Forgetting is Natural Thing - Divyesh Trivedi books and stories free download online pdf in Gujarati

વિસ્મૃતિ: એક સાહજિક બાબત છે! – દિવ્યેશ ત્રિવેદી

સ્મરણની પ્રક્રિયાને સમજયા પછી વિસ્મરણનો પણ વિચાર કરવો પડે તેમ છે. માણસ ઘણું બધું યાદ રાખી શકે છે એ એક હકીકત છે તો માણસ ઘણું બધું ભૂલી જાય છે એ પણ એટલી જ નક્કર હકીકત છે. વિસ્મૃતિ એ જીવનનો સામાન્ય અને સાહજિક અનુભવ છે. કેટલીક બાબતો પૂરેપૂરી અથવા સદંતર ભૂલાઈ જાય છે, કેટલીક અડધીપડધી ભૂલાઈને ધૂંધળી બની જાય છે ત્યારે કેટલીક વાતો ભૂલાઈ ગઈ છે એવું લાગ્યા પછી થોડાક પ્રયત્ને યાદ પણ આવી જતી હોય છે. ‘એમ્નેશિયા’ કે ‘ફ્યુગ’ તરીકે ઓળખાતી મનોવિકૃતિમાં માણસ પોતાના પૂર્વજીવનની કેટલીક અગત્યની બાબતો અથવા ક્યારેક સમ્રગ પૂર્વજીવન પણ વિસરી જતો હોય છે. હકીકતમાં મનોવિકૃતિ ન હોય એ પણ ઘણું બધું વિસરી જતો હોય છે.

એબિંગહોસ નામના મનોવિજ્ઞાનીએ સ્મૃતિ અને વિસ્મૃતિનો પુષ્કળ અભ્યાસ કર્યો હતો. એણે કેટલાક પ્રયોગો પણ કર્યા હતા. એબિંગહોસનો મત એવો હતો કે વિસ્મરણ ઘણું ઝડપી હોય છે અને સમય જતાં જેનું પ્રમાણ પણ વધે છે. એબિંગહોસનો એક અભ્યાસ એવું કહે છે કે જે બાબત બીજી કોઈક બાબત સાથે સંકળાયેલી હોય એ વધુ યાદ રહે છે. જેમાં આવું કોઈ દેખીતું સાહચર્ય ન હોય એ ઝડપથી વિસરાઈ જાય છે. એવી જ રીતે આપણને જે વાતનો અર્થ સમજાયો હોય એ વધુ સહેલાઈથી યાદ રહે છે. કોઈક નવી ભાષા શીખીએ ત્યારે આવો અનુભવ વિશેષ થતો રહે છે. સંસ્કૃતના જે શ્લોકનો અર્થ બરાબર સમજાય એ શ્લોક સરળતાથી યાદ રહી જાય છે. એવી જ રીતે છંદ અને રાગનું અનુસંધાન પણ યાદ રાખવામાં મદદ કરે છે.

ઘણા માણસો યાદ નહિ રહેતું હોવા માટે અફસોસ કરતા હોય છે. ક્યારેક અફ્સોસ કરવા જેવી પરિસ્થિતિ થતી પણ હોય છે. છેક ટ્રેન ઉપડે ત્યારે યાદ આવે કે ટિકિટ તો ઘેર રહી ગઈ છે! આવે વખતે અફસોસ થાય એ સ્વાભાવિક છે. જો દરેક વસ્તુ અને દરેક પળનો અનુભવ એવો ને એવો યાદ રહેતો હોત તો આપણા મગજ પરનો બોજો બેસુમાર વધી જાત અને આપણે એ જીરવી પણ ન શકત. ખરી વાત તો એ છે કે ઘણું બધું યાદ રાખવા માટે આપણે કેટલુંક ભૂલી જવું જરૂરી બની જાય છે. આપણી યાદ રાખવાની શક્તિનો સદુપયોગ ત્યારે જ થઈ શકે જ્યારે આપણે બિનજરૂરી બાબતોને ભૂલી જઈએ. વ્યવહાર જગતમાં માન-અપમાન અને દુઃખ-સંતાપ જેવી કેટલીક કડવી બાબતોને ભૂલી જવામાં જ સાર છે. કેટલાક માણસો આવી કડવી સ્મૃતિઓને પંપાળી પંપાળીને જીવનને કડવું બનાવી દેતા હોય છે. આવી રીતે રોદણાં રડવાને બદલે અને જીવનને કરુણ બનાવી દેવાને બદલે ભૂલી જવું બહેતર ગણાય. ખરું પૂછો તો આ દ્રષ્ટિએ વિસ્મૃતિ આપણા માટે છૂપા આશીર્વાદ બને છે.

આટલી વાત પરથી સમજી શકાય છે કે સ્મૃતિને તેજ બનાવવા માટે પણ વિસ્મૃતિની પ્રક્રિયાને સમજવી જરૂરી છે. સ્મૃતિ અને વિસ્મૃતિ બન્નેને સમજવા માટે પુષ્કળ પ્રયાસો થયા છે. કેટલીક સમજૂતી વિરોધાભાસી લાગે છે. પરંતુ એક સર્વગ્રાહી નજર કરતાં જે તારણો મળે છે એના પર નજર કરી લેવા જેવી છે.

૧. લોપ અથવા ધોવાણ: Omission or Erosion

સામાન્ય વ્યવહારમાં પણ આપણે એવું અનુભવીએ છીએ કે જે કોઈ વસ્તુ પડી રહે કે વપરાશમાં ન આવે એ પડી પડી ખવાઈ જાય છે. કહેવાય છે કે ચપ્પુ વપરાતું રહે તો જ એની ધાર જળવાઈ રહે, નહિતર બુઠઠી થઈ જાય. સ્મૃતિનું પણ ઘણે અંશે આવું છે. સમય જાય તેમ મગજમાં પડેલી વિગતોનું ધોવાણ થાય છે. મતલબ કે સ્મૃતિરેખાઓનો લોપ થાય છે. એટલે જ કોઈક વ્યક્તિને ઘણા લાંબા સમયે મળીએ ત્યારે એ તરત યાદ આવતી નથી. જે વિગત વારંવાર ઉપયોગમાં આવે એ તાજી થતી રહે છે અને પરિણામે સ્મૃતિ મજબૂત બને છે.

૨. અંતરાય અથવા અવરોધ: Obstacles or Resistance

અગાઉ વાત કરી હતી તે મુજબ કોઈ પણ વિગતનું મગજમાં ધારણ થયા પછી એનું આહ્વાન થાય ત્યારે એ યાદ આવી કહેવાય. ધારણ થયેલું હોય પરંતુ આહ્વાનમાં ક્યાંક અવરોધ નડે ત્યારેય વિસ્મૃતિનો અનુભવ થતો હોય છે. ક્યારેક એકસરખી વિગતો ભેગી થઈ જાય ત્યારે અવરોધ થતો હોય છે. તો ક્યારેક એક સરખા સહચારને કારણે પણ અવરોધ આવતો હોય છે. એક જ દિવસમાં ઉપરાઉપરી બે ફિલ્મો જોવાનો પ્રસંગ આવ્યા હોય અને બન્ને ફિલ્મોમાં મોટા ભાગના કલાકારો સમાન હોય તથા કથામાં પણ સામ્ય હોય ત્યારે બન્ને ફિલ્મના પ્રસંગો કે ગીતોની ભેળસેળ થઈ જતી હોય છે. ઘણી વાર કોઈક વાત બહુ પ્રયત્નો પછીયે તરત યાદ આવતી નથી. થોડી વાર પછી એ અચાનક યાદ આવે છે. એનો અર્થ એ કે વાત મગજમાં તો પડી જ હતી, પરંતુ કોઈક અવરોધને કારણે યાદ આવતી નહોતી. ડેકોર્ટ નામનો તર્કશાસ્ત્રી કહેતો હતો કે આપણા મગજમાં વિચારોની ભીડ છે. કદાચ વિચારોની આ ભીડ જે ટ્રાફિક-જામ સર્જે છે એમાંય આપણે અટવાઈ પડતા હોઈએ એવું બને!

૩. દમન અથવા દબાણ: Oppression or Coercion

કોઈક ઘટનાનો અનુભવ આપણે ભારે માનસિક દબાણ હેઠળ કર્યો હોય ત્યારે પણ એનું સારું ધારણ થતું નથી. આ ઉપરાંત અણગમતી બાબતો, આપણી નિષ્ફ્ળતાઓ, દુઃખદાયક ધટનાઓ કે અપમાનજનક અનુભવો વારંવાર યાદ કરવાનું ભાગ્યે જ કોઈને ગમે છે. કોઈક વ્યક્તિ પ્રત્યે પૂર્વગ્રહો કે અણગમો હોય ત્યારે એને ઘેર લગ્ન લેવાયાં હોય તો તારીખ કે સમય વિસરાઈ જાય છે.

૪. પસંદગીનો અભાવ: Lack of Choice

વિસ્મરણ માટે પસંદગીનો અભાવ પણ દમન અથવા દબાણની જેમ જ કામ કરે છે. મોટે ભાગે તો કોઈ પણ અનુભવ પછી અજાણતાં જ એ અનુભવને યાદ રાખવો કે ભૂલી જવો એની મનમાં ગાંઠ બંધાઈ જતી હોય છે. પસંદગીની વાત યાદ રહી જાય છે અને પસંદગીનો અભાવ હોય ત્યારે એ ઝટ ભૂલાઈ જાય છે.

આમ સ્મૃતિ અને વિસ્મૃતિ બન્નેની પ્રક્રિયાને સમજવી જરૂરી છે. આટલું સમજયા પછી સ્મૃતિ સુધારવા અંગે અને એને તેજ બનાવવા અંગે વિચારી શકાય. સ્મૃતિ સુધારણાનાં બે પાસાંનો વિચાર કરવો પડે. એક પાસું સૈધ્ધાંતિક છે તો બીજું વ્યવહારુ છે. સ્મૃતિ સુધારણાના વ્યવહારુ પાસામાં જ વિવિધ નુસખાઓ અને પ્રયોગોનો સમાવેશ થાય છે. આમાંના કેટલાક નુસખા સિધ્ધ થયેલા છે. છતાં એમાં વ્યક્તિએ વ્યક્તિએ ભેદ જોવા મળે છે. દરેક માણસ જે તે પધ્ધતિમાં પોતાને વધુ અનુકૂળ પડે એ રીતે ફેરફાર કરી શકે છે. પહેલાં સ્મૃતિ-સુધારણાના સૈધ્ધાંતિક પાસાંની અછડતી વાત કરી લેવી જોઈએ.

૧. સ્મૃતિ અને ધ્યાન: Memory and Meditation

કોઈ પણ બાબત પરત્વે જેટલું વધુ ધ્યાન અપાય એટલી સ્મૃતિ મજબૂત બને છે. સ્મૃતિ અને ધ્યાનને ગાઢ સંબંધ છે. ધ્યાન આપવામાં આવે અને એકાગ્રતા કેળવવામાં આવે તો યાદ નહિ રહેવાનું કારણ નથી. ચંચળ સ્વભાવ સારું ધારણ કે સ્થાપન થવા દેતો નથી. ખૂબ ધ્યાનથી વાંચેલું કે સાંભળેલું ઝટ યાદ રહી જાય છે. પણ એ જ વખતે મન બીજે ભટકી જાય તો સ્મૃતિ નબળી પુરવાર થાય છે.

૨. સ્મૃતિ અને રસ: Memory and Interest

વ્યક્તિમાં રહેલી રસવૃત્તિ જીવનનાં અનેક ક્ષેત્રોની માફક સ્મૃતિમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. આમ તો રસ-રુચિ પણ એક પ્રકારે વલણ જ છે. આપણે એવો વહેમ રાખીએ કે આપણને અમુક બાબતોમાં રસ છે અને અમુક બાબતોમાં રસ નથી. હકીકતે કોઈ પણ અનુભવને રસપૂર્વક અને તીવ્રતાથી લેવામાં આવે તો તે સ્મૃતિ પર ખૂબ સારી અસર કરે છે.

૩. સ્મૃતિ અને આવેગ: Memory and Emotions

માણસ લાગણીશીલ પ્રાણી છે. એનું લાગણીતંત્ર ગમે ત્યારે અને ગમે તેવી વાતમાં પણ હાલકડોલક થઈ જતું હોય છે જે વ્યક્તિ પોતાના આવેગો પર કાબૂ મેળવી શકે છે એની સ્મૃતિ તેજ જોવા મળે છે. ઘણી વાર ગુસ્સામાં સામી વ્યક્તિ શું બોલી એ તો ઠીક, આપણે ખુદ શું બોલી ગયા એ પણ આપણને યાદ નથી આવતું હોતું. સ્થિર અને શાંત પ્રકૃતિ સ્મૃતિ માટે ખૂબ ઉપયોગી પુરવાર થાય છે.

૪. સ્મૃતિ અને પુનરાવર્તન: Memory and Repetition

જે વસ્તુ યાદ રાખવાની હોય એનું જેટલું વધુ પુનરાવર્તન થાય એટલી દ્રઢ થાય છે. દરરોજ બોલતી કે સાંભળવા મળતી પ્રાર્થના આપણને અક્ષરશઃ યાદ રહી જતી હોય છે.

૫. સ્મૃતિ અને સહચાર: Memory and Associations

કેટલીક બાબતો યાદ રાખવા માટે એને બીજી કોઈક બાબત સાથે જોડી દેવાનો પ્રયોગ અનેક રીતે ઉપયોગમાં લેવાય છે. કોઈક વસ્તુ યાદ રાખવાની હોય તો એને માટે કોઈક સહચાર શોધી કાઢવાથી ખૂબ મદદ મળે છે. આ જ રીતે આપણને એક શબ્દ સાંભળતાં બીજો શબ્દ તરત યાદ આવે છે. બહાર જતી વખતે ટપાલ નાંખવાની હોય અને એવી વાતો ભૂલાઈ જતી હોય તો હાથરૂમાલની ગાંઠ વાળવાનો નુસખો ઘણા અપનાવતા હોય છે. સામાન્ય રીતે આપણે હાથરૂમાલની ગાંઠ બાંધી રાખતા નથી. ગાંઠ હાથમાં આવે એટલે તરત જ એની સાથે જોડાયેલી ટપાલ યાદ આવી જાય છે.

૬. સ્મૃતિ અને તર્ક: Memory and Reasoning

જે વાત યાદ રાખવાની હોય એને કોઈક તર્ક વડે બાંધવાથી પણ એ સારી રીતે યાદ રહે છે. ગુજરાતી વ્યાકરણ શીખવતી વખતે વિદ્યાર્થીઓને નામના પ્રકાર યાદ રહેતા નહોતા. એમને એક શબ્દ આપવામાં આવ્યો ‘વ્યજાભાદ્રસ.’ આ શબ્દનો દરેક અક્ષર નામનો પ્રકાર કહી દેતો હતો–વ્યક્તિવાચક, જાતિવાચક, ભાવવાચક, દ્રવ્યવાચક અને સમૂહવાચક. એવું જ સુંદરમનું કાવ્ય ‘અનુસ્વારાષ્ટક’ છે. અનુસ્વારના બધા જ નિયમો કાવ્યસ્વરૂપે મૂકવામાં આવ્યા છે, જે સહેલાઈથી યાદ રહે છે. તર્કમાં અર્થ પણ સમાઈ જાય છે. પ્રયોગોએ સાબિત કર્યું છે કે નિરર્થક શબ્દો કરતાં અર્થપૂર્ણ શબ્દો વધુ સારી રીતે યાદ રહે છે.

૭. સ્મૃતિ અને અર્ધજાગ્રત મન: Memory and Subconscious Mind

મનોવિજ્ઞાની ડૉ. સિગ્મંડ ફ્રોઈડે જાગ્રત અને અર્ધજાગ્રત મનની સમજ આપીને સ્મૃતિને સમજવામાં ઘણી મદદ કરી છે. ફ્રોઈડના મતે જાગ્રત મનનો વિસ્તાર ઘણો નાનો છે. અર્ધજાગ્રતનો એથી થોડો વધારે છે અને અજાગ્રતનો ખૂબ મોટો છે. આપણે જેને ભુલાઈ ગયેલું માનીએ છીએ એ હકીકતે તો અજાગ્રત મનના ગોડાઉનમાં ભરાઈ ગયું હોય છે. અર્ધજાગ્રત મનનો સૌથી સારો ઉપયોગ કરી શકનાર સ્મૃતિની લડાઈમાં જીતી જાય છે. મન વિષે ફરી ક્યારેક વાત કરી શકાશે. પરંતુ અર્ધજાગ્રત મનનો ઉપયોગ કરવાની વાત સુધારણાનાં વ્યવહારુ પાસાંની ચર્ચામાં આવશે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED