Featured Books
શ્રેણી
શેયર કરો

દરિયાના પેટમાં અંગાર - 13

2019નું વર્ષ એ ચૂંટણીનું વર્ષ છે. એટલે વાયદા અને વિકાસની વાતો તો થશે જ. આપણ પણ ભારતદેશની ચૂંટણી વાયદા પર જ જીતવામાં આવે છે. એમાં પણ જો સરકાર કે વિપક્ષ મફત આપવાની જાહેરાત કરે એટલે સરકાર એમના હાથમાં જ પ્રજા આપી દે. દેશના સળગતા મુદ્દાને કોઈ પણ પક્ષ કે નેતા જાહેરમાં ઉપાડવા માટે સક્ષમ નથી. દેશને મંદિર અને મસ્જિદના નામ પર અને નામકરણના નામ પર ગુમરાહ કરવામાં આવે છે.


હાલમાં જ ભારત સરકાર દ્વારા 2019નું બજેટ રજૂ કરવામાં આવ્યું. અનેક હૈયાધારણા સાથે પ્રજામાં રહેલા કામચલાઉ અર્થશાસ્ત્રીઓ જેમ વરસાદ થાય અને દેડકાં બહાર આવે એ જ રીતે આ બધા ધુરંધરો બજેટ સમજાવવા મેદાનમાં આવી ગયા છે. આ એ જ લોકો છે જે નોટબંધીના ફાયદા ગણાવવા મેદાનમાં આવી ગયા હતા. ભ્રષ્ટાચાર રોકાશે, બ્લેક મની બહાર આવશે, આંતકવાદ કાશ્મીરમાં ખતમ થઈ જશે, જીડીપી દર ઉંચો જશે આવા અનેક તર્ક સાથે આ મહાન વિભૂતિઓ બહાર આવી હતી. જ્યારે 50 દિવસ નોટબંધીને આપ્યા પછી જીડીપી દર નીચો ગયો, બેરોજગારી વધી, રૂપિયાનું ડોલર સામે ધોવાણ થયું અને હજુ સુધી બ્લેક મની તો આવી જ નથી. હા, નોટબંધીમાં જૂની 500 અને 1000 ની નોટ લગભગ 97 ટકા જેટલી પછી આવી ગઈ છે. આ અર્થશાત્રીઓને એટલું પૂછવું છે કે નોટબંધીનો લાભ આવતી પેઢીને મળશે ખરો? કે પછી એને પણ રાહ જોવી રહેશે.


તાજેતરમાં જ એક સર્વે બહાર આવ્યો અને એમાં જણાવવામાં આવ્યું કે છેલ્લા 45 વર્ષનો રેકોડ તોડી બેરોજગારીનો દર ઉંચો ગયો છે. આ સરકારની નિષફળતાને બતાવવા આંકડા છે. આ વધતી જતી બેરોજગારીને ડામવા નિષફળ રહેલ સરકાર કે ખોટી વાહ વાહી કરતા પીઠુઓ માટે આ આંકડા ખોટા છે એવી વાતો કરવામાં આવે છે. તો શું સરકારની વાહ વાહી કરે એ જ આંકડા સાચા? વિકાસના ચશ્મા પહેરાવી પ્રજાને સૂકું ઘાસ લીલું ઘાસ છે એ બતાવવામાં આવે છે. પોતાના દમ પર જે રોજગાર ચાલુ હતો એને નોટબંધીએ છિન્નવી લીધો છે.


2 કરોડ યુવાનોને રોજગાર આપવાની વાત હતી અને સત્તા મળતા પકોડાની લારી ચલાવવાની શિખામણ આપવામાં આવી. હમણાં જ ગુજરાતમાં અનેક કંપનીમાં આવી અને વાઇબ્રન્ટ ગુજરાતની અનેક એમઓયુ કરવામાં આવ્યા. આવું મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી કરવામાં આવે છે. જો અનેક કંપની આવી અને ગુજરાતમાં પાયા નાખ્યા હોઈ તો કેમ આટલી બેરોજગારી છે? અત્યારે એન્જીનીયર કક્ષાનો યુવાન આઠ હજાર પગારમાં બાર કલાક મહેનત કરે છે. શુ એની ડીગ્રીને સમકક્ષ એ જોબ છે ખરી? અનેક રૂપિયાનું ડોનેસ આપ્યા પછી જો પોતાના લેવલ પ્રમાણે નોકરી ન મળે તો એ યુવાન આત્મહત્યા કરે એવા અનેક બનાવ આપણી સામે બની ચુક્યા છે.


દેશના મુખ્ય સળગતા પ્રશ્ન એક બાજુ છે અને બજેટ કઈ રીતે પ્રજાને લાભદાયક થાય એ બનાવતી પ્રચારનો સિલસિલો ચાલશે અને પ્રજા ફરી મૂર્ખ બની જ્યાં હતી ત્યાં જ આવી જશે. મુખ્ય મુદ્દો બેરોજગાર રખડતા યુવાનો છે. જે રોજ રોજ વિદેશ તરફ પ્રયાણ કરી રહ્યા છે. અહીં એમની બુદ્ધિપ્રતિભાને ક્યારેય આ સિસ્ટમ અને નેતાઓ એક તક નહિ આપી શકે. થોડા દિવસ પહેલા જ 10 ટકા સુવર્ણ જ્ઞાતિને અનામત આપવામાં આવી અને જે નબળા વર્ગના છે જેમની આર્થિક સ્થિતિ નબળી છે. આવક મર્યાદા પણ 8 લાખની કરવામાં આવી છે. તો પ્રશ્ન એ છે કે એકબાજુ આ બજેટમાં તમે 5 લાખ ઉપરની આવક ધરાવો તો ટેક્સ ભરવો પડે અને બીજી બાજુ 8 લાખ સુધીની આવક ધરાવતા લોકો આર્થિક રીતે પછાત દર્શાવતી અનામત આપવામાં આવી. તો આ ધારાધોરણ મુજબ ગરીબ કોણ છે? જો અનામત નો પણ લાભ મળી જાય જેતે હોશિયાર યુવાનને તો નોકરી ક્યાં છો?


બેરોજગારી, ગરીબી અને ભૂખમરો એક જ દુષણ થી પેદા થાય છે જેને ભ્રષ્ટાચાર કહેવામાં આવે છે. ભ્રષ્ટાચાર નેતાઓનો સાવકો દીકરો છે. જે રાજનીતિની આંગળી પકડી ચાલતા શીખ્યો છે. અત્યારે ખૂબ મોટો થયો એટલે પ્રજાના હકનું પણ પોતે હજમ કરવામાં પળભર માટે પણ વિચારતો નથી. ભૂખ અને ભણેલો યુવાન જ્યારે બાગી બની જાય છે ત્યારે એ ફક્ત પોતાનું વિચારતો થઈ જાય છે. એને દેશ અને સમાજ સાથે પછી કોઈ સંબંધ રહેતો નથી. પોતાને જે સહારો આપે એ જ એના માટે મહાન હોઈ છે.


આઝાદીના 72 વર્ષ થયાં છતાં આપણે આપણું જીવનધોરણ ઉપર નથી લાવી શક્યા. હજુ પણ ઓડિસ્સા, છત્તીસગઢ, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ જેવા રાજ્યમાં માણસ પેટ ભરવા માટે લૂંટ કરે છે. 72 વર્ષમાં આપણે પ્રજાનું પેટ નથી ભરી શક્યા અને વાતો થાય છે વિશ્વગુરુ બનવાની. 1947 થી લઈને 2019 સુધીમાં બેરોજગારી, ગરીબી અને ભૂખમરો વસ્તીના પ્રમાણમાં ઘણો વધી ગયો છે. દેશના દસ કે પંદર લોકો આગળ આવે એટલે પ્રજાનું જીવનધોરણ સુધરીયું છે એવું ન કહી શકાય.


પુરા દેશમાં અત્યારે યુવાનો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે અને તમે કહો છો અમે રોજગારીની તકો ઉભી કરી છે! નવ હજારની ભરતીમાં લાખો ફોમ ભરાય અને એ પરીક્ષાનું પેપર એક નાનો કાર્યકર લીક કરી નાખે. જ્યાં સિસ્ટમ જ પોતાના અંગત લોકો માટે હોઈ ત્યાં દેશના યુવાનોને રોજગારીની આશા રાખવી ખૂબ જ વ્યર્થ છે. વિદેશી કંપનીને બોલાવવામાં અનેક રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે. એ જ રૂપિયા ભારતના વિકાસમાં ખરેખર ફળવવમાં આવે એક પણ પ્રકારના ભ્રષ્ટાચાર વગર તો દેશના યુવાનોને વિદેશમાં નોકરી કરવા માટે ધક્કા ન ખાવા પડે.


ખુરશીના ખેલમાં જ્યાં પોતાની આબરૂ પણ દાવ પર લગાવી દેતા નેતાઓ અને એને ચૂંટતી પ્રજા હોઈ ત્યાં સુધી આ દેશના મુખ્ય સળગતા પ્રશ્ન ક્યારેય ઠરવાના નથી. એટલે કહું છું જાગો યુવાનો અને આ ઇજારો બની ગયેલ સિસ્ટમનો નાશ કરો. ઉજ્જવળ ભવિષ્ય તમારી રાહ હોઈ રહ્યું છે.


કલોઝ અપ:


દેશનો ભણેલો યુવાન જ્યારે અંગૂઠાછાપ નેતાને દેશનું પ્રતિનિધિત્વ આપે છે ત્યારે એ દેશ સોમાલિયા બની જતો હોય છે.

(ક્રમશ:)