Speech books and stories free download online pdf in Gujarati

વાણી

કૌશિક કાકડીયા ના લગ્ન અઢાર વર્ષની વયે લેવાઇ ગયા હતા.તેમના પત્ની સરલાદેવી નામ પ્રમાણે જ સરળ અને ઉદાર દિલ ધરાવતા હતા.બધી જ રીતે સુખી હતા પણ તેમને શેર માટીની ખોટ હતી.તેમને કોઈ સંતાન ન હતું.આથી તેમણે "જીવનજ્યોત" અનાથાશ્રમમાં થી એક બાળક દત્તક લેવાનું વિચાર્યું. તેઓ ત્યાં ગયા અને એક ફૂલ જેવી બાળા પર તેમની નજર ઠરી ,જે માત્ર ત્રણ મહિનાની હતી ,જેને કોઈ સ્ત્રી પોતાનું પાપ છુપાવવા જન્મેલી ત્યારે જ એક કચરા ના ઢગલા મા છોડી ગયેલી. કોઈક સજ્જનની નજર પડી અને તેને આ અનાથાશ્રમમાં મુકાવી.તે નાની ઢીંગલી નું નામ હતું વાણી. બધી જ કાગળીય કાર્યવાહી અને જરૂરી ઔપચારિકતા પૂર્ણ કરી તેઓ વાણીને ઘરે લઈ આવ્યા .હવે તેઓ ખુશ હતા અને તેમનું જીવન પણ શાંતિપૂર્ણ જઈ રહ્યું હતું.કૌશિક ભાઈ પોતે જાણીતી કંપની માં હિસાબનીશ હતા.સરલાદેવી આદર્શ ગૃહિણી હતા.કોઈ પણ સુખી મધ્યમવર્ગીય પરિવાર ની વ્યાખ્યામાં તેમનો પરિવાર બંધ બેસી જાય તેવો પરીવાર હતો. કૌશિકભાઈ વાણી ને ખૂબ લાડ લડાવે. બસ વાણી વાણી જ કરે. વાણીને પણ પપ્પા વગર ચાલતું નહીં. સરલાદેવી ઘણી વાર કૌશિકભાઈને કહેતા તમે આને વધારે લાડ ના લડાવો ,એક દિવસ તો એ પરાઈ થઈ જશે,ત્યારે કૌશિકભાઈ કહેતા કે અમને બાપ-દીકરીને કોઈ અલગ કરી શકશે નહીં.ધીમે ધીમે વાણી મોટી થતી ગઈ પણ વાણીને એ વાત ની ખબર ન હતી કે પોતાને અનાથાશ્રમમાંથી લાવવામાં આવી હતી. કૌશિકભાઈ અને સરલાદેવી પણ ઈચ્છતા ન હતા કે ભવિષ્યમાં ક્યારેય પણ આ વાતની વાણીને જાણ થાય.

ઘણી વખત કુદરતને પણ કોઈનું સુખ મંજુર નથી હોતું. એક દિવસ સરલાદેવી અને વાણી નજીકના બજારમાં ખરીદી કરવા જઇ રહ્યા હતા ત્યારે રસ્તા પર ચાલતા ચાલતા જતા હતા ત્યારે અચાનક પાછળથી ટ્રક આવ્યો . સરલાદેવીએ તાત્કાલીક વાણી ને હડસેલીને દૂર ધકેલી દીધી અને ટ્રક એમના પર થી પસાર થઈ ગયો. ઘટનાસ્થળે જ સરલાદેવી ના પ્રાણ-પંખેરૂ ઉડી ગયા.ટોળું ભેગું થઈ ગયું અને કોઈકે એમ્બ્યુલન્સને ફોન કર્યો અને વાણીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરી.કૌશિકભાઈને સમાચાર મળતા તરત જ દોડી આવ્યા અને પત્ની નો મૃતદેહ જોઈને ત્યાં જ ઢગલો થઈ ગયા. તેમની હિંમત જ ના રહી આ જોવાની. હૈયાફાટ રુદન કરી ને સરલાદેવી ના મૃતદેહ ને ખોળામા લઇ ને ત્યાં જ બેસી ગયા.સગા સંબંધી અને સ્વજનો પણ બધા ત્યાં આવ્યા અને કૌશિકભાઈ ને સંભાળ્યા. બઘા ઘરે ગયા.વાણીને પણ હોસ્પિટલમાંથી લાવવામાં આવી. મમ્મીનો મૃતદેહ જોઈને ભાંગી પડી અને બાપ અને દીકરી નું આક્રંદ જોઈ ને સ્વજનો અને ત્યાં હાજર લોકો ની આંખ માં પણ આંસુ આવી ગયા.સરલાદેવીના મૃત્યુની બધી વિધિ પૂર્ણ કરી હવે બધા સ્વજનો પણ જતા રહયા.હવે કૌશિકભાઈ અને વાણી બંને એકલા પડી ગયા હતા.
કૌશિકભાઈ ઉપર હવે મોટી જવાબદારી આવી પડી.એક તો પત્ની વગર નું જીવન અને એમાં નાનકડી વાણી ની જવાબદારી. માત્ર છ વર્ષની વાણીને સંભાળવી મુશ્કેલ હતી. બધા ઘર પરીવાર ના માણસોએ બીજા લગ્ન કરવાની વાત કરી. પહેલા તો કૌશિકભાઈ એ ચોખ્ખી ના કહી દીધી પણ માતા વગરની વાણીને સંભાળવા તથા પોતાને નોકરી હોવાથી વાણીના ઉછેર માટે આખરે તેઓ માની ગયા.અને તેમણે બીજા લગ્ન કર્યા. જેનું નામ મહિમા હતું. શરૂઆત મા છ મહીના તો મહિમા એ વાણી ને સારું રાખ્યું પણ પછી તેના કારસ્તાન શરૂ થયા. કૌશિકભાઈ નોકરી પર હોય ત્યારે તે આખા ઘર નું કામ વાણી જોડે કરાવતી. મહિમાને પણ ખબર હતી કે વાણી કૌશીકભાઈની સગી દીકરી નથી, આથી તે બધું જ વૈતરું વાણી પાસે કરાવતી. એવામાં મહિમા ને સારા દિવસો ગયા અને તેણે એક પુત્રને જન્મ આપ્યો.હવે મહિમા નો ત્રાસ વધવા લાગ્યો હતો.મહિમા આખો દિવસ પુત્રના લાલન પાલન માં વ્યસ્ત રહેતી. એટલે તમામ કામ વાણીએ કરવું પડતું.,.પણ વાણી આ વાત ની જાણ પપ્પાને થવા દેતી નહીં.તે ચુપચાપ બધું જ સહન કરતી.

વાણી રોજ સવારે વહેલા ઉઠી ને પપ્પા માટે ચા બનાવે એમને પીવડાવે. આ તેમનો રોજ નો નિયમ .વાણી પપ્પાને સવારે સાત વાગે ચા તૈયાર કરી આપે.પપ્પા માટે ટિફિન તૈયાર કરે. કૌશિકભાઈને તો એમ જ હતું ક વાણી ને મહિમા ખૂબ સારું રાખે છે . કૌશીક ભાઈ સાંજે ઘરે આવે એટલે મહિમા વાણીને સારું રાખતી,અને નોકરી એ જાય એટલે મહિમાનો અસલ રંગ શરૂ. કૌશીકભાઈને નોકરીના લીધે દિવસે તો ફુરસત મળતી ન હતી પણ રાત્રે તેઓ વાણી પાસે બેસી ને વાતો કરતા. તેની જરૂરિયાત પૂછતાં .વાણી અને કૌશીકભાઈ મોડે સુધી વાતો કરતા .આ બધું મહિમા ને ગમતું નહિ.પણ બોલી શકતી ન હતી.

એવામાં એક દિવસ કૌશિક ભાઈને એક્સીડેન્ટ થયો અને તેમના એક પગે ફ્રેકચર આવ્યું એટલે એક મહિનાનો પાટો આવ્યો અને ડોક્ટરે ઘરે આરામ પર જ રહેવા સલાહ આપ, આથી કૌશિકભાઈ એ કંપનીમાં ફોનથી જાણ કરી અને મેડિકલ સર્ટી મોકલાવી એક મહિનાની રજાઓ મેળવી લીધી.
હવે વાણી આખો દિવસ કૌશિકભાઈ ની સેવા કરતી અને સાથોસાથ ઘર કામ પણ કરતી. જ્યારે મહિમાને કૌશિકભાઈ ની સહેજ પણ પરવા ન હતી. એ તો બસ પોતાના પુત્રમાં જ મસ્ત રહેતી.કૌશિકભાઈને હવે ખબર પડવા લાગી કે વાણી જ ઘર સંભાળે છે અને તે જ બધુ ઘર કામ કરે છે. તેમણે વાણીના શરીર માં આવેલો ફેરફાર પણ જોયો. વાણી પહેલા કરતા દુબળી પડી ગઈ હતી. આજુ બાજુ ના હિતેચ્છુઓ પણ કૌશિભાઈ ની ખબર લેવાના બહાને વાણી પર તેની સાવકી મા કેટલો ત્રાસ ગુજારે છે તે બયાં કરી ગયા. પણ તેઓ મહિમાને કઈ કહી પણ શકતા ન હતા, કારણ કે તેમને ડર હતો રખે ને ક્યાંક મહિમા વાણી ને અનાથ હોવાની જાણ કરે અને વાણી પણ આ જાણીને દુઃખી થાય. વાણી પપ્પાનું બધું જ ધ્યાન રાખતી અને દવાઓ પણ સમયે સમયે આપતી. કૌશિકભાઈ પોતાની જાતને ભાગ્યશાળી માનતા કે વાણી તેમની દીકરી છે ,ભલે તે દત્તક લીધેલી છે
સમય સમય નું કામ કરે છે.વાણી હવે એકવીસ વર્ષની થઈ ગઈ હતી.કૌશિકભાઇએ તેના માટે મુરતિયો જોયો હતો . ચિંતન નામ હતું એનું.તેના કુટુંબ સાથે શહેરમાં રહેતો હતો અને પિતા સાથે મળી ને પોતાનો ધંધો સંભાળતો હતો.બધું જ સારું હતું આથી સગાઈ નકકી કરવામાં આવી.એક મહિના પછી લગ્નનું મુહૂર્ત પણ નકકી થઈ ગયું. વાણી લગ્નનું નક્કી થયું એ દિવસે કૌશિક ભાઈ એમના રૂમમા એકલા જઈને ખૂબ રડ્યા કારણ કે વાણી હવે તેમનાથી દૂર જવાની હતી.સરલાદેવી પછી વાણી જ એમનો આશરો હતી.વાણીએજ કૌશીકભાઈને આજ સુધી સંભાળ્યા હતા .

જોતા જોતા માં લગ્નનો દિવસ આવી ગયો. જાન આવી ગઈ.કૌશિકભાઈનું મન સવારથી જ વ્યગ્ર હતું.આજે એમની વાણી એમને છોડીને જશે એ વિચાર માત્ર થી આંતરીક રીતે ખુબજ દુઃખી હતા.લગ્નની વિધિ પૂરી થઈ,ફેરા પણ ફરાઈ ગયા,કન્યાદાન પણ થઈ ગયું. હવે કન્યાવિદાય નો સમય આવ્યો. આખરે છેક સુધી બાંધેલો બંધ તૂટી ગયો અને કૌશિકભાઈ વાણી ને ગળે લગાડી ને રડવા માંડ્યા. વાણી પણ પિતાના ખભે માથું મૂકી રડવા લાગી.કૌશિક ભાઈ ખૂબ જ રડયા.અંતે વાણી એ રડતા રડતા એમના આંસુ લૂછયા અને કૌશિકભાઈએ ભારે હૈયે વિદાય આપી. હવે તેઓ એકલા પડી ગયા.

બીજા દિવસે મહિમાએ કૌશિકભાઈને ઉઠાડવા માટે બૂમ પાડી પણ કોઈ જવાબ ન મળ્યો. મહિમાને એમ કે લગ્ન નો થાક હશે એટલે મોડું થયું હશે.પણ વધારે વાર લાગી તો મહિમા જાતે જઇ ને એમના રૂમ માં ગઈ અને તેને ડૂસકાં નો અવાજ સંભળાયો.તેણે જોયું તો કૌશિકભાઈ ની આંખો વહી રહી હતી . તેઓ વાણીને યાદ કરી ને રડતા હતા. આ સમયે આ વાત પર ટોકવું મહિમા ને યોગ્ય ના લાગ્યું એટલે ત્યાંથી એમને એમના હાલ પર છોડીને નીકળી ગઈ. એટલામાં કૌશિકભાઈના ફોનમાં રિંગ વાગી
"હેલો ,,,,,,પપ્પા,,,,,,,,,,,," સામેથી વાણી બોલી રહી હતી.

અને કૌશિકભાઈ બોલી પડ્યા
"બેટા વાણી ,,,,મારી લાડલી કેમ છે??" કૌશિકભાઈએ લાગણી મા કહ્યું
"હું એકદમ ઠીક,,, તમે કેમ છો પપ્પા?પપ્પા શુ કરો છો?"વાણી એ કહયુ

"બસ બેટા તને યાદ કરું છું"કૌશિકભાઈ ભગ્ન હૃદયે બોલ્યા

"પપ્પા ચા પીધી કે નઈ? " વાણી એ પૂછ્યું

"તારા વગર ચા પણ નથી ભાવતી બેટા !"

સામે છેડે વાણીથી ડૂસકું ભરાઈ ગયું પણ કૌશિકભાઈ ને ખબર પડવા ના દીધી.

"પપ્પા મને પણ તમારી યાદ આવે છે." આટલું બોલતામાં તો વાણીની આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો.

આ બાજુ કૌશિકભાઈ પણ ગળગળા થઈ ગયા .એટલામાં ફોન જમાઈએ લીધો અને કહ્યું પપ્પા તમે બિલકુલ ટેન્શન ના લેતા. હું વાણીને દુઃખ નહીં પડવા દઉં. પછી ,વાણી ના સસરા એ ફોન લીધો અને કહ્યું ,"વેવાઈ !!! તમે જરા પણ ફિકર ના કરતા ,વાણી અમારી દીકરી જ છે. તમે લેશ માત્ર પણ ચિંતા ના કરતા."

વાણીના સાસરીપક્ષનો પ્રેમ જોઈને કૌશિકભાઈને નિરાંત વળી. અને તેમનો આભાર માન્યો. અંતે વાણી એ ફોન લઈ ને કૌશિકભાઈ સાથે વાત કરી અને બંને એ થોડી વાતો કરી અને ફોન મુક્યો. હવે કૌશિકભાઈને થોડી નિરાંત થઈ.

આમ ને આમ અઠવાડિયું ગયુ પણ કૌશિકભાઈને વાણી વગર ચેન પડતું નહીં.તેઓ સૂનમૂન જ રહેતા. અને દિવસ મા વાણી જોડે એક વાર વાત કરી લેતા.
આ જોઈ ને મહિમા એ કહ્યું કે ,"શું બાયલા ની જેમ દીકરી દીકરી કરો છો? હવે એ પરાઈ થઈ. બીજા ના ઘર ની વહુ છે.અને આમ પણ અનાથ હતી. લપ ગઈ. "આ સાંભળી ને કૌશિકભાઈ ની છાતીમાં કોઈએ શૂળ ભોક્યું હોય એવો અહેસાસ થયો. કઇ પણ બોલ્યા વગર પોતાના રૂમમાં જતા રહ્યા.

બીજા દિવસે સવારે મહિમાએ જોયું તો કૌશિકભાઈ ક્યાંય દેખાતા ન હતા.તેણે આખું ઘર ફેદી માર્યું પણ ક્યાંય ભાળ મળી નહીં. ડ્રોઈંગરૂમમાં ટીવી પાસે એક કાગળ પર નજર પડી.ખોલી ને જોયું તો અંદર લખેલું હતું,,,,
"મહિમા આજ સુધી તે જે કર્યું છે મેં સહન કર્યું છે અને મારા કરતા પણ વધારે સહન કર્યું છે તો એ છે મારી દીકરી વાણી.મારા કાળજા નો કટકો.અને તે એને જે દુઃખ આપ્યા છે એ માટે ક્યારેય તને માફ નહીં કરી શકું. મેં મારી મિલકત તારા અને આપણા દીકરા માટે પચાસ ટકા અને પચાસ ટકા વાણીના નામે કરી છે. એ અનાથ નમાયી છોકરીએ ક્યારેય મારી પાસે કોઈ અપેક્ષા નથી રાખી.બસ આજીવન મને ભરપૂર પ્રેમ જ આપ્યો છે. હું ભગવાન ને પ્રાર્થના કરું છું કે આવતા જન્મે પણ એ મારી દીકરી બને. હવે હું એને જે અનાથાશ્રમમાં થી લાવ્યો ત્યાં જ રહીશ અને મારી વાણી જેવી તમામ નાની દીકરીઓનો ઉછેર કરીશ. હવે મારું ધ્યેયએ જ છે કે બીજી કોઈ પણ વાણી દુઃખી ના થાય."

મહિમાની આંખો પત્ર વાંચી ને ખુલ્લી જ રહી ગઈ.


બીજા રસપ્રદ વિકલ્પો