Guhilot Dynasty and Maharana Pratap in Indian History - 72 books and stories free download online pdf in Gujarati

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 72

(૭૨) દિલ્લી દરબારમાં વીરમદેવનો ડંકો.

         મથુરાથી દ્વારિકા વસીને ભગવાન શ્રીકૃષ્ણે ગુજરાતને ગૌરવ આપ્યું. અહીં ચાલુક્યવંશનો વનરાજ ચાવડો થઈ ગયો. સોલંકી મૂળરાજ, ભીમદેવ, કર્ણદેવ, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ જેવા પ્રતાપી નરેશો થઈ ગયા. એ ગુજરાતની ઉત્તરે અંબાજી જતા વચમાં ઈડર આવે. ઈડરના મહારાજા નારાયણદાસ. એમની જીવન-સંધ્યાએ તેઓ દુ:ખી હતા. ઘણાં ચિંતિત હતા. જિંદગીના અંતિમ દિવસોમાં આવી પડેલી પરાધીનતા તેમને શલ્યની માફક સાલતી હતી.

તેઓ વીર રાજપૂત હતા. સ્વતંત્રતાના ચાહક હતા. પોતાની પુત્રી વીરમતીના લગ્ન એમણે મેવાડપતિ મહારાણા પ્રતાપસિંહ સાથે કર્યા હતા. બાદશાહ અકબરની સત્તા ગુજરાતમાં સ્થિર થઈ ચૂકી હતી. મોગલ સુબાએ તેમના પ્રદેશ પર આક્રમણ કર્યું. કારણ કે, હલ્દીઘાટીના યુદ્ધમાં તેઓ પ્રતાપની પડખે રહીને લડ્યા હતા.

નાનકડું પણ ભીષણ યુદ્ધ થયું. રાજા માનસિંહની સમજાવટથી નામોશી ભરી સંધિ તેમને કરવી પડી. ઈડરના શાસનની સમગ્ર સત્તા સુબાએ આંચકી લીધી. આ સંધિ અન્વયે, તેમને છ માસ મોગલ દરબારમાં હાજર રહેવું પડ્યું.

ઉંચા ઉંચા ડુંગરોની વચમાં વસેલો ઇડરિયો ગઢ સોહામણો લાગતો હવે એ પરતંત્ર હતો. એની જ ચિંતા મહારાજાને કોરી ખાતી હતી. મોગલ દરબારમાં સારૂં એવું વર્ચસ્વ જમાવ્યું હતું પરંતુ એથી રાજ્યની ભીખ તો ન જ મંગાય.

નીતિ-નિપુણ મહારાજાને પોતાના સ્વમાનની કિંમત હતી. તેઓ માનભેર દરબારમાં હાજરી આપતા. છતાં તેમને ભર્તુહરિના આ શબ્દો યાદ હતા. કુતરો પૂછડી પટપટાવીને, પોતાના માલિક સામે, શરીર રગડી રગડીને, દીનતાથી ભોજન કરે છે પરંતુ હાથીને તો, ભોજન કરવા વિનંતી કરવી પડે છે.

દિલ્હી પ્રસ્થાનનો સમય નિકટ આવી રહ્યો હતો.

“પિતાજી, આ વેળા હું આપની સાથે અવશ્ય દિલ્હી આવીશ.” યુવરાજ વીરમદેવે કહ્યું. પિતાએ પુત્રના મનને રાખ્યું.

વીરમદેવ શસ્ત્રમાં પારંગત હતો. બાળપણમાં તે મેવાડમાં તલવારબાજી અને શસ્ત્રની તાલીમ મહારાણા સાથે રહીને શીખ્યો હતો. “૧૫૭૬” ના યુદ્ધ વખતે તેને, ૧૨ વર્ષનો નાનો બાળ હોવાથી ઇડર મોકલી દેવામાં આવ્યો હતો.

આજે પિતાપુત્ર બંને દિલ્હી દરબારમાં આવી પહોંચ્યા.

સૌએ પોતપોતાના આસનગ્રહણ કર્યા. અતિથિ વિભાગમાં વીરમદેવે પોતાનું આસન લીધું. છડીદારે નિત્યક્રમ પ્રમાણે લાંબી બિરૂદાવલી પોકારી.

દરબારમાં સૌથી ઉંચા આસને બાદશાહ બિરાજ્યા. બીરબલ અબુલફઝલ, ફૈઝી, બદાયુની,  રાજા ટોડરમલ, સંગીત સમ્રાટ તાનસેન, સેનાપતિ રાજા માનસિંહ, રાજા ભગવાનદાસ, જોધપુર, બિકાનેર, બુંદી, ડુંગરપુર, કચ્છ અને સૌરાષ્ટ્રના રાજવીઓ, સામંતો અને સરદારો ઉપસ્થિત હતા.

વિવિધ વિષયપર દરબારમાં ચર્ચા ચાલી રહી હતી. રહીમખાનને “બાબરનામા” વિષે સવાલ કર્યા. ફારસી અનુવાદ ક્યાં સુધી આવ્યો એની ચર્ચા કરી. બિરબલને અયોધ્યાની બાબરી-મસ્જીદ વિષે સવાલ કર્યા. ચર્ચાના તાનમાં સૌ ઘેરાયા હતા.

ત્યાં અચાનક એક ખાસદાર, ત્યાં ઉપસ્થિત થયો.

“જહાંપનાહ, દરબારના રંગમાં ભંગ પાડવા બદલ હું માફી ચાહું છું. અઠવાડિયા પહેલાં પકડવામાં આવેલ વાઘ અત્યારે અચાનક પીંજરાનો દરવાજો ખુલતા, રાજમહેલમાં છૂટો થઈ ગયો છે. ખુંખાર વાઘે, ઘણાંને ઘાયલ કર્યા છે. ચાર જણ તો ખુદાને પ્યારા થઈ ગયા છે. વાઘ બહાર નીકળીને રસ્તાપર ફરે છે. બધે હાહાકાર મચી ગયો છે.”

આદમખોર વાઘને પકડતાં નવનેજાં વછૂટ્યા હતા. એજ વાઘ આઝાદ થયો એવું સાંભળતા કૈંકના કાળજા કંપવા લાગ્યા. જાણે માથે યમદૂત આવ્યો જો વાઘ અહીં આવ્યો તો ક્યાંથી પલાયન કરી જઈશું એની ગડમથલમાં સૌ મંડી પડ્યા.

કિંચિત ભય બતાવ્યા વગર શહેનશાહ અકબર બોલ્યા, “મારા રાજવી મિત્રો, પ્રજાના પ્રાણોની રક્ષા કરવીએ આપણી પહેલી ફરજ છે. આ દરબારમાં એકથી એક ચડિયાતા શૂરાઓ છે. આપનામાંથી કોઇ એક વીર આગળ આવે. વાઘને પકડે અથવા ખતમ કરી નાખે. છે કોઇ એવો વીર? આગળ આવે.”

સૌ એકબીજા સામે જોવા લાગ્યા. એક સરદાર બોલ્યો, “વિફરેલા વાઘને, આપ હુકમ કરો તો ગોળીથી ઉડાવી દઈએ, પ્રજાની સામે દોડતા મોતને મડદુ બનાવી દઈએ.”

મોગલ-દરબારમાં સત્તા માટેની સાઠમારી તીવ્ર ગતિએ ચાલતી હતી. અહીં તલવારના જોરે રાજપૂતોએ પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું હતું. બેગમ અઝ-ઝમાની ઉર્ફે જોધાબાઈ રાજપૂતો માટે વિશાળ વટવૃક્ષની શીળી છાયા જેવાં હતાં. રાજપૂતો એમને “દયાની દેવી” ના નામે ઓળખતા. મોગલોને, ખાનોને અને બીજા ઇસ્લામ ધર્મી સરદારોને આ ખુંચતું હતું. પરંતુ બાદશાહની નીતિ યોગ્યતાને ધોરણે દરબારમાં, વ્યક્તિને સ્થાન આપવાની હતી અને એમાં હંમેશાં રણબંકા રાજપૂતો જ દાવ મારી જતા.

“સાધારણ સિપાહીને મોકલવા કરતાં સિંહ નામધારી કોઇ રાજપૂતને જ મોકલવા જોઇએ કે જેથી કસોટી થઈ જાય.”

“કોણ બોલ્યું? રાજપૂતને પડકાર આપવા?”

“જે બોલ્યું હોય તે. આ દરબારમાં આટલાં બધાં રાજા હોય, સામંતો હોય ત્યાં કોઇ સૈનિકને મોતના મુખમાં ધકેલવો ખરેખર રાજપૂતી માટે કલંકરૂપ છે. રાજપૂતીનું હાડોહાડ અપમાન છે. વાઘ મરશે, અવશ્ય મરશે અને તે રાજપૂતનાં જ બાવડે.” એક યુવાન રાજપૂત બોલી ઉઠ્યો.

“રાજપૂતો વિષે જો આટલો બધો ગર્વ હોય તો, મને લાગે છે કે, તમે પણ રાજપૂત છો. તમે જ આ કાર્યને ઉપાડી લો. શુભસ્ય શીઘ્રમ” શાહબાઝખાન બોલી ઉઠ્યા.

“આપનો પડકાર મને મંજૂર છે. જહાંપનાહ, આપ મને આ માટે આદેશ આપો. હું મારી રાજપૂતી સિદ્ધ કરવાનો, આપની કૃપાથી પ્રયત્ન કરૂં.”

બાદશાહ અત્યારસુધી મૌન થઈ યુવાનને નિરખી રહ્યા હતા, આ જુવાન રાજપૂત પાતળો, પ્રમાણસર કાયા, ઘઉંવર્ણો ચહેરો,  દ્રઢ્તાથી બિડાયેલા હોઠ, એની કમર પર તલવાર હતી અને વાંસાપર નાનકડી ઢાલ હતી. જોવો ગમે એવો મનહર યુવાન હતો.

“ખુશી કે સાથ, હમ ચાહતે હૈં, ખાન કી ચુનૌતી તુમ સફલતા કે સાથ અદા કરો.”

“જહાંપનાહ, હજુસુધી તો રાજપૂતોએ શૌર્ય ગુમાવ્યું નથી. વાઘને હું મારૂં કે વાઘ મને મારે. મારામાં વાઘની સામે ભીડવાની હિંમત છે. મોતને મૂઠીમાં લઈને ફરનાર જ રાજપૂત કહેવાય. હું હવે વાઘને પડકાર આપીશ,”

યુવાને જમણા હાથે ખેસ બાંધી દીધો. ડાબા હાથમાં ઢાલ પકડી. એની કમરે તલવાર લટકતી હતી. કેસરી સિંહ નિર્ભયતાથી ડગલા ભરે તેમ ચાલતો, સૌને વંદન કરી, નવાઈમાં ગરકાવ કરી, યુવાન આંખના પલકારામાં દરબારગઢમાંથી બહાર નીકળી ગયો.

(૨)

પાંજરામાંથી મુક્ત થયેલો વાઘ, ગુસ્સાથી તગતગતી આંખો વડે સૌને ડારતો હતો. વાઘની સામે જવાનું દુ:સાહસ કોણ કરે?  છંછેડાયેલો વાઘ સાક્ષાત યમદૂત-શો જણાતો હતો. જે માનવજાતે પોતાને જંગલના મુક્તવિહારમાંથી ગુલામ બનાવ્યો, ભૂખે રિબાવ્યો એ માનવજાત માટે એના હૈયામાં ભયંકર નફરત જાગી હતી. મોતને ભેટવા કોણ જાય? વાઘનો માર્ગ નિષ્કંટક બની ગયો.

એ બાદશાહના મહેલના પટાંગણ સુધી આવી પહોંચ્યો. ત્રાડ પાડી પડકાર કર્યો. છે કોઇ માઈનો લાલ, જેની માંએ સવાશેર શૂંઠ ખાધી હોય એ સામે આવે. જાણે વાઘની ત્રાડ આમ ન કહેતી હોય. પરંતુ અચાનક આ શું? પટાંગણના દરવાજેથી વાઘ આવતો હતો. મહેલમાંથી પટાંગણના બીજે છેડેથી વીર યુવાન આવતો હતો. બંને મક્કમ પગલે આગળ વધી રહ્યા હતા. બંને નયનોથી એકબીજાને ડારવા પ્રયત્ન કરી રહ્યા હતાં, માણસ જેવું પ્રાણી મારી સામે આંખો કાઢે, એ વધુ જુસ્સાથી ચાલવા માંડ્યો.

આ દરમિયાન અકબરશાહ દરબારમાંથી ઉઠીને ઝરૂખે આવી પહોંચ્યા. પાછળ સૌ દરબારી શું થશે? એવા કૌતુકથી આવીને ઉભા રહ્યા.

એક બાજુથી વાઘ અને બીજી બાજુથી યુવાન પેંતરાબદ્ધ આગળ વધે છે. જ્યાં દશ કદમ બાકી રહ્યાં ત્યાં યુવાને પ્રચંડ અવાજે નાદ કર્યો, “ઓ આદમખોર કુત્તા, સામે આવીજા, જોજે પાછળ ફરીને ભાગતો નહિં. તને આજે ખબર પડશે કે, કોઇ ભેટ્યો હતો. ચાલ, આવી જા. હજુ સુધી કોઇ આદમીએ આવો પડકાર તેને આપ્યો ન હતો. વાઘ ક્ષણભર ખચકાયો, એકદમ મોટી ત્રાડ નાખી, વીજળીવેગે વાઘ કુદ્‍યો, એણે અચૂક નિશાન લીધું હતું. સૌને લાગ્યું કે, પળવારમાં વાઘે યુવાનની ગરદન પકડી અને ખેલ ખત્મ, બધું ખલાસ, કારમાં દ્રશ્યને ન જોવાના ખ્યાલે ઘણાંએ પળવાર માટે આંખો બંધ કરી લીધી, પરંતુ તે પળવાર માટે જ, બીજી જ પળે મેદની હર્ષના કરતલ ધ્વનિથી ગાજી ઉઠી. વાઘનું નિશાન સ્ફુર્તિવાન યુવાનને ચુકાવી દીધું હતું. ઇડર અને અરવલ્લીની પહાડીઓએ એને લોખંડી બનાવી દીધો હતો. વાઘ પછડાયો પરંતુ આ જીવસટોસટનો મામલો હોવાથી તરત ઉઠીને ઊભો થયો.

આ પળનો યુવાને ઉપયોગ કર્યો. જેમણે હાથે ઢાલને મજબૂતરીતે પકડી અને ડાબા હાથે ભેટમાંથી કટાર કાઢી એને પણ મજબૂત રીતે પકડી, વાઘે બીજો કૂદકો લગાવ્યો, ચપળ યુવાને તત્ક્ષણ ઢાલ ધરી દીધી. આ વખતે ધડામ્ કરતી વાઘના મસ્તકે ઢાલ વાગી તે પછડાયો. તરત બે યુવાને બીજા બે ઢાલના ઘા કરી દીધા. માતે વાગવાથી વાઘ જમીનપર પછડાઈ થોડો શિથિલ થયો પરંતુ તે ફરી બેઠો થયો.

આ દરમિયાન જનમેદની તો રંગમાં આવીને શાબાશ યુવાન! શાબાશ યુવાન! નો હર્ષનાદ કરતી હતી. બીજીવાર વાઘે યુવાનપર તરાપ મારી પેલા યુવાને કટાર સમેત ડાબો હાથ તેના મુખમાં ખોસી દીધો. જમણા હાથથી ઢાલ તેના બરડામાં ફટકારી.

સૌને થયું કે, વાઘ યુવાનનો હાથ કરડી ખાશે “મારી નાખ, મારી નાખ” એવા ચારેકોરથી પોકારો થવા લાગ્યા.

 આ ક્ષણે યુવાને બાદશાહ સામે જોયુ. બાદશાહ સમજી ગયા કે, યુવાન મારા આદેશની પ્રતીક્ષા કરે છે, તેઓ મેઘનાદ કરી ગર્જી ઉઠ્યા, “ઐ રણબાઁકુરે, અબ ઉસે ખતમહી કર ડાલો.”

તત્ક્ષણ યુવાને ઢાલ  ફેંકી, મ્યાનમાંથી તલવાર કાઢી, તલવારના બે જોરદાર પ્રહાર કર્યા. વાઘ ગબડી ગયો. મોઢું પહોળું થયું. યુવાનના હાથની કટાર, વાઘના રક્તથી તરબતર થઈ ગઈ હતી.

યુવાન ઉભો થયો. વીરતાને મૂર્તિમંત અવતાર, દેવોના સેનાપતિ કાર્તિકેય સમાન શોભતો હતો. બાદશાહ સમક્ષ આવ્યો, નમ્યો. બાદશાહ બેહદ પ્રસન્ન થયા.

“યુવાન તને ધન્યુ છે, તેં રાજપૂતીને દિપાવી છે. તેં તારા કૂળને દિપાવ્યું છે આવા રત્નના માતા-પિતાને ધન્ય છે. મને જાણતા ખુશી થશે કે, કયા ભાગ્યશાળી નરનો તું દિપક છે. હે યુવાન તારા પિતા કોણ? મને તારો પરિચય આપ.”

યુવાન ઝડપથી ચાલવા માંડ્યો, એક જગ્યાએ અટક્યો, અહિં ઈડરના મહારાજા નારાયણદાસ ઉભા હતા. તેમની છાતી આજે ગજ ગજ ફૂલી ગઈ હતી. પેલા યુવાન રાજપૂતે તેમના ચરણોમાં વંદન કર્યો.

“પિતાજી, આપના આશિર્વાદ ચાહુ છું આપની કૃપાનોજ પ્રસાદ છે.”

બાદશાહ અકબર બોલી ઉઠ્યા. “અચ્છા, તો આ બહાદુર યુવાન, આપણા ઇડરના મહરાજાનો કુંવર છે. મોરના ઈંડા કાંઈ ચિતરવા પડે. તુમ બડે ભાગ્યશાલી હો. તુમ્હે વીર ઔર વિનયી બેટા મિલા હૈ, ઐસા નસીબ સબકે લલાટ મેં નહીં હોતા. તુમ્હારા નામ ક્યા હૈ?”

“જી, વીરમદેવ” યુવાને વિનયથી જવાબ આપ્યો.

થોડીવારમાં સૌ દરબારમાં પહોંચી ગયા.

બાદશાહ પોતાના આસનેથી ઉભા થયા. “મારા દરબારીઓ, વીરને કોઇ વાડા કે સિમાડા હોતા નથી. મુગલ સલ્તનતના શહેનશાહો વીરોની કદર કરવામાં પાછા પડ્યા નથી. વીરમદેવની ચપળતા, બાહોશી અને શૂરવીરતાથી સૌએ પ્રેરણા લેવા જેવી છે. સિંહબાળ મદથી તરબતર હાથી સામે થાય છે. શક્તિશાળી વ્યક્તિને પોતાની તેજસ્વિતા દર્શાવવા વયનો બાધ આવતો નથી. એના રૂંવાડે રૂંવાડે વીરતા ઉભરાય છે. એ મેં પ્રત્યક્ષ જોયું છે હું ઇચ્છું છું કે, મારા સૈનિકો આવા જ બને.

અતિ કિંમતી વસ્ત્રો, રત્નજડિત પાણીદાર તલવાર અને સાફો સ્વયં અકબરશાહે ભેટ આપ્યા.

“મુજે પતા નહિંથા મહારાજા નારાયણદાસ જૈસે પતલે ઇન્સાન કા બેટા ભી ઇતના બહાદુર હૈ, ગુજરાતી લોગ હોતે હૈં પતલે ફિર ભી કામ ગજબકા કરતે હૈં, મહારાજા કો મેરે બહુત ધન્યવાદ” અકબરશાહ ફરી બોલ્યા.

“બાદશાહ, આપે આ યુવાનની કોઇ મુરાદ તો પૂછી નહીં, એની પણ કોઇ ઇચ્છા હશે જ. એ પૂરી ન કરો તે કેમ ચાલે?” રાજા ટોડરમાલ બોલ્યા.

“વાહ, ખૂબ મોકાસર યાદ અપાવ્યું વીરમદેવ, હું આજે તારાપર બેહદ પ્રસન્ન છું, તારે જે માંગવું હોય તે બેલાશક માંગ.”

વીરમદેવે પિતા સામે જોયું. મહારાજા મૌન હતા. તે પિતાનું દર્દ સમજતો હતો. ભાગ્ય જો સામે આવ્યું હોય તો, એનું સ્વાગત કરવું જ જોઇએ. હિંમતપૂવક તે બોલ્યો.

“શહેનશાહ, આપ તો કૃપાનિધિ છો. આપના દરબારમાં હિંદુઓ નિર્ભય છે, જનતા સુખી છે. આપ વીરોની કદર કરો છો. કારણ કે, સ્વયં વીર છો. વરદાન માંગતા પહેલા હું ચોખવટ કરી દઉં કે, મારી માંગણી અયોગ્ય નહિ હોય, આપે કશું ગુમાવવાનું નહિં હોય. માત્ર અમારી વસ્તુ અમને પાછી સોંપવાનો જ સવાલ હશે. અમને જોઇએ છે ઇડરનું રાજ્ય, જે આપના અમદાવાદના સૂબાના અધિકારમાં છે. હું ઇચ્છું છું કે, મારા પિતાની દિલી તમન્ના આપ પૂરી કરો.”

“વાહ યુવાન! તેં તારા અંગત સુખ વૈભવ માટે કાંઈ ન માંગ્યું. તારા પ્રદેશને માંગ્યો. વતનનો પ્યાર જ એવો છે. હું તારી ભાવનાની કદર કરૂં છું. જે યુવાનો પ્રેમને વહેંચે છે એ મને ખૂબ ગમે છે. કીડા મકોડાની માફક મરવા કરતાં કાંઈક પરાક્રમ કરી બતાવો તો જ યુવાની સાર્થક થાય. મહારાજા નારાયણદાસને ઇડર પાછું સોંપવાનો અમદાવાદના સુબાને તત્કાલિક આદેશ મોકલાવીશ. મેવાડના મહારાણા સાથે તમે ભળી ન જાઓ એ માટે જ ઇડર રાજ્ય પર અમે કડક થયા હતા પરંતુ હે યુવાન, તારી વીરતા એ એને ગૌણ બનાવી દીધો છે. અકબર, દુશ્મનોની વીરતાને બિરદાવી શકે છે તો તું તો મારા દરબારનું રત્ન છે. આગળ વધો, અમારી શુભેચ્છા તમારી સાથે છે.

વીર વીરમદેવે હ્રદયથી બાદશાહનો આભાર માન્યો. પિતા નારાયણદાસના મનને શાંતિ મળી. જિસે મનચાહી મંઝીલ મિલ જાય ઉસકી ખુશી કા ક્યા ઠિકાના?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED