Ruday Manthan - 2 books and stories free download online pdf in Gujarati

રુદયમંથન - 2

ધર્મસિંહનું બેસણું સમાપ્ત થયું, સૌ પોતપોતાના કામમાં પાછા પરોવાઈ ગયા, જમવાનો સમય થઈ ગયો હતો એટલે મેઘે સૌને પહેલાં જમવાનો આગ્રહ કર્યો, મુનિમજી અને કેસરીભાઇને પણ એમને જમવાનો આગ્રહ કરતાં તેઓ પણ ભાણે બેઠાં. વસિયત વાંચતાં વાર થાય અને એમનાં નિર્ણયો લેતા વાર થવાની હોવાની જાણ કેસરિભાઈ અને જેસંગજીને ખબર હોવાથી એમણે ભોજનને ન્યાય આપ્યે જ છૂટકો હતો.
"માધવી, જરાય કચાશ નો આવવા દેતી વકીલસહેબની મહેમાનગતિ!"- આકાશે રસોડા તરફ બૂમ પાળતાં કહ્યું.
"જી, મહેમાનગતિ કરવામાં દેસાઈ પરિવાર ક્યારેય પાછો નથી પડ્યો હ!"- માધવીએ એના પરિવારની આબરૂ રૂઆબભેર આગળ કરી.
"હા, કરી લેવા દ્યો આજે તો મહેમાનગતિ, શું ખબર વિલ ખૂલ્યાં બાદ શું થાય?!" મુનીમજીએ હસતાં હસતાં કહી આપ્યું.પણ આ વાક્ય ત્રણેય ભાઈઓને ભાલાની જેમ ખૂંચી ગયું, ત્રણેય એકબીજાની સામે જોતાં રહી ગયા.
એમને આવી રીતે સ્તબ્ધ જોઈ કેસરીભાઇએ પરિસ્થિતિને હળવી કરતાં, "શું તમેય મુનીમસાહેબ! એ તો આપણે આજે હલાલ પહેલાંના બકરાં છીએ, સારું ખવડાવશે તો વીલમાં સારું નીકળશેને!"
"બાય ધ વે, તો બાપુજીને ખબર, શું લખીને ગયાં હશે! પણ જે હોય એ સૌને ગમે એવું હોય એટલે ભલું." - પવને એની સમજદારીની વાત કરી.
વાતાવરણ તંગ હતું, સૌને અત્યારે જમવા કરતાં વિલમા શું પીરસવામાં આવશે એમાં જ રસ હતો, પરંતુ પેટપૂજા પણ મહત્વની હતી, લાંબી વતાઘાટોમાં સ્ટેમિના જળવાઈ રહેવો જરૂરી હતો.
જમીને સૌ દીવાનખંડમાં આવીને ગોઠવાયા, સૌ પોતપોતાની ખુરશીમાં બેઠા, બાળકો એમની બીનબેગમાં જઈને બેઠાં,બધી સ્ત્રીઓ બધું કામકાજ પડતું મૂકીને મિટિંગમાં હાજર રહી, મિટિંગમાં હોસ્ટ વકીલસાહેબ અને મુનીમજી એમની અતિથીઓની વિશિષ્ઠ ખુરશીમાં ટટ્ટાર બેઠા, કેસરીભાઈના હાથમાં રહેલી ફાઈલ એમને સામે પડેલા ટેબલ પર મૂકી જેમાં સવાસો કરોડની પ્રોપર્ટીનું સરવૈયું રાખેલું હતું.દરેકની નજર એ તરફ મંડાણી હતી, થોડાં નાનકડાં ફરફરિયામાં ધર્મસિંહની આખી જિંદગી હતી.
મુનિમજીએ એમનાં ચશ્મા ચડાવ્યાં, નાકથી જરાક ઉપર ટેકાયેલા ચશ્મામાં તેઓ ઘડીએ ધડીએ ઉપર ચડાવતા હતાં, એમની પાછી ચશ્માની દોરી એમની પ્રતિભા જરાક સખત દર્શાવતી હતી, એમની ગ્રે કલરની સફારી એમને જાજરમાન બનાવતી હતી.એમનો ઘેરો અવાજ જેનાથી બધાં ટેવાયેલા હતા, પરંતુ ખાસ રિયાન એટલે ધર્મદાદાનો પાલતુ કૂતરો એ વધારે વાકેફ હતો, બન્ને જણ રોજ ધર્મદાદાની સેવામાં હાજર રહેતાં સહભાગી હતાં, રિયાન એના કારણે જેસંગજીને સારી પેઠે ઓળખવા માંડેલો.
મુનીમની બાજુની ખુરશીમાં બેઠેલા કાળા કોટમાં સજ્જ એવા સજ્જન એટલે ધર્મસિંહના નીજી વકીલ કેસરીભાઈ, આમ તો કેસરિભાઇ પેશાથી તો એક વકીલ હતાં પરંતુ દેસાઈ પરિવાર સાથે વર્ષોથી જોડાયેલા એમનાં નજીકના સદસ્ય બની ગયા હતા, ધર્મસિંહના નાના મોટાં કાયદાકીય કામોથી લઈને એમના નીજી સલાહકાર એટલે કેસરીભાઇ! કાળા કોટે માત્ર એમને વકીલ બનાવી દીધા હતાં પરંતુ દિલના સાફ ઈન્સાન! જે હોય એ સીધું મોઢાં પર કહી દેવું એ એમનું વ્યક્તિત્વ, ઘરના અમુક અળવીતરા વ્યક્તિઓ એટલે એમને પસંદ નહોતા કરતાં પરંતુ ધર્મસિંહની રૂએ એ સાચા વેલવિશર હતા.એમનો વિશ્વાસ જ એમની સાચી આભા હતી.
બધા બેઠાં હતા ત્યાં આકાશે સૌને સંબોધતા, "આપ સૌ જાણો જ છો કે કેસરીકાકા અને જેસંગજી આજે કેમ અહીં રોકાયા છે! બાપુજી તો એમનું જીવન વિતાવી સ્વર્ગની સીડીની સફરે નીકળી ગયા પરંતુ એમનો બધો કારોબાર અહી ધર્મવીલામાં જ મૂકતાં ગયા છે! એમની છેલ્લી ઈચ્છા પ્રમાણે એમનાં બેસણા બાદ એમનું વિલ જાહેર કરવાનું છે, એમનું વિલ કેસરીકાકાએ બનાવ્યું છે, એમને હસ્તક થયેલાં લખાણ પર એમને સૌને વિશ્વાસ છે, જે પણ હશે એ અમે સૌ બાપુજીના આશીર્વાદ સમજીને સ્વીકાર કરીશું.આપ સૌ સહમત છો ને?" આમ પૂછતાં આકાશે બીજા ભાઈઓની સામે જોયું.
"હા, અમને મંજૂર છે!" મેઘ અને પવન સાથે એમનાં ઘરના સદસ્યોએ પણ હકારમાં સાદ પૂર્યો.
"ભલે, કેસરીકાકા આપ આપનું આગળનું કાર્ય પતાવો, અમને સૌને કોઈ વાંધો નથી." આકાશે કેસરીકાકાને એમનું કાર્ય કરવા માટે સંબોધ્યા. કેસરીકાકા એમની ખુરશી પરથી ઉભા થઈને ટેબલ પાસે આવ્યા, એક ફાઈલ જેને લાલ રંગની દોરીથી બાંધી હતી એ એમને હાથમાં લીધી.સાચવીને એનું એ બંધન ખોલી નાખ્યું.એનું પહેલું પત્તું ખોલતાં ધર્મદાદાના એક એક શબ્દો એમનાં કાનમાં ગુંજવા માંડ્યા, જે એમણે આ ફાઈલ બનાવતી વખતે એમને કહ્યા હતા, કેસરીકાકા આમ તો બધું જાણતાં હતા પરંતુ એમનાં કાર્યના આડે તેઓ બંધાયેલા હતા.
તેઓ ધર્મદાદાના શબ્દો હવે વાંચવા જઈ રહ્યા હતાં, સૌની નજર માત્રને માત્ર એમનાં ઉપર જ ટકી રહી હતી...
.................................................

મારા પ્રિય પુત્રો,
વ્હાલી વહુઓ અને વ્હાલાં બાળકો, મારા તમને ખૂબ ખૂબ આશિષ!હું જાણું છું અત્યારે તમને મારું વગર કામનું ભાષણ નહિ ગમે, તમને હમણાં માત્રને માત્ર સવાસો કરોડની મિલકતમાં જ રસ હશે! એટલે હું તમારો જરાય સમય નહિ વેડફાય એ રીતે મારાં મનમાં ચાલી રહેલી તમારા માટેની બધી ભાવના કહી દઈશ.
આપ સૌ જાણો જ છો કે આપણી પાસે અઢળક સંપતિ છે, એ ભલે મારા નામે હોય પરંતુ એના છેલ્લા વારસ તો તમે સૌ મારા વ્હાલાં જ છો.તમને બધાને ન્યાયસભર વહેંચી શકું એ માટે હું આ વિલમાં ન્યાયી લખાણ કરી આપુ છું, આશા રાખું છું કે આપ સૌ એનાથી સંતોષ માનશો અને આવકાર્ય રાખશો.
આપણું ધર્મવિલા જેનું હું વિભાજન નથી કરી રહ્યો, એમાં તારી માતાની લાગણીઓ રહેલી છે તેથી એનું વિભાજન કરવુ મારા માટે શક્ય નથી, પરંતુ આપ સૌ એમાં શાંતિપૂર્વક રહો અને એને હમેંશ માટે એક હુંફાળું ઘર બનાવી રાખો.
રહી વાત ધંધાની, એમાં સરખા ભાગે આકાશ, મેઘ અને પવનનો પંચોતેર ટકા હિસ્સો રહેશે જે તેઓ સરખા ભાગે પચીસ ટકા હિસ્સેદાર હશે, અને બાકીના પચીસટકા ધંધામાં જે કંઈ પણ કમાણી થાય એમાં અનુક્રમે ગરીબ બાળકોના શિક્ષણ, પડતર જમીનમાં વાવણી, આપણા સ્ટાફના પરિવારના જીવન ઉદ્ધાર અને અનાથ આશ્રમ અને દેસાઈ સમાજની છોકરીઓને પાંચ પાંચ ટકા એમ પચીસ ટકાનો હિસ્સો આપુ છું!
મને ખબર છે આપ સૌનો જીવ છેલ્લા પચીસ ટકામાં આઘોપાછા થઈ ગયો, પરંતુ મારી જીવનપુંજી મેં જે ભેગી કરી છે એમાં ક્યાંકને ક્યાંક તેઓ મારા સહભાગી રહ્યાં હતાં, એટલે હું એમને મારા માનીને એમને ભાગીદાર રાખીશ.
મારા લોકરમાં સોનાના જેટલા દાગીના છે એમાં મારી પૌત્રીઓ ત્રિશા, સ્વીટી અને બિરવાના લગ્ન પ્રસંગે એમને સરખા ભાગે કરિયાવરમાં આપવાની રહેશે, અને મારી એફડીઓમાં મારી પુત્રવધૂઓ માધવી,તૃપ્તિ અને શિખાને સરખે ભાગે વહેંચવી, આપના બે ફાર્મહાઉસ અને એક ખેતર વેચીને કે ઉપજ થાય એ મારા પૌત્રો મહર્ષિ, વિધાન અને તન્મયને આપવાં.
આ બધું આપ સૌને મળી જશે પરંતુ એ માટે મારી માત્ર એક શરત છે કે આખા પરિવારને એક મહિના માટે આપણા વતન રતનપુરા જઈને એક મહિનો સાદાઈથી જુના ઘરે વિતાવવો! એ સમગાળામાં કોઈએ કામ વગર ઇલેક્ટ્રિક ગેજેટનો ઉપયોગ કરવો નહિ, મૂનીમજી જોડે નક્કી કરેલાં પૈસામાં જ મહિનો વિતાવવાનો રહેશે.
એના માટેના બધાં નિયમોને મુનીમજીને વિલ સાથે અટેચ કરેલા છે જે આપી દેવામાં આવશે અને એનું સખ્તાઇથી પાલન કરવાનું રહેશે. જો એમાં કોઈ ગફલત રહેશે તો એ વ્યક્તિ મિલકતના હકમાંથી બાકાત થઈ જશે એને એનો હિસ્સો રતનપુરા ઉદ્ધરમાં જતો રહેશે.
આપ સૌને આજે સાંજે જ બધું મૂકીને રતનપુરા જવાનું રહેશે અને ત્રીસ દિવસ સુધી આ વનવાસ પૂરો કરવાનો રહેશે, જેને મંજૂર ના હોય એ ના જાય પરંતુ એનો હિંસાઓ આજથી જ રતનપુરા મળી જશે!
આપ સૌને અત્યારે હું એક વિલન લાગુ છું ને? પણ આ બધું હું તમારા માટે જ કરી રહ્યો છે, છેલ્લા દિવસે તમે સૌ મારો આભાર માનશો અને મારી આત્મા તૃપ્ત થશે! એ જ મારી સાચું સરામણ કહેવાશે!
બસ આટલું કહેતા હું મારી વાતને વિરામ આપુ છું.
આપ સૌનો સાચો હિતેચ્છુ!

ધરમસિંહ દેસાઇ
....................................

ક્રમશઃ
- વિલ વંચાઈ ગયું, હવે જુઓ સૌનું શું વલણ રહેશે?
- ઘરના સભ્યો એનો સ્વીકાર કરે છે કે નહિ? અને કરે તો કેવી રીતે સ્વીકાર કરે છે?
- જાણવા માટે વાંચતા રહો રુદયમંથન!!!





બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED