45 વર્ષે હત્યારાને સજા થઇ Siddharth Maniyar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

45 વર્ષે હત્યારાને સજા થઇ

તાજેતરમાં જ 82 વર્ષના વ્યક્તિને ભૂતપૂર્વ પત્નીની હત્યાના 45 વર્ષ જૂના ગુનામાં દોષિત ઠેરવી સજા ફટકારવામાં આવી છે. વાત, નિવૃત સંશોધન વૈજ્ઞાનિક ક્રિસ્ટોફર હેરિસનની છે. 14મી જુલાઈ 1978ના રોજ ક્રિસ્ટોફર હેરિસનના છૂટાછેડાના એક વર્ષ બાદ તેમનાં 32 વર્ષીય પત્ની બ્રેન્ડા પેજની એબરડીનમાં હત્યા થઇ હતી. જોકે, હત્યા પોતે કરી હોવાનો ક્રિસ્ટોફરે ઇનકાર કર્યો હતો. ક્રિસ્ટોફરની પત્ની બ્રેન્ડા એક જિનેટિક્સ એક્સપર્ટ હતા. જેનો મૃતદેહ પોતાના જ ઘરમાં મળ્યો હતો. ઘરમાં બેડરૂમમાં પલંગ પર જ્યાં બ્રેન્ડનો મૃતદેહ મળ્યો ત્યાં લોહીના ડાઘ પણ હતા. સ્થાનિક અદાલતે ક્રિસ્ટોફરને પત્ની બ્રેન્ડાની હત્યામાં દોષિત ઠેરવી સજા ફટકારી છે. તે સમયે બ્રેન્ડા તેજસ્વી વૈજ્ઞાનિક હોવાનું પણ ક્રિસ્ટોફરે પોલીસને જણાવ્યું હતું. 

સામાન્ય રીતે કોઈ ખુન કેસમાં વ્યક્તિને દોષિત ઠેરવવામાં આવે ત્યારે ચુકાદો સાંભળતા સમયે આરોપીના મોંઢા પર તેની અસર જોવા મળતી હોય છે. પરંતુ એબરડીનની હાઈકોર્ટમાં જયારે બ્રેન્ડા કેસનો ચુકાદો આપવામાં આવ્યો ત્યારે ક્રિસ્ટોફરના મોંઢા પર કોઈ જ પ્રતિભાગ જોવા મળ્યા ન હતા. હાઇકોર્ટન જજ લૉર્ડ રિચર્ડસને હેરિસનને ક્રિસ્ટોફર હેરિસનને પેરોલ માટે લાયક બનતા પહેલાં ઓછામાં ઓછાં 20 વર્ષના કારાવાસની સજા ફટકારવામાં આવી હતી.

પોતાના જજમેન્ટમાં જજ લૉર્ડ રિચર્ડસને ટાંક્યું હતું કે, ક્રિસ્ટોફર હેરિસનનો આ પહેલો ગુનો છે. તે પહેલા તેમને કોઈ ગુનાહિત કૃત્ય કર્યું નથી. તેઓ ક્રિસ્ટોફરે બ્રેન્ડા પેજનો પીછો કર્યો હતો અને તેના પર પૂર્વયોજિત ઘાતકી અને અધમ હુમલો કર્યો હતો. ક્રિસ્ટોફર દ્વારા કરવામાં આવેલા અમાનવીય હુમલાના કારણે ડૉ. બ્રેન્ડા પેજના જીવનનો ક્રૂર અને અકાળ અંત આવ્યો હતો. જોકે, સમગ્ર કેસમાં બચાવ પક્ષના વકીલ બ્રાયન મેકકોનાચીએ કહ્યું હતું કે, હેરિસન કસ્ટડીમાં જ મૃત્યુ પામે તેવી તમામ શક્યતા રહેલી છે. કારણકે હત્યાના 45 વર્ષ બાદ જયારે હેરિસન 82 વર્ષના થયા ત્યારે ચુકાદો આવ્યો છે.

અદાલતના ચુકાદા પછી સ્કોટલૅન્ડ પોલીસની મુખ્ય તપાસ ટીમના ઇન્સ્પેક્ટર ગેરી વિન્ટરે કહ્યું હતું કે, ડૉ. પેજ એક તેજસ્વી વિજ્ઞાની હતાં. જો તેમની હત્યા ન થઇ હોય તો તેઓ અપાર સિદ્ધિ મેળવી શક્યાં હોત જે દેશ માટે ઘણું લાભદાયી નીવડ્યું હોત. જોકે, ન્યાય માટે સમયનો કોઈ અવરોધ હોતો નથી. હત્યા વિષે તેમણે જણાવ્યું હતું કે, હત્યા 14મી જુલાઈ 1978ના રોજ થઇ હતી. જેના ગણતરીના કલાકોમાં જ ક્રિસ્ટોફર હેરિસનની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેની પુછપરછ કરી એક અહેવાલ તૈયાર કરી સરકારી વકીલને સુપરત કરવામાં આવ્યો હતો. જે અહેવાલ અને પુરાવા આધારે તે સમયે ક્રિસ્ટોફર હેરિસનને કોર્ટમાં લઇ જઈ શકાય તેમ ન હતો. જેથી તે સમયે ક્રિસ્ટોફર હેરિસનનો છુટકારો થયો હતો. પરંતુ ઘટનાના 37 વર્ષ બાદ 2015માં કેસની તપાસ પુનઃ શરૂ કરવામાં આવી હતી. સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા, વિવિધ ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ડીએનએનું વિશ્લેષણ કરવામાં આવ્યું.

1972માં બે યુવા વૈજ્ઞાનિકે લગ્ન કર્યા અને માત્ર ચાર જ વર્ષમાં અલગ થયા અને 1977માં તેમના છૂટાછેડા થઇ ગયા હતા. તે સમયે લગ્ન વિચ્છેદ સમયે ડૉ. બ્રેન્ડાએ ફરિયાદ કરી હતી કે, ક્રિસ્ટોફર સાથેના લગ્નમાં તેઓ ખુશ નથી. એટલું જ નહીં તે સમયે જ બ્રેન્ડાએ પતિ ક્રિસ્ટોફરથી ડર લાગતો હોવાનું જણાવ્યું હતું. ડૉ. બ્રેન્ડાની વાત કરીએ તો તેમનો જન્મ ઈપ્સવિચમાં થયો હતો. તેમણે લંડનમાં પ્રાણીશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને વિજ્ઞાનના સ્નાતક તરીકે ફર્સ્ટ ક્લાસ ઓનર્સ ડિગ્રી પ્રાપ્ત કરી હતી. જે બાદ તેમણે ગ્લાસગો યુનિવર્સિટીમાંથી જિનેટિક્સમાં પીએચડીનો અભ્યાસ કર્યો હતો. 1971માં પીએચડીના અભ્યાસ દરમિયાન જ ડૉ. બ્રેન્ડાનો પરિચય ક્રિસ્ટોફર સાથે થયો હતો. ક્રિસ્ટોફરની વાત કરીએ તો તેનો જન્મ નોર્થ યોર્કશાયરના રિપનમાં થયો હતો. તેણે ક્વીન્સ કૉલેજ કૅમ્બ્રિજમાં અભ્યાસ કર્યો અને બાદમાં અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં બાયોલોજીના પ્રાધ્યાપક તરીકે નોકરી કરી. જોકે, તેમને લોકો કિટ તરીકે પણ ઓળખતા હતા. બાયોલોજીના પ્રાધ્યાપકની નોકરી છોડી ક્રિસ્ટોફર બ્રિટન ગયા અને ગ્લાસગો વાઇરસ સંશોધન કેન્દ્રમાં સંશોધક તરીકે નોકરી શરૂ કરી. જ્યાં તેમનો પરિચય બ્રેન્ડા સાથે થયો, પરિચરના એક જ વર્ષમાં 6 મે 1972ના રોજ ઈપ્સવિચમાં બન્ને વૈજ્ઞાનિક લગ્ન ગ્રંથીથી જોડાયા હતાં.

લગ્ન બાદ ડૉ. બ્રેન્ડાની યુનિવર્સિટી ઑફ એબરડીન મેડિકલ સ્કૂલમાં જીનેટિક્સ વિભાગનાં આચાર્ય તરીકે થઇ હતી. જોકે, એબરડીન જતા પહેલાં ક્રિસ્ટોફર એડિનબર્ગમાં જ પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. દરમિયાન ડૉ. બ્રેન્ડાએ પતિ ક્રિસ્ટોફરના વર્તન બાબતે નજીકના મિત્રો અને સંબંધીઓને કેટલીક વાતો કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, ક્રિસ્ટોફર હિંસક છે, જેથી તેની સાથેના લગ્નથી હું ખુશ નથી. જોકે, 1976માં બન્ને અલગ થયા અને બ્રેન્ડાને પોતાનો ફ્લેટ મળ્યો. જે બાદ 1977 બન્નેના સત્તાવાર છૂટાછેડા થયા હતા. તે સમયે કોર્ટ દ્વારા ક્રિસ્ટોફરને બ્રેન્ડાથી અલગ રહેવા પણ આદેશ કરાયો હતો.

બન્નેના લગ્ન જીવન વિષે બ્રેન્ડાના મોટા બહેન રીટાએ જણાવ્યું હતું કે, બ્રેન્ડાને હંમેશા લાગતું હતું કે, ક્રિસ્ટોફર સતત તેનો પીછો કરી રહ્યો છે. એટલું જ નહીં બ્રેન્ડા કહેતી હતી કે, ક્રિસ્ટોફર ખુબ જ વિચિત્ર છે. તે ક્યારેક ઘણો સારો પતિ બની જાય છે તો ક્યારેક તે એક રાક્ષસ જેવો બની જાય છે. પોતાની બહેન વિષે જણાવતા રીટાએ જણાવ્યું હતું કે, મારી બહેન બ્રેન્ડા બહુ જ મહેનતુ હતી. જેથી તેમની કમાણી પણ સારી હતી. તેને સારી રેસ્ટોરાંમાં જવાનું અને લોકોને મળવાનું ખુબ જ ગમતું હતું. હું જયારે તેને ટોકતી ત્યારે તે મને જુનવાણી કહેતી હતી. મારી બહેને મને એક દસ્તાવેજ પણ આપ્યો હતો. જોકે, ઘણા સમય બાદ જાણવા મળ્યું કે, તે બ્રેન્ડાનું વીલ હતું. જેમાં સ્પષ્ટ કહ્યું હતું કે, તેના મૃત્યુ પછી જ દસ્તાવેજ ખોલવામાં આવે. જોકે, બ્રેન્ડાના લગ્ન બાદ પણ મેં તે ખોલ્યું ન હતું. મને એમ કે, દસ્તાવેજ તેના લગ્નને સુસંગત હશે. જોકે, તે ખોલ્યા બાદ જ બે અને બે ચાર થયા હતા.

તેમણે વધુમાં કહ્યું હતું કે, બ્રેન્ડાની હત્યા થઇ તે પહેલાના વીકએન્ડ જ તે મને મળી હતી. તે સમયે મને ક્યાં ખબર હતી કે આ મુલાકાત છેલ્લી હશે. તે સમયે એક કૉન્ફરન્સમાં જય તે પરત આવી હતી. જેમાં તે ખુબ જ સફળ રહી હોવાથી ખુશ હતી. પરંતુ તે એબરડીનમાંના પોતાના ઘરે જવા ઇચ્છતી ન હતી. તેને ડર હતો કે, તે ઘરે જશે તો તેનો પૂર્વ પતિ ક્રિસ્ટોફર તેને ત્રાસ આપશે.

બીજી તરફ ક્રિસ્ટોફરના મિત્ર એલ્સા ક્રિસ્ટીએ કહ્યું હતું કે. બ્રેન્ડાના મૃત્યુ પહેલા ક્રિસ્ટોફરે મને ફોન કર્યો હતો. જે સમયે તેમને જણાવ્યું હતું કે, હું બ્રેન્ડાની હત્યા કરીશ.

14મી જુલાઈ 1978ના રોજ બ્રેન્ડાનો મૃતદેહ તેમના એલન સ્ટ્રીટમાં આવેલા ઘરેથી મળી આવ્યો હતો. બ્રેન્ડાના માથામાં તેમજ ચહેરાના ભાગે 20થી વધારે ઘા માર્યા હોવાની નિશાની હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, હત્યા કરનાર વ્યક્તિ દ્વારા ઘરના પાછળના ભાગે આવેલી બારી તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ ઘરમાં જ સંતાઈને બ્રેન્ડાની રાહ જોઈ રહ્યો હતો.

બ્રેન્ડાના પાડોશી જેમ્સ ડગ્લસ હતા. જેમની મુલાકાત બ્રેન્ડા સાથે 1977માં એક સંધોશન દરમિયાન થઇ હતી. જેમ્સે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ દોડી આવી હતી. જેમણે મને બ્રેન્ડાના મૃતદેહની ઓળખ કરવા બોલાવ્યો હતો. હું ખુબ જ ભયભીત હતો. 45 વર્ષ પહેલોનો એ દિવસ હું આજે પણ ભૂલી શક્યો નથી. બ્રેન્ડા ખુબ જ દયાળુ, વિચારશીલ અને બુદ્ધિશાળી પણ હતી. એક વૈજ્ઞાનિક તરીકે તે ખુબ જ સટીક હતી. તે જ્ઞાનનો ભંડાર પણ હતી.

14મી જુલાઈ 1978ના રોજ જયારે બ્રેન્ડાનો મૃતદેહ મળ્યો ત્યારે ક્રિસ્ટોફર માત્ર એક શકમંદ હતો. પરંતુ સચોટ પુરાવા ન હોવાના કારણે પોલીસે તેની સામે કોઈ કાર્યવાહી કરી ન હતી. ઘટના સંદર્ભે સ્થાનિક અખબારોમાં અનેક સમાચારો પ્રસિદ્ધ થયા હતા. તે દરમિયાન પોલીસે મુખ્ય સાક્ષીઓની પુછપરછ સાથે મહત્વના પુરાવા શોધવાનું કામ ચાલુ રાખ્યું હતું. જોકે, તપાસમાં પોલીસને કોઈ મહત્વની સફળતા મળી ન હતી. જેના પગલે તે સમયે બ્રેન્ડાના મૃત્યુનો પ્રશ્ન એક પ્રશ્ન જ બની ને રહી ગયો હતો, તેનો જવાબ મળી શક્યો ન હતો. પરંતુ હત્યાના 37 વર્ષ બાદ ફેબ્રુઆરી 2015માં ભૂતપૂર્વ લૉર્ડ ઍડ્વોકેટ ફ્રેન્ક મુલહોલેન્ડે કેસની તપાસ પુનઃ શરૂ કરી અને તેની સૂચના સ્કોટલૅન્ડ પોલીસને આપી.

એલન સ્ટ્રીટના જે ફ્લેટમાંથી બ્રેન્ડાનો મૃતદેહ મળ્યો હતો તે સ્થળે તપાસ શરૂ કરવામાં આવી હતી. ફ્લેટમાંથી મૃતદેહ પલંગ પરથી મળ્યો હતો. જ્યાં એક ગોદડા પરથી વીર્યના નમૂના મળ્યા હતા. જેનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તે ક્રિસ્ટોફરના ડીએનએ પ્રોફાઈલ સાથે મેચ થયો હતો. જે રિપોર્ટમાં સ્પષ્ટ પણે ઉલ્લેખ હતો કે, વીર્ય અન્ય પુરુષ કરતાં ક્રિસ્ટોફરનું હોવાની શક્યતા 590 મિલિયન ગણી વધારે છે.

તે બાદ છેક 27મી માર્ચ 2020માં પુનઃ એક વખત ક્રિસ્ટોફરની પુછપરછ કરવામાં આવી. તે સમયે પણ ક્રિસ્ટોફર એક જ રટણ કરી રહ્યો હતો કે બ્રેન્ડાની હત્યા સાથે તેને કોઈ નિસબત નથી. પુછપરછમાં તેણે એવું પણ કહ્યું હતું કે, બ્રેન્ડા એક શ્રેષ્ઠ વૈજ્ઞાનિક હતી તેની કારકિર્દી પણ તેજસ્વી હતી. જોકે, તપાસ દરમિયાન મળેલા કેટલાક સચોટ પુરાવા બાદ ઘટના ચાર દાયકા પછી ક્રિસ્ટોફર પણ બ્રેન્ડાની હત્યાનો આરોપ મુકવા આવ્યો. જે પુરાવા એકઠા કરવા માટે હજારો લોકો સાથે વાત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અંદાજે 4000 વ્યક્તિઓ સાથે વાત કરવામાં આવી હતી. જેમાંથી 3000 વ્યક્તિના સ્ટેટમેન્ટ પણ લેવામાં આવ્યા હતા. જે પૈકી 500 સ્ટેટમેન્ટ તો કેસની તપાસ પુનઃ શરૂ કર્યા બાદ લેવામાં આવ્યા હતા.

તપાસ પૂર્ણ થયા બાદ કેસ કોર્ટમાં પહોંચ્યો. જ્યાં સતત 10 દિવસ સુધી સુનવણી ચાલી. જેમાં જ્યુરી તરીકે આઠ પુરુષ અને સાત મહિલા હતી. જેમને ચુકાદો આપતા અઢી કલાકનો સમય લાગ્યો હતો. કેસનો ચુકાદો આવ્યા બાદ બ્રેન્ડાની ભત્રીજી ક્રિસે જણાવ્યું હતું કે, આખરે મારા માસી બ્રેન્ડાને ન્યાય મળ્યો છે. અમારા પરિવારે એક પણ દિવસ એવો નથી વિતાવ્યો જેમાં અમે બ્રેન્ડાની હત્યાના દિવસની તે ભયાનક રાતનો વિચાર ન કર્યો હોય.