System of Memory – Divyesh Trivedi books and stories free download online pdf in Gujarati

સ્મૃતિની સિસ્ટમ – દિવ્યેશ ત્રિવેદી

સ્મૃતિ અને વિસ્મૃતિના માનસિક વેપારની વાત કર્યા પછી સ્મૃતિ વધારવા અને સતેજ કરવા માટે શું કરી શકાય એનો વિચાર કરવો જોઈએ. મનોવિજ્ઞાને સ્મૃતિ-વિસ્મૃતિની વિગતે મીમાંસા કર્યા પછી આ વ્યવહારુ ઉપાયોનો સૈધ્ધાંતિક સમજ સાથે અમલ કરવાથી સ્મૃતિ ઘણા ભાગે સુધારી શકાય છે. એ યાદ રાખવા જેવું છે કે સિકંદરના જમાનામાં મનોવિજ્ઞાનનો વ્યવસ્થિત અને પ્રાયોગિક અભ્યાસ થયો નહોતો. છતાં સિકંદર જેવા અનેક સફળ પુરુષોએ પોતાની રીતે પોતાનામાં સ્મૃતિ-સુધારણાના ઉપાયોનો સફળતાપૂર્વક પ્રયોગ કર્યો હતો. એટલે મનોવિજ્ઞાને સૂચવેલા બધા જ ઉપાયો બધા જ માણસોને ઉપયોગી નીવડે છે એમ માની લેવાની જરૂર નથી. દરેક વ્યક્તિને જે પધ્ધતિ સૌથી વધુ અનુકૂળ પડે એ એના માટે શ્રેષ્ઠ ગણાય છતાં કઈ પધ્ધતિ કેટલી લાભદાયી છે. એ નક્કી કરવા માટે પણ બધી જ પધ્ધતિઓ અજમાવી જોવી તો પડે જ.

૧. હકારાત્મક વલણ – Positive Attitude

સ્મૃતિ-સુધારણાનું પહેલું અને સૌથી મહત્ત્વનું પગથિયું છે હકારાત્મક વલણ. પોતાની સ્મૃતિને સતેજ કરવા ઇચ્છતી દરેક વ્યક્તિ માટે આ એક અનિવાર્ય બાબત છે. ‘મને કશું જ યાદ નથી રહેતું’ અથવા ‘હું બહુ ભૂલકણો છું’ એવું માની લેવાની જરૂર નથી. જેના મનમાં આવી ગ્રંથિ બેસી ગઈ હોય છે એને પછી સાચે જ બહુ યાદ રહેતું નથી. નકારાત્મક વલણ બહુ મોટો અવરોધ બની જાય છે. મનમાં સભાનપણે સતત એક વિચારને રમતો કરી દેવાનો છે કે મને યાદ રહે છે. આ એક વાતથી અડધો જંગ જીતી જવાય છે. આપણામાં કહેવત છે કે ‘રડતો જાય અને મૂઆની ખબર લાવે.’ આ કહેવતમાં નકારાત્મકતા પર જ પ્રહાર કરવામાં આવ્યો છે. હકારાત્મક વલણથી આત્મવિશ્વાસ પ્રગટે છે. અને સતેજ સ્મૃતિ માટે આત્મવિશ્વાસ પાયાની શરત છે.

૨. ગોખણપટ્ટી – Doing By Heart

સ્મૃતિની સાથે જોડાઈ ગયેલી એક બાબત ગોખણપટટી છે. ખાસ કરીને શાળામાં વિદ્યાર્થીઓને કવિતા, શબ્દોની જોડણી અને ઘણી વાર તો ગણિતના આખા ને આખા દાખલા ગોખાવી દેવામાં આવે છે. મનોવિજ્ઞાન સ્મૃતિ માટે ગોખવાની પધ્ધતિ એટલે કે એક જ વાતનું પુનરાવર્તન કરવાની પધ્ધતિને સ્વીકારે છે તો ખરું, પરંતુ એક હદ સુધી જ. ગોખણપટ્ટી સ્મૃતિ સતેજ કરવાનો કારગત ઉપાય નથી. કોઈ વાત એક ઝાટકે ગોખી કાઢવાને બદલે સૌ પ્રથમ એનો અર્થ સમજી લેવા પ્રયત્ન કરવામાં આવે તો એ ઝટ યાદ આવે છે. એબિંગહોસ નામના મનોવિજ્ઞાનીએ વિદ્યાર્થીઓના એક જૂથને કેટલાક નિરર્થક શબ્દો યાદ કરવા આપ્યા અને બીજા જૂથને અર્થપૂર્ણ શબ્દો યાદ કરવા આપીને દરેક શબ્દોનો અર્થ પણ સમજાવ્યો. એ પછી જોયું તો જે વિદ્યાર્થીઓને નિરર્થક શબ્દો યાદ કરવા આપ્યા હતા એમને થોડા ઘણા શબ્દો યાદ રહ્યા હતા, જ્યારે પેલા વિદ્યાર્થીઓને મોટા ભાગના અર્થપૂર્ણ શબ્દો યાદ રહ્યા હતા. અબિંગહોસે આ પ્રયોગને આગળ વધાર્યો. થોડા સમય પછી બન્ને જૂથના વિદ્યાર્થીઓને અગાઉ યાદ કરેલા શબ્દો કહેવા કહ્યું ત્યારે નિરર્થક શબ્દો લગભગ ભૂલાઈ ગયા હતા અને અર્થપૂર્ણ શબ્દોમાંથી મોટા ભાગના યાદ રહ્યા હતા. કોઈ પણ કવિતા કે સંસ્કૃતના શ્લોકોનો અર્થ સમજાવ્યા પછી એ વધુ સારી રીતે યાદ રહે છે એવો આપણા સૌનો અનુભવ છે.

૩. પુનરાવર્તન - Repetition

બીજી વાત છે પુનરાવર્તનની. એક સાથે પુનરાવર્તન કરવાને બદલે થોડા થોડા સમયના અંતરે પુનરાવર્તન કરવાથી વધુ સારી રીતે યાદ રહે છે. એક ભાઈને શેર-શાયરીનો ખૂબ શોખ હતો. પરંતુ વાંચેલી શેર-શાયરી બહુ યાદ રહેતી નહોતી. એમણે એક નુસખો શોધી કાઢયો. એક કાગળ પર મોટા અક્ષરે દરરોજ ત્રણ શૅર લખીને એ કાગળ તેઓ અરીસા પર લટકાવી દેતા હતા. દરરોજ સવારે દાઢી કરતી વખતે પાંચ-સાત-દસ વખત એ શૅર વંચાતા. બીજે દિવસે નવા શૅર વાંચવાનું શરૂ કરે ત્યારે આપોઆપ આગલા દિવસના શૅર યાદ આવી જતા અને આકસ્મિક પુનરાવર્તન થઈ જતું. આમ એક મહિનામાં ૯૦ શૅર તેઓને સહેલાઈથી યાદ રહી ગયા હતા. અગત્યની વાત એ છે કે મન પર દબાણ આપીને યાદ કરવું એટલે ગોખવું અને સમજપૂર્વક હળવાશ સાથે મનમાં સંઘરવું એટલે યાદ રાખવું.

૪. સહચાર - Association

અગાઉ સહચાર વિષે વાત કરી હતી. કોઈ પણ વસ્તુને યાદ રાખવી હોય ત્યારે એની સાથે કોઈક બીજી વાતને જોડી દેવાથી એ ઝટ યાદ રહે છે. મજાની વાત એ છે કે મોટા ભાગની બાબતોમાં કોઈક ને કોઈક જોડે સહચાર આપોઆપ જોડાઈ જતો હોય છે, છતાં ક્યારેક પ્રયત્નપૂર્વક સહચારને જોડી દેવો પડે છે. રૂમાલની ગાંઠવાળી વાત યાદ કરવા જેવી છે. એક ભાઈને દરરોજ બેંકમાં જવાનું થતું હતું. આપણે ત્યાં ઘણા બધા માણસો હજામત કરવા જાય ત્યારે સાથે અસ્ત્રો લઈને નહિ જવાની આદત ધરાવે છે. કેટલાક લોકો બૅંકમાં પૈસા ઉપાડવા કે મૂકવા જાય ત્યારે બીજા પાસે પેન માગવાનો નિયમ રાખતા હોય છે. આ ભાઈ પાસે અઠવાડિયામાં ત્રણ-ચાર વખત કોઈક ને કોઈક પેન માગે. કામ પતી જાય એટલે આ ભાઈ ચાલતી પકડે અને પેન લેવાની રહી જાય. મહિનામાં આ રીતે આઠ-દસ પેનો એમણે ગુમાવવી પડે. હવે કોઈને પેન આપવી જ નહિ એવું નક્કી કર્યા પછીયે કોઈ માગે તો એ ના પાડી શકતા નહિ. છેવટે એમણે નક્કી કર્યું કે હવે કોઈ પેન માગે તો આપવી ખરી, પરંતુ ઢાંકણું પોતાની પાસે રાખવું. ફાયદો એ થયો કે ખાલી ઢાંકણ હાથમાં હોવાથી એમને પેન તરત જ યાદ આવી જતી. બલકે સતત યાદ રહેતી. પેન અને ઢાંકણ જેવા સાહજિક સહચારોનો આ રીતે પણ ઉપયોગ થઈ શકે.

૫. મનને પાછા પગલે લઈ જવું - Taking the Mind back

કશુંક ભૂલાઈ ગયું હોય અને આપણે યાદ કરવા ખૂબ મથામણ કરીએ અને છતાં યાદ ન આવે ત્યારે આપણને ખૂબ અકળામણ થતી હોય છે. આવું થાય ત્યારે કેવી રીતે યાદ કરવું એનો એક પ્રયોગ આર્યસમાજના સ્થાપક મહર્ષિ દયાનંદે કર્યો હતો. એ વખતે સ્વામી દયાનંદ ગુરુના આશ્રમમાં ભણતા હતા. એક દિવસ ગુરુજીએ બે દિવસ પહેલાં ભણાવેલો વ્યાકરણનો પાઠ પૂછયો. દયાનંદે એ યાદ ન આવ્યો. ગુરુજી નારાજ થયા અને એકાંત સ્થળે ચાલ્યા ગયા. આંખો મીંચીને બેસી ગયા. પછી એ ક્ષણથી મનને પાછળ લઈ જઈને બનેલી તમામ ઘટનાઓ અને વાતો યાદ કરતા ગયા. ધીમે ધીમે તેઓ ત્રણ દિવસ પહેલાંના સમય સુધી પહોંચી ગયા અને ગુરુજીએ કહેલી વાતો યાદ આવી. મનને પાછા પગલે ચલાવવાની આ પણ એક ટેકનિક છે. કશુંક યાદ ન આવે ત્યારે એની સાથે સંકળાયેલા વાતાવરણને યાદ કરવાથી પણ ભુલાયેલી વાત યાદ આવી જાય છે.

૬. અંતરાય ન ઊભો થાય એની કાળજી રાખવી - Taking Care of not creating Obstacles

વિસ્મૃતિની સૈધ્ધાંતિક ચર્ચામાં જોયું હતું કે કેટલીક વખત અમુક અજાણ્યા અંતરાયો સ્મૃતિમાં બાધારૂપ બનતા હોય છે. આવા અંતરાય ક્યાં નડે છે એ શોધવાનું કામ ખૂબ અઘરું છે. આ જ કારણે સૌથી સરળ અને ઉપયોગી રસ્તો એ છે કે કોઈ પણ વિગતનું નિર્ધારણ અથવા સ્થાપના થાય એ જ વખતે અંતરાય ન ઊભો થાય એની કાળજી રાખવી. આ માટે અનુભવે જડેલો એક નુસખો અમલમાં મૂકવા જેવો છે. ઘણી વાર એવું બને છે કે કોઈ એક વિગત આપણા દિમાગમાં સ્મૃતિરેખારૂપે અંકાઈ રહી હોય એ જ વખતે અથવા એ પછી તરત બીજી કોઈક વિગત ઘસમસતી આવી જાય ત્યારે એ વિગતનું ધારણ બરાબર થતું નથી. આથી એવું જણાયું છે કે યાદ કરવાની વિગત વાંચી કે સાંભળી લીધા પછી નવી વિગત ધારણ કરવા માટે મધ્યાંતર પાડવામાં આવે તો ધારણ વધુ સારી રીતે થઈ પડે છે. આ ઈલાજ વિદ્યાર્થીઓ માટે ખૂબ જરૂરી અને ઉપયોગી સાબિત થાય તેવો છે. કહેવાય છે કે સવારે વહેલા ઊઠીને વાંચવાથી વધુ યાદ રહે છે. સવારે મન હળવું હોય છે એથી ધારણ વધુ સારી રીતે થાય છે એ વાત સાચી છે, પરંતુ સવારે વાંચી લીધા પછી બીજી અનેક વિગતો ટકરાય છે અને એથી અગાઉ વાંચેલું એટલી મજબૂત રીતે યાદ રહેતું નથી. પરંતુ પ્રયોગ પરથી એવું સાબિત થયું છે કે વાંચ્યા પછી થોડો આરામ લેવાથી કે થોડી વાર ઊંઘી જવાથી ધારણ ખૂબ સારી રીતે થાય છે. વિજ્ઞાનીઓનો એવો મત છે કે વાંચી લીધા પછી કે કશુંક સાંભળ્યા પછી થોડીક ઊંઘ લેવામાં આવે તો ધારણ ખૂબ સારું થાય છે. કશુંક વાંચ્યા કે સાંભળ્યા પછી ઊંઘી જવાથી અર્ધ-જાગ્રત મન તરત સક્રિય થાય છે અને યાદ રાખવાની પ્રક્રિયામાં અર્ધ-જાગ્રત મનની મહત્વની ભૂમિકા રહેલી છે.

ઘણા સમય પહેલાં અમેરિકન મનોવિજ્ઞાનીઓએ પ્રયોગો દ્વારા સાબિત કર્યું હતું કે ઊંઘમાં શીખવાની પ્રક્રિયા ખૂબ ઝડપી અને અસરકારક હોય છે. ચીની ભાષાની જગતની સૌથી અઘરી ભાષાઓમાં ગણના થાય છે. વિદ્યાર્થીઓના એક જૂથને જાગૃત અવસ્થામાં અને બીજા જૂથને ઊંઘની અવસ્થામાં ચીની ભાષા શીખવવામાં આવી. બીજા જૂથના વિદ્યાર્થીઓ સૂઈ જાય ત્યારે એમના ઓશિકા નીચે માઈક મૂકી ટેપ-રેકોર્ડર દ્વારા ભાષાના પાઠ આપવામાં આવ્યા હતા. જાગૃત અવસ્થામાં ગ્રહણ કરનાર કરતાં ઊંઘની અવસ્થામાં ગ્રહણ કરનારાઓ બમણા આગળ હતા. આ બતાવે છે કે ઊંઘમાં સૌથી ઓછા અવરોધો નડે છે. આ ટેકનિક્ને ‘સ્લીપ લર્નિંગ’ પણ કહે છે.

૭. અર્ધ જાગૃત મનનો ઉપયોગ - Use of Subconscious Mind

ઊંઘમાં અર્ધ-જાગ્રત મન કાર્યરત હોય છે. અર્ધ-જાગૃત મનની શક્તિઓને વિવિધ રીતે કામે લગાડી શકાય છે. સ્મૃતિ માટે અર્ધજાગૃત મનનો વ્યવહારુ ઉપયોગ કરવાની સાદી અને સરળ પધ્ધતિ પણ સમજી લેવા જેવી છે. ડૉ. સિગ્મંડ ફ્રૉઈડે મનનાં ત્રણ સ્તર જાગૃત, અર્ધ-જાગૃત અને અજાગૃત મન બતાવ્યાં છે. મન વિષે ફરી વાત કરીશું. પણ અહીં સમજવાની વાત એટલી જ છે કે ભૂલાયેલી લાગતી તમામ વિગતો આપણા અજાગૃત મનમાં હોય છે. આપણે જાગતા હોઈએ કે સભાન અવસ્થામાં હોઈએ ત્યારે અર્ધ-જાગૃત મન એટલું સક્રિય નથી હોતું. છતાં એ હાજર તો હોય જ છે. ઘણી વાર આપણને કોઈક વાત તરત યાદ આવતી નથી. રેડિયો પર કોઈક ફિલ્મનું ગીત સાંભળીએ ત્યારે થાય કે આ ફિલ્મ જોયેલી છે, પરંતુ નામ યાદ આવતું નથી. આવે વખતે આ કામ અર્ધ-જાગૃત મનને સોંપી દેવામાં આવે અને આપણે બીજા કામમાં લાગી જઈએ એ પછી થોડી વારે અચાનક ફિલ્મનું નામ યાદ આવી જાય છે. આ કામ અર્ધ-જાગૃત મન કરી આપે છે. અર્ધ-જાગૃત મન ઘણી વાર મૂંઝવતા પ્રશ્નના ઉકેલમાં પણ મદદ કરે છે. આવી કોઈ સમસ્યા મૂંઝવતી હોય તો રાત્રે સૂતી વખતે એ સમસ્યાનો વિચાર કરી સવારે એનો ઉકેલ જોઈએ. અર્ધ-જાગૃત મનને એવો આદેશ આપ્યા પછી સવાર પડતાં ઉકેલનો આપમેળે ઝબકારો થાય છે. અર્ધ-જાગૃત મન ઘણી વાર ભૂલાઈ ગયેલી મનની વાતોને અજાગૃત મનમાંથી ખોદી પણ કાઢે છે. હિપ્નોટીઝમ યાને સંમોહનમાં પણ અર્ધ-જાગૃત મનનો જ ઉપયોગ થાય છે.

૮. લિંક સિસ્ટમ - Link System

આ સિવાય પણ સ્મૃતિ માટે કેટલીક વ્યવહારુ પધ્ધતિઓ વિકસાવાઈ છે. આવી એક પધ્ધતિને ‘લિંક સિસ્ટમ’ તરીકે ઓળખવામાં આવે છે. ઘણા લોકો દિવસ દરમયાન કરવાનાં કામો સવારે યાદ તો કરે છે, પરંતુ દિવસ દરમ્યાન ભૂલી જાય છે. ક્યારેક આપણે આવાં કામોની યાદી પણ બનાવીએ છીએ, પરંતુ પછી એ યાદી જ ક્યાંક મુકાઈ જાય છે. આવે વખતે લિંક સિસ્ટમ મદદે આવી શકે છે. દરેક કામને સાંકળી લઈને નાનકડી વાર્તા બનાવી લઈએ તો એકેય કામ રહી જાય નહિ. દાખલા તરીકે બહાર નીકળતી વખતે પાંચ કામ કરવાનાં હોય, જેમાં મામાને ઘેર સંદેશો આપવાનો હોય, કેળાં ખરીદવાનાં હોય, પત્ર પોસ્ટ કરવાનો હોય, લાઈટ બિલ ભરવાનું હોય અને દરજીને ત્યાંથી કપડાં લાવવાનાં હોય. આ પાંચેય કામોને સાંકળીને એક નાનકડી વાર્તા બનાવી દેવાય. જેમ કે, બહાર નીકળતાં જ કેળાંની છાલ પર પગ પડયો. પડતાં પડતાં બચી ગયો, કારણ કે બાજુમાં જ ટેલિફોન બૂથ હતું. ટેલિફોન કરવા ગયો ત્યારે ઘોર અંધારું થઈ ગયું હતું અને લાઈટો ગુલ થઈ ગઈ હતી. મામાને અંધારાની બહુ જ બીક લાગે છે. અચાનક લાઈટ આવી અને મારા આશ્ચર્ય વચ્ચે મારે જે દરજીને ત્યાં જવાનું હતું એ જ મારી સામે ઊભો હતો. આવી વાર્તા સહેલાઈથી યાદ રહી જાય છે અને એથી કરવાનાં બધાં જ કામો થઈ જાય છે. શરૂઆતમાં વાર્તા રચવામાં થોડી તકલીફ પડે, પરંતુ મહાવરો થતાં વીસ-પચીસ કામોની યાદીને સહેલાઈથી વાર્તામાં ગૂંથી લઈને યાદ રાખી શકાય. શતાવધાની પંડિતોના જાહેર પ્રયોગોમાં આ જ ટેકનિકનો ઉપયોગ થતો હોય છે. સો વ્યક્તિઓ પ્રશ્ન પૂછે ત્યારે એ જ ઘડીએ એક કથા રચવામાં આવે છે અને પછી એના ક્રમબધ્ધ ઉત્તરો અપાય છે.

૯. રોમન રૂમ સિસ્ટમ - Roman Room System

આવો જ એક બીજો નુસખો ‘રોમન રૂમ સિસ્ટમ’ તરીકે ઓળખાય છે. કહેવાય છે કે સ્મૃતિના ક્ષેત્રે રોમન પ્રજા ખૂબ આગળ હતી અને આ પધ્ધતિ રોમનોએ વિકસાવી હોવાથી એને ‘રોમન રૂમ સિસ્ટમ’ તરીકે ઓળખવામાં આવે છે. આમ તો આ પધ્ધતિ પણ ‘લિંક સિસ્ટમ’ ને મળતી જ છે. આ પધ્ધતિમાં એક વિશાળ ઓરડાની કલ્પના કરવામાં આવે છે. પછી જુદી જુદી બાબતોને રૂમમાં સજાવીને યાદ રાખવામાં આવે છે. ઉપરની જ વાતને એ રીતે મૂકવાનો પ્રયત્ન કરીએ તો આખી વાત સમજાઈ જશે. આપણા જ ઘરના ડ્રોઈંગરૂમમાં આપણે બેઠા છીએ. ઘરના દરેક ખૂણે ઝગારા મારતી લાઈટો છે. આપણે હીંચકે બેઠાં બેઠાં કેળાં ખાઈએ છીએ. એટલામાં બેલ વાગે છે. બારણું ખોલતાં જ ટપાલી ઊભો છે, જે મામાનો એક પત્ર આપે છે અને બીજું એક પેકેટ આપે છે, જેમાં નવું સીવડાવેલું પેન્ટ છે. આમ પાંચેય બાબતો સહેલાઈથી યાદ રહી જાય છે.

હવે વાત આંકડાઓની આવે છે, કેટલાક લોકો એવી ફરિયાદ કરે છે કે બીજું બધું યાદ રહે છે, પણ ટેલિફોનના નંબર, ઘર નંબર, બસના નંબર વગેરે આંકડાઓ યાદ રહેતા નથી. આંકડાઓ યાદ કરવાની પણ કેટલીક પધ્ધતિઓ છે. કેટલીક વાર સાદા સીધા આંકડાઓ પણ આપણા મનમાં ગૂંચવડો ઊભો કરે છે અને એને કારણે સ્મૃતિદોષ સર્જાય છે. અમેરિકાના કેટલાક વિસ્તારોમાં ઘરના નંબરના આંકડા લાંબા હોય છે. એક વાર કે.જી.માં ભણતા બાળકને એની માતા ઘરનો નંબર ગોખાવતી હતી. ‘નાઈન, વન, ઓ, વન, વન.’ બાળક ઘડીવાર વિચારમાં પડયું. પછી એણે પોતાની મમ્મીને કહ્યું, “આઈ મેઈડ ઈટ મોર સિમ્પલ. નાઈન,ટેન,ઈલેવન.”

જીવનમાં ઠેર ઠેર આંકડાઓ સાથે કામ પાડવાનું આવે છે. ટેલિફોન અને ઘરનાં નંબર ઉપરાંત બેંક એકાઉન્ટ નંબર, લાઈસન્સ નંબર, જન્મતારીખો, લગ્નતારીખો, ઐતિહાસિક તવારીખ અને હવે પાસવર્ડ પણ વગેરે યાદ રાખવા માટેની સૌથી સરળ અને સહેલી એક પધ્ધતિ આંકડાઓને અંગ્રેજી મૂળાક્ષરો સાથે જોડી દઈ ૦ થી ૯ વચ્ચેના આંકડાઓને એક સંજ્ઞા આપી દીધા પછી આખી સંખ્યાને એક વાક્યમાં ફેરવી નાખી શકાય. આપણે પોતે પણ થોડીક માથાકૂટ કરી શકીએ. આ જ શબ્દોને પાછા ‘લિંક સિસ્ટમ’ માં પણ ગોઠવી શકાય.

સ્મૃતિ માટે આટલેથી વાત અટકી જતી નથી. આપણે ધારીએ એટલી રીતો વિકસાવી શકીએ છીએ. દિવસ દરમ્યાન અનેક વખત આપણને ખાલી સમય મળતો હોય છે. બસમાં કે સ્કૂટર પર જતી. આવતી વખતે, નહાતી વખતે, જમતી વખતે વગેર અનેક કાર્યો દરમ્યાન દિમાગનો ભરપૂર ઉપયોગ થઈ શકે છે. આઈનસ્ટાઈન કહેતા હતા કે આપણે આપણા દિમાગની શક્તિનો માત્ર ૧૫ ટકા જ ઉપયોગ કરીએ છીએ, બાકીની ૮૫ ટકા વણવપરાયેલી પડી રહે છે. જે લોકો ‘યાદ નથી રહેતું’ એવી ફરિયાદ કરે છે તેઓ વણવપરાયેલી ૮૫ ટકા શક્તિમાંથી માત્ર બીજી ૩૫ ટકાનો ઉપયોગ કરે તોય આ ફરિયાદ રહે નહિ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED