યે ઘર બહોત હસીન હૈ.. Rajul Bhanushali દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

યે ઘર બહોત હસીન હૈ..

યે ઘર બહોત હસીન હૈ..

‘ઘર’ એટલે કાનામાત્રા વગરની એક એવી સંજ્ઞા જે ઉચ્ચારતાંની સાથે જ જીવને “હા…..શકારો” થઈ જાય! ધોધમાર વહેતી સંવેદનાનું એ સરનામું છે. આખો દિવસ બહાર રહ્યા-રખડ્યા પછી તમે આ સરનામે પાછા આવો, ડોરબેલ પર આંગળી દબાવો, દરવાજો ખૂલે ત્યાંજ અડધો થાક ઉતરી જાય. તમે ભલેને કોક અત્યંત મહત્વનું કામ કરતા હો પણ ઘરમાં થતો વાસણોનો ખખડાટ કે બાળકોનો કલબલાટ તમને જરાય ડિસ્ટર્બ નહિ કરે એની ગેરંટી. આ એવી જગ્યા છે જ્યાં રજાને દિવસે તમે આખો દિવસ હાથમાં ટી.વી.નો રીમોટ લઈ સોફા પર રીંછની જેમ પડયા રહો તોય ચાલે. ઘર એટલે મા ના હેતની હરફર, પિતાની કાળજી, સવારસવારમાં રસોડામાંથી આવતી આદુવાળીચા અને બટાટાપૌંઆની સ્ફુર્તિદાયક સુગંધ. આ એ સ્થળ છે જ્યાં ચોળાયેલી નાઇટીમાં ફરતી ગૃહિણી એટલી જ મીઠી લાગે જેટલી પાર્ટીમાં જવા તૈયાર થાય ત્યારે લાગતી હોય. રોટલી કરતી પત્નીની પાછળ ચુપકેથી આવીને પતિએ કરેલું મસ્તીભર્યું અડપલું અને એ અડપલાના પ્રતિભાવમાં મળતો 'છણકો' ખાઈને ઘરને સુખનો ઓડકાર ચોક્કસ આવી જતો હોય છે. ટૂંકમાં સુખ, સગવડ અને સલામતીનો ત્રિવેણી સંગમ.

હા.. આજે વાત માંડવી છે ‘ઘરની.

જેમ દરેક વ્યક્તિ પોતપોતાની રીતે અલગ અને અનોખી હોય છે તેમ દરેક ઘર પણ પોતપોતાની રીતે અલગ અને અનોખો હોય છે. પ્રત્યેક ઘરની પોતાની આગવી ક્ષમતા, છટા અને સ્વભાવ હોય છે. દરેક ઘરમાં એનાં ઘટમાં ઘટતાં નાનાં નાનાં પ્રસંગોમાંથી, બાબતોમાંથી પોતાનું સુખ જાતે શોધી લેવાનો જન્મજાત ગુણ હોય છે અને પછી ઘર એજ સુખ માણસને પરત આપે છે અને એનાથીજ દરરોજ માણસ નવોનક્કોર બને છે એવું મારું માનવું છે. કદાચ આજ કારણસર આપણને આપણી ‘ગઈકાલ’ કદી જ વાસી લાગતી નથી. આપણી અને આપણા ઘરની પણ. જયારે જ્યારે મમળાવીએ એ એટલી જ તાજગીસભર લાગવાની..!

સૃષ્ટિમાં દરેક અજીવ-સજીવનાં પોતાનાં પ્રકૃતિગત ગુણધર્મો હોય છે. ગુલાબ ગુલાબ છે અને રાતરાણી રાતરાણી છે ડીટ્ટો તેવીજ રીતે દરેક ઘરની પ્રકૃતિ જુદી જુદી હોય છે. એમની વચ્ચે સરખામણી શક્ય નથી. કરવી પણ ના જોઈએ. આ બન્ને ફૂલનું પોતપોતાનું આગવું મહત્વ અને સુંદરતા છે. એમ તો ગલકાંનાં ફૂલનું પણ પોતિકું સૌંદર્ય હોય જ છે ને! ઘરનું પણ એવું જ છે. એ નાનું હોય કે મોટું, ઝુપડું હોય કે આલીશાન બંગલો, 'ઘર' તો 'ઘર'જ કહેવાય. ઓફીસથી કે શાળામાંથી છૂટતી વ્યક્તિ એમ નહિ વિચારે કે ચાલો ઝટ 'ફ્લેટે' પહોંચીએ કે જલ્દી 'બંગલે' પહોંચીએ. એ એમ જ વિચારશે કે ઝટ ઘરે પહોંચીએ. કોઈ મિત્ર ચા પીવાનું આમંત્રણ આપશે તો શું એમ કહેશે કે ચાલ રૂમ પર, સાથે ચા પીશું. નહિ ને? ઘર ને તો ઘર જ કહેવાય.

ઘણીવાર જ્યારે આપણે લાંબા વેકેશન પર જતાં હોઈએ ત્યારે ઘરેથી નીકળતી વખતે કેટલો ઉત્સાહ, આનંદ અને હોંશ હોય છે. પણ અઠવાડીયું થતાં થતાં આ ઉત્સાહમાં ઓટ આવવા લાગે છે. મનમાં ક્યાંક ઉંડે ઉંડે ઘરની યાદ સળવળવા લાગે છે. ફાઈવ સ્ટાર હોટેલનાં સ્ટે દરમ્યાન, સરસ મજાનાં સુખ-સગવડ-સાહ્યબીમાં પણ ઘરઝૂરાપો કનડવા લાગે છે અને જાણે અજાણે આપણે ‘પાછા ઘરે ક્યારે પહોંચશું’ એ પળની રાહ જોવા લાગીએ છીએ અને છેવટે જ્યારે ઘરભેગા થઈએ ત્યારે જ નિરાંતનો શ્વાસ લેવાય. થાક ઉતારવા ફરવા જઈએ ને ફરવાનો થાક વળી પાછો ઘરે આવીને જ ઉતારીએ. પોતાનાં આવા ખાલીખમ્મ અને સૂના દિવસો દરમિયાન શું ઘર પણ એકલવાયાપણું અનુભવતું હશે જયારે એનો પરિવાર પાસે, સાથે નથી હોતો! શું એ પણ કાગડોળે પોતાના પરિવારના પાછા ફરવાની રાહ જોતું હશે? હા.. ચોક્કસ જોતું હશે. ઘટમાં વ્યાપેલો સુનકાર એને પણ ખાવા ધાતો જ હશે! આવા કોક લાંબા વેકેશન બાદ જ્યારે તમે પાછા ઘરે પહોંચોને ત્યારે એની એકાદી દિવાલ પર હાથ ફેરવી જોજો. તમારા ટેરવાં પર ભીનાશ તો નથી ચોંટી ગઈને? ચેક કરજો! પરિવારનો ઘરઝુરાપો અને ઘરનો એનાં પરિવાર માટેનો ઝૂરાપો — સરખો જ. તસુ નો ય ફરક નહિં. જે લોકો નોકરી અર્થે કે ભણતર સંબંધે લાંબા અરસા સુધી ઘરથી દૂર રહેતા હોય એમની મનોસ્થિતિની કલ્પના પણ હ્રદય ભીનું કરી જાય છે. વિજ્ઞાન આટ્લું આગળ વધ્યું પણ ઘરઝૂરાપાની થતી પીડા માટે હજુ સુધી કોઈ પેઈનકીલર શોધી શકાઈ નથી.

મને તો ક્યારેક એવોય ભાસ થાય કે જાણે મારા ઘરની ચાર દિવાલો એની અંદર બનતું બધું જ પોતાની અંદર શોષી લેતી ના હોય! સુખ-દુઃખ, વેદના-સંવેદના. બધું જ.

એ મારા સુખે સુખી ને મારા દુખે દુ:ખી થતો હોય છે. જાણે હું ઘરમાં વસું છું અને મારું ઘર મારામાં વસતું હોય છે. ઘરનાં દરેકેદરેક ખૂણા સાથે મારે બોલચાલનો સંબંધ છે. હાલહવાલ પૂછવાનો સંબંધ છે. સામે પક્ષે એ પણ મારા શ્વાસેશ્વાસને ઓળખે છે. મારી હયાતીને હોંકારો આપતો રહે છે. આખા દિવસ દરમિયાન અમારો આપસમાં ચાલતો આ સંવાદ મને એક જાતની તાજપનો આપતો રહે છે.

તમે કદી એ નોંધ્યું છે કે જયારે ક્યારેક ‘ઘર’ને કશુંક નાછૂટકે સહન કરવાનું આવે ત્યારે એ કેવો સીધોદોર થઈ પોતાની ફરજ બજાવતો હોય છે અને પોતાનાં દરેક સભ્યને પણ સાચવી લેતો હોય છે. ‘હિમ્મત હારી જવી’ એ ગુણ કદાચ આ જમાતનાં સ્વભાવમાં જ હોતો નથી. આપણે પણ આ સીખ લેવા જેવી ખરી. કેવી કેવી કપરી પરિસ્થિતિઓમાં ઘર આપણને હુંફથી, હેતથી સાચવી લે છે! તો આપણી પણ એવી જ ફરજ ખરી કે નહી? એમ પણ કોઈ એક ઘરની વાત કરી બતાવો જેમાં ક્યારેય દુઃખ, મતભેદ, પીડા કે વિષાદની એક્કેય ક્ષણ સુદ્ધાં ના આવી હોય. અસામાન્ય સંજોગો અને વિપરિત સમય વચ્ચે પણ પોતાની ખૂબી પર અડીખમ રહી પોતાની આગવી ઓળખ જાળવી રાખવી એ દરેક ઘરની ખાસિયત છે. એટલેજ કદાચ એને ‘દુનિયાનો છેડો -ઘર’ જેવી માતબાર ઉપમાથી નવાજવામાં આવ્યો હશે..!

છેલ્લે મારા સાસુ પાસેથી સાંભળેલો એક પ્રસંગ યાદ આવે છે. વર્ષો પહેલા દેશમાંથી રોટલો કમાવવા મુંબઈ શિફ્ટ થવું એવો નિર્ણય પરિવારે લીધો. દેશનાં ઘરનો બધો જ અસબાબ સમેટી લેવામાં આવ્યો. પ્રયાણની બધી જ તૈયારી થઈ ગઈ. પહેલાનાં વખતમાં ઘરનાં પશુધન ઘરનાં સભ્ય જ ગણાતા. એમ તો આખું ધણ સીમમાં ચરવા જાય પરંતુ સવારનાં નીકળતી વખતે જ્યાં સુધી એમને એકાદ ગરમાગરમ રોટલોને કટકી ગોળ ન ખાવા મળે ત્યાં સુધી એ તસુભર આગળ વધે નહિ. ઉંબરે જ ઉભા હોય. આખું ઘર સવારનાં સાથે જ શિરામણ કરે. અમારા ઘરમાં એક ગાય હતી. એ ગાયને બા-બાપુજીએ એક ઓળખીતાને ત્યાં વળાવી દેવાનો નિર્ણય કર્યો. ઘરની ગાય એટલે નિયાણી ગણાય. એનાં બદલામાં કશું વળતર લેવું એ તો હરામ બરાબર. સજળ આંખે ગાયને વળાવી આવ્યાં. ત્યાર બાદ દેશમાં પ્રસંગપાત આવવા જવાનું થતું રહેતું. ક્યારેક ગાય સામે મળી જતી તો માથે હાથ પણ ફેરવી લેતાં. આગળ બન્યું એવું કે લગભગ દસેક વરસ પછી મુંબઈનું ઘર સમેટી ફરી પરિવાર ગામમાં આવીને વસ્યો. વર્ષોથી બંધ પડેલું ઘર પાછું ખુલ્યું. તે દિવસે સંધ્યા ટાણે સીમમાંથી જ્યારે પેલી ગાય ધણ સાથે જ્યારે પાછી ફરી ત્યારે એ એના ‘હાલનાં વર્તમાન ઘરે’ જવાને બદલે સીધી અમારા ઘરે, પોતાની નિયત જગ્યાએ આવીને ઉભી રહી..!

આ છે ઘરની માયા.

આપણને ઘરની– ઘરને આપણી!

કવિ માધવ રામાનુજની પંક્તિઓ સાથે વિરમું છું.

“એક એવું ઘર મળે વિશ્વમાં, જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું!”

અસ્તુ.

~~ રાજુલ