નાયિકાદેવી - ભાગ 5 Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાયિકાદેવી - ભાગ 5

આભડ શ્રેષ્ઠીની પુત્રી

છન્નુ કોટિના સ્વામીને ત્યાં જે વૈભવ હોય, તે વૈભવ પાટણના શ્રેષ્ઠીનો કેવો હોય એનું પ્રત્યક્ષ દર્શન થતું હોય તેમ, આભડ શ્રેષ્ઠીનો મહામેરુપ્રાસાદ આવતા, ઘડીભર તો કેલ્હણજી ને ધારાવર્ષદેવ અત્યારનો બનાવ જ જાણે ભૂલી જતા જણાયા. પણ શ્રેષ્ઠીનો મહામેરુપ્રાસાદ રાજમહાલયથી ઠીક-ઠીક દૂર હતો. વળી કોટની પડખે-પડખે બારોબાર એ આવી પહોંચ્યા હતા, છતાં વાત આંહીં પણ પહોંચી ગઈ જણાતી હતી. 

થોડાં માણસો એકબીજાના કાન કરડતાં હતાં. મહામેરુપ્રાસાદના વિશાળ આંગણામાં તો હંમેશના નિયમ પ્રમાણે સેંકડો હાથી, ઘોડા ને પાલખીઓ ઊભાં રહી ગયાં હતાં. પરગામથી આવેલ પરદેશીઓ શ્રેષ્ઠીનું દર્શન લેવા ક્યારનાય રાહ જોતા ત્યાં થોભી ગયા જણાતાં હતા. ચારેતરફ વ્યવહારની મોટી ધમાલ ચાલતી હતી. ક્યાંક સોનાં લવાતાં હતાં. ક્યાંક ત્રાજવે દ્રમ્મ જોખાતા હતા. ક્યાંક મોતીની માળાઓની કિંમત અંકાતી હતી અને હજી તો દિવસની શરૂઆત પણ થઇ નહોતી, ત્યાં લોકોની અવરજવર પણ ચાલુ થઇ ગઈ હતી અને તે પણ સેંકડોમાં. છતાં આંહીં પણ હવા ભારે જણાતી હતી. કોઈક-કોઈક ગભરાયેલા દેખાતા હતા. વાતની સનસા આંહીં પણ આવી પહોંચી હતી. 

પણ ધારાવર્ષદેવને તો બીજી વાતની એટલી જ ચિંતા હતી. આટલો બધો વૈભવ? આંહીં પાટણમાં અત્યારે ખળભળાટ મચ્યો છે, એનું એક નાનકડું મોજું આંહીં પણ આવ્યું જણાય છે. કેટલીક પાલખીઓ ઉતાવળે ઊપડી જવા અધીરી જણાતી હતી, તો કેટલાક ચહેરાઓ ઉપર ગભરાટ ફેલાઈ ગયો હતો, પણ એ તોફાન આગળ વધતું આંહીં આવે તો આ વૈભવનું શું થાય?

આંતરવિગ્રહનો ભય હવે એને ખરેખરો લાગ્યો, પણ તે ચાલ્યા.

ધારાવર્ષદેવ અને કેલ્હણજી આગળ હતા. પ્રહલાદનદેવ એમની પાછળ હતો. 

એમણે હજી માંડ દ્વારમાં પ્રવેશ કર્યો હશે ત્યાં તો આગંતુક અતિથીનાં જાનવર સાંભળી લેનારા માણસો એમની તરફ આવી પહોચ્યા. તેમણે બે હાથ જોડીને નમન કર્યા: ‘મહારાજ! પધારો!’

કેલ્હણજી ને ધારાવર્ષ આ બધી સંપત્તિ જોઈ જ રહ્યા. એમની સામેના બે સ્તંભોમાં જે કારીગરી હતી, એ જોતાં ઘડીભર એ પરિસ્થિતિ હુલી ગયા. વૈભવ કોને કહેવાય, એની વણલખી વાણી જાણે બધે શિલ્પમાં બોલતી હતી. 

બે પગથિયાં ચડ્યા હશે, ત્યાં તો એટલો મોહક ને મધુરો અવાજ આવ્યો કે બંને સામંતરાજો એક પળભર ચમકી ગયા: ‘મહારાજ! મહારાજ! ચૌહાણરાજ પધારો! પધારો! તમે ક્યાંથી?’

એમની સામે એક સોળ-સત્તર વર્ષની અનુપમ લાવણ્યવતી નારી ત્યાં ઊભી હતી. તેનું રૂપ અપ્સરાને લજવે તેવું હતું. એણે જે સત્કાર આપ્યો હતો એનો મધુર અવાજરણકો તો કાનમાં હજી જાણે ગુંજી રહ્યો હતો. 

‘શ્રેષ્ઠીજીને મળવું છે.’ ધારાવર્ષ બોલ્યો. જવાબમાં બે હાથ જોડીને કરાયેલું એક અત્યંત આકર્ષક નમન આવ્યું: ‘મહારાજ! પધારો આ ખંડમાં. તમે ત્યાં જરા બેસો, ત્યાં હમણાં શ્રેષ્ઠીજી આવશે. એ જરાક રાજમહાલયે ગયા છે.’

લોકટોળાનો મોટો અવાજ હવે આંહીં સુધી સંભળાતો હતો.

અંદર ખંડમાં જતાં ધારાવર્ષદેવે કહ્યું: ‘આટલો બધો આ ખળભળાટ શાનો છે?’

‘બાપજી પણ એટલા માટે જ ઉતાવળે ગયા છે.’

કેલ્હણજીએ અનુમાન કર્યું કે આ શ્રેષ્ઠીની પુત્રી લાગે છે, એટલે જરાક નોકરોને વ્યવસ્થા કરવાનું કહેવા માટે અંદર ગઈ કે તરત જ એણે પરમારને કહ્યું: ‘શ્રેષ્ઠીની પુત્રી લાગે છે. આંહીં વૈભવનો પાર નથી, વિનમ્રતાનો પણ પાર નથી, એના શબ્દોની મધુરતાને હજી હવા તજી શકતી નથી! અવાજમાં આટલી મધુરતા ક્યાંથી આવતી હશે? આપણામાં કવિ તો પ્રહલાદનજી છે. એ સમજતા હશે.’

એટલામાં એક કાર્યકર એમનો સત્કારભાર ઉપાડવા માટે અંદર આવતો જણાયો. કેલ્હણજીને લોકટોળાનો અવાજ કાને પડ્યો.

‘પણ પ્રહલાદનજી! તમે તો કવિ નરપતિને ત્યાં જ સારા હોં! આંહીં માથે આ ગાજે છે – સાંભળો ને તમને તો કવિતા સાંભરે છે! આપણે આ આવ્યો છે, એને કહી દ્યો ધારાવર્ષદેવજી! અમારે તો હમણાં જ પાછા ઊપડવું છે. મારું મન તો ત્યાં રાજભવનમાં છે!’

સૂત્રધારજી!’ ધારાવર્ષદેવે સત્કાર કરનાર તરફ ફરીથી કહ્યું, ‘અમારે ઉતાવળ છે અમારે રાજભવન જવું છે.’ 

‘જી, રાજભવનમાં તો પ્રવેશબંધ થઇ ગયો છે.’

‘પ્રવેશબંધ થઇ ગયો છે? બહેનને... શું એમનું નામ?’

‘ચાંપલદે! મહારાજ!’

‘શ્રેષ્ઠીનાં પુત્રી છે?’

‘પુત્રી ગણો, પુત્ર ગણો, મંત્રી ગણો, એમના ઉપર જ બધો આધાર છે!’

‘ત્યારે બહેનને કહો. અમે રોકાઈશું નહિ. અમારે તો રાજભવનમાં જવાનું છે. આંહીં જરાક વિસામો જ લેવાનો હતો.’

‘મહારાજ! આ પાછળના ખંડમાં થોડી વાર આરામ લો, અંદર પધારો, ત્યાં શ્રેષ્ઠીજી પણ આવશે, કાંઈક વાત પણ લાવશે.’ કાર્યકરે બહાર દ્રષ્ટિ કરી: ‘કાં તો આ આવ્યા!’ એટલામાં ચાંપલદેએ પ્રવેશ કર્યો. ‘બાપુજી આવ્યા છે મહારાજ!’ અને તે ત્યાં પાસે એક સાંગામાચી ઉપર બેઠી. 

એટલામાં ઉપવસ્ત્રથી પવન નાખતા આભડ શ્રેષ્ઠી આવ્યા. તે આધેડ વયના હતા. અત્યંત તેજસ્વી જણાતા હતા, પણ અત્યારે એમના મોં ઉપર ચિંતાની રેખા હતી. છતાં એમાંથી સાક્ષાત લક્ષ્મીનો પ્રભાવ પ્રગટતો હતો. તેમણે પ્રવેશ કર્યો. તેમની દ્રષ્ટિ સીધી, સામે સાંગામાચી પર બેઠેલી પોતાની પુત્રી ચાંપલદે ઉપર ગઈ. એમનો એ આધારસ્તંભ એ હતી. એમણે આવતાંવેંત જ ઉતાવળે અવાજે, વ્યગ્રતાથી, ગભરાટથી અને ગળગળા સાદે કહ્યું: ‘ચાંપલદે! દીકરી! મહારાજ તો ગયા!’ 

‘હેં?’ કેલ્હણજી, ધારાવર્ષદેવ ને પ્રહલાદન ત્રણે ઊભા થઇ ગયા. ‘મહારાજ ગયા? એટલે? મહારાજ કોણ? અજયદેવ મહારાજ? શું કહો છો? ક્યાં ગયા?’ એમનો અવાજ ફાટી જતો લાગ્યો. 

‘ચૌહાણરાજ! ભારે થઇ છે. આભ તૂટી પડ્યું છે. પાટણ રંડાણું! ભારે થઇ છે, ચાંપલદે! મહારાજ અજયપાલજી આજ રાતે ગયા. ભારે થઇ છે. હવે?’ અને તે આંખ આડે ઉપવસ્ત્ર ધરીને પાસેના ગાદીતકિયાને આધારે નીચે બેસી ગયા. એમનો અવાજ રૂંધાઇ ગયો હતો. બોલવા માગતા હતા, પણ બોલી શકતો ન હતો.

ત્રણે રાજવંશી, એની સામે જોઈ રહ્યા. 

ચાંપલદે એની પાસે આવી: ‘બાપુજી! આમ ઢીલા શું થાઓ છો? વાત તો કરો, શું થયું છે? મહારાજ અચાનક ગયા, કંઈ દગો થયો છે? શી વાત છે? તમે રાજભવન પહોંચ્યા હતા?’

ત્રણે રાજવંશી, આવા ભયાનક સમાચાર માથે લટકતા હતા છતાં, ચાંપલદેની ગજબની પ્રેમમધુરતા અનુભવી રહ્યા હતા. એ પણ સમજી ગયા કે શ્રેષ્ઠીની આ પુત્રીનથી – શ્રેષ્ઠીના દ્વારની આ તો જગદંબા છે. એ જ એમનો આધાર છે. એટલે એને જ બોલવા દીધી. ચાંપલદે શ્રેષ્ઠીને વાંસે પ્રેમથી હાથ ફેરવતી હજી પૂછી રહી હતી: ‘શું થયું છે બાપુ?’

પણ શ્રેષ્ઠી બોલી શક્યા ન હતા. છેવટે આભડ શ્રેષ્ઠી ગભરાટમાં માંડ માંડ બોલ્યા:

‘દીકરી મારી! આભ તૂટી પડ્યું છે. આ ધરતી હવે ઉજ્જડ થઇ જવાની. પાટણ લૂંટાઈ જવાનું. ત્યારે કોઈને કાંઈ સૂઝતું નથી, મહારાજ ગયા!’

‘શ્રેષ્ઠીજી! જરાક શાંત થાઓ, વાત કરો, શું થયું છે? તમે રાજભવનમાંથી આવો છો?’ ધારાવર્ષદેવે કહ્યું.

ચાંપલદે અંદર ગઈ, પાણીનો લોટો લઇ આવી: ‘બાપુજી! આ પાણી પીઓ!’