Mysterious Depth of Mind’s Strength – Divyesh Trivedi books and stories free download online pdf in Gujarati

મનની શક્તિનાં અતલ ઊંડાણ – દિવ્યેશ ત્રિવેદી

વિશ્વવિજેતા સિકંદરની સફળતા માટે એની શારીરિક તાકાત ક્દાચ કંઈક અંશે જવાબદાર હશે. પરંતુ માત્ર શારીરિક બળથી કદી વિજેતા બની શકાતું નથી. ગમે એટલી શારીરિક તાકાત કળ અને માનસિક સ્ફૂર્તિ વિના અધૂરી છે. માત્ર પાશવી શારીરિક તાકાત ધરાવતી વ્યક્તિને પણ કરાટે, કૂંગફૂ કે ટેકવાન ડો જેવી કળામાં નિષ્ણાત વ્યક્તિ પેલા કરતાં અડધી શારીરિક તાકાત હોય તો પણ મહાત કરી શકે છે. કેવળ શારીરિક તાકાત તો પશુમાં પણ હોય છે. એટલે શારીરિક તાકાતને જ્યાં સુધી માનસિક તાકાત અને માનસિક સ્ફૂર્તિનો સાથ ન મળે ત્યાં સુધી એની અસર અધૂરી રહે છે. એટલે જ બળ અને કળનો સમન્વય કરવો પડે છે. શારીરિક તાકાત કસરત અને પૌષ્ટિક ખોરાક વડે લાવી શકાય છે, પરંતુ માનસિક તાકાત માટે કોઈ દંડ-બેઠક કે કોઈ ટેબ્લેટ-ઈન્જેકશન કામ નથી લાગતાં. માનસિક શક્તિ એક કેળવણી છે અને એ ઉછેર, વાતાવરણ તથા પોતાની માનસિક જાગૃતિ પર સૌથી વધુ આધાર રાખનારી બાબત છે. સફળ માણસ શારીરિક તાકાત જેટલું જ મહત્વ માનસિક તાકાતને પણ આપે છે. અલબત, એનો અર્થ એ નથી કે શારીરિક તાકાત કે શક્તિની અવગણના કરવી જોઈએ. હકીકતમાં તો આ બન્ને બાબતો સિક્કાની બે બાજુ જેવી છે. સિક્કાની એક પણ બાજુ ઘસાઈ ગઈ હોય તો સિક્કો ચલણમાંથી બહાર જ ફેંકાઈ જાય.

માનસિક તાકાત કેળવવા કે માનસિક સજજતા કેળવવા શું કરવું જોઈએ? આ સવાલનો જવાબ બે–ચાર વાક્યોમાં કે બે–ચાર પ્રકરણમાં આપવો ઘણો અઘરો છે. છતાં એનો ટૂંકમાં ખ્યાલ મેળવી લેવો જોઈએ. માનસિક શક્તિ માટે સૌ પ્રથમ તો આપણે મનને સમજવાની કોશિશ કરવી પડે. કદાચ આ દુનિયામાં માનવીના મન જેટલી રહસ્યમય ચીજ બીજી કોઈ નથી. ખરેખર તો મન પોતે જ એક રહસ્યમય ખ્યાલ છે. મનને કદ, આકાર, વજન કે રંગ જેવું જ નથી. શરીરનાં બધાં જ અંગો આપણે નજરે જોઈ શકીએ છીએ. શરીરની ચીરફાડ કરીએ તો હ્રદય, લીવર, આંતરડાં વગેરે બધું જ હાથમાં આવે છે. પરંતુ મન હાથમાં આવતું નથી. મન અને મગજ બન્ને અલગ વસ્તુઓ છે. છતાં મન જેવું કંઈક છે એ આપણે સ્વીકારવું પડે છે. આપણા મનને મગજ, હ્રદય, ફેફ્સાં, આંતરડાં વગેરે બધાં જ અંગોની ક્રિયા-પ્રતિક્રિયાઓ સાથે સંબંધ છે. છતાં મનને શરીરથી અલગ પાડીને પ્રયોગશાળામાં એનો અભ્યાસ કરી શકાતો નથી.

મન દેખાતું નહિ હોવા છતાં માનવીના અસ્તિત્વ સાથે એને ગાઢ સંબંધ છે. માનવીનું વ્યક્તિત્વ જ એનું મન છે. એટલે જ કહ્યું કે, “મનઃ એવ મનુષ્યાણામ્.” તત્વચિંતકો અને વિજ્ઞાનીઓ તથા સંશોધકોએ મનને સમજવાના અને સમજાવવાના પુષ્કળ પ્રયાસો કર્યા છે. આ બધાંનો સાર એ છે કે મનની શક્તિ અગાધ અને અજોડ છે, મનની ગતિ કલ્પનાતીત છે. માત્ર માનસિક શક્તિના ઉપયોગ અને પ્રયોગ દ્વારા જાદુઈ કાર્યો સિધ્ધ થઈ શકે છે. ભૌતિકવિજ્ઞાન અને ખગોળવિજ્ઞાન ભલે કહેતું હોય કે જગતમાં પ્રકાશની ગતિ સૌથી વધુ છે. પરંતુ ખરેખર જોવા જઈએ તો મનની ગતિ પ્રકાશ કરતાં પણ વધી જાય છે. કહેવાય છે કે મન વાંદરા જેવું છે. એ એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર કૂદાકૂદ કરે છે. ગમે ત્યારે ગમે ત્યાં જતું રહે છે અને જઈ પણ શકે છે. એક જ ક્ષણના કરોડમાં ભાગમાં એ ભારતથી ઊડીને અમેરિકા પહોંચી શકે છે અને ત્યાંથી પાછું પણ આવી જાય છે. મનની આ અમાપ ઝડપને કારણે જ હનુમાનજીને ‘મનોજવમ્’ એટલે કે મનની ગતિએ જનાર કહ્યા છે.

જેની શક્તિ આડેધડ વપરાય છે એની શક્તિ વેડફાય છે. આપણા મનનો સ્વભાવ ચંચળ છે, ઊડાઊડ કરવાનો અને ગમે ત્યારે ગમે ત્યાં ચાલ્યા જવાનો છે. પ્રકાશ અંધકારને દૂર કરે છે. પરંતુ એ જ પ્રકાશને વિશિષ્ટ રીતે એકત્ર કરીને એક કિરણના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે ત્યારે તે ‘લેસર’ સ્વરૂપે આવે છે અને એનામાં એટલી પ્રચંડ શક્તિ આવી જાય છે કે તે ગમે તેવા સખત ખડકને કે મજબૂત ધાતુને પણ કાપી નાખે છે. મનની શક્તિનું પણ એવું જ છે. એને કેન્દ્રિત કરીને કામે લગાડવાથી એ લેસર કરતાં પણ શક્તિશાળી પુરવાર થાય છે.

મનની આવી અગાધ શક્તિનો ઉપયોગ કરવો હોય તો મનને પહેલાં સમજવું પડે. મનને સમજવાના અને સમજાવવાના પ્રયાસો થયા છે ત્યારે વિવાદો પણ થયા છે. તેમ છતાં મન વિષે પૂરતી સમજૂતી ભાગ્યે જ મળી છે. આ બધામાં ડૉ. સિગ્મંડ ફ્રોઈડે આપેલી સમજૂતી વિવાદાસ્પદ બની હોવા છતાં ઘણી સ્વીકાર્ય બની છે. ફ્રોઈડ મન અને માનસિક પ્રક્રિયાઓને જ વ્યક્તિત્વ કહે છે. આપણે જે ક્ષણે જે કરતાં હોઈએ કે વિચારતાં હોઈએ એ જ આપણી માનસિક પ્રક્રિયા છે. પરંતુ આપણી માનસિક પ્રક્રિયા આટલેથી પૂરી થઈ જતી નથી. આપણા કેટલાક વિચારો, કેટલીક લાગણીઓ, કેટલીક સમજદારી, કેટલીક માહિતી અને કેટલાક અનુભવો એવા પણ હોય છે, જે હર પળે આપણા મનની ઉપરની કે ખુલ્લી સપાટી પર હોતા નથી. છતાં એ હોય છે તો આપણી અંદર જ. કેટલીક વાર એવું પણ બને છે કે અમુક બાબતો આપણા મનમાં હોવા છતાં આપણને એની ખબર નથી હોતી. કેટલીક વાર એવું પણ બને છે કે આ ક્ષણે આપણા મનની ઉપરની સપાટી પર જે વાત હાજર ન હોય એને આપણે ઇચ્છીએ ત્યારે બોલાવી શકીએ છીએ તો કેટલીક વાર પ્રયત્ન કરવા છતાં બોલાવી શકતા નથી અને થોડી વાર પછી એ અચાનક યાદ આવી જાય છે. એનો અર્થ એ કે થોડીક વસ્તુઓ હાથવગી છે અને થોડીક વસ્તુઓ ક્યાંક ઊંડે ધકેલાઈ ગયેલી છે. પરંતુ છે તો મનમાં જ.

ફ્રોઈડે આ વાતને મનનાં ત્રણ સ્તર દ્વારા સરસ રીતે સમજાવી છે. જાગૃત સ્તર, અર્ધ જાગૃત સ્તર અને અજાગૃત સ્તર.

૧. જાગૃત સ્તર - Conscious Mind

જે માનસિક પ્રક્રિયાઓથી વ્યક્તિ પૂરેપૂરી સભાન અને પરિચિત હોય એ આપણા જાગૃત મનની અવસ્થા છે. પ્રત્યેક ક્ષણે આપણે આપણું મન કોઈ એક પ્રવૃત્તિમાં પરોવીને કોઈ એક કાર્ય કરતાં હોઈએ છીએ. આ કાર્ય અંગેના વિચારો, એ સાથે જોડાયેલા અનુભવો અને એને સંબંધિત ભવિષ્યની કલ્પના વગેરે બધો જ જાગૃત મનનો વ્યાપાર છે. જાગૃત મનની ક્રિયાઓ વિષે વ્યક્તિ જે તે ક્ષણે વાકેફ હોય છે અને એનું વ્યવસ્થિત વર્ણન પણ કરી શકે છે.

૨. અર્ધ – જાગૃત મન – Subconscious Mind

જેમ સમય પસાર થાય તેમ જાગૃત મનની પ્રક્રિયાઓ પણ બદલાતી જાય. વાંચતી વખતે પુસ્તક જાગૃત મનમાં આવી જાય છે. આ વખતે વાંચેલું પુસ્તક જાગૃત મનમાંથી બીજે ક્યાંક જતું રહે છે. પરંતુ અચાનક અધવચ્ચે કોઈ પૂછે કે હમણાં તમે કયું પુસ્તક વાંચ્યું? તો તરત એ પાછું જાગૃત મનમાં આવી જાય છે. પુસ્તકનું નામ, એના લેખક, પુસ્તકની વિગતો વગેરે બધું જ જાગૃત મનમાં હાજર થઈ જાય છે. આમ સમય કે અનુભવ બદલાતાં જે પ્રક્રિયા જાગૃત મનમાંથી સરકી જાય છે તે બહાર ક્યાંય જતી રહેતી નથી, બલકે મનમાં જ રહે છે. આ વિસ્તારમાં પડેલી પ્રક્રિયા કે વિગતો આપણે ઇચ્છીએ ત્યારે આપણા મનની સપાટી પર લાવી શકીએ છીએ. મનના આ વિસ્તારને પૂર્વ જાગૃત મન પણ કહે છે, કારણકે એ જે ઘડીની જાગૃત અવસ્થાની પહેલાં આવી ગઈ હોય છે. સ્વાભાવિક રીતે જ જાગૃત મન કરતાં અર્ધ-જાગૃત મનનો વિસ્તાર થોડો વધારે હોય, કારણ કે દરેક અનુભવ કે દરેક લાગણી આ વિસ્તારમાં ગોઠવાઈ જાય છે. બીજી એક વિશિષ્ટતા એ છે કે કેટલીક વાર કોઈક અનુભવ આપણે જાગૃત અવસ્થામાં એટલી તીવ્રતા સાથે ન કર્યો હોય તો પણ અર્ધ–જાગૃત મન એની નોંધ તો લઈ લેતું હોય છે. અલબત્ત, એ જ વાત સપાટી પર આવે ત્યારે એની નોંધ જાગૃત મનમાં ન હોવાથી આપણને મૂંઝવણ થાય છે. કોઈક વ્યક્તિને જોઈને આપણને એવી પ્રબળ લાગણી થાય કે આ વ્યક્તિને કયાંક જોઈ છે, પરંતુ અનેક પ્રયાસો પછી યે યાદ ન આવે ત્યારે આવું જ કંઈક બન્યું હોય છે.

અર્ધ જાગૃત મનની બીજી પણ કેટલીક ખૂબીઓ છે. સૌથી પહેલી વાત તો એ છે કે જાગૃત અને સભાન અવસ્થામાં કઈ ચીજ ઉપયોગી છે અને કઈ ભૂલી જવા કે છોડી દેવા જેવી છે એ જો સ્પષ્ટ પણે નક્કી થઈ જાય તો અર્ધ–જાગૃત મન એવી વિગતોને સાચવી રાખવાની દરકાર કરતું નથી. એનાથી તદ્દન ઊલટું જે વિગતો મનની અંદર જાળવી રાખવા જેવી લાગે એને અર્ધ–જાગૃત મન કાળજીથી સાચવે છે. એવી જ રીતે અર્ધ–જાગૃત મન વિગતો અને અનુભવોને સંઘરતું ન હોત તો જાગૃત મન પર એનો બોજ એટલો બધો વધી જાત કે આપણે એ જીરવી ન શકત અને ગાંડા થઈ જાત. જાગૃત અને અર્ધ–જાગૃત મન વચ્ચેનો દરવાજો અકારણ અને કસમયે ખૂલી જાય ત્યારે આપણે અસંગત લવરીએ ચડી જઈએ અને આજની તથા મહિના પહેલાંની વાતની ભેળસેળ કરી બેસીએ કે આપણને જાતજાતનાં દ્રશ્યો દેખાય યા ભ્રમણાઓ થાય એવું પણ બને.

૩. અજાગૃત મન અથવા સુષુપ્ત મન - Unconscious Mind

ક્યારેક એવું પણ બને કે આપણે કોઈક અનુભવ, કોઈક લાગણી કે કોઈક વિગત તરફ બહુ ધ્યાન ન આપીએ અથવા કોઈક અણગમતી કે દુઃખદ ઘટનાને ભૂલી જવા મથીએ ત્યારે એ જાગૃત મનમાંથી તો ખસી જાય, વળી એને અર્ધ–જાગૃત મન પણ ઝાઝું સંઘરે નહિ. છતાં ક્યારેક લાંબા સમય પછી કોઈક અગમ્ય કારણોસર એ જ વિગત કે અનુભવ એના એ જ સ્વરૂપે અથવા બીજું કોઈ સ્વરૂપ લઈને જાગૃત મનના તખ્તા પર આવી જાય છે. એવી જ રીતે ક્યારેક કોઈક વિગત યાદ કરવા ખૂબ મથામણ કરીએ અને છતાં યાદ જ ન આવે અને ઘણા સમય પછી અચાનક યાદ આવી જાય એવું પણ બનતું હોય છે. આવું થાય એનો અર્થ એ કે જે તે વિગત અથવા અનુભવ જાગૃત મનમાં કે અર્ધ-જાગૃત મનમાં નહોતો, પણ ક્યાંક બીજે જ એ ચાલ્યો ગયો હતો. આ બીજે ક્યાંક એટલે અજાગૃત મન અથવા સુષુપ્ત મન. આ ત્રણેય મનની કલ્પના કરીએ તો કહી શકાય કે જાગૃત મનનો વિસ્તાર દરિયામાં તરતી હિમશિલાની ટોચ જેટલો જ હોય છે. હિમશિલાનો દસમો ભાગ બહાર દેખાતો હોય છે, બાકીના નવ ભાગ પાણીમાં હોય છે. એટલે આપણે કહી શકીએ કે જાગૃત મન એક ભાગ, અર્ધ–જાગૃત મન બીજા બે ભાગ અને બાકીના સાતેય ભાગ અજાગૃત મન હોય. વ્યક્તિએ વ્યક્તિએ એમાં થોડો ફેરફાર સંભવી શકે. કોઈક વિગત કે અનુભવ અર્ધ–જાગૃત મનમાં રહે છતાં લાંબા સમય સુધી એ ઉપયોગમાં ન લેવાય ત્યારે કાલાંતરે એ અજાગૃત મનમાં સરકી પડે.

જાગૃત–અર્ધજાગૃત અને અજાગૃત મનની વાતને એક વ્યવહારુ ઉદાહરણથી સમજવા જેવી છે. આપણે કોઈક દવાની દુકાને રોજ વપરાતી એનાસિન લેવા જઈએ અને માગણી કરતાં વેંત દુકાનદાર કાઉન્ટર પર જ પડેલાં ડબ્બામાંથી એનાસિન આપી દે. કફ સિરપ માંગીએ ત્યારે એ કાઉન્ટર પર ન હોય, પરંતુ દુકાનદાર કબાટ પર નજર નાંખતા જ યોગ્ય ખાનામાંથી કફ સિરપ કાઢીને આપી દે. એવી જ રીતે જૂજ વપરાતી ટાઈફૉઈડ કે એવા કોઈક રોગની દવા માંગીએ ત્યારે દુકાનદાર કાઉન્ટર જોતો નથી, કબાટ પર પણ એક નજર ફેરવે છે, ક્યારેક કબાટ ફંફોસી પણ જુએ છે. છતાં ન મળે ત્યારે આપણને ઘડીક વાર થોભવા કહી અંદર ગોડાઉનમાં જાય છે. થોડીક વારમાં આપણી માંગેલી દવા લઈને આવે છે. ક્યારેક શોધતાં વાર પણ લાગે છે. દવાની દુકાનનું કાઉન્ટર એ જાગૃત મન, કબાટ અર્ધ –જાગૃત મન અને ગોડાઉન અજાગૃત મન. કાઉન્ટર નાનકડું છે, ક્બાટ એનાથી મોટું છે અને ગોડાઉન એનાથી પણ અનેક ગણું મોટું છે. ત્યાં પડેલી દવા શોધવી પડે છે. ક્યારેક ન જડે તો દુકાનદાર કાલે આવવાનું પણ કહે છે, કારણ કે એને ખબર છે કે દવા છે ખરી, પણ અત્યારે જડતી નથી!

સામાન્ય રીતે આપણો વ્યાપક અધિકાર આપણા જાગૃત મન પર જ હોય છે. અર્ધ–જાગૃત પર ઓછો અને અજાગૃત પર બિલકુલ નહિવત્. છતાં અજાગૃત પાસે સૌથી વધુ વખત આપણને જ ન સમજાય એવું આપણું વર્તન હોય છે. એવા વર્તનનું કારણ અથવા પ્રેરકબળ અજાગૃત મનમાં પડેલું હોય છે. ફ્રોઈડના નિરીક્ષણ મુજબ મોટી ઉંમરે આવતી અનેક મનોવિકૃતિ (Neurosis)ઓનાં મૂળ આ રીતે બાળપણમાં જ પડેલાં હોય છે. ફ્રોઈડે આ સમજને આધારે જ મનોવિકૃતિની સારવાર માટે મુક્ત સાહચર્ય (Free Association) પર આધારિત મનોવિશ્લેષણ (Psychoanalysis)ની પધ્ધતિ વિકસાવી હતી, જેનો આજે પણ સફળતાપૂર્વક ઉપયોગ થઈ રહ્યો છે. સંમોહન અથવા હિપ્નોસીસ (Hypnosis)માં પણ અર્ધ-જાગૃત મનનો ઉપયોગ કરીને અજાગૃત મનનાં બારણાં ખોલવામાં આવે છે.

પ્રયોગો અને નિરીક્ષણો પરથી સાબિત થયું છે કે જાગૃત મન કરતાં અર્ધજાગૃત મન વધુ શક્તિશાળી છે. એને કેળવીને કામ સોંપીએ તો એ આપણા માટે અલ્લાદીનનો ચિરાગ–જીન બની શકે છે. જાગૃત અવસ્થામાં પણ અર્ધ-જાગૃત મનને આપેલા આદેશોનું જાદુઈ પાલન થાય છે. ક્યારેક કોઈક પુસ્તકનું કે ફિલ્મનું નામ ઘણા પ્રયત્ન પછી યાદ ન આવે ત્યારે એ કામ અર્ધ-જાગૃત મનને સોંપીને નિશ્ચિંત થઈ જઈએ પછી અર્ધ-જાગૃત મન કામે લાગી જશે અને થોડી વાર પછી આપણને જોઈતી વિગત જાગૃત મનને આપી જશે. એક ખૂબ વ્યવહારુ અનુભવ પણ કરવા જેવો છે. સવારે ચાર વાગ્યે વહેલા ઊઠવું હોય તો સૂતી વખતે ઘડિયાળ જોઈને અર્ધ-જાગૃત મનને કહેવાનું કે મારે ચાર વાગ્યે ઊઠવું છે. અર્ધ-જાગૃત મને સૂતી વખતના સમયની નોંધ લઈ લીધી હશે. આપણે ઊંધી જઈએ છતાં અર્ધ-જાગૃત મનની ઘડિયાળ એની મેળે ટીક ટીક કરતી રહેશે અને ચાર વાગતાં જ અલાર્મ વાગી ઊઠશે અને આપણી આંખ આપોઆપ ખૂલી જશે. અર્ધ-જાગૃત મનને આપેલો આદેશ જેટલો સ્પષ્ટ હશે એટલું જ એનું પાલન પણ સચોટ હશે. આ જ રીતે અર્ધ–જાગૃત મનનો સફળ ઉપયોગ કરીને આપણે આપણી સ્મૃતિને પણ સતેજ બનાવી શકીએ. થોડા મહાવરા પછી આપણને મૂંઝવતી કોઈક સમસ્યાનો ઉકેલ પણ એની પાસેથી આપણે મેળવી શકીએ.

આગળ કહ્યું તેમ સંમોહન એટલે કે હિપ્નોસીસમાં અર્ધ-જાગૃત મનનો જ ઉપયોગ થાય છે. સંમોહનની એક પધ્ધતિ આત્મ-સંમોહન અથવા સેલ્ફ-હિપ્નોસીસ છે. આ પધ્ધતિનો ઉપયોગ કરીને આત્મવિશ્વાસ વધારી શકાય, મનની મક્કમતા આણી શકાય, પરીક્ષા જેવા ભય દૂર કરી શકાય, કાર્યશીલ અને ગતિશીલ બની શકાય, આળસ અને ધૂમ્રપાન જેવી ટેવોથી પણ મુક્ત થઈ શકાય. નિયમિતતા કેળવી શકાય વગેરે અનેક ફેરફારો આપણી અંદર લાવી શકાય. એવી જ રીતે અનિંદ્રા, ચિંતા, ગુસ્સો વગેરે પર પણ ઘણું નિયંત્રણ મેળવી શકાય. રોજ રાત્રે સૂતી વખતે પોતાની જાતને, પોતાના અર્ધ-જાગૃત મનને જરૂરી સૂચનો કરવામાં આવે તો એનો અચૂક અમલ થાય છે.

આગળ કહ્યું તેમ મન એક અદ્ભુત શક્તિ છે અને એનાં ઊંડાણ અગાધ છે. આપણે તો અહીં માત્ર છબછબિયાં જ કર્યાં છે. વિજેતા બનવાની શરૂઆત માટે છબછબિયાં પૂરતાં છે. તરવાની વાત પછી આવે છે!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED