Gopal - 1 books and stories free download online pdf in Gujarati

ગોપાલ:- અભિશાપ કે વરદાન ? - 1

● પ્રસ્તાવના :- જ્યાં ભગવાનનું અસ્તિત્વ હોય છે ત્યાં શૈતાનનું પણ હોવાનું જ. જ્યાં પવિત્ર આત્મા વસવાટ કરે છે ત્યાં કાળી શૈતાની આત્માઓ પણ ભટકે જ છે. તફાવત બસ એટલોજ જ છે કે જીત હંમેશા સત્ય અને પવિત્રતાની જ થાય છે. પવિત્ર શક્તિ પોતાની પવિત્રતા દ્વારા એ કાળી શૈતાની ભટકતી આત્માઓનો ખાત્મો બોલાવે છે અને સદાયને માટે શાંતિની સ્થાપના કરે છે.

જ્યારે ચારેબાજુ થી રસ્તાઓ બંદ થઈ જાય, શું કરવું અને શું ન કરવું એ સમજણમાં ના આવતું હોય ત્યારેજ એક જ રસ્તો વધે છે ઉપરવાળાનો. પરમ પૂજ્ય પરમાત્મા પોતાના સંતાનોને કોઈ પણ મુસીબતમાંથી ઉગારી જ લે છે. પરિસ્થિતિ ગમે તેવી વિકટ હોય હંમેશા ઈશ્વરનું સ્મરણ કરવું.તે સદાય આપણી રક્ષા કાજે તત્પર જ રહે છે.

“ પવિત્રતાના રક્ષણ કાજે,
સત્યના સારથી બની આવ્યા.
શૈતાનનો ખાત્મો બોલાવી,
શાંતિને સ્થાપવામાં આવી."


✿✿✿✿✿✿✿✿✿✿✿✿✿✿✿✿✿

જન્માષ્ટમીનો તહેવાર લોકોના જીવનમાં નવી ખુશીયો લઈને આવે છે. મહિનાઓથી અબોલા લીધેલાં સબંધો આજના દિવસે બધી કડવાશો ભૂલાવીને મીઠાશમાં પરીણામે છે. ભાત ભાતના પકવાનો આ દિવસે લોકો પોતપોતાના ઘરે બનાવે છે. ગામની સ્ત્રીઓ ગામને પાદરે ભેગી થઈને કૃષ્ણ ભગવાન ના ગીતો ગાય છે. કંદોઇની દુકાનો એ આ દિવસે ખૂબ જ ભીડ જોવા મળે છે. આ દિવસે લોકો એકમેકને મીઠાઈઓ ખવડાવીને ગળે લાગે છે. આખા ગામમાં ખુશીઓની લહેર જોવા મળે છે. કૃષ્ણ ભગવાનના મંદિરમાં ભક્તો ભજનનો લાહ્વો લેવા માટે ઉમટી પડે છે. બધાં ગામલોકો ભેગા થઈને આરતી કરે છે, પછી અલગ અલગ પકવાનોના પ્રસાદ ચડાવવામાં આવે છે. પણ આવા જ જન્માષ્ટમીના પાવન પર્વે આજે રાજસ્થાનના એક અંતરિયાળ ગામમાં કાળા વાદળો છવાયેલા હતા.

રાજસ્થાનમાં આવેલા દેવિપુરા ગામમાં જન્માષ્ટમીનો શુભ અવસર છે. જે તહેવાર ખુશીઓને સાથે લઈને આવે એજ તહેવાર આજે આ ગામના લોકો માટે એક આવનારી સંકટનો ડર લઈને આવ્યો હતો. ગામની હવામાં ભય છવાયેલો હતો.ગામમાં ચારેબાજુ નજર કરતાં કયાંય ખુશીઓ કે હાસ્ય કિલ્લોલ નજરે ચડતું નહોતું. ગામનાં બધાજ ઘરોમાં સન્નાટો છવાયેલો હતો. આમને આમ સાંજ પડી ગઈ, ધીમે ધીમે આખા ગામમાં અંધારું છવાઈ ગયું. છતાં પણ કોઈ જ ઘરમાં દીપકની જ્યોત ઝબૂકી નહિ. ગામની હવામાં ડર સાથે ઘેરાં સન્નાટાએ સ્થાન લઈ લીધું હતું. વાદળોથી ઘેરાયેલું આકાશ અને ઉપરથી આ ડરના કારણે ઉદ્ભવેલી શાંતિ આખા ગામને ઝાંખું પાડી રહી હતી. કંસની કાળકોઠડીમાં પુરાયેલા માતા દેવકી અને પિતા વાસુદેવે શ્રીકૃષ્ણના જન્મ પૂર્વે જે સન્નાટા સાથે ડર અનુભવ્યો હતો, કદાચ તેજ ડર અને સન્નાટો આજે આ ગામમાં છવાયેલો હતો.

ગામના મુખિયાના ઘરે તનાવનો માહોલ હતો.તે ઘર ભયનું ઉદ્દગમસ્થાન હતું. તે ઘરના ફળિયામાં ભેગા થઈને બેઠેલા ગામના લોકો અજાણી શક્તિના ખૌફ સાથે વાતચીત કરી રહ્યા હતા. ઘરની અંદરથી થોડીક સ્ત્રીઓનો ઝીણો અવાજ સંભળાઈ રહ્યો હતો. એ સ્ત્રીઓની વાતો ઉપરથી જણાઈ આવતું હતું કે ઘરમાં ગામના મુખીની દીકરીની સુવાવડ આવી હતી. પ્રસવપીડાને લીધે મુખીની દિકરી કારમી ચીસો પાડી રહી હતી. જેમ જેમ રાત વધુ ગાઢ અને ભયંકર બનતી હતી તેમ તેમ તે ચીસો વધારે ને વધારે કરુણ અને પીડાભરી બનતી હતી.

ઘરની બહાર ફળિયામાં ભેગાં થઈને બેઠેલાં ગામલોકોના ચહેરા ઉપર ખૌફના નિશાનો ઉપસી આવ્યા હતાં. બધાની નજર મુખિયાના ઘરની તરફ આવતાં રસ્તા ઉપર મંડાઇ ને રહી હતી.બધાં લોકો કોઈ વ્યક્તિની રાહ જોઈને બેઠા હોય તેવું લાગી રહ્યું હતું. એટલામાં સામેથી બે વ્યક્તિઓ આવતાં હોય તેવું દેખાયું.તેમના હાથમાં કઈક વસ્તુ હતી જેમાંથી આછી એવી રોશની નીકળી રહી હતી. અંધારું ઘનઘોર હતું અને એ વ્યક્તિઓ મુખીના ઘરથી ઘણી દૂર હતી એટલે એમના ચહેરા સ્પષ્ટ જોઈ શકાતાં નહોતા. દૂરથી એવું લાગી રહ્યું હતું જાણે કોઈ કાળા પડછાયાં તેમની પાસે પુર ઝડપમાં આવી રહ્યાં હોય. જેમ જેમ એ વ્યક્તિઓ મુખીના ઘરની તરફ આગળ વધી રહ્યા હતાં તેમ તેમ ગામલોકોના શ્વાસ ઊંચે ચડી રહ્યાં હતાં. ગામ લોકોના શ્વાસ એટલી હદ સુધી વધી ગયાં હતાં કે શાંત વાતાવરણમાં તેમના શ્વાસોશ્વાસની પ્રક્રિયા ને સાંભળી શકાતી હતી. એ વ્યક્તિઓ મુખીના ઘરની એકદમ નજીક પહોંચી ગઈ ત્યારે તેમના હાથમાં રહેલી લાલટેનના પ્રકાશમાં તેમના ચહેરાઓ દેખાયા.ત્યારે ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો. લાલટેન પકડેલો વ્યક્તિ તો ગામનો જ હતો. જેનું નામ ભૂરો હતું.જેમને ગામ લોકોએ જ કોઈ વ્યક્તિને બોલાવી લાવવા માટે મોકલ્યો હતો અને ભૂરો એ વ્યક્તિને સાથે લઈને આવ્યો હતો.

ભૂરાની સાથે આવેલ વ્યક્તિના પહેરવેશ અને હાવભાવથી તો તેઓ એક તેજસ્વી મહર્ષિ જેવા લાગી રહ્યા હતાં. તેમને ભગવા વસ્ત્રો ધારણ કરેલાં હતાં. તેમના હાથમાં પાણીની નાની એવી લોટી હતી. હાથે અને ગળે રુદ્રાક્ષની માળા પહેરેલી હતી. તેમનું જ્ઞાન તેમના તેજસ્વી ચહેરા ઉપર ઉભરાઈ રહ્યું હતું. તેમના કપાળના મધ્ય ભાગમાં ભસ્મનું લાંબુ તિલક કરેલું હતું. ગામલોકો એ એક આશા ભરેલી નજરે એ મહર્ષિ તરફ જોયું.અર્ધી રાત્રે બીજા ગામમાંથી મહર્ષિને અહીં બોલાવી લાવ્યાં તે જોઈને તો એવુંજ લાગી રહ્યું હતું કે સમસ્યા વધુ ગંભીર હશે,અને તે સમસ્યાનું સમાધાન કરવા માટે જ મહર્ષિને અહીં બોલાવવામાં આવ્યાં હતાં.

“ પ્રણામ મહર્ષિ." મુખીએ તરજ જ મહર્ષિ ને ઓળખી લીધા અને તેમને સત્ વંદન કરતાં કહ્યું.

“ આયુષ્યમાન ભવ પુત્ર." મહર્ષિ એ આર્શિવાદ આપતાં કહ્યું.

“ પધારો મહાશય." મુખીએ મહર્ષિને ફળિયામાં આમંત્રણ આપતાં કહ્યું.

ભૂરો અને મહર્ષિ મુખીના ફળિયામાં આવ્યા. બધાં જ ગામલોકો ત્યાં હાજર હતાં. બધાએ મહર્ષિના આર્શિવાદ લીધાં. મહર્ષિએ બધાં જ ગામલોકોને ખૂબ ખૂબ આર્શિવાદ આપ્યા. થોડી વાર માટે શાંતિ ભંગ થઈ ગયેલી હતી. પાછાં બધાં શાંત થઈ ગયા અને સન્નાટા એ પોતાનું સ્થાન પુનઃ સ્થાપિત કરી લીધું.

બધાં લોકો આશા ભરેલી નજરે મહર્ષિની સામે જોઈ રહ્યાં હતાં.............

આખરે એવું તો શું બન્યું હતું આ ગામમાં કે જન્માષ્ટમીના શુભ પર્વે અહી સન્નાટો છવાયેલો હતો....!???

બધાં જ રહસ્યો જાણવા માટે બન્યા રહો “ ગોપાલ:- અભિશાપ કે વરદાન ? " નામની ધારાવાહિક સાથે...

વઘુ આવતાં અંકમાં...

- Jignya Rajput


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED