Degam patdi ahir sacrifice books and stories free download online pdf in Gujarati

દેગામ પાટડી આહીર બલિદાન

દેગામ પાટડી આહીર બલિદાન

પાંચસો વર્ષ પહેલા પાટડીના રાજા શત્રુશલ્યજીએ પોતાના બાપનું વેર લેવા સંભર (મારવાડ) પર જગસા નાગપાળ ડાંગરના દિકરા લાખા ડાંગરની આગેવાની હેઠળ આહીરોની સેના સાથે આક્રમણ કર્યુ હતું. પાટડીનો રાજા શત્રુશલ્ય પોતાના પિતાના મિત્ર જગસા ડાંગરનો ખુબ આદર કરતો હતો. પરંતુ તેના દિકરા લાખા ડાંગર અંગે વિરોધીઓની વાતો સાંભળી તેના મનમાં સંશય થવા લાગ્યા હતા. વિરોધી સાથે શત્રુશલ્યની રાણી પણ ભળતા રાજાના મનમાં આહીરો અંગે પૂર્વગ્રહ બંધાવા લાગ્યો હતો. સંભરને ઘેરો ઘાલીને બેઠેલા રાજા શત્રુશલ્યજીને અચાનક પાટડીથી રાણીનો સંદેશો મળતા લાખા ડાંગરને સંભરની જવાબદારી સોંપી બાકીની સેના સાથે પાટડી પાછો ફર્યો હતો.

રાજા શત્રુશલ્ય સેના સાથે પાટડી પહોંચતા જ જગસા ડાંગરના દિકરાઓ લાખા ડાંગર, રામ ડાંગર અને માવ ડાંગર સાથે આહીરો વિરૂદ્ધ પાટડીની રાણીએ કાન ભંભેરણી કરી તેને ઉશ્કેરતા રાજાએ સેના સાથે દેગામના આહીરોને સબક શીખવવા ચડાઇ કરી હતી. પાટડીની સેનાએ અચાનક દેગામ પર ચડાઇ કરતા કિલ્લાના દરવાજાઓ બંધ કરવામાં આવ્યા હતા. તો બીજી બાજુ સંભરમાં લાખા ડાંગરને કાવત્રાના સમાચાર મળતા તેણે પોતાના સાથીઓ સાથે દેગામ પ્રયાણ કર્યુ હતું.

સંભરથી લાખા ડાંગર સેના સાથે દેગામ આવી પહોંચતા પાટડી સેના સાથે ઘમાસાણ યુદ્ધ થયું હતું. દેગામના યુદ્ધમાં વૃદ્ધ જગસા ડાંગરે આહીરો યુવાનોની આગેવાની લઇ પાટડી સેના સામે યુદ્ધ કરતા દુશ્મન બની બેઠેલી પાટડી સેનાનો કચ્ચરઘાણ વાળી દીધો હતો.પાટડીના વયોવૃદ્ધ રાજમાતાને જગસા ડાંગર સાથે પાટડી સેનાના યુદ્ધની જાણ થતા તે મારતે વેલડે દેગામ દોડી આવ્યા હતા. પાટડીના રાજા અને પોતાના પુત્ર શત્રુશલ્ય અને પાટડીના પરમ હિતેચ્છુ જગસા ડાંગરને યુદ્ધ મેદાનમાં ગંભીરહાલતમાં જોતા તેમણે વચ્ચે પડી તાત્કાલીક યુદ્ધ રોકાવ્યું હતું.

પાટડી સેના સાથે થયેલા દેગામના યુદ્ધમાં ગંભીર રીતે ઘવાયેલા જગસા ડાંગર સાથે એકસો ચાલીસ આહીરો શહીદ થયા હતા. તો સામે પક્ષે પાટડીના રાજા શત્રુશલ્ય પણ આ યુદ્ધમાં મરાયા હતા.

દેગામના એકસો ચાલીસ આહીરો વિરગતી થતા ઝાલાવાડ પંથકમાં રહેતા આહીરોમાં હાહાકાર ફેલાતા બદલો લેવાના ઇરાદાથી સૌ દેગામમાં ભેગા થયા હતા. આહીરોએ ભેગા થઇ જગમાલ કાનગડની આગેવાની હેઠળ પાટડીને સબક શિખવવા કૂચ કરી હતી. પાટડી રાજમાતાને આની જાણ થતા તેઓ સામે આવી આહીરોની માફી માંગતા જગમાલ કાનગડ આહીર સેના સાથે બદલો લીધા વગર દેગામ પાછા ફર્યા હતા.આહીરોને વફાદારીનો બદલો દગાખોરીમાં મળતા દેગામના એકસો ચાલીસ આહીર વિરોની વિધવાઓ પતિઓ પાછળ સતી થવા તૈયાર થતા તેને રોકવામાં આવ્યા હતા.

