Connection-Rooh se rooh tak - 10 books and stories free download online pdf in Gujarati

કનેક્શન-રૂહ સે રૂહ તક - 10

૧૦.વિચારોની માયાજાળ


જગજીતસિંહ જ્યારે મુના બાપુનાં આદમીઓને મારીને પોરબંદર પાછાં ફર્યાં. એનાં ત્રણ વર્ષ પછી અચાનક જ મુના બાપુ એમને શોધતાં પોરબંદર આવી પહોંચ્યા હતાં. જેમ મુના બાપુને મુંબઈની જનતા ખૌફના નામે ઓળખતી. એમ જગજીતસિંહને પોરબંદરની જનતા ભલા માણસનાં નામે ઓળખતી.
જગજીતસિંહ એમનાં ઘરની ઓસરીમાં રહેલાં ખાટલા પર બેઠાં હતાં. એ સમયે જ મુના બાપુ આવ્યાં. એમની સાથે એ આદમીઓ હતાં. જેમને જગજીતસિંહે માર્યા હતાં. એમને જોતાં જ જગજીતસિંહને સમજતાં વાર નાં લાગી, કે જે વ્યક્તિ આવ્યો હતો. એ બીજું કોઈ નહીં, પણ મુના બાપુ જ હતાં. છતાંય ઘરે આવેલાં વ્યક્તિનું અપમાન નાં કરાય, એમ માની જગજીતસિંહે મુના બાપુને એમની સામે પડેલાં ખાટલે બેસવા ઈશારો કર્યો.
"તારી હિંમતને સલામ છે. આજ સુધી મારાં આદમીઓને કોઈએ એક આંગળી પણ અડાડી નથી, અને તે એમને ઢોરની જેમ માર્યા." મુના બાપુએ સીધી મુદ્દાની વાત કરી.
"મારી પત્નીને પણ કોઈએ આજ સુધી આંખ ઉંચી કરીને, ખરાબ દ્રષ્ટિથી જોઈ નથી. એ હિંમત તારાં આદમીઓએ કરી. તો સજા તો આપવી જ રહી." જગજીતસિંહે કોઈપણ જાતનાં ડર વગર કહ્યું.
"તારી હિંમતને દાદ આપું છું. તારાં અને તારાં દિકરા માટે સારી ઓફર લઈને આવ્યો છું." મુના બાપુએ સહેજ સ્મિત સાથે કહ્યું, "તું મારી સાથે કામ કર, અને હું તારાં દિકરાને બિઝનેસ શરૂ કરવામાં મદદ કરીશ."
મુના બાપુને શિવ બિઝનેસ ખોલવા માંગતો હતો, એ વાતની કેવી રીતે જાણ થઈ? એ જગજીતસિંહની સમજમાં નાં આવ્યું. ખરેખર તો મુના બાપુ ત્રણ વર્ષથી આવાં જ કોઈ મોકાની તલાશમાં હતાં. પણ, જગજીતસિંહ એટલી આસાનીથી ઝુકે એવાં માણસ ન હતાં. એમણે મુના બાપુની આંખમાં આંખ પરોવીને કહ્યું, "મારે તારી સાથે કોઈ કામ નથી કરવું, અને મારાં દિકરાને બિઝનેસ શરૂ કરવા તારી મદદની કોઈ જરૂર નથી."
જગજીતસિંહે જે રીતે નાં પાડી. એ પછી મુના બાપુનું સ્વમાન ઘવાયું હતું. છતાંય એ પોરબંદરમાં હોવાથી ચૂપ રહ્યાં. જગજીતસિંહ જેવો સ્વમાની માણસ એટલી સરળતાથી પીગળી જાય. એવું મુના બાપુને લાગતું ન હતું. એ જગજીતસિંહનો જવાબ મળતાંની સાથે જ મુંબઈ જવાં રવાનાં થઈ ગયાં.
જગજીતસિંહ આ બધું વિચારી રહ્યાં હતાં. એ સમયે જ એમનાં ફોનની રિંગ વાગી, અને એ ફરી વર્તમાનમાં આવ્યાં. એમણે ટેબલ પર પડેલો ફોન હાથમાં લીધો. મુના બાપુ ફોન કરી રહ્યાં છે, એ જોઈને એમણે ફોન કાને લગાવીને કહ્યું, "હાં બાપુ! કહો શું આદેશ છે?"
"તારો છોકરો જાતે મારાં બંગલે હાજર થશે, કે મારે તમારાં બંગલે આવવું પડશે?" મુના બાપુએ સહેજ કટાક્ષ કરતાં પૂછ્યું.
"કાલે હું જાતે એને તમારાં બંગલે લઈને આવીશ." જગજીતસિંહે નરમાઈથી જવાબ આપ્યો.
"હું રાહ જોઈશ. જો કાલ સુરજ ઢળે એ પહેલાં તારો દિકરો મારાં બંગલે હાજર નાં થયો. તો હું એનું ઢીમ ઢાળી દઈશ, અને આ મુના બાપુનું વચન છે." કહીને મુના બાપુએ ફોન ડિસ્કનેક્ટ કરી નાંખ્યો.
જગજીતસિંહને અત્યારે બહું ગુસ્સો આવી રહ્યો હતો. હંમેશા એમની આજ્ઞાનું પાલન કરનારાં શિવે આજે કેટલું મોટું પગલું ભરી લીધું, અને એનાં બાપુની સલાહ લેવાનું પણ ઉચિત નાં સમજ્યું. એ વાતનો અત્યારે એમને બહું અફસોસ પણ થતો હતો. જગજીતસિંહ થોડાં ગુસ્સા અને અફસોસ સાથે બહાર ગાર્ડનમાં બેઠાં હતાં.
અત્યારે રાતનાં આઠ વાગી ગયાં હતાં. રાધાબા કિચનમાં જમવાનું બનાવી રહ્યાં હતાં. નોકરો એમની મદદ કરી રહ્યાં હતાં. એમને તો જે ઘટનાં ઘટી ગઈ. એ વિશે કોઈ જાતની જાણ પણ ન હતી. જ્યાં સુધી શિવ મુંબઈ પરત નાં આવે. ત્યાં સુધી જગજીતસિંહે રાધાબાને કંઈ નાં જણાવવાનું નક્કી કર્યું હતું. રાધાબાએ જમવાનું તૈયાર થતાં જ એક નોકરને કહ્યું, "જઈને માલિકને જમવા બોલાવી લાવો." નોકર ડોક હલાવીને જગજીતસિંહને બોલાવવા જતો રહ્યો. રાધાબા જમવાનું કિચનની નજીક રહેલાં ડાઇનિંગ ટેબલ પર ગોઠવવાં લાગ્યાં. થોડીવારમાં જગજીતસિંહ અંદર આવ્યાં. એ તરત જ પોતાની ખુરશી પર ગોઠવાયાં.
"આજે શિવ હજું નાં આવ્યો." રાધાબાએ જગજીતસિંહની થાળીમાં રોટલી મૂકતાં કહ્યું.
રાધાબાએ જેવું શિવનું નામ લીધું. જગજીતસિંહ થોડાં મુંઝાયા. જો તેઓ રાધાબાને હકીકત જણાવે, તો એ શિવની ચિંતા કરવાં લાગે, અને અત્યારે જ શિવને ઘરે બોલાવવા કહે. પણ, જગજીતસિંહ એવું ઈચ્છતા હતાં, કે શિવ રાતે મુંબઈ પરત નાં ફરે. આ વાતને વધું સમય રાધાબાથી છુપાવી રાખવી જગજીતસિંહ માટે અઘરું બનતું જતું હતું. આખરે એમણે વાતને ટાળવાના ઈરાદાથી કહ્યું, "ઓફિસના કામમાં વ્યસ્ત હશે. તમે એની ચિંતા છોડો."
માઁ તો આખરે માઁ હોય છે, અને આ તો રાધાબા! જેમનો જીવ શિવમાં જ વસતો હતો. એ એમનાં વગર જમતાં પણ નહીં. એ દરવાજા પર નજર માંડીને, જગજીતસિંહની થાળીમાં અન્ય વસ્તુઓ પરોસવા લાગ્યાં. જગજીતસિંહે મોટું મન કરીને જમવાનું શરૂ કર્યું. જમવાનું એમનાં ગળાં નીચે પણ માંડ કરીને ઉતરતું હતું. એ છેલ્લાં પાંચ વર્ષથી મુના બાપુને ઓળખતાં હતાં. એ ક્યારે શું કરે? એનું કાંઈ નક્કી નાં કહેવાતું.
રાધાબા દરવાજે નજર કરીને ઉભાં હતાં. એમની આંખો શિવનાં આવવાની રાહ જોઈ રહી હતી. પણ, આજની રાત તો શિવનું આવવું શક્ય ન હતું. જગજીતસિંહે જમી લીધાં પછી રાધાબાને શિવ માટે વ્યથિત જોઈને કહ્યું, "હમણાંથી શિવનું કામ વધી ગયું છે. એને આવતાં કદાચ મોડું થશે. તમે પણ જમી લો, એ આવીને જમી લેશે."
"હું એની રાહ જોઈ લઈશ." રાધાબાએ દરવાજે મીટ માંડીને કહ્યું.
"કહું છું, જમી લો. કામ જરૂરી છે, અને એ છોકરો કામ મૂકીને નહીં આવે. તમે જમી લો." જગજીતસિંહે થોડાં ઉંચા અવાજે કહ્યું. એમનું એવું વર્તન રાધાબાને આંખમાં પડેલાં કણાની માફક ખૂંચ્યુ. છતાંય એ કંઈ બોલ્યાં નહીં. પણ, કંઈક થયું છે, એ વાતનો અંદાજ એમને આવી ગયો હતો.
જગજીતસિંહ જમીને ફરી બહાર ગાર્ડનમાં આવીને બેસી ગયાં, અને ફરી કંઈક વિચારવા લાગ્યાં. એમને આ સમયે બહાર બેસેલા જોઈને, એમનો વિશ્વાસુ માણસ રઘુ એમની પાસે આવ્યો, અને પૂછ્યું, "માલિક! કોઈ પરેશાની?"
રઘુના અવાજથી જગજીતસિંહની તંદ્રા તૂટી. એમણે રઘુ સામે જોઈને, એને આખી ઘટના જણાવી. બધી હકીકત જાણ્યાં પછી રઘુના ચહેરાં પર પણ ડરની રેખાઓ દેખાવા લાગી. આવી પરિસ્થિતિમાં જો એ નબળો પડે. તો જગજીતસિંહ પણ હિંમત હારી જાય. એમ વિચારી એણે કહ્યું, "તમે ચિંતા નાં કરો. શિવભાઈ તો તમારાં સિંહ છે. એ બધું સંભાળી લેશે."
"હાલ તો એ ખુદને સંભાળી શકે એટલું ઘણું." જગજીતસિંહે ગંભીર અવાજે કહ્યું.
જગજીતસિંહનું મન અત્યારે કોઈ નિર્ણય ઉપર પહોંચવા સક્ષમ ન હતું. કાલે શિવનાં આવ્યાં પછી એમણે શિવને મુના બાપુનાં બંગલે હાજર કરવાનો હતો. ત્યાં મુના બાપુ કેવી રમત બિછાવીને બેઠાં હશે? એ વાતની શિવ કે જગજીતસિંહ કોઈને જાણ ન હતી. એકવાર સિંહના મોંઢેથી શિકાર છીનવી શકાય. પણ, મુના બાપુનાં બંગલેથી એમનો શિકાર લઈ જવાની હિંમત આજ સુધી કોઈએ કરી ન હતી. જેનું પરિણામ જગજીતસિંહ સારી રીતે જાણતાં હતાં.

(ક્રમશઃ)

_સુજલ પટેલ "સલિલ"


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED