Vikrut Vasna - Divyesh Trivedi books and stories free download online pdf in Gujarati

વિકૃત વાસના - દિવ્યેશ ત્રિવેદી

મળસકે ચાર વાગ્યે ફોનની ઘંટડી રણકી ઊઠી. રિસીવર કાને સ્પર્શે એ પહેલાં જ સામે છેડેથી અવાજ આવ્યો, “હું સુધા બોલું છું… હલ્લો…” વાત સાંભળી લીધા પછી રિસીવર પાછું મૂકવાની પણ હામ રહી નહોતી.

સુધાભાભી અમારાં સગાં તો નથી, પરંતુ કેટલીક વાર પડોશીઓ સાથે પણ સગાં જેવો સંબંધ બંધાઈ જતો હોય છે. પહેલાં અમે નારણપુરા રહેતાં હતાં ત્યારે સુધાભાભી અમારી નીચેના ફ્લેટમાં રહેતાં હતાં. કોઈક કારણસર એ પહેલી વાર અમારે ઘેર આવ્યાં ત્યારે એમનો ચહેરો જોઈને જ લાગ્યું હતું કે, આ સ્ત્રી સતત કોઈક મૂંઝવણમાં રહેતી હોવી જોઈએ. પરંતુ કોઈને સીધું જ થોડું એવું કંઈ પૂછાય છે?

પછી તો અવારનવાર તેઓ અમારે ત્યાં આવતાં. એમના ચહેરા પર અંકાયેલી પેલી મૂંઝવણ રેખાઓ દિવસે દિવસે વધુ તંગ બનતી જતી હોય એવી પ્રતીતિ થતી જતી હતી. એ દિવસે સુધાભાભીના ગયા પછી મેં મારી પત્નીને મારી લાગણી કહી. એને પણ એવું જ લાગતું હતું. પણ એમ સીધે સીધું કોઈને એના અંગત પ્રશ્ન વિષે પૂછવું અમને બન્નેને વાજબી નહોતું લાગતું. વાતવાતમાં એમના વિષે એટલું જ જાણી શકાયું હતું કે પતિ-પત્ની અને ત્રણ વર્ષનો બાબો એમ નાનકડા પરિવારને આર્થિક રીતે કોઈ સમસ્યા નહોતી. એમના પતિ કોઈક ખાનગી કંપનીમાં સેલ્સ મેનેજર હતા. સુધાભાભી પણ સુખી ઘરમાંથી આવતાં હતાં. લાંબી કૌટુંબિક જંજાળ પણ નહોતી. તો પછી એમના ચહેરા પર …?

થોડા દિવસ પછી અચાનક પત્નીએ વાત છેડી, “આપણી ધારણા સાચી હતી. સુધાભાભી બિચારાં બહુ દુઃખી છે. આજે બપોરે એ આવ્યાં હતાં. મેં અમસ્તું જ એમને પૂછ્યું તો એ રડી પડ્યાં. પછી તો ધીમે ધીમે એમણે બધી જ વાત કરી. એમના પતિ નયનભાઈ પણ ખરા છે…! તમને નવાઈ લાગશે પણ એમના પતિને સ્ત્રી બનવાનો શોખ છે!”

વાત આઘાતજનક હતી. એણે માંડીને વાત કરી. સુધાભાભીનાં ચારેક વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં. નયનભાઈ ખૂબ સારું ભણેલા હતા. ઘર પણ સુખી હતું. એમનો સ્વભાવ પણ માયાળુ હતો. એ સુધાભાભીને ખૂબ સારી રાખતા હતા. એ વખતે સુધાભાભીને એક જ મૂંઝવણ હતી. બેડરૂમમાંના એક કબાટની ચાવીને નયનભાઈ જીવની માફક સાચવતા હતા. બે - ચાર વખત સુધાભાભીએ એ વિશે પૂછવાનો પ્રયત્ન કર્યો ત્યારે નયનભાઈએ એમ કહીને વાત ટાળી દીધી હતી કે, એમાં ઓફિસના અને બાપુજીના મકાનના જરૂરી કાગળો અને દસ્તાવેજો મૂકેલા છે. પરંતુ એથી ચાવી સાચવી રાખવાનું રહસ્ય ઉકલતું નહોતું.

સુધાભાભી સુવાવડ પર ગયાં. ત્રણેક મહિના પછી પાછાં ફર્યા ત્યારે નયનભાઈ ઘરમાં નહોતા. સરપ્રાઈઝ આપવા માટે જ એ અગાઉથી જાણ કર્યા વિના આવ્યાં હતાં, ઘર પ્રમાણમાં વ્યવસ્થિત હતું. સુધાભાભી ઘરમાં આંટા ફેરા કરતાં હતાં ત્યાં એમની નજર પેલી ચાવી પર પડી. કશાય દેખીતા કારણ વિના એ ઉત્તેજિત થઈ ગયાં અને કબાટ ખોલ્યું. એમને બહુ નવાઈ લાગી એમના મગજમાં ગડભાંજ ચાલી. કબાટમાં સ્ત્રીઓનાં જાતજાતનાં વસ્ત્રો હતાં. એમણે બધું જ હતું તેમ મૂકી દીધું.

સાંજે નયનભાઈ આવ્યા ત્યારે એમણે બહુ સાહજિક વર્તન કર્યું. રાત્રે સૂતી વખતે સુધાભાભીએ બહુ સાવચેતીપૂર્વક કબાટની વાત છેડી. નયનભાઈએ પહેલીવાર મન ખોલ્યું. એમણે કહ્યું કે ઘણીવાર મને સ્ત્રીનાં વસ્ત્રો પહેરવાની, સ્ત્રીની જેમ શણગાર સજવાની અને ક્યારેક તો એ રીતે તૈયાર થઈને બહાર નીકળવાની અદમ્ય ઈચ્છા થઈ આવે છે. આ વાત એવી છે કે કદી કોઈને કહી શકાય નહીં. આપણાં લગ્ન નહોતાં થયાં ત્યારે હું દરરોજે રાત્રે આવી રીતે તૈયાર થઈને સૂઈ જતો હતો. સ્ત્રીના વસ્ત્રો અને ઘરેણાં પહેરું ત્યારે બહુ શાંતિ અનુભવાતી અને જાતીય રીતે ઉત્તેજના પણ થઈ આવતી. મને મનોમન થતું કે મારા માટે આ સારું નથી. મારે આમાંથી બહાર નીકળવું જોઈએ, પરંતુ હું મારી જાત સામે અદમ્ય ઈચ્છાઓ અને માનસિક દબાણની સામે લાચાર બની જતો. મારી સમસ્યા એ હતી કે હું કોઈને કહી પણ શકતો નહોતો. છેવટે એક મેગેઝિનમાં આવતી ‘સલાહ સૂચન’ની કોલમમાં મેં નનામો પ્રશ્ન પૂછ્યો. બીજા અંકમાં એનો જવાબ આવ્યો હતો કે, આ એક માનસિક વિકૃતિ છે અને તમે મનોમન એનો પ્રતિકાર કરો. તમે પુરુષ છો એને તમારે પુરુષ તરીકે જ જીવવું જોઈએ. શક્ય હોય તો તમે લગ્ન કરી લો. એ પછી જ મેં લગ્નનો વિચાર કર્યો. સાચું કહું તો લગ્ન પછી મેં મારી જાત પર બહુ કાબૂ રાખ્યો છે. છતાં ક્યારેક ક્યારેક હું તારી જાણ બહાર અડધી રાત્રે ઊઠીને સ્ત્રીનાં વસ્ત્રો અને ઘરેણાં પહેરી લેતો હતો.

બન્ને વચ્ચે એક વખત રહસ્યનો પડદો ખૂલી ગયા પછી વાત ઠેકાણે આવવાને બદલે આડે પાટે ચડવા માંડી. હવે તો ક્યારેક ક્યારેક નયનભાઈ સુધાભાભીને સમજાવીને એમની હાજરીમાં જ સાડી, ચણિયો, બ્લાઉઝ વગેરે પહેરતા, શણગાર સજતા અને પછી એ જ વેશે સૂઈ જતા. આવું અવારનવાર બનતું રહ્યું. સુધાભાભીએ માન્યું કે આ રીતે પણ જો એમના મનને સુખ મળતું હોય તો કંઈ વાંધો નહીં.

સુધાભાભીની આ ઉદારતાએ નયનભાઈને જાણે વધુ મુક્તિ આપી. એમણે હવે સુધાભાભીને એવો આગ્રહ કરવા માંડ્યો કે તું મને ‘નયના’ કહીને બોલાવ. થોડા સમય પછી એમણે એક ડગલું મૂકીને કહ્યું કે, મને આ રીતે છૂપાઈને સ્ત્રી વેશે ફરવાનું નથી ગમતું. હું જાહેરમાં સ્ત્રી તરીકે ફરવા માંગું છું. મને મારી આબરૂની પણ ચિંતા નથી. શક્ય હોય તો હું જાતિ-પરિવર્તન કરાવવા માંગું છું. સુધાભાભીએ આ વખતે જબરદસ્ત પ્રતિકાર કર્યો. એમણે કહ્યું કે, તમે જરા વિચારો તો ખરા, મારું શું થશે? પછી તો સુધાભાભી પણ સખત માનસિક દબાણ હેઠળ આવી ગયાં. ગમે તે ભોગે એ આવી નોબત આવતી રોકવા માંગતાં હતાં. સમજાવટ, ધમકી અને પોતાની તથા બાળકની સમસ્યા આગળ કરીને એ રડતાં, કકળતાં અને કકળાટ પણ કરતાં.

નયનભાઈએ કોઈને કહ્યા વગર ડોક્ટર પાસે જઈને જાતિ-પરિવર્તનની શક્યતા પણ તપાસી જોઈ. એમની હિંમત હવે ખૂલી ગઈ હતી. સુધાબહેને બહુ કકળાટ કર્યો ત્યારે એક વાર એમણે ખૂબ અકળાઈને કહી દીધું, “હું આ રીતે જીવી શકું તેમ નથી. તું બહુ કકળાટ કરીશ તો હું મરી જઈશ…” સુધાભાભીએ એમને શાંત પાડ્યા એટલે એમણે કહ્યું, “હવે મારા જીવનનું આ જ ધ્યેય છે. તું જો માની જાય તો હું તારા માટે બધી જ આર્થિક વ્યવસ્થા કરી દઈશ અને તારે ફરી લગ્ન કરવાં હોય તો પણ મને વાંધો નથી…”

બિચારાં સુધાભાભી… એમની આ કથની સાંભળીને ઘડીક નયનભાઈ પર ગુસ્સો આવતો હતો તો ઘડીક દયા આવતી હતી. થોડા દિવસ પછી અચાનક મારી હાજરીમાં જ સુધાભાભી આવ્યાં અને આ વાત છેડાઈ. મેં એમને સલાહ આપી કે નયનભાઈ માટે મનોચિકિત્સક કે મનોવિજ્ઞાનીની સલાહ જરૂરી છે. સુધાભાભીએ પોતાની મૂંઝવણ સમજાવી. એ તો તૈયાર હતાં પણ નયનભાઈ પોતાની આ વૃત્તિથી મુક્ત થવા તૈયાર નહોતાં.

પછી તો અમારે આ વિષે બહુ ચર્ચા થઈ. આવું કેમ થતું હશે એ સવાલ પણ એમને મૂંઝવતો હતો. મેં એમને સમજાવ્યું કે આ એક પ્રકારની મનોજાતીય વિકૃતિ છે. બાળક નાનું હોય ત્યારે જ મોટે ભાગે એનાં બી વવાતાં હોય છે. માતા-પિતાને છોકરીની બહુ આશા હોય અને છોકરો આવે ત્યારે એ બાળકને છોકરીની માફક ઉછેરે છે. છોકરાને છોકરીના કપડાં પહેરાવે છે અને છોકરીની જેમ તૈયાર કરે છે. છોકરો સાત-આઠ વર્ષનો થાય ત્યારે એને છોકરાના કપડાં પહેરવા મજબૂર કરે છે. બાળકના નાજૂક દિમાગમાં એક વાત ઠસી ચૂકી હોય છે કે છોકરીનાં કપડાં પહેરતો ત્યારે બધાં વહાલ કરતાં હતાં. હવે બધાં ટોકે છે. મનમાં વિરોધી લાગણીઓનો સંઘર્ષ શરૂ થાય છે, જે લાંબા કાળ સુધી ચાલે છે. કેટલીકવાર આ માટે દબાયેલી સજાતીય કામવૃત્તિ પણ જવાબદાર હોય છે. સ્ત્રીનાં વસ્ત્રો પહેરવાની અને શણગાર સજવાની આ વૃત્તિને ‘ટ્રાન્સ્વેશ્તિઝમ’ (Transvesticism) તરીકે ઓળખવામાં આવે છે. આવું જ છોકરીઓ સાથે પણ થતું હોય.

સુધાભાભીએ મારી વાતને સમર્થન આપ્યું. એમણે કહ્યું કે નયનભાઈ ચાર ભાઈઓમાં સૌથી નાના છે. અને એમની વખતે એમનાં મમ્મીને છોકરીની જ અપેક્ષા હતી. એથી બાળપણમાં એમને એમનાં મમ્મીએ છોકરીની માફક જ ઉછેર્યા હતા. મેં એમને આગળ સમજાવ્યું કે આ વૃત્તિનો સમયસર ઉપચાર ન થાય ત્યારે કેટલીકવાર વ્યક્તિ જાતિ પરિવર્તન સુધી તૈયાર થતી હોય છે. નયનભાઈને આ વૃત્તિ લાગુ પડી છે. એક વાત મેં એમને ન કરી, એ એવી હતી કે આ વૃત્તિના પરિણામે માણસ હતાશા અનુભવે છે, ત્યારે બહુ માઠું પરિણામ આવે છે.

પછી તો સુધાભાભી માટે અમારું ઘર જાણે સાંત્વનાની છાયા જેવું બની ગયું. અમને એમના માટે લાગણી અને હમદર્દી બન્ને હતા. એક વાર તક શોધીને અમે નયનભાઈ સાથે વાત કરી. પરંતુ અમને લાગ્યું કે એ પોતાના નિર્ધાર પર મક્કમ છે. પછી સંજોગોવશાત્ અમારે મકાન બદલવાનું થયું. એ દિવસે સુધાભાભી ખૂબ રડ્યાં હતાં.

મળસકે ચાર વાગ્યે એમનો ફોન આવ્યો ત્યારે આ બધું જ આંખ સામેથી ફિલ્મની પટ્ટીની માફક પસાર થઈ ગયું. સુધાભાભી કહેતાં હતાં કે, નયનભાઈએ રાત્રે દસ-બાર ઊંઘની ગોળીઓ લઈ લીધી હતી. અચાનક ચાર વાગ્યે એ ઊઠ્યા ત્યારે એમણે ઊંધની ગોળીઓનું રેપર પડેલું જોયું અને એમને વહેમ પડ્યો. એમણે નયનભાઈને ઢંઢોળ્યાં…પણ… અને એ વખતે પણ એમણે સ્ત્રીનાં જ કપડાં પહેર્યા હતા…!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED