Ajit Bhimdev books and stories free download online pdf in Gujarati

રાવળ બચ્છરાવનો સંદેશો

રાવળ બચ્છરાવનો સંદેશો

સુલતાન મહમૂદ ગિજની જ્યારે પાટણ ઉપર આવ્યો ત્યારે મુલતાનમાં તૈયારી કરવા રોકાયો હતો. ત્યાં તેણે દરેક દરેક સૈનિકને અને મુજાહિંદને (લડવા માટે આવેલો) ખોરાકપાણીનો બંદોબ્સત કરાવ્યો. ત્રીસ હજાર સાંઢણીઓ ઉપર ખોરાકપાણી લઈ તે સૈન્ય સાથે આગળ વધ્યો હતો. ભટ્ટીરાજાઓની રાજધાની લોદ્રવા વચ્ચે આવ્યું.

લોદ્રવાના કિલ્લા ઉપરથી સુલતાનના સૈન્ય ઉપર પથરાનો અને તીરોનો વરસાદ વરસ્યો. ત્યાં બચ્છરાવ રાવળ હતો. વલ્લભરાજ સોલંકીની રાજકુમારી આંહીં હતી. મહમૂદે આ ગર્જના કરતા સિંહોને વશ કરવા માટે જુદ્ધ આપ્યું. લોદ્રવામાં એણે વિનાશ વેર્યો. સેંકડો હણાયા. હજારો રણમાં પડ્યા. એના બારે દરવાજા નકામા થઈ ગયા.

વિનાશ વેરીને એ તો ત્યાંથી ઝપાટાબંધ આગળ વધ્યો. પુરવઠાને જાળવી રાખવા તેણે રણને તરત જ ઓળંગવાનું હતું.

લોદ્રવામાં એણે વેરેલો વિનાશ બચ્છરાવને હૈયે બેસી ગયો હતો, એટલે સુલતાન પાછો ફર્યો ત્યારે આ રસ્તે, એને રોળીટોળી નાખવાનો એણે દૃઢ સંકલ્પ કર્યો હતો.

તેણે જાટ લોકોને તૈયાર કર્યા. એક તરફ સિંધુ નદીના પાણીના આધારે સેંકડો હોડીઓમાં સુલતાનને જુદ્ધ આપવું, ને તેને જતાં રોકી દેવો. બીજી તરફ જમીનમાર્ગે એનો પીછો પકડવો.

બચ્છરાવનો માણસ એટલા માટે આવ્યો હતો. મહારાજ ભીમદેવ પાસે તે આવ્યો. તે ઊંચા, કદાવર મજબૂત બાંધાનો હતો. તેના ભરવાડ જેવા વેશે કૌતુક ઊભું કર્યું. તેણે મહારાજને બે હાથ જોડ્યા. ધીમેથી કહ્યું : ‘મહારાજ જોગ રાવળ*નો મોકલ્યો હું લોધરવાથી આવ્યો છું.’

મહારાજ ભીમદેવે એની વાતની ખાતરી કરવા હાથની નિશાની કરી. સંદેશવાહક તરત આગળ આવ્યો. બચ્છરાવની રત્નમુદ્રિકા સામે ધરી.

‘તમારું નામ ?’

‘રતનુ ભઠ્ઠી.’

‘શું સંદેશો છે ?’

‘લોદ્રવાને ગર્જનકે કોરું મૂક્યું નથી. ત્યાં નાશ વેર્યો છે. એ ગઢબીટલી ઉપર જાય છે એમ જાણમાં હતું. હવે ખબર પડી કે એ તો આંહીં માર મારી ગયો. એટલે આંહીંથી પાછો વળે ત્યારે મહારાજ, તરત ઘડિયાં જોજન સાંઢણી મોકલીને અમને પહેલું કહેવરાવે, એ કહેવા માટે હું આવ્યો છું. આ વખતે અમે એના માટે બારે દરવાજા ખુલ્લા મૂક્યા છે. આ વખતે એને જાતાં ભોં ભારે પડશે !’

‘આંહીંથી એ પાછો ફરશે ત્યારે તો પવનવેગે વાત તમને મળશે. પણ તમારે ત્યાં શું છે ? સૌ શું ધારે છે ? કે’ છે મુલતાન સુધી એણે બધું જ લઈ લીધું છે !’

‘હા, મુલતાનમાં એની હાક છે, એની સામે કોઈ ટકી શકતું નથી !’

‘કારણ ?’

‘એનું સેન. એણે પચીસસોનું તો ગજસેન ભેગું કર્યું છે. એની દેખરેખ જાતે રાખે છે. બધાં જ હાથી. ભારતદેશમાંથી આવ્યા છે. એની પાસે લાખનું હયદળ છે. દરેક લડાઈમાં એ નવું સેન ઊભું કરે છે. એની લડાઈ તો લૂંટવાની છે. લૂંટવા માટે કોણ ન દોડે ? એને તમે શું પહોંચવાના ?’

મહારાજ ભીમદેવ વિચારમાં પડી ગયા. વાત સાચી હતી. મઠપતિ મહારાજે પણ એ કહ્યું હતું. આ તો લૂંટવાની લડાઈઓ હતી. સુલતાનની લડાઈની રીત જ નવી હતી. લૂંટીને ભાગી જવું. એ ભાગી જાય એ જ બરાબર.

--------------------

*જેસલમીર પાછળથી વસ્યું છે. પહેલાં લોદ્રવા રાજધાની. ભઠ્ઠી રાજાઓ રાજ્યાભિષેક વખતે જોગી વેશ લેતા.

રહી જાય તો તો રાજ સ્થાપે. મહારાજને હવે લાગ્યું કે દામોદરની વાત બરાબર હતી. આને જીતવા માટે લડાઈની રીતસરમ નવી હોય.

પણ એ વિચાર એમના મગજમાં જેવો આવ્યો, તેવો જ પાછો ઊડી ગયો.

‘તમે ત્યાં એને રોકો. અમે એનું પગલે પગલું દબાવતા પાછળ હઈશું. રા’ની પંદરસો ઘડિયાં જોજન સાંઢણી તૈયાર થાય છે. એ આંહીંથી ઊપડશે.’

‘નદીને પાછળના ભાગમાં રાખીને હોડીઓમાંથી અમે એને રોકવાના છીએ. એમાં એની કોઈ જુક્તિ કામ નહિ આવે. જાટ લોકોએ ચાર હજાર હોડી તૈયાર કરી છે.’

રા’ નવઘણને અને ભીમદેવને બંનેને આ વાતમાં રસ પડ્યો.

દામોદરને પોતાની યોજનામાં બચ્છરાવ રાવળની કડી બરાબર બંધ બેસતી આવતી જણાતી હતી. એ રીતે જ આ બંને વનરાજો લીધી. વાત મૂકવાના. ભીમદેવ મહારાજ ને રા’નવઘણ એ બંને સાથે હોય ત્યારે કેટલું જોખમ હતું. તે દામોદર સમજતો હતો. તેણે કહ્યું : ‘સુલતાન નીકળે કે તરત રાવળજીને ખબર કરવા રા’નવઘણની ઘડિયાંજોજન ઊપડશે. અને પાછળ આપણું દળ પણ પગલેપગલું દબાવતું હશે. એટલે છેક મુલતાન સુધી એને પહોંચાડી દેવો છે. ભગવાન સોમનાથ કરશે, તો એ લૂંટનો માલ પણ મૂકતો જાશે. મહારાજ ! આ બરાબર થશે. પણ તો હવે ાપણો વખત ઘણો જ કીંમતી છે. દેશભરમાંથી સાંઢણીવાળાઓને યાદ કરો. રતન ભટ્ટી ! આ બરાબર છે ના ?’

‘છે તો બરાબર. પણ પ્રભુ ! અમે સુલતાનને જાણીએ છીએ. કાં તો તમે ને અમે...’

‘અને ગઢબીટલીવાળા પણ...’ દામોદર તેના કહેવાનો અર્થ સમજી ગયો.

‘હા, ગઢબીટલીવાળા પણ, સૌ સૂતા રહેશે. સૌ વાટ જોતા રહેશે અને એ ગજની પહોંચી ગયો હશે. પણ આ વખતે તો એને સવાદ ચખાડવો છે. એ રસ્તે નીકળવાની ખો જ ભૂલી જાય. આ તો જ્યારે જુઓ ત્યારે એ જ રસ્તો ! અને દરેક વખતે એ જ વાત રસ્તો ાપો, અમે એને બરાબર જુદ્ધ આપીશું.’ બચ્છરાવનો માણસ ખાતરી મેળવીને થાક ઉતારવા ુતારે ગયો.

‘તો તો હવે રા’ નવઘણજી ! આપણે ઊપડીએ !’ દામોદરે ત્વરાથી કહ્યું : ‘બચ્છરાવજી રાવળની આ વાત આવી, એટલે સૌની વાતોનો એમાં મેળ મળી જાય છે. પણ ગર્જનક જવા માટે તૈયારી તો કરે. જો આપણે ઊપડીએ નવઘણજી ! વાત થઈ જશે એવો સંદેશો જયપાલને મોકલી દઉં છું. બોલો, શું કરવું છે ?’

રા’ એ ભીમદેવ મહારાજ સામે જોયું.

બંનેને લાગ્યું કે દામોદરની આ વાત જ અત્યારે શક્ય હતી.

‘વિચારવાનો વખત નથી, હો મહારાજ !’ દામોદરે બે હાથ જોડ્યા : ‘મહારાજ બીજો નિર્ણય લેવાના હો તો મને કહો. એટલે હું પણ શુકલતીર્થમાં જઈને બેસી જાઉં. મને આ જે એક રસ્તો મળ્યો છે, તે પણ કાં તો, આપણે વાત લંબાવીને ખોઈ દેવું ! ને પછી કેવળ હાથ ઘસતા રહેશું ! ગર્જનક ઘા મારીને ચાલ્યો જશે, ને ફરીને બીજે વરસે આવવાનું ઉત્તેજન પણ લેતો જાશે. જાણશે કે આંહીં સાવ પોલંપોલ છે બોલો મહારાજ ! મારે પાટણનો નાશ જોવા રોકાવું નથી. તો તો હું પણ ક્યાંક બેસી જાઉં. મુંજમહારાજનો રુદ્રાદિત્ય તો બળી મર્યો હતો. એ તાકાત તો મારામાં નથી. હું ક્યાંક બેસી જઈશ.’ પાટણને ગર્જનકના હાથમાં હંમેશને માટે પડતું નહિ જોઉં.’

દામોદરના શબ્દોમાં અત્યંત વ્યથા ભરી હતી. ભીમદેવ મહારાજે તેની રાજભક્તિ જોઈ લીધી. તેની બુદ્ધિની અગાધતા તેણે ક્યારની પિછાની હતી. દામોદરને અનુકૂળ થયું હોય તો વખત ગુમાવવાનો કાંઈ અર્થ ન હતો.

‘રા’ નવઘણજી ! તમે અમારા હિતેચ્છુ છો,’ તેણે નવઘણજીને કહ્યું : ‘તમારી કેસરી ચાલ પણ આમાં આવી જાય છે. એટલે દામોદર ઉપર આપણે વિશ્વાસ મૂકો. એને ભગવાન સોમનાથ દોરી રહ્યા લાગે છે.’

દામોદર બે હાથ જોડીને નમી રહ્યો : ‘બસ, મારા વનરાજો ! હવે વિજય આપણો જ છે !’

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED