VEDH BHARAM - 55 books and stories free download online pdf in Gujarati

વેધ ભરમ - 55


કિશોર દાદાવાલાનુ છેલ્લુ વાક્ય સાંભળી કોર્ટમાં સન્નાટો છવાઇ ગયો. કિશોર દાદાવાલા પણ પોતાની સ્પીચ માટે જાણીતા હતા. તે એકદમ સારી રીતે જાણતા હતા કે કયા વાક્ય પર ભાર મૂકવો, કઇ જગ્યા પર થોડો વિરામ લેવો અને કઇ વાતને ઝડપથી કહેવી. કિશોર દાદાવાલાએ થોડીવાર વિરામ લીધો અને તે જ વાક્ય ફરીથી કહ્યું “હા માય લોર્ડ તેના પછી દર્શને જે કહ્યું તે સાંભળી કાવ્યા પાસે આત્મહત્યા સિવાય કોઇ વિકલ્પ નહોતો. દર્શને કાવ્યાને ધમકી આપતા કહ્યું હવે અમે તને લેવા માટે નહીં આવીએ પણ તારે જ્યારે અમને ઇચ્છા થાય ત્યારે આ ફાર્મ હાઉસ પર આવી જવુ પડશે. નહીંતર આ તારી વિડીઓ ક્લીપ અમે વાયરલ કરી દેશુ. આ સાંભળી કાવ્યા જેવી હિંમતવાળી છોકરીએ પણ આત્મહત્યા કરવાનુ નક્કી કર્યુ. આમ પણ આ પરિસ્થિતિમાં કોઇ પણ છોકરી શું કરી શકે? ગુનેગારથી બચવા માટે માણસ પોલીસ પાસે જાય છે પણ જો પોલીસ જ ગુનેગાર સાથે મળી જાય તો પછી પ્રજાનુ શું થાય? અહીં કાવ્યાની હાલત પણ એવી જ હતી. એ જ રાત્રે કાવ્યાએ આત્મહત્યા કરી લીધી. આ પછી પણ બીજી એક છોકરી પર આ ત્રણેય મિત્રોએ રેપ કર્યો હતો. હવે અહીંથી આગળ વધીને ત્રણેય મિત્રો કોલેજ પૂરી કરે છે. પણ પછી ત્રણેય મિત્રો વચ્ચે ખટરાગ થાય છે. તેમાં વિકાસ અને કબીર એક તરફ હોય છે અને દર્શન એક તરફ હોય છે. દર્શને વિકાસ અને કબીરને આર્થિક મદદ કરી હોય છે પણ હવે દર્શન તે બંને પાસેથી પૈસા પાછા માંગતો હોય છે. પૈસા પાછા આપવાને બદલે તે બંને એ દર્શનની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો. આ પ્લાન મુજબ પહેલા વિકાસ ગાયબ થઇ જાય છે જેથી દર્શનના ખૂનમાં તેનુ નામ ના આવે. તેના ગુમ થયા પછી તે લોકો બે ત્રણ વર્ષની રાહ જોઇ અને પછી તે લોકોએ દર્શનનુ ખૂન તેના ફાર્મ હાઉસ પર કર્યુ. આ માટેના સબૂત મે તમને જમા કરાવ્યા છે. દર્શનનુ ખૂન જ્યારે થયુ ત્યારે કબીર તે ફાર્મ હાઉસ પર ગયો હતો અને ફાર્મ હાઉસ પરથી જે ફીંગર પ્રિંન્ટ મળી હતી તેમાં એક વિકાસ સાથે મેચ થાય છે.” એમ કહી કિશોર દાદાવાલાએ ફોરેન્સીક લેબનો રીપોર્ટ જજને આપ્યો અને સાથે કબીર અને શિવાનીના પૂછપરછના રેકોર્ડિંગની ડીવીડી પણ આપી. ત્યારબાદ કિશોર દાદાવાલાએ આગળ કહ્યું “ખૂન કરીને વિકાસ ફરીથી પાછો ગુમ થઇ ગયો. પણ પછી વિકાસ અને કબીર વચ્ચે કોઇ બાબતે ઝગડો થયો અને તેને લીધે વિકાસે કબીરનુ ખૂન કરી નાખ્યુ. એક અગત્યની વાત એ છે કે વિકાસે જે રિવોલ્વોરથી કબીરનું ખૂન કર્યુ હતુ તે રિવોલ્વોર એડીશનલ કમિશ્નર સંજય મહેતાની સર્વિસ રીવોલ્વોર છે. અને સંજય મહેતાના કોલ રેકોર્ડ પરથી એ પણ જાણવા મળ્યુ છે કે કબીરના ખૂન થયુ તે પહેલા સતત ત્રણ દિવસ વિકાસ અને સંજય મહેતા વચ્ચે વાત થઇ છે અને ખાસ અગત્યનો સબૂત એ છે કે સંજય મહેતાના ઘરેથી જે બેનામી નોટ મળી છે તેમાંથી બેલાખ રુપીયાની નોટના બંડલ પર વિકાસની ફીંગર પ્રિન્ટસ મળી છે. હવે આ બધુ કઇ તરફ ઇશારો કરે છે તે મારે કહેવાની જરુર નથી. મારે તો છેલ્લે એટલુ જ કહેવુ છે કે વિકાસ કબીર અને દર્શન એક ખતરનાક ગુનેગારો છે તેમાથી દર્શન અને કબીરને તો તેના ગુનાની સજા મળી ગઇ છે પણ વિકાસને પણ ખૂન અને બળાત્કારના ગુના માટે ફાંસીની જ સજા મળવી જોઇએ. આ ઉપરાંત રક્ષકમાંથી ભક્ષક બનનાર સંજય મહેતાને પણ સજા મળવી જોઇએ. જેથી સમાજને એક ઉદાહરણ પૂરુ પાડી શકાય. હવે બીજુ મારે કંઇ કહેવાનુ નથી. થેંક્યુ માય લોર્ડ.” ઓપનીંગ સ્ટેટમેન્ટ પૂરુ કરી વકીલ જેવા તેની જગ્યા પર બેઠા એ સાથે જ બધા ઊભા થઇ ગયા અને તાળીઓના ગડગડાટથી કોર્ટનુ શાંત વાતાવરણ ગુંજી ઉઠ્યું.

ત્યારબાદ વિરોધ પક્ષના વકીલે ઘણી બધી દલીલો કરી પણ કિશોર દાદાવાલાએ સબૂત એટલા જોરદાર રજુ કરેલા કે વિરોધ પક્ષની કોઇ દલીલ કામે લાગી નહીં. વિકાસે તેનુ અપહરણ કરવામાં આવ્યુ હતુ તે વાત કહી પણ આ સાબીત કરવા માટે તેની પાસે કોઇ સબૂત નહોતા. વિકાસે કોર્ટમાં કહ્યું કે મને કામરેજમાં ઉધ્યોગ નગરમાં કેદ રાખ્યો હતો. પણ પોલીસ તે જગ્યાએ વિકાસ સાથે ગઇ તો તે જગ્યાએ વિકાસે જે પ્રમાણે કહ્યું હતુ તેવો કોઇ ઓરડો જ નહોતો. આ ઉપરાંત વિકાસે જે માણસોના નામ આપ્યા તે નાનુસિંઘ અને શરણદાસ તો છેલ્લા પાંચ વર્ષથી રાજસ્થાન જેલમાં સજા કાપી રહ્યા હતા. વિકાસે બહાદુરસિંહને ગવાહ તરીકે રજુ કરવા માટે માંગ કરી. બીજા દિવસે બહાદૂરસિંહે કોર્ટ સમક્ષ બયાન આપ્યુ કે હું તો વિકાસ ગાયબ થયો પછી તેને આજ પહેલા ક્યારેય મળ્યો જ નથી. આ સાંભળી વિકાસને સમજાઇ ગયુ કે આ તેને ફસાવવા માટેની ચાલ હતી અને હવે તેનો ખેલ ખતમ થઇ ગયો છે. આમ વિકાસની કોઇ વાત કોર્ટમાં પ્રુવ થઇ શકી નહીં. બીજી તરફ એડીશનલ કમિશ્નરે પણ ઘણી બધી મહેનત પોતાને નિર્દોષ સાબિત કરવા માટે કરી પણ તેની સર્વિસ રિવોલ્વોર અને મળેલી કેસનો તેની પાસે કોઇ જવાબ નહોતો. આમ કિશોર દાદાવાલાએ તેની હોશિયારીથી આખા કેસને એકતરફી બનાવી દીધો હતો. જો કે કિશોર દાદાવાલાનો સામનો પ્રખ્યાત ક્રિમિનલ વકીલ સંદીપ શાહ સામે હતો. રિષભે ઊભા કરેલા સબૂત કિશોર દાદાવાલા માટે હુકમનુ પત્તુ હતા. પણ છેલ્લા હથીયાર તરીકે સંદીપ શાહે કહ્યું કે “મારા અસીલ સંજય મહેતા લાંચ રુસવત લેવાના ગુનામાં કસુરવાર છે પણ તેની રિવોલ્વોર તેણે વિકાસને આપી નહોતી. એ તો વિકાસે ચોરી છુપીથી મેળવી હતી.” આ કહી સંદીપ સંજય શાહની સજા ઓછી કરાવવા માંગતો હતો. પણ કિશોર દાદાવાલા અને રિષભ કોઇ પણ સંજોગોમાં સંજય શાહને છોડવા માંગતા નહોતા એટલે કિશોર દાદાવાલાએ દલીલ કરતા કહ્યું “ સર્વિસ રિવોલ્વોર ભૂલથી ખોવાઇ ગઇ હોય તો તેની એફ.આઇ.આર કેમ ના નોંધાવી? અને તો પછી વિકાસ સાથે ફોન કોલ્સ પર વાત કેમ કરી હતી? આ ઉપરાંત સંજય મહેતાના ઘરમાંથી મળેલા રુપીયા પર વિકાસના આંગળાના નિશાન કેમ હતા? માય લોર્ડ આ કોઇ ભૂલથી થયેલુ કામ નથી આ તો પ્લાનીંગથી અને જાણી જોઇને કરેલો ગુનો છે.”

કિશોર દાદાવાલાની આ દલીલ પછી સંજય શાહના બચવાનો કોઇ રસ્તો નહોતો. પણ કિશોર દાદાવાલા વિકાસને પણ બચવાનો કોઇ મોકો આપવા નહોતો માંગતો એટલે તેણે જજને રિક્વેસ્ટ કરતા કહ્યું “સર તમે તમારી ઓફિસમાં સ્ટેટમેન્ટ લેવાની મંજુરી આપો તો પેલી બીજી છોકરી જેના પર આ ત્રણેયે રેપ કર્યો હતો તે પણ તેનુ બયાન આપવા માટે તૈયાર છે. કોઇ સ્ત્રીની બદનામી ના થાય એટલે આ બયાન તમારે માત્ર મારી અને વિરોધ પક્ષના વકીલની હાજરીમાં જ લેવાની મંજુરી આપવી જોઇએ.”

જજે કિશોર દાદાવાલાની રીક્વેસ્ટ માન્ય રાખી એટલે બીજા દિવસે પેલી બીજી છોકરીએ ત્રણેય વિરુધ બયાન આપી દીધુ. આ બયાનને લીધે હવે વિકાસના બચવાના બધા જ રસ્તા બંધ થઇ ગયા હતા. અને છેલ્લે બે દિવસ પછી ચુકાદાની તારીખ આપી. આ બધા જ દિવસો અનેરી પણ કોર્ટમાં આવી હતી. ચુકાદાને દિવસે આખી કોર્ટ અકળે ઠઠ ભરાઇ ગઇ હતી. કોર્ટની બહાર અને અંદર રીપોર્ટરો પણ હાજર હતા. આજનો ચુકાદો જાણવા માટે આખા રાજ્યની પબ્લીક ઉત્સુક હતી અને એટલે જ અત્યારે બ્રેકીંગ ન્યુઝમાં બધી જ ચેનલ પર આ કેસના જ સમાચાર ચાલતા હતા. જજ કોર્ટમાં આવ્યા અને બેઠા અને પછી તેણે ચુકાદો સંભળાવવાનુ ચાલુ કર્યુ. ચુકાદો પૂરો થયો તેની બીજી જ મિનિટે ટીવી પર બ્રેકીંગ ન્યુઝ આવ્યા. આજ દર્શન જરીવાલ હાઇ પ્રોફાઇલ કેસમાં ચુકાદો આવ્યો. ચુકાદામાં કોર્ટે વિકાસ દેસાઇને કાવ્યા નામની છોકરી પર બળાત્કાર માટે દોશી જાહેર કર્યો છે આ ઉપરાંત તે દર્શન અને કબીરના ખૂન કેસમાં દોશી જાહેર કર્યો છે. વિકાસ દોશીને કોર્ટે ફાંસીની સજા આપી છે. અને આ કેસના બીજા આરોપી એડીશનલ કમિશ્નર સંજય મહેતા પણ લાંચ લેવાના તથા ખૂનમાં સાથ આપવાના અને પોતાની સતાનો દૂર ઉપયોગ કરવાના ગુનામાં દોશી જાહેર થયા છે. કોર્ટે સંજય મહેતાને સસ્પેન્ડ કરી તેને મળતા બધાજ હક્ક હિસ્સા ખારીજ કરી દીધા છે આ ઉપરાંત સંજય મહેતાને 50 લાખ રૂપીયાનો દંડ અને 10 વર્ષની જેલની સજા કરી છે. આ કેસ ઉકલવામાં જેનો સિંહ ફાળો છે તેવા એસ પી રિષભ ત્રિવેદીને ખૂબ ખૂબ અભિનંદન. રાજ્યના મુખ્યમંત્રીએ ખુદ રિષભ ત્રિવેદીને અભિનંદન આપ્યા છે અને તેની બઢતી માટે ભલામણ કરી છે. ટીવી પર આ બ્રેકીંગ ન્યુઝ સાંભળતી અનેરી ઊભી થઇ અને તેના કબાટમાંથી તેણે એક પેટી બહાર કાઢી. પેટી લઇને તે સોફા પર બેઠી અને પેટીમાંથી એક ફોટો બહાર કાઢ્યો. ફોટો જોતા જ તેના આંખમાંથી અશ્રુધારા વહી નીકળી. તેના હોઠ ધ્રુજ્યા અને તેણે ધીમેથી ફોટા પર હાથ ફેરવ્યો અને બોલી “દીદી, હું તને તો ના બચાવી શકી પણ તારા પર અત્યાચાર ગુજારનાર દરેક જણને તેના કર્મોની સજા આજે મે અપાવી દીધી છે. દીદી મને માફ કરજે આ કામમાં થોડુ મોડું થયુ છે પણ તારા અત્યાચાર કરનાર દરેક તેની સજા ભોગવશે તે વચન આજે મે પૂર્ણ કર્યુ છે.” આટલુ બોલી અનેરી ફોટાને છાતી સાથે લગાવી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તે ક્યાંય સુધી રોતી રહી. આંસુ સાથે તેની અંદર રહેતો પ્રતિશોધનો મેલ પણ ધોવાતો ગયો. રડ્યા બાદ તેની આંખો અને દિલ એકદમ ધોવાઇને સાફ થઇ ગયા. અનેરીના હાથમાં કાવ્યાનો હતો. અનેરીએ બીજુ કોઇ નહી પણ કાવ્યાની સગી બહેન હતી તેને બધા લાડમાં પરી કહેતા. કાવ્યાના માસીને કોઇ સંતાન ન હોવાથી અનેરીને કાવ્યાના મમ્મીએ તેની બહેનને દતક આપી હતી. કાવ્યા અને અનેરી ભલે માસીઆઇ બહેન હોય પણ બંને વચ્ચે સગી બહેન જેવો જ પ્રેમ હતો. જો કે અનેરીના પપ્પા ગુજરી ગયા ત્યારે અનેરીની મમ્મીએ તેને બધી જ સચ્ચાઇ કહી દીધી હતી. તે પછી તો કાવ્યા અને અનેરી વચ્ચે બહેન કરતાય મિત્રો જેટલી વાતો થતી. કાવ્યા અને અનેરી દિવસમા એક્વાર ફોન પર વાત જરૂર કરતી. કાવ્યા જયારે સુરત આવી તેના એકાદ વર્ષ પછી અનેરી વિદ્યાનગર અભ્યાસ માટે ગઇ. અનેરીએ કાવ્યાને રિષભ અને તેના સંબંધો વિશે પણ વાત કરી હતી. અનેરી અને કાવ્યા રોજ વાત કરતી. કાવ્યાએ આત્મહત્યા કરી લીધી ત્યારે અનેરીને ખૂબ આઘાત લાગેલો. અનેરી સતત પોતાની જાતને કોશતી કે તે કાવ્યાના દુઃખને સમજી શકી નહીં. પણ પછી બે ત્રણ દિવસ પછી અનેરીને એક કાગળ મળ્યો. અનેરીએ આ કાગળ વાંચ્યો એ સાથે જ તેની જીંદ્ગી બદલાઇ ગઇ.

----------**************------------**************---------------*************--------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને

“વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મિત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મિત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************--------------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED