Featured Books
શ્રેણી
શેયર કરો

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 115

(૧૧૫) ગુમાવેલ પ્રદેશોની પ્રાપ્તી

         ઈ.સ. ૧૫૮૫ માં મોગલ સેનાપતિ જગન્નાથ કછવાહાએ મેવાડપર બીજું આક્રમણ કર્યું. પરંતુ તે નિષ્ફળ ગયું. જ્યાં મેવાડની સમગ્ર પ્રજા, મહારાણાની અણનમ ટેક, સલામત રહે તેમ ઝંખી રહી હોય ત્યાં શાહીસેના કેવી રીતે વિજય પ્રાપ્ત કરી શકે? આથી જ જગન્નાથ કછવાહા મહારાણા પ્રતાપને આંબી શક્યા નહિ. છેવટે હતાશા અનુભવી તેઓ અજમેર પાછા ફર્યા. ત્યાં પહોંચી રાજપૂતાનાના સુબેદાર તરીકે ધ્યાન આપવા માંડ્યું.

         મોટાભાઈ રાજા માનસિંહની ટકોર હતી કે, બાદશાહ દરેક પ્રાંતના સૂબેદારોની ક્ષમતા તરફ વધુ નજર રાખી રહ્યા છે.

         આ ટકોર સાચી હોય તેમ, થોડા સમય પછી શહેનશાહે સૂબેદારોની સહાયતા કરવા માટે વધારાના સૂબેદારો નીમ્યા. રાજપૂતાનામાં પણ જગન્નાથ કછવાહા જોડે, જોડિયા સૂબેદાર તરીકે રામપુરના રાવ દુર્ગાને નિયુક્ત કર્યા. આમ છતાં શહેનશાહને રાજપૂતાનાની વ્યવસ્થા અંગે કચાશ જણાઈ. આથી મુજાહિદને દીવાન તરીકે અને સુલતાનકુલીને બક્ષી તરીકે નીમ્યા. નવેંબર, ૧૫૮૬ માં આ ફેરફાર થયો.

         આથી જગન્નાથ કછવાહા સમસમી ગયો. પોતાની નિષ્ઠાપર શંકા હોવાનું અને અબુલફઝલના  અભિપ્રાયને વધુ વજન અપાતુ હોવાનું લાગ્યું. એણે પોતાની વેદના ભાઈ પાસે ઠાલવી.

         “જગન્નાથ, શહેનશાહે કરેલા ફેરફાર સ્વીકારી લેવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. મહારાણા પ્રતાપ પ્રત્યે, આપણી કૂણી નજર હોવાની આશંકા તથ્યહીન તો નથીજ. બીજું. આ મુદ્દાને ચગાવવાથી વિરોધી છાવણી બાદશાહના દિમાગપર હાવી થઈ જશે.”

         આથી ઇ.સ. ૧૫૮૭ ની શરૂઆતમાં જગન્નાથ કછવાહા લાહોર હાજર થઈ ગયા. બાદશાહે સોગઠી મારી.

         “કાશ્મીરનો પ્રશ્ન ઉગ્ર હતો એટલે ત્યાં પરિવર્તન કરવાની આવશ્યક્તા જણાઈ.”

         “શહેનશાહ, કાશ્મીરના મામલામાં કાસિમખાઁ નહિ ચાલી શકે.”

         “તો કોને મોકલીશું?”

         “કેમ? મિર્જા યુસુફખાઁ ને મોકલીએ તો?”

                 “એ અતિ ઉત્તમ છે.”

         “રાજા માનસિંહ આપણે જગન્નાથને રાજપૂતાનાના સૂબેદાર તરીકે પાછો મોકલવો નથી.”

         “તો પછી મિર્જા યુસુફખાઁ સાથે કાશ્મીર મોકલી દો.”  જગન્નાથ કછવાહા પણ સમજી ગયા કે, મારી રાજપૂતાનાની સૂબેદારી ગઈ.

*                *                *                *

         આ તરફ, રાજપૂતાનામાં અણી ચૂક્યો, સો વર્ષ જીવે એ ન્યાયે, ૧૫૮૬ નું આખું વર્ષ અને ૧૫૮૭ આખું વર્ષ અને ૧૫૮૭ ના શરૂઆતનો સમય પ્રતાપને શાંતિ મળી.

         વીર પૂંજાજીના જાસૂસો સતર્ક થઈને જગન્નાથ કછવાહાની હિલચાલ પર, પડછાયાની માફક ધ્યાન આપી રહ્યા હતા. તો બીજી બાજુ મહારાણા, કાલુસિંહ, અમરસિંહ, ગુલાબસિંહ વગેરે સૌનિકોનું સંગઠન, રાજ્યની વ્યવસ્થા તરફ વધુ ને વધુ ધ્યાન આપવા લાગ્યા.

         “મહારાણાજી, હવે તો જગન્નાથ કછવાહા અજમેરથી પણ ચાલ્યા ગયા છે.” મહારાણાએ નિરાંતનો શ્વાસ ખેંચ્યો. ઘણો સમય વીતી ગયો.

         “અજમેરમાં હજુ સુધી કોઇ મોટા ગજાના સિપેહસાલારની નિમણુંક થઈ નથી.”

         મહારાણાનો ઉત્સાહ બમણો વધી ગયો.

         મહારાણા અને મેવાડી સરદારો વિચારવા લાગ્યા. જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એનો પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઇએ. સમાચાર એવા છે કે, મોગલ સલ્તનતના માહિર સિપેહસાલારો હમણાં પંજાબ, અફઘાનીસ્તાન અને કાશ્મીર તરફ શાહીસેનાઓ લઈને રોકાઈ ગયા છે. જાણે કર્ણના રથનું પૈડું જમીનમાં ઉતરીગયું હોય તેમ હવે જ ખરો ઘા કરવાની વેળા છે.

         પ્રબળ તાકાતથી મેવાડી સેના આગળ વધવા લાગી.

         ૧૫૮૭ ની વર્ષાઋતુ સમાપ્ત થઈ.

         ૧ લી ઓક્ટોબરનો દિવસ હતો. આ દિવસ બીજી રીતે ઘણો શુભ હતો. તે દિવસે વિજયાદશમી હતી. મહારાણા કટિબદ્ધ બન્યા, પોતાના ગુમાવેલા પ્રદેશોની પ્રાપ્તિ માટે, તેઓનું આ પ્રસ્થાન શુભ નીવડ્યું.

         હવે દિન-પ્રતિદિન મહારાણા, રાજકુમાર અમરસિંહ, રાવત કૃષ્ણસિંહજી, સરદાર કાલુસિંહ વગેરે મોગલોની ચોકીઓ પર વિજળીની ઝડપે ત્રાટકી પડવા લાગ્યા. સૌ અલગ અલગ પરંતુ એક સાથે હુમલા કરવા લાગ્યા કે જેથી મોગલ ચોકીઓ એકબીજી ચોકીને સહાય કરી જ ન શકે.

         શાંત વાતાવરણને લઈને મોગલો ભ્રમણામાં રાચી રહ્યા હતા. તેઓ ધારતા હતા કે, મોગલોનું નામ પડતાંજ દુશ્મનો કંપી ઉઠે છે. છાવણી એ માત્ર છાવણી નથી. મુગલ સલ્તનત છે. પરંતુ થોડા સમયમાંજ એમની ધારણાં ધૂળમાં મળી ગઈ. એક પછી એક મોગલ થાણાંઓ પડવા માંડ્યા ઉખડવા લાગ્યા.

         ઉદયપુરનું થાણું સર થયું. ગોગુન્દા પર વિજય મેળવ્યો. મોહીમાંથી મોગલોને નસાડ્યા. મદારિયા મેળવી લીધું. વિધુત્વેગી અભિયાન દ્વારા આ અભિયાન પાર પાડવામાં આવ્યું. યુવરાજ અમરસિંહની વીરતા સોળે કળાએ ખીલી ઉઠી આ અભિયાનમાં ‘લઘુ પ્રતાપની પ્રતિમૂર્તિ સમાન’ લાગતા હતા. તેમનો ફાળો ‘સિંહફાળો’ હતો.

         રાજપૂતાનાનાં ઇતિહાસમાં અદ્વિતીય ઘટનાઓ નોંધાઈ. કેટલીક વેળા તો મોગલોએ દિવસમાં બબ્બે, ત્રણત્રણ થાણાંઓ ગુમાવ્યા,

         યુવરાજ અમરસિંહે એક દિવસમાં મોગલો પાસેથી પાંચ પાંચ થાણાઓ મેળવીને કમાલ કરી.

         જહાજપુરા ક્ષેત્રપર પણ મહારાણા પ્રતાપનું અધિપત્ય સ્થપાયું.

*                *                *                *

         “વિજયના ઉપલક્ષ્યમાં કોઇ ભવ્ય સમારોહ થવો જરૂરી છે.” ભામાશા બોલ્યા.

         “કારણ? કાલુસિંહે સવાલ કર્યો.

         “પ્રજાને મહારાણાની મહત્તાની જાણ થાય. પ્રજામાં શ્રધ્ધાનો રણકો જાગે અને આ પ્રદેશના શક્તિશાળી માનવીઓનું આપણને પીઠબળ મળે.”

         ઇ.સ. ૧૫૮૮ ની સાલ હતી ને ઓક્ટોબર મહિનો ચાલતો હતો. આ ક્ષેત્રમાં સાદુલનાથ તિવારીનું પ્રભુત્વ હતું. સજ્જન પુરૂષ હતા. હવે તો ખૂબ વૃદ્ધ થઈ ગયા હતા. સદ્‍ગત મહારાણા ઉદયસિંહે તેમની વિશિષ્ટ સેવા બદલ પડેર ગામ ઇનામમાં આપ્યું હતું પરંતુ વચમાં મોગલોના આક્રમણના કારણે પડેર ગામ તેમની પાસેથી છીનવી લેવામાં આવ્યું હતું.

         “મહારાણાજી, સાદુલનાથ તિવારીને તામ્રપત્ર અર્પણ કરવાનો સમારોહ આયોજિત કરવો જોઇએ.”

         આયોજનની જાહેરાત થઈ. સૌ ઉત્સાહમાં આવી ગયા.

         ૨૪મી ઓક્ટોબરે પડેર ગામમાં એક વિશાળ વટવૃક્ષની છાયામાં મોટા શમિયાનામાં ભવ્ય સમારોહ આયોજિત કરવામાં આવ્યો.

         નાનામોટા સરદારોનું સમ્માન કરવામાં આવ્યું. સાદુલનાથ તિવારીનું સમ્માન કરી, તામ્રપત્ર મહારાણાજી અર્પણ કર્યું ત્યારે તો માનવ મેદનીએ અણથંભી તાળીઓના ગડગડાટથી પ્રસંગને વધાવી લીધો.

         “જે રાજ્ય પોતાના દેશભક્તોનું સમ્માન કરતું નથી એ રાજ્ય કદી પ્રગતિ કરી શક્તું નથી.” મહારાણાએ કહ્યું.

         એનો જવાબ આપતા ગળગળા સાદે વયોવૃદ્ધ સાદુલનાથ તિવારી બોલ્યા. “આપના પિતાશ્રીના ઇનામી ગામનો તામ્રપત્ર, આપના હસ્તે સ્વીકારતા મને અનહદ આનંદ થાય છે. આ કેવળ મારૂજ સમ્માન નથી, સમસ્ત જહાજપુરા જિલ્લાના લોકોનું સમ્માન છે.”

         પોતાની સેનાને સંબોધતા મહારાણાએ કહ્યું.

         “હવે તો અજમેર, માંડણગઢ અને ચિતોડગઢની ધરીપર આવેલી ચોકીઓજ આપણે મેળવવાની છે. ભગવાન એક લિંગજીની ઇચ્છા હશે તો એ પણ પાર પાડીશું.”

         પરંતુ બાદશાહ અકબરની ચિતોડગઢના મુસ્લીમ શાસકને પૂર્ણ તાકીદ હતી કે, મહારાણાના ચિતોડગઢ પ્રાપ્ત કરવાના કોઇપણ પ્રયત્ન સફલ થવા દેશો નહિ. જો કીકો રાણો ચિતોડગઢ મેળવી જશે તો “હિંદવા ભાણ”ની શ્રધ્ધા સાથે સમગ્ર રાજપૂતાનામાં એક નવી હવા જામશે.

         માટે જ આ ધરીપર મોગલોએ ભયંકર સંઘર્ષ ખેલ્યો હતો. મહારાણાની તમામ કોશિશો નિષ્ફળ ગઈ હતી.

         “જ્યા છો ત્યાં જ મક્કમતાથી રહો, સામ્રાજ્યના બીજા વિભાગોમાં શાહીસેના રોકાયેલી છે. હમણા રાજપુતાનામાં યુદ્ધ છેડવાની જરૂર જ નથી.” બાદશાહની આ સૂચનાના કારણે અજમેરના શાસકો માંડલગઢ અને ચિતોડગઢને સાચવી રાખવાની પેરવીમાં હતા.

         અકબરશાહના દરબારમાં ગંગ કવિ બિરાજતા હતા. તુલસીદાસ, સૂરદાસ, રહીમદાસ, પ્રીથિરાજ, દુરસા આઢા બધા સાથે આત્મીયતા હતી. મહારાણા પ્રતાપ વિષે તેમણે આજ અરસામાં બે છપ્પય રચ્યા. જેમાં મહારાણા વિષે તેઓએ પોતાનો આદર વ્યક્ત કર્યો.

                 ગુજ્જરેસ ગંભીર નીર નીઝર નિઝઝરિયો,

                 અતિ અથાહ દાઉદશાહ બુંદ ન ઉબ્બરિયો,

                 ધામ ઘૂંટ રઘુરાય જામ જલધર હરિ લીન્હો.,

                 હિન્દૂ-તુરક તડાગ સબૈ કર્દમ બિન કીન્હો.

                 કવિ ગંગ અકબર, અક્ક સમ નૃપ નૃપાનિ સમા બસ કરિય,

                 રાણા પ્રતાપ રયણાક મઝ છિન ડુબ્બત છિન ઉરછરિય,

         ગુજરાતના સ્વામી-ઉંડા જળના ઝરણા-ને પણ ખાલી કરાવી દીધો. આ તપના ઘૂંટથી રાજા રઘુરાયના જલધર જામને પણ લઈ લીધો. તેણે તો હિંદુઓ અને યવનોરૂપી બધાં તળાવોના પાણીને શોષી લીધું. તદ્‍ઉપરાંત કાદવ પણ છોડયો નહિ. કવિ ગંગ કહે છે કે, સૂર્ય સમાન અકબરે બધા રાજા મહારાજાઓને પોતાને આધીન કરી લીધા છે. કેવળ રાણા પ્રતાપ રત્નાકરમાં ઘડીમાં ડૂબે છે અને ઉપર ઉપસી આવે છે.

                  દલ પેલાં ઉથપૈ, તેજ બ્રહ્મા હિ ઉત્થપ્પે,

                  ઉત્તર-દક્ષિણ, પછિમ, પૂર્વ તાપણ પણપ્પે,

                  અન અનેક ભુવપત્ત બાંગશ્રવણાં સુણ સો,

                  નમિ પ્રણામ આધીન કરૈ સેવા બહુભતે,

                  ખત્રિયાણે માણ મહિ ઉધ્ધરણ એક ક્ષત્રિ આલમ કહે,

                  ગાયત્રિ મંત્ર ગહલોત ગુરૂતિહિં પ્રતાપ શરણે રહૈ,

         અકબરે દુશ્મનોની સેનાને પરાજિત કરી દીધી. બ્રહ્મતેજને ઉખાડી દીધું. ઉત્તર, દક્ષિણ, પૂર્વ પશ્ચિમ બધી દિશા (ના રાજ્યો) એના હાથમાં, બીજા ઘણાં ભૂપતિ નમાજની બાંગ સાંભળીને પ્રસન્ન થાય છે. તેઓ ઝૂકીને પ્રણામ કરે છે અને અકબરને અધીન થઈને જાતજાતની સેવા બજાવે છે, આખું જગત કહે છે કે, આવા સમયે તો ક્ષત્રિયોના માનનું રક્ષણ કરવાવાળો માત્ર એક જ ક્ષત્રિય, ગુહિલોમાં શ્રેષ્ઠ એવા મહારાણા પ્રતાપજ છે, જેના શરણમાં ગાયત્રીમંત્ર છે.