Who becomes Desperate - he only lives – Divyesh Trivedi books and stories free download online pdf in Gujarati

મરણિયો બને એ જીવી જાણે! – દિવ્યેશ ત્રિવેદી

સિકંદર એના જીવનકાળમાં ઘણી લડાઈઓ લડયો અને જીત્યો. પોતાના સાથીદારો, પ્રધાનો અને સેનાપતિઓ સાથે પૂરતો વિચારવિમર્શ કરીને એ લડાઈનું નેતૃત્વ સંભાળતો. મોરચા પર જાતે હાજર રહેતો અને જરૂર જણાતાં રણમેદાનમાં પણ ઊતરતો. કેટલીક લડાઈઓ એના સેનાપતિઓ લડતા. સિકંદર એ વાતથી સભાન હતો કે ભલે લડાઈ એના નામે લડાતી હતી, પરંતુ લડનારા તો સેનાપતિઓ અને સૈનિકો જ હતા. લડાઈમાં જીત થાય ત્યારે ભલે એ સિકંદરની જીત ગણાતી, પરંતુ અસલ જીત એ સેનાપતિઓ અને સૈનિકોની જ હતી. એટલે જ દરેક લડાઈ વખતે સૈનિકો અને સેનાપતિઓને એ એક ટૂકું છતાં પ્રેરણાદાયી પ્રવચન આપતો હતો. દર વખતે એમને એ એટલું જ કહેતો, “આ લડાઈ તમે તમારા સમ્રાટ માટે નહિ, પણ તમારા માટે લડવા જઈ રહ્યા છો. જીતશો તો તમે અને હારશો તો પણ તમે. એટલે તમે આ લડાઈ જીતવા માટે જ લડી રહ્યા છો એમ માનજો. વળી લડાઈના મેદાનમાં ઊતરતી વખતે તમારું એક માત્ર લક્ષ્ય કોઈ પણ ભોગે લડાઈ જીતવાનું જ છે. કોઈ પણ ભોગે એ ત્રણ શબ્દોનો અર્થ બરાબર સમજી લેજો. જેને જીતના બદલામાં જીવનદાન પણ ખપતું હશે એ લડાઈમાં જીતી શકશે નહિ. મરણિયા બન્યા વિના જીત મળતી નથી. તમે મરણિયા બનીને લડાઇ લડશો તો અચૂક જીતશો જ એવો મને ભરપૂર વિશ્વાસ છે.”

સિકંદરની આ વાત તેના સેનાપતિઓ અને સૈનિકોનાં મનમાં સોંસરવી ઊતરી જતી હતી. તેઓ ખરેખર મરણિયા થઈને લડતા હતા. મરણિયા થવું એટલે મરી જવું એવું નહિ, પરંતુ મરવાની પણ પરવા ન કરવી એટલે જ મરણિયા થવું. જીવતા માનવીનો સૌથી મોટો ભય મૃત્યુ હોય છે. એથી જ માણસ ગમે તેવી કટોકટીમાં પણ જીવતા રહેવા માટે ફાંફાં મારે છે. પરંતુ જેના મનમાંથી એક વાર મરવાનો ભય નીકળી જાય છે એ ગમે તેવું જોખમ લેવા તૈયાર થઈ જાય છે અને મોટે ભાગે એને પાર પણ કરી જાય છે. મરણિયા બનીને લડાઈના મેદાનમાં ઊતનારનું ધ્યેય મૃત્યુનો પણ જડબાતોડ સામનો કરીને કેવળ જીતવાનું જ હોય છે. આ વાત જેઓ સમજયા છે અને એનો અમલ કર્યો છે એ હંમેશાં જીત્યા છે. કોઈ પણ જંગમાં જીતવું એ કંઈ જેવી તેવી વાત નથી. આવી મોટી સિદ્ધિ કંઈ સસ્તામાં મળી જાય નહિ. એ માટે મોટી કિંમત ચૂકવવી પડે. કમ સે કમ મોટી કિંમત ચૂકવવાની તૈયારી તો રાખવી જ પડે. અને જીવનથી મોટી કોઈ કિંમત હોઈ શકે નહિ એથી જ સિદ્ધિનો સીધો મુકાબલો ફનાગીરી સાથે છે. ફનાગીરી વિના ફ્તેહ નથી.

જુલિયસ સિઝરે એના સૈનિકોને લડાઈમાં મોકલતી વખતે ખાસ સૂચના આપી હતી કે તમે દુશ્મનના પ્રદેશમાં જેમ જેમ આગળ વધતા જાવ તેમ તેમ રસ્તામાં આવતા પૂલોનો નાશ કરતા જજો. ‘Burn your bridges behind’ એવી એની સલાહનું તાત્પર્ય એ હતું કે રસ્તામાં આવતા પૂલો પરથી પસાર થયા પછી એ પૂલોનો નાશ કરવાથી તમારા મનમાં એટલી ખાતરી થઇ જશે કે હવે પાછા જવાનો રસ્તો નથી. તમારે ત્યાં જ જીવન પસાર કરવાનું છે અને સુખથી જીવવું હશે તો ત્યાં જઈને તમારે જીતવું પડશે. સિઝરની સમજ એવી હતી કે જે સતત પાછા ફરવાનો વિચાર કરતો કરતો આગળ વધે છે એ ખરેખર કદી આગળ ધપતો જ નથી. કદાચ શરીરથી એ આગેકૂચ કરે પણ ખરો, પરંતુ મનથી તો એ પીછેહઠ જ કરે છે.

સફળતા માટેનો આ એક અમૂલ્ય મંત્ર છે. જેને કોઈ પણ નિશ્ચયમાં સંપૂર્ણ સફળ થવું છે એને પાછું વાળીને જોવાનું કે અન્ય વિકલ્પોનો વિચાર કર્યા કરવાનું કદાપિ પોસાય જ નહિ. ‘come what may’ એટલે કે જે થવું હોય તે થાય - એ જ એનું સૂત્ર બની જાય. આવું સૂત્ર અવારનવાર શંકા-કશુંકાઓ અને અમંગળ બનવાની દહેશતોથી મુક્ત થઈ જાય છે અને એનામાં ગજબનો આત્મવિશ્વાસ પ્રગટે છે. ‘જે થવું હોય તે થાય’ એવી માનસિક તૈયારીનો અર્થ જ મરણિયા થવું એવો થાય છે. સફળતા પ્રાપ્ત કરવા માટે માણસ મરણિયો નથી બનતો ત્યાં સુધી નાની નાની બાબતો પણ એને અવરોધતી રહે છે. શંકા-કુશંકાઓ એને ડરાવતી અને ડગાવતી રહે છે. નાનકડા નુકસાનની દહેશત પણ એને મોળો પાડી દે છે. પરંતુ એક વાર એ લક્ષ્ય-સિદ્ધિ માટે મરણિયા બનવાનું નક્કી કરે છે પછી મોટાં મોટાં અવરોધક પરિબળો પણ એને ક્ષુલ્લક લાગવા માંડે છે અને એની આગેકૂચમાં કોઈ રૂકાવટ આવતી નથી.

જીવનના દરેક ક્ષેત્રે આ વાત લાગુ પડે છે. સિદ્ધિ પ્રાપ્ત કરવાનું સ્વપ્ન તો લગભગ દરેકને આવતું હોય છે. પરંતુ એ માટે તૈયારી શરૂ કરતાં જ અવરોધો નજર સામે આવવા માંડે છે. એ અવરોધોની કલ્પના કરીને પછી એ એમની સામે બાથ ભીડવાની પોતાની તાકાતનું માપ કાઢવા માંડે છે. જરાક સરખી દહેશત દેખાતાં જ એ વાતને ત્યાં જ મૂકી દે છે. કદાચ ખચકાટ સાથે આગળ વધે છે તોય સલામતીના પાળિયા પહેલેથી જ ગોઠવવા માંડે છે. ખરેખર તો સલામતીનો આવો દરેક પાળિયો જ એની આગેકૂચના માર્ગમાં ખાડો બની જાય છે. એમાં એ પોતે જ પડે છે, ઘાયલ થાય છે અને સરવાળે એની આગેકૂચ અટકી જાય છે, સલામતીની ચિંતા કરવી એ એક વાત છે અને સલામતીની ચિંતાને અવરોધક બનવા દેવી એ બીજી વાત છે.

સલામતીની ચિંતામાં કેટલાક માણસો એક સાથે બે અને ત્રણ ઘોડા પર સવારી કરવા જાય છે. દેખીતી વાત છે કે એક વખતે એક જ ઘોડા પર સવાર થઈ શકાય. બે ઘોડા પર ચડવા જતાં નીચે જ પટકાવાનું આવે. એક ભાઈને ખૂબ સારી નોકરી હતી. સારો પગાર અને સારો હોદ્દો પણ હતો. એમના વિષયના એ ખૂબ સારા નિષ્ણાત હતા. એમની આવડતની નોંધ લઈને બીજા એક સજ્જને એમને પોતાના આગવા વ્યવસાયમાં ઝુકાવવાની દરખાસ્ત મૂકી. આ ભાઈએ ખૂબ વિચાર કરીને આ દરખાસ્ત સ્વીકારવાનું નક્કી કર્યું. આ ભાઈ પેલા સજ્જન પાસે ગયા અને કહ્યું કે, “આવતા મહિનેથી આપણે નવું કામ શરૂ કરીએ. પહેલી તારીખથી હું મારી આ નોકરીને તિલાંજલિ આપું છું.”

પેલા સજ્જન સહેજ વિચારમાં પડયા. પછી એમણે આ મિત્રને સલાહ આપી, “આપણે જરૂર ધંધો શરૂ કરીએ. પરંતુ મને લાગે છે કે તમારે નોકરી છોડવાની ઉતાવળ ન કરવી જોઈએ. આપણે નવો ધંધો બરાબર સેટ થઈ જાય પછી જ તમારે નોકરી છોડવી જોઈએ. ત્યાં સુધી તમારી અને તમારા કુટુંબની સલામતી તો ન જોખમાય!”

પરંતુ આ મિત્ર એમના મનમાં સ્પષ્ટ હતા. એમણે તરત કહ્યું, “હું નોકરી ચાલુ રાખીશ તો મારી સલામતી જળવાશે, પરંતુ આપણા નવા ધંધાની સલામતી નહિ રહે. હું બે ઠેકાણે વહેંચાયેલો રહીશ. નોકરી છોડીશ તો નવો ધંધો જ મારા માટે સર્વસ્વ હશે અને એનાથી જ મારે તરવાનું છે એવી સ્પષ્ટતા મારા મનમાં હશે તો હું એના વિકાસ માટે બધું જ કરી છૂટીશ.” બે ઘોડે સવારી નહિ કરવાનો એ મિત્રનો નિર્ણય પેલા સજ્જનને ગળે ઊતર્યો અને એમણે એમની વાત સ્વીકારી. આજે આ મિત્ર આગલી હરોળના ઉદ્યોગપતિ બની ગયા છે.

બે ઘોડે સવારી કરવાના પ્રયાસોનો સૌથી મોટો ગેરલાભ એ છે કે એમાં નહિ પાડવાની કોશિશોમાં જ બધી શક્તિઓ ખર્ચાઈ જાય છે. પરિણામે ફનાગીરી આવતી જ નથી. એક જ ઘોડા પર સવારી હોય ત્યારે ઘોડાને કાબૂમાં રાખીને ઝડપી કૂચ કરવામાં શક્તિઓને કેન્દ્રિત કરી શકાય છે અને મુકામ પર પહોંચવાનું શક્ય બને છે. જેને સફળતા મેળવવી છે એણે કોઇ પણ ભોગ આપવાની તૈયારીને પોતાના શ્વાસોશ્વાસમાં વણી લેવી પડે છે. ફનાગીરીની તૈયારી વિનાનો આંધળો પરિશ્રમ પણ ઘણી વાર વાંઝિયો પુરવાર થતો હોય છે.

મરણિયા બનવાની તૈયારી નથી હોતી ત્યારે જ ઘણીવાર સફળતા કે સિદ્ધિનો કોળિયો છેક હોઠ સુધી આવીને સરકી જતો હોય છે. જીવનમાં ઘણી વાર એવા અનુભવો પણ થાય છે, જ્યારે આપણે ચારે બાજુથી પીડા ભોગવતા હોઈએ છીએ. એમાંથી બહાર નીકળવાનાં હવાતિયાં મારીએ છીએ. પરંતુ બહાર નીકળી શકતા નથી. એનું કારણ એ હોય છે કે બહાર નીકળવાના દરેક રસ્તા પર આપણને કોઈક ને કોઈક અવરોધ દેખાય છે અને આપણે પારોઠનાં પગલાં ભરીએ છીએ. પરિણામે પીડાનું કુંડાળું ભેદી શકાતું નથી. આવે વખતે એક વાર મરણિયા બનીને ઝઝૂમવાનો નિર્ણય કર્યો તો બાજી અચૂક હાથમાં આવી જાય છે.

ઇતિહાસ કહે છે કે રાજપૂતો એક જમાનામાં મહત્ત્વની લડાઈમાં જતી વખતે કેસરિયા કરતા. આ રીતે કેસરિયા કરવાની ક્રિયા પણ મરણિયા બનવાની જ પ્રક્રિયા હતી. હવે જાનની પરવા કર્યા વિના લડવું છે એ જ એમનો નિર્ધાર રહેતો. કેસરિયા કર્યા પછી કશાયની પરવા નથી રહેતી. જીત એક જ લક્ષ્ય રહે છે. સફળ માણસોના જીવનમાં ડોકિયું કરીએ તો દેખાશે કે તેઓ ક્યારેક ને ક્યારેક તો મરણિયા બન્યા જ છે. એમની સફળતા એમના મરણિયા પ્રયાસોને જ આભારી હોય છે.

મરણિયા થવા માટે અંગ્રેજીમાં desperate શબ્દ વપરાય છે. આ શબ્દનો એક અર્થ એવો છે કે આ જ આખરી ઉપાય છે અને બીજો કોઈ ઈલાજ કે રસ્તો નથી. આટલું મનમાં ઠસી જાય પછી કોઈ પણ કામ પાર પડયા વિના રહેતું નથી. મરણિયા બનવું એટલે પોતાના જોખમની પણ પરવા ન કરવી અને આપણા જીવનમાં મોત કરતાં મોટું બીજું કોઈ જોખમ છે જ નહીં!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED