Jivan ane Jagat Arajak Hoi Shake – Divyesh Trivedi books and stories free download online pdf in Gujarati

જીવન અને જગત અરાજક હોઈ શકે? – દિવ્યેશ ત્રિવેદી

એક મિત્ર તેમના યુવાન પુત્રની સમસ્યાથી ચિંતિત છે. એમના કહેવા મુજબ તેમના ટીકુરાએ ભણવાનું છોડી દીધું છે. એ કહે છે કે ભણવાનું કોઈ જ પ્રયોજન નથી. એના જીવનમાં વ્યવસ્થા જેવું કંઈ જ નથી. રાત્રે મોડા સુધી જાગે છે, ટી.વી. જુએ છે અથવા મેગેઝીન વાંચે છે. સવારે ગમે તેટલા વાગે ઊઠે છે. જમવાનું અનિયમિત છે અને એનો રૂમ તો જાણે ઉકરડો હોય એવું લાગે છે. જીવનમાં વ્યવસ્થા જેવું પણ કંઈક છે એવું એને સમજાવવાનો પ્રયત્ન કરીએ ત્યારે એ કહે છે કે, “જીવનનું શું પ્રયોજન છે…?” ગમે તેટલા વ્યવસ્થિત થઈએ, કમાઈએ કે તમે જેને પ્રગતિ કહો છો એ હાંસલ કરીએ તો પણ ક્યારેક તો મરવાનું છે. કોઈ કશું જ ન કરે તો પણ આ જગત ચાલવાનું છે. આ જગતમાં બધું જ આડેધડ ચાલે છે.

જે લોકો કશુંક પ્રાપ્ત કરવા મથે છે એ પણ છેવટે તો ક્યાંય પહોંચતા નથી. તો પછી શા માટે ખોટા ઉધામા કરવા….? આ જીવન એક અકસ્માત જ છે. એમાં ક્યાંય કોઈ વ્યવસ્થા નથી અને ક્યાંય પહોંચવાનું નથી. એથી મને મારી રીતે જીવવા દો અને તમે નાહક ચિંતા ન કરો.

ઘડીભર તો લાગે છે કે એ એની રીતે સાચો છે. આ જીવનનું કોઈ પ્રયોજન નથી. પ્રયોજન ઊભા કરીને આપણે તો મૃત્યુ સુધીનો સમય પસાર કરીએ છીએ. આ જીવન અને જગત એક લક્ષ્યહીન અરાજકતા જ છે. પરંતુ આવા તર્કને સ્વીકારવાને બદલે થોડું ગંભીરતાથી વિચારવા જેવું છે. એવા વિચારના નિષ્કર્ષ પર જ અવનવી દિશાનો આધાર છે. એનું કારણ એ છે કે આપણે જેવો નિષ્કર્ષ તારવીએ છીએ અને સ્વીકારીએ છીએ એવી જ જીવનની દિશા અને દશા થઈ જાય છે.

આવું વિચાર કરનારો આવો આ કોઈ એકલ દોકલ યુવાન નથી. ઘણા આવું વિચારે છે અને વર્તે છે. કેટલાક પ્રતિષ્ઠિત વિચારકો પણ આવો જ મત ધરાવતા હોવાનું જોવા મળ્યું છે. આવું વિચારનારા સાચા હોય કે ખોટા એ મહત્વનું નથી. મહત્વની વાત એ છે કે આવી વ્યક્તિઓનું જીવન અરાજક જરૂર બની જાય છે. એનો વિચાર બાકીના જગતને પ્રભાવિત કરે ના કરે, પરંતુ એના પોતાના જીવન પર અચૂક અસર કરે છે.

જે કોઈ એમ જ માને કે આ જીવન અને જગત સાવ અરાજક અને લક્ષ્યહીન છે તો એનું જીવનનું કેન્દ્ર પણ વેરવિખેર થઈ જતું હોય છે. એ પછી જીવનની એવી ઘટનાઓ સંજોગો કે અકસ્માત બની જાય છે. પછી કોઈ સારું વર્તન કરે કે ખરાબ, જીવે કે મરે એની પાછળ કોઈ પ્રયોજન કે કોઈ જ એક્સૂત્રતા રહેતી નથી. એટલે કદાચ એમ કહી શકાય કે આવું કહેનારાઓ અને વિચારનારાઓ જ જગતને અરાજક બનવાની સગવડ કરી આપે છે.

મજા એ વાતની છે કે જગત અને જીવનને અરાજક કહેનાર વ્યક્તિની ચેતના પણ એ વાતનો સ્વીકાર કરતી નથી. એનું કારણ એ છે કે આવું વિચારનારાઓ જીવન અને જગત અરાજક છે એ વાત પણ અત્યંત તર્કબદ્ધ રીતે પુરવાર કરવાની મથામણ કરતા હોય છે. જીવન અને જગતને અરાજક સાબિત કરવા માટે પણ તેઓ સુસંગત તર્કની એક ચોક્કસ વ્યવસ્થા ઊભી કરે છે. તેમનો વિરોધ કરવામાં આવે તો તેઓ પોતાની વાતને પ્રતિપાદિત કરવા માટે વધુ મજબૂત તર્ક શોધી લાવે છે. તેઓ પોતાની એ વાત ભૂલી જાય છે કે જગત અરાજક જ છે તો કોઈને સમજાવવાનો પ્રશ્ન નથી. કોઈ ખોટું નથી કોઈ સાચું નથી. અરાજકતામાં કશું જ સત્ય કે અસત્ય નથી હોતું. સત્ય અને અસત્ય તો વ્યવસ્થાની જ નીપજછે. પરંતુ એ પણ આડકતરી રીતે વ્યવસ્થાનો સ્વીકાર કરે છે. એમની ચેતના ઊંડે ઊંડે અવ્યવસ્થાનો સ્વીકાર નથી કરી શકતી.

સાચું પૂછો તો આજ સુધી જગતમાં એવી કોઈ વ્યક્તિ જન્મી નથી જે મનમાં ઊંડાણમાંથી અવ્યવસ્થાથી ખુશ હોય. એને જ્યારે અ-પાપની લાગણી થાય છે ત્યારે એ પણ વ્યવસ્થાનો પ્રશ્ન પૂછે છે. આવી વ્યક્તિ જીવનમાં તો હોય, વૈચારિક સ્તરે પણ અવ્યવસ્થાનો સ્વીકાર કરતી હોય તો પણ એણે વિચારમાં પણ વ્યવસ્થાનું નિર્માણ કરવું પડે છે.

મનોવૈજ્ઞાનિક કસોટીઓએ સિદ્ધ કર્યું છે કે મોટે ભાગે આપણે જે વિચારીએ છીએ અને શબ્દો દ્વારા વ્યક્ત કરીએ છીએ એનાથી તદ્દન ઊલટી જ વાત…… આપણા દિલમાં કે અંતર્મનમાં હોય છે. બહારથી અવ્યવસ્થાની વાત કરનારનું ચિત્ત પણ અંદરથી તો વ્યવસ્થાની જ ઝંખના કરતું હોય છે. સાચી વાત એ છે કે વ્યવસ્થા વિના શાંતિ કે તૃપ્તિ નથી. આખું જગત એક પ્રકારની વ્યવસ્થા મુજબ ચાલી રહ્યું છે.

દરેક વસ્તુ પાછળ આયોજન છે. ક્યારેક એ વ્યવસ્થા નરી આંખે ન દેખાતી હોય તો પણ એની ગેરહાજરી જ છે એમ માની લેવામાં મોટી ભૂલ થાય છે. નાનકડા પરમાણુથી માંડીને આપણું સમગ્ર શરીર અને આકાશના ચાંદ-તારા સહિત સર્વત્ર વ્યવસ્થા અને આયોજન જોવા મળે છે. જગત વસ્તુઓથી ભરેલું હોવા છતાં તે વસ્તુથી વિચાર અધિક જ છે. એનું કારણ એ છે કે વસ્તુ અલગ અલગ ટુકડાઓમાં પણ હોઈ શકે છે. પરંતુ વિચાર મૂળભૂત રીતે એક સંયોજન છે. વિચારની એક ચોક્કસ પધ્ધતિ હોય છે. જેમ કે આપણો હાથ છે અને પાંચ આંગળીઓ છે. એવી જ રીતે પગ, માથું અને આખું શરીર છે. તો આ બધાં જ અંગો માત્ર વસ્તુ હોત તો આપણી વચ્ચે કોઈ એકતા કે કોઈ સંયોજન ન હોત, પરંતુ એવું નથી. મનમાં કોઈ વિચાર જન્મે છે અને હાથ એ વિચારને પૂરો કરવા ઊંચકાય છે. ગુસ્સો મનમાં ઊઠે છે અને હાથ થપ્પડ મરવા તૈયાર થઈ જાય છે. મનમાં ક્યાંક જવાની ઈચ્છા જાગે છે અને પગ ચાલવા તૈયાર થઈ જાય છે. એવી જ રીતે કાન કંઈક સાંભળે છે અને આંખ એ જોવા તત્પર થઈ જાય છે. આવું એટલા માટે બને છે કે આ બધા અંગોની વચ્ચે સંયોજન અને અંતર્વ્યવસ્થા છે. દરેક અંગ સ્વતંત્ર હોત તો શરીરની ક્રિયાઓ ચાલતી જ ન હોત. તે ચાલે છે એનું કારણ એક અંતર્વ્યવસ્થા અને આવયવિક એકતા છે.

આગળ વધીને કહીએ તો આપણે જેને ઈશ્વર કહીએ છીએ તો કોઈ વ્યક્તિ નથી, પરંતુ જગતની અંતર્વ્યવસ્થાનું નામ જ ઈશ્વર છે. બધી જ ચીજોને જોડતી કોઈ અદ્રશ્ય કડી એ જ અંતર્વ્યવસ્થા છે. કોઈ પણ માણસનો હાથ કાપી નાખવામાં આવે તો એ હાથ શરીરથી અલગ થઈ જશે. પરંતુ હાથને શરીર સાથે જોડતી કડી હાથમાં નહીં આવે. એટલે કહી શકાય કે આવી અંતર્વ્યવસ્થા અદૃશ્ય છે. આવી અદ્રશ્ય વ્યવસ્થા ન હોત તો મનમાં આવેલા વિચાર સાથે જ હાથનું હલનચલન આપોઆપ ન થતું હોત. ખાલી અંતર્વ્યવસ્થા ખોરવાઈ જાય એ સ્થિતિને જ આપણે ‘લડવાની’ સ્થિતિ કહીએ છીએ. એ દૃષ્ટિએ જોઈએ તો જગતમાં જે લોકો અંતર્વ્યવસ્થાને નથી જોઈ શકતા કે નથી પારખી શકતાં તેઓ એક લકવાગ્રસ્ત જગતને જ જુએ છે. જેની નજરમાં આવું જગત લકવાગ્રસ્ત હોય એ વ્યક્તિ પણ લાંબા ગાળે લકવાગ્રસ્ત બની જાય છે.

એ રીતે જોતાં તો આ આખું જગત કંઈક અંતર્વ્યવસ્થાથી બંધાયેલું ન હોત તો સમગ્ર જગતમાં સાથ સહકાર વિના એક પાંદડું પણ હાલી શકતું ન હોત. સમગ્ર જગતનો સહયોગ ન હોય તો એક શબ્દ પણ માણસ બોલી શકતો ન હોત. ક્યારેક સૂર્ય ઉગવાનું ભૂલી જાય તો શું થાય એ વિચારવા જેવું છે. શ્વાસ ઠરી જાય અને જીવન દફન થઈ જાય. જોજનો દૂર રહેલા સૂર્ય સાથે આપણા શ્વાસ જોડાયેલા છે. સૂર્ય નથી ઊગ્યો અને નથી ઊગવાનો કે સૂર્ય ઠરી ગયો છે. એવું જાણવા માટે પણ આપણે બચીએ નહીં. આવું બધે જ છે. ટૂંકમાં કહેવું પડે કે આ જગત અને જીવન એક આંતરસંબંધ છે. જગત એ દૃષ્ટિએ પરસ્પરાધારિત એવો એક પરિવાર છે.

આવી અંતર્વ્યવસ્થાનો ઈન્કાર કરવો એનો અર્થ એ થાય કે પ્રત્યેક સ્વતંત્ર એકમ છે – એક અણુ છે. પ્રત્યેક વ્યક્તિ જ નહીં, શરીરના પ્રત્યેક કોષ પણ આણવિક બની જાય તો અસ્તિત્વ વેરવિખેર થઈ જાય. પરંતુ માણસની ચેતના એનો સ્વીકાર કરી શકે જ નહીં. ચેતના તો સતત વ્યવસ્થાની જ માંગ કરે છે. તેથી કહી શકાય કે પોતાના જીવનમાં જે વ્યવસ્થાનો ઈન્કાર કરે છે તે ચેતનાની માગણીનો જ અસ્વીકાર કરે છે.

સહેજ સાથે બુદ્ધિથી વિચારીએ જગતમાં જે કંઈ દેખાય છે એ બધું જ કોઈ અકસ્માતને કારણે બન્યું નથી એ વાત સહેલાઈથી સમજી શકાય છે. વ્યવસ્થા વિના કદી કોઈ સર્જન થઈ શકતું નથી. આખી પૃથ્વી પર બે મનુષ્યો એકસરખા નથી, અરે… બે વૃક્ષ કે બે પાંદડાં પણ એકસરખા નથી હોતા. કુદરત પાસે જે રંગછેટા છે એનો ગમે તેટલા પ્રયાસો કર્યા પછી પણ મુકાબલો થઈ શકતો નથી. માણસ કે પશુના શરીરમાં વહેતા લોહીની જ વાત કરીએ તો એ શરીરના વ્યવસ્થાતંત્રની જ નીપજ છે અને વિજ્ઞાને આટલી બધી પ્રગતિ કરી હોવા છતાં કૃત્રિમ લોહી હજુ સુધી બનાવી શકાયું નથી. કદાચ બનશે તોય એની કૃત્રિમતા છાની નહીં રહે. જગતમાં કશું જ અકસ્માતે બનતું નથી. અકસ્માત દેખાતો હોય એની પાછળ પણ કોઈક વ્યવસ્થા હોય જ છે.

જીવનમાં અવ્યવસ્થાનો ઈન્કાર કરીને અરાજકતા લાવી શકાતી હોય તો પણ એમાં કોઈક વ્યવસ્થા તો હોય છે. તો પછી અનિચ્છાએ વ્યવસ્થાનો સ્વીકાર કરવા કરતાં ઈચ્છાથી વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં શું વાંધો હોય…..?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED