું, બે અક્ષરો વચ્ચે જગ્યા છોડવી) એ લખનારનું વ્યક્તિત્વ દર્શાવે છે. લખેલું કોઈ વાક્ય ત્રાંસુ કે સીધી લીટીમાં ન હોય તો એ લખનારનો મૂડ બતાવે છે. જો એક સીધી લીટીમાં લખેલું હોય તો લખનારનું મન સ્થિર અને સ્વનિયંત્રિત છે. થોડું ઉપર તરફ વળેલા વાક્યો એટલે લખનાર મહત્વાકાંક્ષી, આશાવાદી અને સક્રિય છે. સહેજ નીચે તરફ ઢળેલાં વાક્યો હોય તો લખનાર ખિન્ન, વધુ પડતો સંવેદનશીલ અને હતાશ છે એવું માનવું. અને જો ખૂબ જ ઓફસેટમાં લખ્યું હોય તો અવાસ્તવિક, ખુશમિજાજી અથવા અતિશય ઉદાસ છે એવું માનવામાં આવે છે.

૨.આપણે જ્યારે લખવાનું શરૂ કરીએ અને વાક્ય જેમ આગળ વધતુ જાય એમ આપણે સીધી લીટીથી કેટલા દૂર જઈએ છીએ એ આપણો નૈતિક અંકુશ દર્શાવે છે. ઘણાં લોકોને આદત હોય કે એવું ઘૂંટીને લખે કે પાછલા પાને એની છાપ પડી જાય. લખતી વખતે અપાતું દબાણ એ આપણા અહમની નિશાની છે. એકદમ ઝાંખું લખવું એ પણ ઊંર્જાનો અભાવ દાખવે છે. લખવાનું દબાણ એ આપણી કામવાસનાનો પણ સૂચક છે. લખવામાં શબ્દોની જાડાઈ એ લખનારની આધ્યાત્મિક્તા અને ભોગ વિશે કહી જાય છે. એકદમ અણીદાર અક્ષરોવાળા લખવૈયા સંવેદનશીલ અને આધ્યાત્મિક હોય છે. જાડા અક્ષરોથી લખવાવાળા પ્રબળ, ભૌતિક સુખના આગ્રહી હોય છે. અક્ષરોની સાઈઝ કહે છે કે લખનાર પોતાના જ કાર્યોને કેટલું મહત્ત્વ આપે છે.

૩.‘અંતર’નું મહ્‌ત્ત્વ પણ લખાણમાં ખૂબ જ છે. લખનાર પોતાને બીજા લોકોની વચ્ચે કે પરિસ્થિતિઓમાં કે આસપાસના વાતાવરણમાં કઈ રીતે મૂકવા માંગે છે - એ અંતર વ્યક્ત કરે છે. બે લાઈન વચ્ચેનું અંતર એટલે લખનાર પોતાની લાગણીઓથી કેટલું અંતર રાખવા માંગે છે. બે શબ્દો વચ્ચેનું અંતર એટલે લખનાર બીજા લોકોથી કેટલું અંતર ચાહે છે અને બે અક્ષરો વચ્ચેનું અંતર એ દર્શાવે છે કે લખનાર આંતર્મુખી છે કે બહિર્મુખી! જે બે લાઈન વચ્ચે યોગ્ય અંતર રાખી શકે છે એ સુમેળવાળું અને આંતરિક સમતોલનવાળું વ્યક્તિ હોય છે. લખવાની ગતિ એ લખનારની માનસિક અને શારીરિક ક્ષમતા દર્શાવે છે.

૪.માણસની ઈમાનદારી અને બેઈમાની પણ એમની હેન્ડરાઈટીંગ દ્વારા ઓળખી શકાય છે. જે ઈમાનદાર હોય એ સાચો, કાયદેસરનો, સરળ અને નિષ્પક્ષ હોય છે. લખાણમાં એવા ઘણાં લક્ષણો હોય છે જેનાથી લખનારની બેઈમાની પકડી શકાય છે. શબ્દોનો ઢોળાવ, કદ, દબાણ અને અંતર આ ચારેયમાં અતિશય અસ્થિરતા અને કઠોરતા, કોઈ ચોક્ક્સ અક્ષરોને જબરજસ્તી વળાંકો આપવા, ખૂબ જ ધીમું અને સરળ દેખાતું હોય એવું લખવું - આ બધા બેઈમાની દર્શાવતા લક્ષણો છે. જે જૂઠ્‌ઠુ બોલતા હોય એ કદી નિખાલસભાવે બોલતા નથી. વાતચીતમાં જે ઢચુપચુ અને પરોક્ષ બોલે એ પણ સાચાબોલા નથી હોતા. આવા લોકો લખતી વખતે પણ પોતાના લક્ષણો બતાવે જ છે.

૫.અંગેજી મૂળાક્ષરોને લખવાની પદ્ધતિ પણ આપણા ગુણધર્મો બતાવે છે. મૂળાક્ષર ‘ૈં’ એ લખનારની પોતાની છબી દર્શાવે છે. લખનારનો ભૂતકાળ-ભવિષ્ય, કલ્પનાશક્તિ, સામાજિક નિસ્બત, માતા-પિતા સાથેનો પ્રભાવ આ બધું જ ‘ઙ્ઘ’ અક્ષરમાંથી મળી આવે છે. આ જ પ્રમાણે ‘ં’ મૂળાક્ષર એ લખનારની લોકોના ઝૂંડમાં દેખાતી છબી છતી કરે છે. મૂળાક્ષર ‘અ’ એ લખનારની ઈચ્છાશક્તિ દેખાડે છે.

લોકોને એક કોરો કાગળ આપીને એમાં પોતાની સહી કરવાનું કહો. સહી કરનાર આખા કાગળમાં કઈ જગ્યાએ સહી કરે છે એ મહત્ત્વનું છે. જીવનમાં કેટલો વિશ્વાસ અને કેટલો પ્રતિબંધ છે, લોકો સમક્ષ સેન્ટર-સ્ટેજમાં રહેવું ગમે છે કે નહીં, કોઈ દુરાગ્રહો કે ધર્માંધતા છે કે નહીં - આ બધું સહી કરવાની જગ્યા પરથી મળી આવશે. સહીની સુવાચ્યતા એ પણ સહી કરનારનો અહમ અને અધીરાઈ દર્શાવે છે. સહીની નીચે કરેલી લીટી એ સહી કરનારનો સેલ્ફ-કોન્ફીડેન્સ અને શબ્દભાર સૂચવે છે. સહીની ઉપર કરેલી લીટી એ સહી કરનારનો સ્વાર્થ અને સ્વબચાવ દેખાડે છે.

* * * * *

ગ્રાફોલોજી વિશે તો ઘણાં પુસ્તકો લખાયા છે અને લખાશે પણ આ વખતે આ બધી રામાયણ એટલા માટે કરી કે બાળકોની શાળા હવે શરૂ થઈ ગઈ છે. ઘણાં વાલીઓને શાળાઓમાંથી ફરિયાદ આવતી હોય છે કે બાળકના અક્ષર સારા નથી કે પછી બાળકનું વર્તન સારૂં નથી. આપણને કદાચ અજુગતું લાગે પણ બાળકના અક્ષરો એમના આંતરમનની ચાડી ખાય છે. શાળાઓમાં કરવામાં આવતાં પ્રયોગો એ ચોક્ક્સ બાળકના વિકાસ માટે જ હોય છે પણ સંતાનને ફક્ત શાળાના ભરોસે ન રાખવા. પેરેન્ટ્‌સ તરીકે આપણી ફરજ બમણી છે. બાળમંદિરમાં બાળકોને પ્રિન્ટેડ અક્ષરો પર ઘૂંટવાનું કહેવામાં આવે છે. આવું કરવાથી બાળકની લખવાની કુશળતા અને ઝડપ સુધરે છે. પ્રિ-સ્કુલમાં બાળકો આડાઅવળા લીટા કે નિઃસત્વ લખાણ કરે એમાં પણ બાળકની જન્મજાત પ્રકૃતિ અને મનોવૃત્તિ દર્શાવે છે. બાળક જો ગોળ-ગોળ સ્પ્રિંગના આકારમાં લીટા કરે તો એ ખુશખુશાલ હોઈ શકે, બહુ બેબાકળું કે બેચેન બાળક હોય તો થોડી સંકોચાયેલી પેટર્ન્સ તૈયાર કરે છે. કોઈ મોટું ચિત્ર જોઈને બાળક એવું જ પણ ખૂબ નાનું ચિત્ર બનાવે તો એ કદાચ અંદરથી ઉદાસ હોઈ શકે. જો બાળક લીટા કરતી વખતે બહુ બધા ખૂણા અને આવેશમાં આવી જાય તો ક્રોધી હોઈ શકે. બાળક લગભગ ૫ થી ૬ વર્ષનું થાય ત્યાં સુધીમાં બાળક પોતાની ગતિવિધિઓને સંભાળી લેતું હોય છે અને એટલે જ આંખ અને હાથને પણ સારી રીતે કંટ્રોલ કરી શકતું હોય છે. આ ઉંમરમાં બાળકો ઊંભા (લીટીની ઉપરની તરફ અને નીચેની તરફ) સ્ટ્રોક મારી શકે છે, એ પહેલાં ઉપરના સ્ટ્રોક મારવામાં મોટા ભાગના બાળકોને તકલીફ થતી હોય છે. જેમજેમ બાળકની ઉંમર વધે અને તરૂણાવસ્થામાં પહોંચે ત્યાં સુધી એમની હેન્ડરાઈટીંગમાં (અને તેમના સ્વભાવ, વહેવારમાં પણ) ફેરફારો થતાં રહે છે. જો તમારે બાળક હોય તો એના દર થોડા મહિને લખેલા લખાણના સેમ્પલ સાચવી મુકજો, આગળ જતાં તમને બાળકના વ્યક્તિત્વ વિશે ઘણી માહિતી આપશે.

પડઘોઃ

સારા અક્ષર એ સારા શિક્ષણની નિશાની છે

- મો. ક. ગાંધી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED