che guevera books and stories free download online pdf in Gujarati

ચે ગેવેરા

ચે ગેવેરા

“ વિશ્વ ક્રાંતિ નો મશાલચી”

લેખક

શૈલેશ વ્યાસ

Email:

Mobile: 9825011562

ચે ગેવેરા

વિશ્વ ના ઇતિહાસમાં બે પ્રકાર ની અનેક ક્રાંતિઓ થઇ ગઈ છે. ૧) નિસશ્ત્ર અથવા અહીંસક અને (૨) સશસ્ત્ર. પહેલા પ્રકાર ની ક્રાંતિ ને રાજકીય, સામાજીક કે ધાર્મિક ચળવળ ના રૂપે જોવાય છે. આવી ક્રાંતિના પ્રણેતા માં મહત્મા ગાંધી,નેલ્સન મંડેલા,માર્ટીન લ્યુથર કિંગ કે અબ્દુલ ગફાર ખાન નો સમાવેશ થાય છે.

પણ સમાજના લોકોના માનસપર ઉપર ક્રાંતિ કે ક્રાંતિકારીઓની જે છબી છે તે સશશ્ત્ર ક્રાંતિ કે સશસ્ત્ર ક્રાંતિકારીઓની છે. આવી ક્રાંતિઓ માં ફ્રેંચ ક્રાંતિ, ૧૮૫૭ ની ભારતની સ્વતંત્રતા ની ક્રાંતિ તદઉપરાંત રશિયાની બોલ્શેવિક ક્રાંતિ,ચીન ની અને ક્ચુબા ની ક્રાંતિઓ ની છાપ જન સમુદાય ઉપર છવાયેલી છે.

વીસમી સદીમાં વિશ્વના રાજકીય ફલક ઉપર જબરદસ્ત બદલાવ આવ્યો,ઠેરઠેર રાજાશાહી કે સરમુખત્યારશાહી સામે સશસ્ત્ર ક્રાંતિઓ થવા લાગી જેમાં ભારત કે દક્ષિણ આફ્રિકા ને છોડી ને અન્ય બધી ક્રાંતિઓ સશસ્ત્ર,હીંસક અને લોહિયાળ હતી અને મોટેભાગે સામ્યવાદી વિચારધારા ધરાવતી હતી.

આ સશસ્ત્ર ક્રાંતિઓ અને વિચારધારાઓ દ્વારા વિશ્વના રંગમંચ ઉપર અનેક ક્રાંતિકારીઓ ઉભરી આવ્યા જેમણે પોતાના વ્યક્તિત્વ તથા વિચારો થી પોતાના દેશ તથા આખા વિશ્વ ને પ્રભાવીત કર્યા.

આવા ક્રાંતિકારીઓ માં લેનિન,કાસ્ત્રો,માઓ,માઈકલ કોલિન્સ તથા ચે ગેવેરા ના નામો અગ્રિમ હરોળમાં મુકાય છે. મોટા ભાગના આ બધા ક્રાંતિકારીઓ એ પોતપોતાના દેશની ક્રાંતિ માં ભાગ લીધો હતો અને સત્તા અને વિજય હાંસલ કર્યા હતા. આ બધાને સાંકળતી કડી એક હતી કે આ સૌએ સત્તા પ્રાપ્ત કરવા પોતાની વિચારધારા પ્રમાણે ક્રાંતિ કરી હતી.

આ સૌમા અપવાદ રૂપે એક ક્રાંતિકારી નું નામ આવે છે જેણે ક્રાંતિ માત્ર ક્રાંતિ માટે જ કરી હતી અને માત્ર એક દેશમાં જ નહી પણ વિશ્વના અન્ય દેશોમાં પણ ક્રાંતિ જગાવવા અથાગ મહેનત કરી હતી.તેનું ધ્યેય વિશ્વના અનેક દેશો ના કચડાયેલા,દબાયેલા અને અત્યાચારો નો ભોગ બનતા લોકો માં ક્રાંતિ ની જવાળા ફેલાવવા નું હતું.ક્યારેક તેણે સત્તા પણ ભોગવી પણ

સત્તા ઉપર ચિટકી રહેવાને બદલે સત્તા ત્યાગી,અન્ય દેશોમાં ક્રાંતિ જગાવી. આવો વિશ્વ ક્રાંતિનો મશાલચી હતો.

ચે ગેવેરા

અર્નેસ્ટો ‘ચે’ ગેવેરા એક આર્જેન્ટીના દેશનો સામ્યવાદી ક્રાંતિકારી હતો. તેણે પોતાના જીવનકાળ દરમ્યાન ક્રાંતિકારી,ચિકિત્સક,લેખક,ગેરીલા સેનાપતી,રાજમુત્સદ્દી તથા સૈન્ય સંચાલક તરીકે ની વિવિધ ભૂમિકા ભજવી હતી.કચુબાની ક્રાંતિમાં તેણે આગળપડતો અને સક્રિય ભાગલીધો હતો.વિશ્વ ના અનેક દેશોમા તેણે ક્રાંતિની મશાલ જગાવી હતી એટલે તેને વિશ્વક્રાંતિ નો મશાલચી કહીએ તેમાં કોઈ અતિશયોક્તિ નહિ હોય. તેના પ્રભાવી માનચિત્ર દ્વારા તે પુરા વિશ્વક્રાંતિ ના ચહેરા તરીકે ઓળખવા લાગ્યો. અમેરિકા ના એક વિખ્યાત મેગેઝીને તેને વિશ્વના અત્યંત પ્રભાવી ૧૦૦ વ્યક્તિઓમાં સ્થાન આપ્યું હતું અને તેના પ્રસિધ્ધ ફોટોગ્રાફ ને ખુબજ લોકપ્રિયતા મળી હતી.

આવો,આપણે આવા વિશ્વને પ્રભાવી કરનાર ક્રાંતિવીર ના જીવન ચરિત્ર ને માણીએ.

પ્રારંભીક જીવન

અર્નેસ્ટો ‘ચે’ ગેવેરાનો જન્મ ૧૪ મી જુન ૧૯૨૮ ના રોજ રોઝારીઓ આર્જેન્ટીનામાં થયો હતો, બાલ્યકાળથી જ તેને ગરીબો તથા કચડાયેલા પ્રત્યે અનુકંપા હતી જેનું મુખ્ય કારણ તેના કુટુંબ ની ડાબેરી વિચારસરણી હતી. ચે ગેવેરાને બાલ્યકાળ થી જ રાજકારણ માં તથા વિવિધ રમતગમતોમાં રસ હતો . ખાસ કરીને તેને સાઈકલીંગ અને રગ્બી માં ખુબજ રસ હતો. તદઉપરાંત તેને શતરંજ અને કવિતામાં પણ કાબેલીયત હતી. તેમાં ખાસ કરીને પેબ્લો નેરૂદા, જ્હોન કીટસ વિ. તેના પ્રિય કવિઓ હતા.તેના ઘરમાં નાની સરખી લાઈબ્રેરી પણ હતી જે ગેવેરના વાંચન ની ભૂખ મીટાવતી હતી. બાળપણ થી તેના ઉપર કાર્લ માકર્સ,જ્યાં પોલ સાત્રે, જવાહરલાલ નેહરુ,લેનીન વગેરે ના પુસ્તકો એ પોતાનો પ્રભાવ પાથર્યો હતો. તદઉપરાંત બુધ્ધ,એરીસ્ટૉલ,બટ્રાન્ડ રસેલ, ફ્રોઇડ અને નિત્સે ના જીવનચરિત્રો એ તેના મનઉપર ખુબજ પ્રભાવ પડ્યો હતો સ્કુલમાં પણ તેને ફીલોસોફી,મેથેમેટિક્સ,પોલીટીકલ સાયન્સ,ઈતિહાસ જેવા વિવિધ વિષયોમાં ઉડો રસ હતો.

૨૮ વર્ષની ઉમરે ગેવેરા એ મોટર સાયકલ ઉપર દક્ષિણ અમેરિકા ના વિવિધ દેશોની ૮૦૦૦ કિલોમીટર ની નવ મહિના લાંબી યાત્રા કરી આ યાત્રા દરમ્યાન વિવિધ દેશોની પ્રજાની ગરીબી,બિમારી અને દયનીય હાલત જોઈ તેની અંદર એક આક્રોશ પ્રજવલ્લીત થવા લાગ્યો હતો તેણે ચીલીમાં તાંબાની ખાણ ના ખાણીઆઓ ની દુર્દશા,એન્ડીસ પર્વતમાળા માં ઉંચાઈ એ કારમી ગરીબીમાં જમીન ખેડતા ખેડુતો તથા અન્ય દેશોના અત્યાચારો સહેતા ગરીબ લોકોની હાલત જોઈ.તેણે આ યાત્રા દરમ્યાન આર્જેન્ટીના,પેરૂ,ચિલી,એક્યુંડોર,કોલંબીઆ,વેનેઝ્યુએલા, પનામા વિ. દેશો માં પ્રજાની સ્થિતિ નો અભ્યાસ કર્યો અને એવા તારણ ઉપર આવ્યો કે આ બધા દેશોની પ્રજાને આ દયનીય સ્થિતીમાંથી મુક્તિ અપાવવી જોઈએ જે માટે તેણે સશસ્ત્ર ક્રાંતિનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો.

વિવિધ દેશો માં ક્રાંતિ ની મશાલ

૧૯૫૩ માં ગેવેરા એ બોલીવીયા,પેરૂ,ઇક્વેડોર,કોસ્ટારીકા,નિકારાગુઆ,હોન્ડુરાસ અને ગ્વાટેમાલા નો પ્રવાસ કર્યો. ગ્વાટેમાલામાં ત્યાંના પ્રમુખ જેકબો ગુઝમેન મૂડીવાદીઓની વિરુધ્ધ ભુમિસુધાર કાર્યક્રમ અમલમાં મૂકી રહ્યા જેણે કારણે અમરિકા અને અમેરિકન કંપનીઓના હિતો જોખમાતા હતા. ખાસ કરીને યુનાઇટેડ ફૂટ કંપની ની,જેમના દબાણ હેઠળ અમેરિકા ની સરકારે આરબેઝ ગુઝમેન ની સરકાર ને અસ્થિર કરવા જાતજાતની થી તરકીબો અજમાવી જેમાં સરકાર વિરુધ્ધ પ્રચાર,બોબિંગ અને સશસ્ત્ર વિદ્રોહ વિ. સામેલ હતા. અમેરિકી સરકારની સામે પોતાને અસમર્થ સમજી ગુઝ્મેને રાજીનામું આપી દીધું.અમેરિકી સરકાર વિરુધ્ધ ગેવેરા સામ્યવાદી યુવા ના સશસ્ત્ર દળ માં જોડાયો હતો પણ સરકાર બદલાતા તેના ઉપર તવાઈ આવી અને તેણે આર્જેન્ટીના ના દુતાવાસમાં શરણ લીધું અને છેવટે ત્યાંથી તેણે મેકિસકો ની વાટ પકડી,આ ચળવળ દરમ્યાન તેમના મનમાં અમેરિકા એક સામ્રાજ્યવાદી દેશ છે તેવી માન્યતા દ્રઢ થઇ ગઈ , અને તેમણે સામ્રાજ્યવાદ,ઉપનિવેશવાદ તથા મૂડીવાદ વિરુધ્ધ લડવાનો નિર્ણય લીધો.

કયુબાની ક્રાંતિ

મેક્સિકોમાં તેની મુલાકાત રાઓલ કાસ્ત્રો સાથે થઇ જેણે તેની મુલાકાત પોતાના ભાઈ ફિડેલ કાસ્ત્રો સાથે કરાવી ફિડેલ કાસ્ત્રો કયુબા ની ક્રાંતિ નો કર્ણધાર હતો અને તે કયુબા ના સરમુખત્યાર

ફૂલ્ગેન્સીઓ બાટીસ્ટા ને પદભ્રષ્ટ કરવા પ્રયત્નો કરી રહ્યો હતો. ગેવેરા ને અનુભુતી થઇ કે કયુબા ની સામ્રાજ્યવાદ અને મૂડીવાદ સામેની ઐતિહાસીક ક્રાંતિ થઇ શકે છે એટલે તે ફિડલ કાસ્ત્રો સાથે જોડાયો.ઈતિહાસ સાક્ષી છે કે આ બંનેની અદભુત મૈત્રી એ વિશ્વની વિચારધારા અને સત્તાઓ બદલી નાખી. ગેવેરા એ ગેરીલા યુધ્ધ ની પધ્ધતિસર તાલીમ લીધી જેમા થાકી જવાય તેવી પહાડો,નદીઓ અને જંગલ ની યાત્રાઓ ની તાલીમ લીધી.

ત્યારબાદ કયુબન ક્રાંતિ માં તેણે સશસ્ત્ર નાયક તરીકે ભાગ લીધો અને ધણી તકલીફો, અડચણ કે ભૂખમરો પણ વેઠયો, અને તેણે કાસ્ત્રો નો એક સેના નાયક તરીકેનો વિશ્વાસ જીત્યો . તેણે સાથે સાથે ગોળા બારૂદ બનાવવાના કારખાના,ડબલ રોટી બનાવવાની સગડીઓ , સ્કૂલો અને તાલીમી શાળાઓ સ્થાપી. તદઉપરાંત હોસ્પિટલ, છાપખાના તથા સૈન્ય તાલીમી શાળાઓ સ્થાપી. કાસ્ત્રો એ તેની સૈન્ય ની એક ટુકડી નો સેનાપતિ બનાવ્યો. તેને “કાસ્ત્રો પાછળ નો બુધ્ધીમાન” કહેવામાં આવ્યો.

ચે ગેવેરા સેનાપતી તરીકે અત્યંત ક્રૂર, કડક અને શિસ્ત નો આગ્રહી હતો. કાયર, ભાગેડુ કે વિદ્રોહી અને જાસુસ કે ખબરીઓને તે તત્કાળ ગોળી મારી દેતો હતો. પણ સાથે સાથે નવરાશ ની પળોમાં તે પોતાના સાથીદારો ને ઉચ્ચકક્ષા ના લેખકો અને કવિઓની કૃતિઓ નું રસપાન કરાવતો હતો. ક્રૂરતાની સાથે સાથે તેની મૃદુતા ને કારણે તેની નીચે લડનારા લડવૈયા તેના માટે પ્રાણ પાથરવા તૈયાર હતા. , તે યુધ્ધમાં કોઈ ભય રાખતો ન હતો અને પોતાના મિત્રો ના પ્રાણ બચાવવા પોતાની જાતને જોખમમાં નાખતા અચકાતો ન હતો તેની ગણના મેઘાવી, નિર્ભય,આદર્શ અને અનુકરણીય નેતા તરીકે થતી હતી. બાટીસ્ટા સરકાર સામેના યુધ્ધમાં ગેવેરાએ ક્યુબાની રાજધાની હવાના ને જીવતા પ્રયાણ કર્યું અને ભૂખ્યા પેટે રાત્રી કુચ કરીને અદભુત સૈન્ય કળા થી અદભુત વિજયો મેળવી સાન્તા ક્લારા ને છોડીને અન્ય બધા વિસ્તારો પોતાના કબજે કર્યા અને છેવટે આત્મઘાતી ટુકડીઓ દ્વારા સાન્તા ક્લારા નો કબજો પોતાનાથી દસ ગણી વધારે સંખ્યાબળ ધરાવતી સેનાને હરાવી ને કર્યો , સરમુખત્યાર બાટીસ્ટા

પરાજય નો ભય સમજીને ક્યુબા તજી ડોમીનીકન ગણરાજ્ય માં ભાગી ગયો. ૧૯૫૯ જાન્યુઆરી ૨ ના દિવસે ગેવેરા પોતાના સૈન્ય સાથે હવાના માં પ્રવેશ્યો અને રાજધાની તથા કયુબા દેશનો કબજો લીધો. ફિડેલ કાસ્ત્રો એ તે પછી છઠ્ઠા દિવસે હવાના માં પ્રવેશ કર્યો.તેણે કયુબા ના નવા ભાગ્યવિધાતા તરીકે બનાવવા સૈથી મોટો ફાળો ચે ગેવેરા નો હતો. કયુબા ની ક્રાંતિ વિજય બાદ તેની ઉપર દમ નો હુમલો થયો અને થોડોક વખત તેણે સારવાર અને આરામ માટે લીધો.

જે દરમ્યાન તેણે ‘ગેરીલા યુધ્ધનીતિ’ નામનું પુસ્તક લખ્યું . પ્રથમ પત્ની જોડે છુટાછેડા લીધા અને અલેડા માર્ચ નામની યુવતી જોડે બીજીવાર લગ્ન કર્યા.

પૂર્વ સરમુખત્યાર બાટીસ્ટા ના ભ્રષ્ટ અને ખૂની અફસરો ને સજા આપવા કાસ્ત્રો દ્વારા ગેવેરા ને લા કાબાના દુર્ગ માં સ્થિત જેલ નો સેનાધ્યક્ષ બનાવવામાં આવ્યો. ગેવેરા એ જનતાની મનસ્થિતિ મુજબ સેકડો પૂર્વ અધિકારીઓ ને મૃત્યુદંડ આપ્યો. તેનું માનવું હતું કે જો ક્રાંતિને બચાવવી હોય તો શસ્ત્રુઓ ને મૃત્યુદંડ આપવો અત્પર્ય આવશ્યક છે, અને કોઈ પણ જાતની માનવીય કે રાજકીય દલીલો કે સંવેદના તેના ધ્યેયમાંથી તેને ચલીત નહિ કરી શકે.

ત્યારબાદ તેણે કયુબામા ખેતી પ્રધાન સુધારાઓ લાગુ કર્યા જેમાં જેની પાસે વધારાની જમીન હોય તે લઇ ને જેની પાસે જમીન ન હોય તેવાને આપવી. ત્યાર બાદ તેઓ એ ૧૯૫૯ ની બાંડુગ પરિષદ માં ભાગ લીધો.

ફિડલ કાસ્ત્રો ની અમાપ સત્તા સામે અમેરિકા ના પીઠબળ થી કાસ્ત્રો વિરોધીઓએ ડોમીનીકન રીપબ્લીક ના સરમુખત્યાર રફેલ ત્રુજીલો ની મદદથી કાસ્ત્રો ની સરકાર ઉથલાવવા ના પ્રયત્નો ચાલુ કરી દીધા હતા . કાસ્ત્રોએ આના માટે નું દોષારોપણ અમેરિકાની સીઆઇએ જાસુસ સંસ્થા ઉપર કર્યું અને આ દરમ્યાન થયેલા બોંબ ધડાકામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓ માટે રાજકીય અંતિમવિધી ની ઘોષણા કરી જે દરમ્યાન ઉપસ્થિત રહેલ ગેવેરા નો વિશ્વવિખ્યાત ફોટોગ્રાફ “ગેરીલેરો હિરોઈકો” આલબટો કોરડા નામે ફોટોગ્રાફરે લીધો હતો.

ક્રાંતિના વિદ્રોહીનું દમન કરવા કાસ્ત્રો એ ગેવેરા ને ઉદ્યોગ મંત્રી બનાવ્યો અને ભૂમિસુધારા ને વેગ આપવા આદેશ આપ્યો. ગેવેરા એ મુડીવાદીઓની વધારાની જમીન ઝૂંટવી લઇ અન્ય જરૂરીયાત મંદોને આપવા માંડી, આમાં ૪૮૦૦૦૦ એકર જમીન અમેરિકન કંપનીઓ ની હતી. તદઉપરાંત તેણે સહકારી ખેતરોની સ્થાપના કરી. અમેરિકાની સરકારે નારાજ થઈને

ક્યુબમાંથી ખરીદાતી શેરડીની આયાત ઓછી કરી નાખી.આનો લાભ લઈને ગેવેરા એ અમેરિકાને આર્થિક આક્રમણકારી તરીકે નવાજ્યું. આ દરમ્યાન અમેરિકા અને વિશ્વ ના સમાચાર પત્રો એ ગેવેરા ની શક્તિઓની પ્રસંશા કરી. તેણે પોતાના પ્રયત્નો થી ક્યુબા ની પ્રજાનું અક્ષરજ્ઞાન દર ૯૬% ટકા સુધી લઇ ગયો.

હવે ગેવેરા ને ઉદ્યોગમંત્રી ઉપરાંત નાણામંત્રી થતાં નેશનલ બેંક ના પ્રમુખ તરીકે ના હોદ્દા પણ મળ્યા હતા. સામાજીક અસમાનતા વચ્ચેની ભેદરેખા દુર કરવા તેણે કારખાનાઓ,બેંક, અને વ્યવસાયો નું સરકારીકરણ કરવા માંડ્યું, જેથી કરીને સૌને રહેવા માટે મકાન, માંદગી

માટે ચિકિત્સા અને ગુજરાન માટે નોકરીઓ મળે. તેણે પોતાના સ્વપ્ન પ્રમાણે સામાજીક એકતા સમાનતા અને ઉધ્ધાર માટે વિવિધ પગલાઓ લીધા.

પશ્ચિમી દેશો ના આર્થિક વિરોધ ને ખાળવા તેણે પૂર્વીય દેશો સાથે મૈત્રિ કેળવવા માંડી અને વિવિધ સમાજવાદી રાષ્ટ્રો જોડે તેણે વાણિજ્ય સંધિઓ કરી.તેણે ઝેકોસ્લોવેકિયા,સોવિયેટ યુનિયન,ઉત્તર કોરિયા,હંગેરી અને પૂર્વ જર્મની ની મુલાકાત લીધી આના કારણે ક્સ્યુબા ની આર્થિક પરિસ્થિતિમાં સુધારો તો થયો પણ સાથે સાથે પૂર્વિય રાષ્ટ્રો ઘટકો ઉપર વધારે આશ્રિત બનવું પડ્યું. પણ ગેવેરા ના આર્થિક કાર્યક્રમો ગમે તે કારણોસર અસફળ રહ્યા,વધારે કામનાં કલાકો સામે ઓછો પગાર અને “નૈતિક પ્રોત્સાહન” ને કારણે કારીગરો ગેરહાજર રહેવા લાગ્યા અને ઉત્પાદન ઘટવા લાગ્યું. જેણે કારણે તેના ઉપર આર્થિક સિધ્ધાંતો ના મૂળભૂત પાયા વિશે ના અજ્ઞાન ના આરોપો લાગ્યા. ૧૯૬૧ માં અમેરિકા દ્વારા તાલીમ પામેલા દેશવટો ભોગવતા કયુબનોએ ‘ બે ઓફ પિગ્સ’ ઉપર આક્રમણ કર્યું. આ આક્રમણ ને વિફળ કરવામાં મુખ્ય ફાળો ગેવેરા ના નેતૃત્વ હેઠળ તાલીમ પામેલા સૈનિકો નો હતો. જેથી ગેવેરા ને પણ આ વિજય નો આંશિક હકદાર માનવામાં આવે છે.

ગેવેરના અમેરિકા વિરુધ્ધ નો રોષ અને અણગમો વધતા જતા હતા.તેના આગ અને વિષ ઓકતા ભાષણો થી તે સામાવાદી દેશોમા ખુબજ લોકપ્રિય બની રહ્યો હતો.

સોવિયેટ યુનિયન અને ક્યુબાની અતુટ મૈત્રિ નો તે શિલ્પી હતો. તેણે રશિયાના આણ્વીક શાસ્ત્રો ધરાવતા આંતર ખંડિય મિસાઈલો ક્યુબાની ધરતી ઉપર સ્થાપિત કરવામાં મોટો ભાગ ભજવ્યો હતો. જેણે કારણે ૧૯૬૨ ની ક્યુબન મિસાઈલ કટોકટી ઉભી થઇ હતી જેને કારણે વિશ્વ આણ્વીક યુધ્ધ ની ઊંડી કરાડ ઉપર આવી ગયુ હતું. સોવિયેટ યુનિયન ની પીછેહઠ થી ગેવેરા

નો વિશ્વાસ સોવિયેટ યુનિયન ઉપર થી ઉઠી ગયો હતો અને પછી તે અમેરિકા અને સોવિયેટ યુનિયન બંને ઉપર વાકપ્રહાર કરવાનું ચૂકતો ન હતો.

ક્રાંતિ ની વૈશ્વિક મશાલ

૧૯૬૪ સુધીમાં ગેવેરા ની ખ્યાતિ “વિશ્વસ્તર ના ક્રાંતિકારી રાજદ્વારી’ તરીકે થવા લાગી હતી. તેણે અમેરિકાનો પ્રવાસ સંયુક્ત રાષ્ટ્ર ની સભાને સંબોધવા માટે કર્યા તદઉપરાંત તેણે અલ્જીરિયા માં પણ આર્થિક નીતીઓ પર સંભાષણ આપ્યું જેમાં તેણે સોવિયેટ યુનિયન ઉપર

ધારદાર ટીકાઓ કરી. આના કારણે ફિડેલ કાસ્ત્રો,રાઉલ કાસ્ત્રો વિ. તેનાથી નારજ થઇ ગયા. તેણે અમેરિકા દ્વારા વિયેતનામ ને સહાય કરવાની બધા દેશો ને વિનંતી કરી.

ગેવેરા દ્વારા સોવિયેટ યુનિયન નો વિરોધ અને ચીન ના માઓ ની નીતીઓ ની તરફેણ ને કારણે ફિડેલ કાસ્ત્રો તેના પ્રત્યે હતોત્સાહ થવા લાગ્યો હતો.

અલ્જીરિયાના આપેલ ભાષણ ના બે અઠવાડિયા પછી ચે ગેવેરા ક્યુબાના જાહેર જીવનમાંથી અદ્રશ્ય થઇ ગયા. તે કયાં હતા તે અટકળોનો વિષય બની ગયો તેમની ગુમનામી પાછળ ના કારણો માં ૧) તેમની ઉદ્યોગ નીતિની નિષ્ફળતા (૨) સોવિયેટ યુનિયન દ્વારા દબાણ (૩) અને કાસ્ત્રો સાથેના ગંભીર મતભેદો ને ગણવામાં આવે છે.૧૯૬૫ ની ત્રીજી ઓક્ટોબરે ફિડેલ કાસ્ત્રોએ એક સાત મહિના જુનો પત્ર જાહેર કર્યો જેમાં તેણે ક્યુબા ની ક્રાંતિ સાથે સુદઢતા તથા વિશ્વની અન્ય ક્રાંતિઓ માં લડવા માટે ક્યુબા છોડવાની ઈચ્છા દર્શાવી હતી. તદઉપરાંત તેણે ક્યુબાની સરકાર તથા ક્યુબાની સામ્યવાદી પાર્ટીના દરેક હોદ્દા ઉપર થી રજીનામું આપ્યા ની વાત કરી હતી.

કોંગો અને બોલીવીયા

૧૯૬૫ માં ગેવેરા આફ્રિકામાં ક્રાંતિ ની મશાલ જગાવવા ગયો. અલ્જીરીયા ના પ્રમુખ અહમદ બેન બેલા અને ઈજીપ્ત ના પ્રમુખ ગમાલ અબ્દુલ નાસરે તેને ચેતાવ્યો હતો કે તે આફ્રિકામાં અસફળ થઇ જશે. ગેવેરા એ કોંગો ના હત્યા કરાયેલ પ્રમુખ પેટ્રીસ લુમુમ્બા ના ટેકેદારો ને સશસ્ત્ર સહયોગ આપ્યો.પણ થોડા વખત માં જ ગેવેરા નો મોહભંગ થઇ ગયો કારણકે વિદ્રોહીઓમાં શિસ્ત નો તદન અભાવ હતો. તદઉપરાંત દક્ષિણ આફ્રિકા ના ભાડુતી સૈનિકો,સીઆઇએ, ક્યુબન વિદ્રોહી ઓ તથા કોંગો નેશનલ આર્મી દ્વારા ગેવેરા ની ગતીવીધીઓ ઉપર અંકુશ લાવી દીધો હતો. અમેરિકા ની સરકાર પણ તેની ગતીવીધી ઓ ની પળેપળ ની નોંધ રાખતી હતી.

ગેવેરા નું વિશ્વમાં ક્રાંતિ ફેલાવા નું ધ્યેય અસફળ બની રહ્યું હતું. તેણે અસફળતા નું કારણ કોંગો વિદ્રોહીઓ ની અણઆવડત,મતાગ્રહ અને અંદર અંદર નો કંકાસ હતો. તેણે પોતાની અસફળતા સ્વિકારી લીધી અને છ મહિના છદ્વમવેશે પ્રાગ અને દારેસલામમાં વિતાવ્યા કારણકે ક્યુબા પાછા ફરવા ના દરવાજા કાસ્ત્રો એ બંદ કરી દીધા હતા.

ગેવેરા પોતાની વેશભૂષા દાઢી અને કેશ શૈલી બદલાવી ને બોલોવીયા ગયો. ત્યાં તેણે પર્વતોમાં ગેરીલા સૈન્ય ઉભુ કરવા ઘણી મહેનત કરી પણ તેમા તે વધારે આગળ પ્રગતિ કરી

શક્યો નહી. તેમ છતા તેને પ્રાથમિક સફળતાઓ બોલોવીયન સરકારી સેના સામે મળી. બોલોવિયન સેના એ પ્રતીપ્રહારો કરી તેની ગેરીલા સેના ને છિન્ન ભિન્ન કરી નાખી. ગેવેરા ની બોલોવીયા માં ક્રાંતિ કરવાની મહેચ્છા ને અસફળતા મળવા ના મુખ્ય કારણો નીચે મુજબ હતા.

૧) ગેવેરાની ધારણા હતી કે બોલીવિયાની નબળી તાલીમ અને સામગ્રીઓ વાળી સેના ને તે આસાની થી હરાવી દેશે પણ તેને ખ્યાલ ન હતો કે બોલીવીઆની સેના ને અમેરિકાએ પુરતી તાલીમ અને શસ્ત્રસજ્જ કરી હતી.

૨) તેને બોલીવીઆ ની સામ્યવાદી પાર્ટી તથા સ્થાનિક વિરોધી તરફ થી કોઈજ સહકાર કે મદદ ન મળ્યા જેની તેને ધારણા હતી.

૩) ક્યુબા એ આપેલા રેડિયો ખામીયુક્ત હતા એટલે તેનો સંદેશ વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને જેણે કારણે તેને જરૂર માલસામાન કે રસદ મળવી બંધ થઇ ગઈ હતી અને તેઓ એકલા અટુલા પડી ગયા હતા.

૪) ગેવેરાની અતિ આક્રમક નીતિને કારણે તેઓ સ્થાનિક વિદ્રોહી નેતાઓ સાથે તાલમેલ બેસાડી ન શક્યા.

૮૭મી ઓક્ટોમ્બર ૧૯૬૭ ના રોજ એક ખબરી દ્વારા મળેલી જાણકારી મુજબ બોલીવીયા ની સેનાની ટુકડી એ ગેવેરા ના છુપા રહેવાના સ્થાન ને ઘેરી ઘેરી લીધું. આ અથડામણમાં ગેવેરા ઘાયલ થઇ ગયો અને તેને બંદી બનાવી લેવાયો. ૯ મી ઓક્ટોબરે બોલિવિઆ ના પ્રમુખ રેને બેરિએન્ટોસે ગેવેરાને મૃત્યુદંડ આપવાનો આદેશ આપ્યે જેના પાલન રૂપે ગેવેરાને ગોળી મારવામાં આવી અને આ રીતે વિશ્વક્રાંતિની મશાલ બુઝાઈ ગઈ.

ગેવેરા નું વ્યક્તિત્વ અને પ્રભાવ

ગેવેરા એક એવું ઐતીહાસીક પાત્ર છે જેણે એક તરફ પ્રેમ અને પુજ્યભાવ મળ્યા તો બીજી બાજુ ધિકકાર અને નિંદા મળી.તેના વિષે પુસ્તકો,જીવનચરિત્ર,આત્મચરિત્ર,નિબંધો,દસ્તાવેજો, ગીતો અને ફિલ્મો લખાઈ અને પ્રસારિત થઇ.તેમની શહાદત વિશેની કલ્પના,વર્ગવિગ્રહની કાવ્યમય અભ્યર્થના અને એક એવા નવજીવન ની કલ્પના,જેમાં ભૈતીક સુખો ને બદલે સૈધાંતિક

મુલ્યો વધારે મુલ્યવાન હોય તેમજ ઉત્કૃષ્ટ ડાબેરી ચળવળ નો વિસ્તાર વિ. નું એક એવા મહામાનવ નું રુપ એમના પ્રસંશકો સામે પ્રસ્તુત કર્યું હતુ.

ગેવેરા ના વ્યક્તિત્વ ની બે બાજુઓ હતી.એક તરફ તેઓ અત્યાચારો થી કચડાયેલી પીડીત પ્રજા ના દમન અને સંહાર સામે સરમુખત્યારો સામે સશસ્ત્ર ક્રાંતિ ના હિમાયતી હતા પણ

જયારે તેઓ સત્તારૂઢ થયા ત્યારે સામ્યવાદી પધ્ધતિ થી પૂર્વ સત્તાધીશના અફસરો કે ટેકેદારો ને વીણી વીણી ને ઠાર કરતા તેઓ જરા પણ અચકાતા ન હતા.તેઓં સ્વપ્નદર્શી હતા,કલ્પનાશીલ હતા પણ જરાય વ્યવહારુ ન હતા.શાસન ચલાવવા માટે સામ,દામ,દંડ,ભેદ વિ.દરેકનો જયારે જરૂર પડ્યે ઉપયોગ કરવો જોઈએ તેનું જ્ઞાન તેમને ન હતું જેને લીધે તેઓ ધીરે ધીરે ફિડેલ કાસ્ત્રો થી દુર થતા ગયા અને અંતે બોલીવીઆના પહાડો અને જંગલોમા તેમને મૃત્યુ દંડ મળ્યો.

એક તરફ ક્રાંતિકારી,ગેરીલા યુધ્ધનો સેનાપતિ,ક્રૂર અને નિર્દયી હઠાગ્રહી સ્વભાવ તથા બીજા છેડે કવિ,લેખક ચિકિત્સક,રાજદ્વારી અને ગરીબો ની દશા જોઈ જેની આંખોમાં આંસુ આવી જાય તેવો નેતા હતો ચે ગેવેરા.

કોઈ એ તેને‘રોબીન હુડ’ કહ્યો કોઈએ ગેરીબાલ્ડી નો અવતાર કહ્યો.ઘણી મહાન વ્યક્તિઓને તેને આદર્શ પુરુષ માન્યો છે. જેમા નેલ્સન મંડેલા,જ્યાં પોલ સાત્રે,ગ્રેહામગ્રીન,વિ. સામે પક્ષે ઘણી વ્યક્તિઓ એ તેને હ્રદયહીન જલ્લાદ તરીકે વર્ણવ્યો છે.

ગમે તે હોય પણ તેણે પોતાના સમય દરમ્યાન આખી ને આખી પેઢીઓને પોતાની વિચારધારા,વ્યક્તિત્વ અને પ્રતિક દ્વારા પ્રભાવિત કરી છે.

ચાલો આખા વિશ્વને ક્રાંતિની મશાલ થી અજવાળનાર આ વિરલ પ્રતિભા ને આપણે સાલામ કરીએ. જો કોઈ સામાવાદી બિરાદર આ વાંચશે તો તે કહેશે ‘લાલ સલામ’ કરીએ.

------------------X-------------------

Ref:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED