Featured Books
  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

    સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રા...

  • horror story

    હવે હું તમને એક નાની ભયાવહ વાર્તા સાંપડું છું:એક ગામમાં, રાત...

  • ઢીંગલી

    શિખા ને ઉનાળાનું વેકેશન પડ્યું હતું, તે હવે ચોથા ધોરણમાં આવવ...

  • હમસફર - 18

    વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ...

  • ફરે તે ફરફરે - 12

    ફરે તે ફરફરે - ૧૨   એકતો ત્રણ ચાર હજાર ફુટ ઉપર ગાડી ગોળ...

શ્રેણી
શેયર કરો

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 78

(૭૮) શાહબાઝીખાન બીંડુ ઝડપે છે.

         સમ્રાટ અકબર કંટાળીને મેવાડની ધરતી પરથી પાછા ફર્યા. આગ્રામાં બાદશાહની રાજા માનસિંહ સાથે મુલાકાત થઈ. તે વખતે તેઓ ઝંખવાણા પડી ગયા. ચાલાક રાજા માનસિંહ બોલ્યા, “ બાદશાહ સલામત, આક્રમણો કરવા એ તો બાદશાહનો ધર્મ છે. મેવાડ તો ગમે ત્યારે જીતી શકાશે. મુખ્ય સવાલ આપની સેહતનો છે. આપ હવે મેવાડ જેવા મામુલી પ્રશ્નમાં પરેશાન ન થાઓ.”

બાદશાહ રાજા માનસિંહના શબ્દોમાં રહેલા કટાક્ષને પારખી ગયા.

“રાજા માનસિંહ, મેવાડ વિજયની વાત પડતી મુકવાનો સવાલ જ નથી. હવે હું મેવાડ વિજય માટે ઘાતકીમાં ઘાતકી સેનાપતિને મોકલીશ. મેવાડની ધરતી પર ત્યાંની પ્રજાપર રહેમ બતાવ્યા સિવાય તે જુલ્મની આંધિ વરસાવશે. ત્યારે જ મેવાડીઓને ભાન થશે કે, મોગલ સલ્તનત સામે બગાવત કરવાના શા ફળ મળે છે. પોતાની પ્રજા પર જૂલ્મો જોઇને રાણો જાતે સંધિ કરવા દોડી આવશે.”

રાજા માનસિંહ, બાદશાહના મનમાં રહેલી, મેવાડીઓ પ્રત્યેની કડવાશ સમજી ગયા. તેઓ મસ્તક નમાવી મૌન રહ્યા.

બાદશાહો હંમેશા ગુલામ પ્રજાની કારમી કત્લેઆમ કરત આવ્યા છે. લોહીની નદીઓ વહેવડાવતા આવ્યા છે. બગાવતને કચડી નાખવા ગમે તે પ્રકારના જુલ્મો વરસાવવામાં બાદશાહોએ પાછી પાની કરી નથી. સમ્રાટ અકબર પણ તેમાં અપવાદ ન હોઇ શકે.

બાદશાહની છાવણી મેરઠ મુકામે પડાવ નાંખીને પડી હતી. અજમેરથી એક કાસદ સમાચાર લાવ્યો.

“જહાંપનાહ, આપે જેવું રાજપૂતાના છોડ્યું તેવો જ રાણો પ્રતાપ સક્રિય બની ગયો. એણે છાપો મારી ગોગુન્દા જીતી લીધું. ઉદયપુર લીધું. મોહીના મોગલ સરદારને ઠાર મારી નાખ્યો.”

બાદશાહે હાથ મસળ્યા. પગથી માથા સુધી ગુસ્સો ફેલાઇ ગયો.

આ તો મુગલ સેનાની તૌહીન કહેવાય.

દરબારમાં  બુલંદ અવાજે એમણે પ્રશ્ન કર્યો. “શું મોગલ દરબારમાં એવો એકેય હિંમતવાન નરવીર નથી. જે મેવાડમાં બળવાન બનતા રાણાની સત્તાને ડામે? ઉપદ્રવને શમાવે?

સૌ મસ્તક નીંચા કરી, મૌન બેસી ગયા.

હળવેથી મોગલ સિપેહસાલાર શાહબાઝખાન ઉભો થયો.

“જહાંપનાહ, આપ આદેશ આપો. મેવાડમાં વિનાશ વેરવા હું તૈયાર છું.”

“શાબાશ ખાન!” બાદશાહે તેના વખાણ કર્યા.

“શાહબાઝખાન, મારે ઠોસ પરિણામ જોઇએ. તમે આપી શકશો?

“જહાંપનાહ, મને મેવાડ પહોંચવા દો. પછી ફક્ત પંદર દિવસમાં જ પરિણામ આપીશ. પરંતુ એ માટે આપે મને સત્તાનો છૂટો દોર આપવો પડશે.

“મંજુર છે. શાહબાઝખાન, સત્તાનો દોર પૂર્ણ રીતે તને સોપું છું. સેના જોઇએ એટલી લઈજા. પરંતુ મેવાડ નમવું જોઇએ. એનો ગર્વ ચકનાચૂર થવો જોઇએ. અને મને લાગે છે કે તું એ કરી શકીશ.

બાદશાહ અકબરે ખાનને સેનાપતિ બનાવ્યો. એના હાથ નીચે રાજા માનસિંહ, રાજા ભગવાનદાસ, સૈયદ રાજુ, પાયંદાખાન , સૈયદ હાસમ અને સૈયદ કાસમ જેવા દક્ષ અને રણપંડિત સેનાનીઓને મૂક્યા. રવાના થતા પહેલાં ખાને સેના સમક્ષ સંબોધન કર્યું.

“બહાદુર સાથીઓ, આપણું નસીબ બુલંદ છે. દુનિયાની બહાદુરમાં બહાદુર કોમ મેવાડી રાજપૂતો સામે લડવાનું સૌભાગ્ય આપણને પ્રાપ્ત થયું છે. શહેનશાહે એ માટે આપણ ને જ પસંદ કર્યા છે એ આપણું પરમ ભાગ્ય છે. આ આક્રમણમાં આપણાં કાંડાનું કમાલ બતાવવામાં કંજુસાઇ ન કરશો. ત્યાંથી જે મળશે તે તમારું જ, કેવળ તમારું જ હશે. ત્યાં જઈને આપણે સિતમ ગુજારવાનો છે. આપણે ત્યાં ક્રુર કત્લેઆમ ચલાવવાની છે. જેનું હૈયું સાબૂત ન હોય, એ પોતાના ઘરે જઈ શકે છે.

પરંતુ આ સમૂહમાંથી કોણ પાછો જાય?

અને ચતુરંગિણી સેના સાથે ખાન મેવાડ તરફ ઉપડ્યો. એને અરમાન હતો કે, મેવાડી મહારાણાને હું બંદીવાન બનાવીને શહેનશાહ અકબર સમક્ષ પેશ કરીશ.

પણ ખાટલે મોટી ખોડ હોય તેમ શહેનશાહને ખાનના વિજય માટે શ્રદ્ધા ન હતી. એટલે પાછળથી એક બીજી સેના સાથે શેખ ઇબ્રાહીમને રવાના કર્યા.

બન્યું એવું કે, શાહબાઝખાન અને રાજા માનસિંહ તથા રાજા ભગવાનદાસને વારંવાર મતભેદ પડવા માંડ્યા. ચર્ચામાંથી ચકમક ઝરવા માંડી.

શાહબાઝખાન મોગલસેનાનો બાહોશ સેનાપતિ હતો. હજુ પણ એના મનમાં એક વસવસો હતો કે, હલદીઘાટીના યુદ્ધનું સેનાપતિત્વ રાજા માનસિંહને બદલે પોતાને મળ્યુ હોત તો પોતે ચોક્કસ મહારાણાને બંદી બનાવી શક્ત.

છેવટે ખાને રાજા માનસિંહ અને રાજા ભગવાનદાસને સેનામાંથી બાદશાહ પાસે પરત મોકલ્યા.

અકબરશાહ આથી દુખી થયા.

શાહબાઝખાન મૂર્ખ છે. રાજપૂતાના આ રાજપૂત વીરોની બુદ્ધિનો ઉપયોગ કરવાને બદલે અહમમાં પડીને સંઘર્ષ કરવામાં એણે નાદાની બતાવી છે.

થોડા દિવસો પસાર થયા.

બાદશાહે કહ્યું,” રાજા માનસિંહ, તમે મેવાડ અભિયાન માટે એક નવી સેના લઈને ઉપડો.”

રાજા માનસિંહ નિરાશાના સૂરમાં કહ્યું, “નહિ, જહાંપનાહ હવે મને રાજપૂતાના કે મેવાડ ન મોકલશો. બીજી કોઇપણ કામગીરી માટે હું તૈયાર છું.

આ બાજુ ઝનૂની બનીને શાહબાઝખાન મોગલ સેનાને કહેતો, “ દુશ્મનના ગામડાઓ આગથી ખાક કરો. માણસોની કત્લેઆમ કરો. વિજય તમારા મુકદ્દરમાં અને દૌલત તમારી જેબમાં જ છે.”

બીજી બાજુ, મહારાણા પણ દુશ્મનની ચાલથી અજાણ ન હતા.