દેગામ પાટડીમાંથી સ્થળાંતર

સુરેન્દ્રનગર જીલ્લાના દસાડા તાલુકામાં આવેલ પાટડીથી પચ્ચીસેક કિલોમીટરના અંતરે ખારાખોડાની નજીક દેગામ આવેલ છે. આહીરોથી ભર્યાભાદર્યા આ દેગામમાં આશરે ઇસુની તેરમી સદીના છેલ્લા દસકામાં અચાનક એકસો ચાલીસ નવલોહીયા શહીદ થતા પાટડીના અઢારસો ગામના આહીરો વેરનો બદલો લેવા ભેગા થયા હતા.જગમાલ કાનગડની આગેવાની હેઠળ મારવું કે મરવું કરતી આહીર સેના પાટડીના પાદરમાં પહોંચતા પાટડીની રાજમાતાએ સામે ચાલી માફી માંગી હતી. પાટડી-દેગામના આહીરોને રાજમાતાની આંખની શરમ નડતા પાટડીના વિશ્વાસઘાતનો બદલો લેતા તેને ખાનદાની રોકી રહી હતી.આહીરોના હૃદયમાં સળગતી વેરની આગમાં પાટડીને ભસ્મીભૂત થતું રાજમાતાએ પોતાના પતિ રણમલજીની યાદ આપી માફી માંગી બચાવી લીધું હતું. દેગામ પાછા ફરેલા આહીરોએ એકસો ચાલીસ શહીદો પાછળ સતી થવા તૈયાર થઇને બેઠેલ એકસો ચાલીસ આહીરાણીઓને જોઇ હતી. દેગામના સમાચાર સાંભળી ચારેબાજુથી આહીરો ભેગા થવા લાગ્યા હતા. સાત વીસુ સતીઓ વહાલ સોયાઓનો વિયોગ સહન કરવા તૈયાર ન હોય પતિના માર્ગે ચાલી નીકળવા તૈયાર થઇ હતી.જોકે સાત વીસુ આહીરાણીઓમાં ઘણાને નવજાત શિશુઓ હોય માઁ વગર તેનું શું થશે એવું વિચારતા આહીરો મુંઝાયા હતા. પતિઓ પાછળ સતીઓ થવા તૈયાર થતા તેમની સામે ધાવણા બાળકો મુકી પતિવ્રતા ધર્મ સામે માતાનો મહિમા સમજાવ્યો હતો. સતી થવા તૈયાર થયેલ સાત વીસુ આહીરાણીઓના ખોળામાં નવજાત શિશુઓ મુકી તેને માંડમાંડ રોકી હતી. વડીલોની સમજાવટથી માતૃત્વની જીત થતા આહીરાણીઓએ પોતાના બાળકોને સંભાળ્યા હતા.પાટડી સેના સાથેના ઘમાસાણ યુદ્ધમાં આહીરોના આગેવાન જગસા ડાંગર સાથે એકસો ચાલીસ શહીદોની ઉત્તરક્રિયામાં આહીરસમાજ દેગામમાં ભેગો થયો હતો. જગસા ડાંગર સાથે એકસો ચાલીસ આહીરોની કાયમી યાદ જાળવવા દેગામના લાખાસર તળાવ નજીક શહીદોના પાળિયાઓ ઉભા કરી ઝાલાવાડના અઢારસો ગામના આહીરોએ શ્રદ્ધાંજલી આપી હતી.આહીર જ્ઞાતિએ ઝાલાવાડના અઢારસો ગામોના ત્યાગ સાથે દેગામ અને પાટડીનો અપૈયા લેવાનો ઠરાવ કર્યો હતો. એ સાથે એકસો ચાલીસ શહીદોની વિધવાના દુ:ખ જોઇ આહીર જ્ઞાતિની સૌભાગ્યવતી સ્ત્રીઓએ કાળા ઓઢણા ઓઢવા સાથે હાથમાં રંગીન ચૂડીઓની જગ્યાએ સફેદ બલોયા પહેરવાનું નક્કી કરતા આ દુખીયારીઓના દુ:ખમાં સહભાગી થવાનું નક્કી કર્યુ હતું. જે સમય સાથે કાળક્રમે આહીર સ્ત્રીઓમાં ઘેરા કાળા ઓઢણા ઓઢવાનો રીવાજ બની ગયો હતો.પાટડીના અઢારસો ગામોમાંથી આહીરોએ ઇસુની ચૌદમી સદીના પ્રથમ દસકામાં ઉછાળા ભરી જતા રહ્યા હતા.

દેગામના યુદ્ધમાં રાજા શત્રુશલ્ય મરાતા પાટડીનું શાસન તેના કુંવર જૈતસિંહે (જ્યત્કર્ણ) સંભાળેલ હતું.રાજા જૈતસિંહજીને પાટડીમાં સલામતી ન લાગતા તેણે પોતાની રાજધાની માંડલમાં ફેરવી હતી. પરંતુ અમદાવાદ સલ્તનતના બાદશાહ અહમદશાહ પહેલાના સેનાપતિ લતીફખાન સાથેના યુદ્ધમાં આહીરોનો આધાર ગુમાવી ચૂકેલા જૈતસિંહ હારતા મુસ્લીમ સત્તાનું આધિપત્ય સ્વીકારી પોતાની રાજધાની માંડલથી ફેરવી કચ્છના અખાતના કિનારે આવેલ કંકાવટીમાં બદલવી પડી હતી.ઝાલાવંશની મુશ્કેલીઓએ કંકાવટીમાં પણ પીછો ન છોડતા મહમૂદ બેગડાના જુનાગઢના સુબા ખલીલખાને પ્રબળ મુસ્લીમ સેના સાથે આક્રમણ કર્યુ હતું. કંકાવટીમાં કેર (કુવાનો કેર) વરસાવતા ફરીથી ઝાલા રાજા રાજધાની બદલવા મજબુર થયા હતા. જૈતસિંહના વંશજ રાજા રાજોધરજીએ આહીરોનો સાથ ન મળતા સિદ્ધપુરથી ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણોને બોલાવી જમીન-જાગીરો આપી હળવદ વસાવી પોતાની રાજધાની કંકાવટીથી હળવદમાં ફેરવી હતી. આહીરોએ ઝાલાવાડના અઢારસો ગામોનો ત્યાગ કરતા ઝાલાઓએ સબળ પ્રજાનો સાથ ગુમાવતા નબળા પડ્યા હતા. અને તેઓએ મુસ્લીમ સત્તાના ખંડીયા રાજા તરીકે પોતાની સત્તા જાળવી રાખી હતી.

લેખક કાળુજી મફાજી રાજપુત

ફોન નંબર 7016492576


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED