Aa killama vase chhe bhoot books and stories free download online pdf in Gujarati

આ કિલ્લામાં વસે છે ભૂત

ડરના મના હૈ

Darna Mana Hai-27 આ કિલ્લામાં વસે છે ભૂત

લેખકઃ મયૂર પટેલ. ફોનઃ ૦૯૫૩૭૪૦૨૧૩૧

વિચિઝ કેસલઃ ડાકણોનો ગઢ

યુરોપના દેશ ઓસ્ટ્રિયામાં આવેલ વિચિઝ કેસલની ભવ્યતા અને તેની આસપાસનું પ્રાકૃતિક વાતાવરણ ભારે મનમોહક લાગે છે, પરંતુ શું આ સુંદરતા ભ્રામક છે? કદાચ હા, કારણ કે દિવસના અજવાળામાં શાંત જણાતો આ કિલ્લો રાતના અંધકારમાં કંઈ કેટલીયે અગોચર પ્રવૃત્તિઓથી ખળભળી ઊઠે છે. ઈ. સ. ૧૨૦૮માં સાલ્ઝબર્ગના રાજકુંવર દ્વારા બંધાયેલા આ કિલ્લાનું મૂળ નામ તો મૂશામ કેસલ છે. તેનું નામ વિચિઝ કેસલ (ડાકણોનો કિલ્લો) કેમ પડ્યું એની પાછળ એક રસપ્રદ ઐતિહાસિક તથ્ય છુપાયેલું છે. વર્ષો અગાઉ જ્યારે યુરોપ અંધકારયુગમાં જીવતું હતું ત્યારથી ત્યાં સ્ત્રીઓ કાળી વિદ્યા શીખીને ડાકણ બની શકે છે એવી માન્યતા ચાલતી આવી છે. પંદરમી અને સોળમી સદીમાં ઓસ્ટ્રિયામાં ચર્ચના બિશપો આવી અનેક મહિલાઓને ડાકણ ઠેરવી તેમને દેહાંતદંડની સજા કરાવડાવતા હતા. પાદરીઓનો સમાજ પર એ હદે પ્રભાવ હતો કે આવી સજા સંભળાવવામાં તેમને ઝાઝી સાબિતીઓની જરૂર પડતી નહીં. મોટેભાગે તો સમાજના નિમ્ન વર્ગની સ્ત્રીઓ જ આવા આરોપોનો ભોગ બનતી. ડાકણ સાબિત થયેલી સ્ત્રીઓને ક્યાં તો જાહેરમાં ફાંસીએ લટકાવવામાં આવતી, ક્યાં તો જીવતી સળગાવી દેવામાં આવતી. જમીનમાં કે દીવાલમાં જીવતી ચણી દેવાની સજાને રાહતરૂપ ગણવામાં આવતી અને આવી રાહતરૂપ સજા પામેલી અનેક સ્ત્રીઓને મૂશામ કેસલની દીવાલોમાં જીવતી ચણી દેવામાં આવી હતી. કહેવાય છે કે એ ડાકણોનાં પ્રેત આજે પણ કિલ્લામાં ભટકતાં રહે છે અને એટલા જ માટે મૂશામ કિલ્લો વિચિઝ કેસલ તરીકે વિશ્વમાં વધુ જાણીતો થયો છે.

સત્તરમી સદીમાં આ કિલ્લાની આસપાસનાં ગામડાંઓમાં કંઈક વિચિત્ર ઘટનાઓ ઘટવા માંડી હતી. પાલતુ પ્રાણીઓના શબ ઠેરઠેર પડેલાં જોવા મળતાં. રાતના સમયે પ્રાણીઓ પર વેરવૂલ્ફ (માનવ વરુ) હુમલો કરતું અને પ્રાણીઓનું લોહી પીને જંગલમાં ભાગી જતું. કેટલાક ગામવાસીઓએ આવા વેરવૂલ્ફ જોયાનો દાવો કર્યો હતો. કેટલાક અભાગિયાઓ વેરવૂલ્ફ પાછળ હથિયાર લઈને દોડ્યા પણ હતા, પરંતુ એ નરબંકાઓ કદી પાછા નહોતા ફર્યા. ગામડાના જ અમુક પુરુષો પર વેરવૂલ્ફ હોવાનો આરોપ લગાડી તેમને પણ મોતની સજા સંભળાવવામાં આવતી. આવા પુરુષોને પણ દીવાલમાં જીવતા ચણી દેવાની ‘હળવી સજાઓ’ કરવામાં આવતી. વિચિઝ કેસલમાં આવા પુરુષોનાં પ્રેત પણ ભટકતાં હોવાનું કહેવાય છે.

આ ભૂતિયા કિલ્લાને અનેક ટી. વી. પ્રોગ્રામમાં ચમકાવીને તેને વિશ્વવિખ્યાત બનાવી દેવામાં આવ્યો છે. આજની તારીખે મ્યુઝિયમમાં ફેરવી દેવાયેલા આ કિલ્લાની વર્ષે લાખો પ્રવાસીઓ મુલાકાત લે છે અને ત્યાં આયોજિત થતી ‘ઘોસ્ટ ટૂર’નો આનંદ માણે છે. અનેક પ્રવાસીઓને કિલ્લામાં ફરતી વખતે હાથ, પગ અને ચહેરા ઉપર ઠંડા હાથોનો સ્પર્શ અનુભવાયો છે. કેટલાકે ટોની નામના શખ્સનું પ્રેત કિલ્લાના અમુક ચોક્કસ હિસ્સામાં જોયાનો પણ દાવો કર્યો છે. આ એ જ ટોની હોવાનું કહેવાય છે કે જેને મોતની સજા પામેલી સ્ત્રીઓ અને પુરુષોને દીવાલમાં ચણી દેવાનું કામ સોંપવામાં આવતું. એ સ્ત્રી-પુરુષોનાં ભૂતોએ જ ટોનીને ગંભીર બીમારીમાં સપડાવી તેને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું કહેવાય છે. હકીકત શું હોય, કોને ખબર, પરંતુ વિચિઝ કિલ્લો યુરોપના સૌથી વધુ ભૂતિયા કિલ્લાઓ પૈકીના એક તરીકે પંકાયેલો છે એ હકીકત છે.

બાર્ડી કેસલઃ અતૃપ્ત પ્રેમનો સાક્ષી કિલ્લો

ઈટલી દેશના ‘એમિલિયા-રોમાના’ પ્રાંતમાં આવેલ બાર્ડી કિલ્લાનું બાંધકામ નવમી સદીમાં કરવામાં આવ્યું હતું. કિલ્લાને નામે ચડેલ એક ઐતિહાસિક બનાવ એ છે કે રોમ તરફ કૂચ કરતી વખતે વિખ્યાત લડવૈયા ‘હેનીબાલ’ની પ્રચંડ સેનાનો સૌથી છેલ્લો હાથી અહીં મૃત્યુ પામ્યો હતો. જોકે એક બીજી વાત માટે પણ આ કિલ્લો વિશ્વમાં જાણીતો થયો છે અને તે એ કે અહીં ભૂત થાય છે. મોરેલો નામના સૈનિકનું પ્રેત આ કિલ્લામાં ભટકતું દેખાય છે. વાત એવી છે કે સદીઓ અગાઉ બાર્ડીના રાજાની દીકરી સોલેસ્ટને સૈન્યમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતા મોરેલો સાથે પ્રેમ થઈ ગયો હતો. મોરેલો તમામ રીતે યોગ્ય પુરુષ હોઈ રાજાને પણ પોતાની દીકરીને તેની સાથે પરણાવવામાં કોઈ વાંધો નહોતો. બધાં રાજી હોવાથી સોલેસ્ટના મોરેલો સાથે લગ્ન નક્કી જ હતા પણ ત્યાં જ અચાનક પડોશી રાજ્યમાં યુદ્ધ ફાટી નીકળતાં મોરેલોએ યુદ્ધ લડવા જવું પડ્યું.

કિલ્લાની ઊંચી દીવાલ પર ચઢી સોલેસ્ટ પોતાના પ્રેમીના પાછા ફરવાની રાહ કલાકો સુધી જોતી રહેતી. મોરેલોની ગેરહાજરીમાં તેને જીવનમાંથી જાણે કે રસ જ ઊડી ગયો હતો. એક દિવસ સોલેસ્ટ આ જ રીતે મોરેલોની રાહ જોઈ રહી હતી ત્યારે દૂર ક્ષિતિજ પર તેને ઘોડા દોડતા દેખાયા. મોરેલો પાછો આવી રહ્યો છે એવી કલ્પનામાં તેણીની આંખોમાં ચમક આવી ગઈ. પેલા ઘોડા સહેજ નજીક આવ્યા ત્યારે તેણીને કળાયું કે ઘોડેસવારોના હાથોમાં તો દુશ્મન દેશના ધ્વજ હતા.

‘યુદ્ધમાં મોરેલોની સેનાની હાર થઈ છે અને તો પછી તેના જીવિત હોવાની પણ કોઈ શક્યતા નહીં હોય’ એમ વિચારીને આઘાત પામેલી સોલેસ્ટે કિલ્લા પરથી કૂદીને આપઘાત કરી લીધો. કરુણતા એ હતી કે પેલા ઘોડેસવારો મોરેલો અને તેના વિજયી સાથીઓ જ હતા. દુશ્મન સેના પર વિજય મેળવ્યો હોવાથી તેમણે તેમનો ધ્વજ પ્રતીકરૂપે, જીતના જશ્નરૂપે સાથે લઈ લીધો હતો.

એક સામાન્ય ગેરસમજને લીધે પ્રેમિકાનો જીવ ગયો હતો એ જાણી મોરેલોએ પણ આત્મહત્યા કરી લીધી. એ પછી તેનું પ્રેત પોતાની પ્રેમિકાને શોધતું બાર્ડીના કિલ્લામાં ભટકવા લાગ્યું. કિલ્લાની મુલાકાતે આવનાર પ્રવાસીઓને આજે પણ ક્યારેક મોરેલોનું અતૃપ્ત પ્રેત દેખાતું રહે છે.

ડ્રેગહોમ કેસલઃ ભૂતાવળોનો મેળો!

ડેન્માર્કમાં આવેલ ડ્રેગહોમ કિલ્લો ત્યાં થતી રાજવી ભૂતાવળને લીધે જાણીતો થયો છે. ઈ. સ. ૧૨૧૫માં રોસકિડેના બિશપ પેડર સુનેસન દ્વારા ડેન્માર્કના ઝીલેન્ડ નામના ટાપુ ઉપર બંધાયેલો આ કિલ્લો સદીઓ દરમિયાન ભારે રાજકીય ઊથલપાથલનો સાક્ષી બન્યો છે. મૂળ તો ડેન્માર્કના રાજવી પરિવારના વસવાટ માટે આ કિલ્લો બનાવવામાં આવ્યો હતો અને ઈ. સ. ૧૫૩૬ સુધી આ હેતુ બર આવ્યો હતો . ત્યાર બાદ ઊઠેલી ધાર્મિક અને રાજકીય ખટપટોએ કિલ્લાનો હેતુ અને ભવિષ્ય બંને બદલી નાખ્યાં. સત્તા પર આવેલા નવા રાજા ક્રિશ્ચન ત્રીજાએ વર્ષોથી ડેન્માર્ક પર રાજ કરતા રાજવી પરિવારને બંદી બનાવ્યા અને ડ્રેગહોમ કિલ્લાના જ ભોંયરામાં બનેલી કાળકોટડીઓમાં બધાને અલગ અલગ પૂરી દીધા. તેમાંના મોટાભાગના ભૂખથી તરફડીને, ગાંડા થઈને મરણને શરણ થઈ ગયા અને બાકીનાએ જેલના અંધારામાં જ આયખું પૂરું કરી નાખ્યું. જુલમી ક્રિશ્ચન પાંચમો ડેન્માર્ક પર રાજ કરતો હતો ત્યારે સ્વીડને ચઢાઈ કરી અને યુદ્ધમાં કિલ્લાને ઘણું નુકસાન થયું. દેવાના ડુંગર તળે દબાયેલા ઐય્યાશ રાજાએ પોતાનું દેવું ચૂકવવા એ કિલ્લો હેન્રિચ મૂલરને નામે કરી દીધો. ૧૬૯૪માં હેન્રીચ મૂલરે ખાલી પડેલો એ કિલ્લો ફ્રેડરિક નામના માલેતુજારને વેચી માર્યો. ફ્રેડરિકે ભારે ખર્ચો કરીને કિલ્લાનું સમારકામ કરાવ્યું અને કિલ્લાની જૂની રોનક પાછી ફરી. આજે એકવીસમી સદીમાં ડ્રેગહોમ કિલ્લો એક હોટેલ, બે રેસ્ટોરન્ટ, કેટલાક કોન્ફરન્સ રૂમ અને સો જેટલાં ભૂતો ધરાવે છે! જી, હા! ડ્રેગહોમ કિલ્લામાં ૧૦૦ જેટલાં ભૂતો થાય છે જેમાં સામાન્ય પ્રજાજનો અને સૈનિકોથી લઈને રાજવી પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે. પશ્ચિમી દેશોના લગભગ તમામ કિલ્લાઓમાં ઐતિહાસિક વાયકાઓની રોકડી કરી લેવામાં આવે છે અને ડ્રેગહોમ કિલ્લો પણ એમાંથી બાકાત નથી. આ કિલ્લામાં યોજાતી ‘ઘોસ્ટ ટૂર’ દરમિયાન પ્રવાસીઓને કિલ્લાના ભોંયરામાં આવેલી કાળકોટડીઓમાં રાજવી પરિવારનાં પ્રેતોના ડૂસકાં સંભળાય છે. કિલ્લાની બહાર ખુલ્લા પ્રાંગણમાં ઘોડાઓ દોડતા હોય એવો અવાજ સંભળાય છે, પરંતુ આસપાસમાં ક્યાંય કોઈ ઘોડા હોતા નથી. કિલ્લામાં સૌથી વધુ દેખાતાં ત્રણ પ્રેતો છે અને ત્રણે સ્ત્રીઓનાં છે. તેમનાં નામ છે ‘ગ્રે લેડી’, ‘વ્હાઈટ લેડી‘, અને ‘અર્લ ઓફ બોથવેલ.’ ગ્રે લેડી ડ્રેગહોમની કર્મચારી હતી. એક દિવસ દાંતનો દુ:ખાવો થતાં તેને શાહી વૈદ્યે કંઈક જંગલી દવા આપી હતી. દવાના ઉપયોગથી રાત સુધીમાં તેના દાંતનો દુ:ખાવો તો મટી ગયો, પરંતુ બીજા દિવસે સવારે તે પોતાની પથારીમાં મૃત અવસ્થામાં મળી આવી હતી. દવાના રીએક્શને તેનો ભોગ લીધો હોવાનું કહેવાય છે. તેણીનું ભૂત કિલ્લાના ભોંયતળિયે, જ્યાં તે કામ કરતી હતી, તે જગ્યાએ દેખાતું રહ્યું છે. ‘અર્લ ઓફ બોથવેલ’ની સાચી ઓળખ થઈ શકી નથી, પરંતુ તેનું પ્રેત પણ કિલ્લામાં ઠેકઠેકાણે અવારનવાર દેખાતું રહ્યું છે. જોકે એ ત્રણે ભૂતિયા લેડીમાં સૌથી વધુ જાણીતી થઈ છે વ્હાઈટ લેડી. તદ્દન યુવાન એવી વ્હાઈટ લેડી રાજાની વહાલી પુત્રી હતી. તેને એક સામાન્ય પરિવારના યુવાન સાથે પ્રેમ થઈ ગયો હતો. પ્રેમને વાસનાનો રંગ ચઢતા વાર ન લાગી અને એક દિવસ બંને યુવાન હૈયા મર્યાદા ઓળંગી ગયા. કુંવારી રાજકુમારી ગર્ભવતી થઈ જતાં રાજાનો ગુસ્સો ફાટી પડ્યો અને તેણે પેલા યુવાનની શોધખોળ ચલાવી. રાજા પોતાના પ્રેમીને મરાવી નાંખશે એ બીકે રાજકુમારીએ કદી પોતાના પ્રેમીની સાચી ઓળખ છતી નહોતી કરી. રાજાએ દીકરીને નજરકેદ કરી અને પ્રેમવિરહમાં ઝૂરી ઝૂરીને તેણીએ દમ તોડી દીધો હતો. તેના મૃત્યુ સમયે તેણીએ સફેદ કલરનો ડ્રેસ પહેર્યો હતો એટલે એ ડ્રેસમાં જ તેનું પ્રેત કિલ્લામાં ભટકતું દેખાતું હોવાથી તેને વ્હાઈટ લેડી તરીકે ઓળખવામાં આવે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED