કરુણા - 4 Rushil Dodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • Gen Z

    મને છે ને આ Gen Z ખુબ જ ગમે છે. સૌથી પહેલે તો હું મિલેનિયમ છ...

  • તારામાં હું

    ​"સ્કૂલના દિવસોનો એ પવિત્ર પ્રેમ, જે લગ્નના મંડપ સુધી ન...

  • ધર્મ નો વ્યાપાર

    ધર્મ ની આડ માં મને હંમેશા ધંધો જ દેખાણો છે, ઈશ્વર ના દર્શન ક...

  • જીવન પથ ભાગ-64

    જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૬૪             ‘જ્ઞાનની શરૂઆત કોઈ એવી...

  • જીવનની સાચી સંપત્તિ

    જીવનની સાચી સંપત્તિ “એક માછીમારે સમુદ્રને જીત્યો, એક કરોડપતિ...

શ્રેણી
શેયર કરો

કરુણા - 4

આ કરુણા નો ચોથો ભાગ છે
આ પહેલા ત્રણ ભાગ પ્રકાશિત થઈ ચૂક્યા છે જે તમે privious chapter માં વાંચી શકશો

કરુણા

લેખક : રવીન્દ્રનાથ ટાગોર

અનુવાદ : રૂષિલ ડોડીયા


ત્રીજો પરિચ્છેદ - મોહિની અને મહેન્દ્રના મનની વાત


"આવું ચાલ્યા કરે તો પાર કેમ આવે! મહેન્દ્રનું ઘર છોડી દીધું—વિચાર્યું કે જવા દો, હવે તે તરફ ધ્યાન નહીં આપું. મહેન્દ્ર જ્યારે અમારા ઘરે આવતો ત્યારે હું રસોડામાં જઈને છુપાઈ જતી, પણ આજકાલ મહેન્દ્ર પાછો ઘાટ પર જઈને બેસી રહે છે. કેવી મુસીબતમાં પડી છું, શું તેના કારણે પાણી ભરવા જવાનું પણ બંધ કરવું પડશે? ભલે, કદાચ ઘાટ પર બેસી રહ્યો, પણ આવી રીતે ટગર-ટગર કેમ જોયા કરે છે? લોકો શું કહેશે? મને બહુ શરમ આવે છે. વિચારું છું કે હવે ઘાટ પર નહીં જાઉં, પણ ગયા વગર શું કરવું? અને હું શા માટે ન જાઉં? સાચું કહું તો, મહેન્દ્રને જોતા જ મને અનેક વિચારો આવે છે, પણ એ વિચારોને ભૂલવાની પણ ઈચ્છા થતી નથી. સાંજના સમયે એકવાર જો મહેન્દ્ર જોવા મળી જાય તો તેમાં શું નુકસાન છે? નુકસાન થતું હોય તો થાય, હું તેને જોયા વગર જીવી શકીશ નહીં. પણ મહેન્દ્રને જાણ નહીં થવા દઉં કે હું તેને ચાહું છું, નહીં તો તે મારી સાથે મન ફાવે તેમ વર્તશે. અને આ બધી પ્રેમની વાતો બહાર ફેલાય તે પણ ઠીક નથી"—આ તો હતી મોહિનીના મનની વાત.

મહેન્દ્ર વિચારે છે—"હું તો રોજ ઘાટ પર બેસી રહું છું, પણ મોહિની તો એક દિવસ પણ મારી તરફ ફરીને જોતી નથી. હું જે તરફ હોઉં તે તરફથી પણ પસાર થતી નથી, મને જોતા જ ઉતાવળમાં ઘૂમટો તાણી લે છે, રસ્તામાં મને જુએ તો છેક છેડે ખસી જાય છે, મોહિનીના ઘરે જાઉં તો ક્યાંક ભાગી જાય છે—આવું થાય ત્યારે બહુ કષ્ટ થાય છે. પહેલાં તો હું જાણતો હતો કે મોહિની મને ચાહે છે. ભલે ચાહે નહીં, પણ સંભાળ તો રાખે છે. પણ આજકાલ આવું કેમ કરે છે? મારે મોહિનીને આ વાત પૂછવી પડશે. પૂછવામાં શું વાંધો છે? મોહિનીને તો મેં કેટલીય વાતો પૂછી છે. મોહિનીના ઘરના બધા મને એટલો ચાહે છે કે મોહિની સાથે વાતચીત કરું તો કોઈને કંઈ ખોટું લાગશે નહીં."

એક દિવસ સાંજે મોહિની પાણી ભરવા આવી. મહેન્દ્ર જેમ ઘાટ પર બેસી રહેતો હતો તેમ જ બેઠો છે. બગીચામાં બીજું કોઈ નથી. મોહિની પાણી ભરીને જવા લાગે છે. મહેન્દ્રએ ધ્રૂજતા અવાજે ધીમેથી બૂમ પાડી, "મોહિની!" મોહિની જાણે સાંભળ્યું જ ન હોય તેમ ચાલી ગઈ. મહેન્દ્ર ફરીથી બોલાવવાની હિંમત ન કરી શક્યો. બીજા એક દિવસે મોહિની ઘરે પાછી જઈ રહી હતી ત્યારે મહેન્દ્ર તેની સામે જઈને ઊભો રહ્યો; મોહિનીએ તરત જ ઘૂમટો તાણી લીધો. મહેન્દ્રએ ધીમે ધીમે, પરસેવે રેબઝેબ થઈને કેટલીય વાતો કહી, કેટલીય વાતો અટકી ગઈ, કોઈ પણ વાત તે સરખી રીતે સમજાવી શક્યો નહીં.

મોહિનીએ ઉતાવળમાં કહ્યું, "ખસી જાઓ, હું પાણી લઈને જઈ રહી છું."

તે જ દિવસે મહેન્દ્રએ ઘરે જઈને એક સામાન્ય વાતમાં પિતા સાથે ઝઘડો કર્યો, નિર્દોષ રજનીને કારણ વગર કેટલીય વાર સુધી ધમકાવી, નોકર શંભુને બે-ત્રણ વાર મારવા તૈયાર થઈ ગયો અને દારૂનું પ્રમાણ પણ થોડું વધારી દીધું. થોડા દિવસોમાં ગદાધર સાથે મહેન્દ્રની મુલાકાત થઈ, તેના ચાર દિવસ પછી સ્વરૂપબાબુ સાથે મિત્રતા થઈ, તેના એકાદ અઠવાડિયા પછી નરેન્દ્ર સાથે પરિચય થયો અને મહિનાની અંદર મહેન્દ્ર, નરેન્દ્રની સભામાં દર સાંજે નિત્ય અતિથિ તરીકે હાજર થવા લાગ્યો.


ક્રમશઃ