કાંતા ધ ક્લીનર - 47 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાંતા ધ ક્લીનર - 47

47.

ગીતાબા થોડી વારે બહાર આવીને કહે "કાંતા, તારા માટે એક સારા સમાચાર છે. મિ.રાધાક્રિષ્નનનો ફોન હતો. હવેના તબક્કે 

એમને તારી જરૂર પડે એમ છે. તેમણે આપણને બોલાવે ત્યારે હોટેલ આવી જવા કહ્યું છે."

કાંતા બે ઘડી પોતે સાંભળ્યું તે માની શકી નહીં. તેણે ખાલી હકારમાં ડોક હલાવી.

"કોઈ નવી બાતમી તેમને મળી છે તેના પર કામ કરવા. કોઈકને રાઘવ છુપાવીને રાખતો હતો ને એવું પણ કાઈંક કહ્યું." 

 

ત્યાં તો જીવણ છટકીને રસોડામાં જતો રહ્યો. બાકી રહેલી ચા ઉકાળી, ગાળી અને કપ ભરી એક ટ્રે માં લાવી  સહુને આપી. તે એક ખૂણામાં જાણે છુપાઈ ગયો હોય તેમ ઊભી ગયો.

ગીતાબાએ ચારુ પાસે જઈ કશુંક કહ્યું.

"અમને ખબર પડી છે કે તે બે છોકરાઓ આવી હેરાફેરીમાં એક્સપર્ટ હતા. રસ્તામાં આવે તેનો સિફતથી કાંટો પણ કાઢી નાખે તેવા. એ ત્રણ મળીને તને બ્લેક મેઈલ કરતા હતા, ખરું? જીવણ?"   ચારુ પૂછી રહી.

"સતત. મારો પાસપોર્ટ અને વિઝા લઈ લીધેલો. મારે હોટેલમાં કિચનમાં વધ્યુંઘટયું ફેંકી દીધેલું ખાવાની ફરજ પડતી. એ ખાવાની બેગમાં પણ ક્યારેક ડ્રગ છુપાવાતી. મને મેં ક્યારેક અમુક કામ કરવાની ના પાડી તો ડામ પણ દીધેલા." કહી તેણે શર્ટની બાંય ઊંચી કરી ડામ બતાવ્યા.

"અને કાંતા, તું. રોજ જીવણ રહ્યો હોય તે રૂમ  ચકાચક સાફ કરી નાખતી. કોઈ જ નિશાન બાકી ન રહે એમ. શું કામ?" ગીતાબાએ ફરીથી એ વીંધી નાખતી દૃષ્ટિએ કાંતાને પૂછ્યું.

કાંતાએ જીવણ સામે જોયું. તેણે હકારમાં ડોક હલાવી.

કાંતાએ બધું જ કહી દીધું. તેને કઈ રીતે રાઘવે વિશ્વાસમાં લીધી, જીવણ પર પોતે દયા કરી રહ્યો છે અને પોતે રાઘવની ખાસ મિત્ર હોઈ આ કામ તેને પ્રેમ કરતો હોઈ પોતાને ખાતર કરવા કહેતો. પોતે તો જાણતી નહોતી કે તે કોઈ ગુનાના પુરાવા મીટાવી રહી છે એ કહી દીધું. તેણે કહ્યું કે પોતે કોઈ બાજીનું પ્યાદું બની ગઈ છે એવો રાઘવે  જરા સરખો ખ્યાલ આવવા નહોતો દીધો.

"અને તેં એણે કહ્યું તે બધું માની લીધું! દેખીતી રીતે શંકાસ્પદ હતું છતાં. નાની કીકલી ખરી ને!" ગીતાબાએ ચિડાઈને પૂછ્યું. ચારુ તેમની સામે જોઈ રહી.

"આવા માણસો ખૂબ મીઠાબોલા હોય છે. હું અને સરિતા બેય ભોળવાઈ ગયેલાં એટલે ફસાઈ ગયાં. જીવણને ફસાવવા તેને બ્લેકમેઇલ કર્યો." કાંતાએ સફાઈ આપી.

"અમે રાઘવને ગાંજા, ચરસ, બેન્ઝોડોપાઈન, કોકેઇનના મોટા જથ્થા સાથે  અને  થેલામાં કડકડતી નવી નોટોના જથ્થા સાથે પકડ્યો. એમાં જે બેન્ઝો.. ગોળીઓ હતી તે તો.." ગીતાબાએ પૂછ્યું.

"હા. સરિતા એ ગોળીઓ અવારનવાર લેતાં. એમ કહીને કે એનાથી તરત આરામ થઈ જાય છે. એ જ ગોળીઓ અગ્રવાલ સૂતેલા જોયા ત્યારે આસપાસ વેરાયેલી મેં ભેગી કરીને બોટલ ક્યાં રહેતી તે ખબર હતી એટલે એમાં ભરી પણ ખરી." કહેતાં કાંતા નીચું જોઈ ગઈ.

"રાઘવ માટે મુખ્ય ચાર્જ, અગ્રવાલની ઠંડે કલેજે હત્યાનો બાકી છે. અમુક કડીઓ હજી સ્પષ્ટ થતી નથી એટલે અમને તારી જરૂર છે." ગીતાબાએ કહ્યું.

"કઈ કડીઓ?" કાંતાએ નવાઈથી પૂછ્યું.

"તેં  કહ્યું એમ તને બોલાવી એટલે તેં રૂમની સફાઈ કરી અને સરિતા નહાવા ચાલી ગયેલી એ ખરું. એટલે તારાં ફિંગરપ્રિન્ટ બધે મળ્યાં. પણ રાઘવનાં ક્યાંય નથી. એમ કેમ?" ગીતાબાએ પૂછ્યું.

"મને સરિતાએ બોલાવી. મેં આસપાસ ઉલટીના ડાઘ, લોહી જેવા ડાઘ બધું સાફ કર્યું.  પછી કલીનિંગ સોલ્યુશન કપડાં ઉપર અને રૂ ઉપર લઈ ઘસી ઘસીને સાફ કરેલું એટલે ક્યાંક હોય તો પણ એ નિશાન જતાં રહ્યાં." કાંતાએ કહ્યું.

"જીવણ, તને અગ્રવાલ અને રાઘવ વચ્ચેના સંબંધોનો ખ્યાલ છે?" ગીતાબા જીવણ તરફ ફર્યાં.

"હા. તેઓ ફોન પર લાંબી વાતો કરતા. એકદમ ધીમા અવાજે. કોઈ નજીકમાં હોય તો તેનાથી દૂર જઈ મોં આડો હાથ રાખીને. મેં ક્યારેક થોડાં વાક્યો સાંભળેલાં તે પરથી કહું કે એ ધંધાની સૂચનાઓ અને દલીલબાજી હતી. ક્યાંથી શું આવશે કે કન્સાઇન્મેંટ ક્યાં જશે વગેરે. પણ ઘણી વાતો કોડવર્ડમાં થતી."

કાંતાએ કહ્યું કે પોતે રાઘવને આ રીતે પોતાની હાજરીમાં વાત કરતો જોયો છે.

"તો જીવણ, તારે સાક્ષી તરીકે સ્ટેટમેન્ટ આપવું પડશે." ગીતાબાએ કહ્યું.

"ગભરાતો નહીં. તારે માત્ર સાક્ષી તરીકે સ્ટેટમેન્ટ આપવાનું છે. ખૂનના આરોપી તરીકે નહીં." ચારુએ તેને આશ્વાસન આપતાં કહ્યું.

આગળ પૂછ્યું "તારી વર્ક પરમીટ અને પાસપોર્ટ  કયા વકીલને આપ્યાં છે?"

"રાઘવ મારી સાથે બનાવટ કરતો હોઈ શકે. એણે મિ.યોગી ઠક્કરને આપ્યાં એમ કહેલું."

"ઠીક છે. અમારી ભાર્ગવ એસોસીએટ ફર્મમાં આ કામ કરનારા વકીલ છે. તારાં પેપર ત્યાં હશે તો એમ, નહીં તો ગમે તેમ કરી બધું રીન્યુ કરાવી આપશે." ચારુએ કહ્યું.

"પેલા વકીલે કાઈં કર્યું  કે નહીં એ ખબર નથી. મારું બધું રાઘવે પડાવી લઈ તેને આપ્યું એમ  કહેલું." જીવણ બોલ્યો.

"ચાલો, આ વળી ગેરકાયદે લોકોને વસાવવા કે એ નામે પૈસા પડાવવાનું નવું રેકેટ હોય તો એની પણ અમે ફરિયાદ દાખલ કરશું." કહેતાં ગીતાબાએ કોઈ નોંધ કરી.

"તો ચાલ કાંતા, અમને તપાસમાં મદદ કરવા બોલાવે ત્યારે આવજે. તારી નોકરી ચાલુ રહેશે. ખુદ રાધાક્રિષ્નન સરે કહ્યું છે એટલે." કહી વ્રજલાલ ઊભા થયા.

કાંતા ફરીથી ખુશ થઈ ગઈ.

"તને નિર્દોષ સાબિત કરવા એ જાણવું પડશે કે  કોઈએ, કદાચ સરિતાએ એની પાસે હત્યા કરાવેલી? કે રાઘવ એ હત્યા શા માટે કરે?" ગીતાબાએ પૂછ્યું.

"એ જાણવામાં હું મદદ કરી શકીશ." ગરીબ ગુરબો દેખાતા જીવણે  હિંમતથી કહ્યું અને સહુ નવાઈથી એની સામે તાકી રહ્યાં.

ક્રમશ: