bhare vajan ghatadvana halva nuskha - 6 books and stories free download online pdf in Gujarati

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - ૬

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા

ભાગ-૬

- મીતલ ઠક્કર

કોઇ પણ વ્યક્તિ વજન ઘટાડવા માટે ડાયટ પર હોય ત્યારે તે ચોખા પર નિયંત્રણ મૂકી દે છે. મોટાભાગના લોકોની એવી માન્યતા છે કે ચોખા એટલે કે ભાત ખાવાથી વજન વધે છે. પણ મોટાભાગના ડાયેટિશિયન કહે છે કે માત્ર ચોખાથી વજન વધતું નથી. ખૂબ જાણીતા ડાયેટિશિયન રુજુતા દિવેકર કહે છે કે હંમેશા સફેદ ચોખાનો ઉપયોગ કરવો જોઇએ. કેમકે બ્રાઉન ચોખાને પકાવવા કૂકરમાં પાંચથી છ સીટી વગાડવી પડે છે. જો તેને પકાવવામાં સમય લાગતો હોય તો પચાવવા પણ એટલો જ વધારે સમય લાગે છે. સફેદ ચોખા પ્રાકૃતિક હોય છે. ચોખામાં ઘણા પોષક તત્વો હોય છે. અને તે દિવસમાં ત્રણ વખત ખાઇ શકો છો. બીજા એક ડાયેટિશિયન કહે છે કે જો આનુવંશિક રીતે તમે ભાતને પચાવવા સક્ષમ હશો તો તમારું વજન તેનાથી વધવાનું નથી. ભાત વધારે ખાવા સાથે જો નિયમિત કસરત કરતા હશો અને જંક ફૂડથી દૂર રહેતા હશો તો વજન વધશે નહીં. ભોજન લેતી વખતે કેલોરીનો નહીં પણ પોષક તત્વોનો વિચાર કરો. રુજુતા સરસ કહે છે કે કોઇપણ ભોજન ખાતા પહેલાં તમારી જાતને પૂછો કે આ ભોજન મારા દાદા કે નાના ખાતા હતા કે નહીં? જો તમારો જવાબ હામાં હોય તો કોઇપણ પ્રકારના ભય વગર એને આરોગવું. પરંપરાગત ભોજન કરવાનો આગ્રહ રાખો. ભોજન પછી થોડું ચાલવાનું અને હળવો વ્યાયામ કરવાનું ભૂલશો નહીં.

વજન ના વધે એમ ઇચ્છતા હોય તેમણે કોલ્ડ્રીંકસ પીવાનું ટાળવું જોઇએ. લગભગ દરેક ડાયેટિશિયનનો મત છે કે કોલ્ડ્રીંકસ શરીર માટે કોઇ રીતે લાભકારક નથી. બલ્કે નુકસાનકારક છે. બધા જ ડાયેટિશિયન કોલ્ડ્રીંકસ બિલકુલ પીતા નથી. તેના બદલે લીંબુ પાણી, વેજીટેબલ સૂપ કે ફળોનો જ્યુસ લે છે.

ઘણા લોકો ભૂખ્યા રહીને કે ઓછું ખાઇને ડાયેટિંગ કરે છે. પણ એને ડાયટિંગ ના કહેવાય. આખો દિવસ ભૂખ્યા રહેવાથી શરીરની શક્તિ ઓછી થઇ જાય છે. પછી ભૂખને કારણે સાંજે વધારે ખવાઇ જાય છે. એટલે વજન ઘટવાને બદલે વધે છે. એટલે બધું જ ખાવું જોઇએ- પણ દર બે કલાકે થોડું થોડું.

વજન ઘટાડવા શારીરિક રીતે સક્રિય રહેવું ખૂબ જ જરૂરી છે. જ્યારે સમય મળે ત્યારે જોગિંગ, વોકિંગ, દાદર ચડવાની પ્રવૃત્તિ વગેરે કરતાં રહેવું જોઇએ. તાજેતરમાં ચીનમાં થયેલ એક અભ્યાસમાં જોગિંગને મેદ ઘટાડવા માટેનો શ્રેષ્ઠ ઉપાય ગણવામાં આવ્યો છે. બીજી કોઇ કસરત ના ફાવે તો વાંધો નહીં જોગિંગ અવશ્ય કરી શકાય છે.

પાતળા થવા ગરમ પાણી પીતા રહેવું જરૂરી છે. ગરમ પાણી પીવાથી શરીરની ગંદકી બહાર નીકળી જાય છે. જ્યારે શરીર ડિટોક્સ થાય છે ત્યારે મેટાબોલિઝમ વધે છે અને પાતળા થવાય છે. રોજ સવારે ખાલી પેટ ગરમ પાણી પીવાથી પેટ ઓછું કરવામાં મદદ મળે છે. ગરમ પાણીમાં મધ અને લીંબુનો રસ નાખવાથી તે વધુ ફાયદાકારક સાબિત થાય છે. મેટાબોલિઝમ ધીમું થવા માટે ખાંડમાંથી બનેલી મીઠાઇ અને ચોકલેટ જવાબદાર ગણાય છે. વજન ઓછું કરવા ખાંડયુક્ત વસ્તુઓનો ઉપયોગ ઓછો કરવો જોઇએ. દૂધનો ઉપયોગ હંમેશા ખાંડ વગર કરવો જોઇએ. પ્રયત્ન એવો કરવાનો કે તેમાં મલાઇ ના હોય. આમ કરવાથી પણ વજન ઘટશે. મેટાબોલિઝમ વધારવા ગ્રીન ટી દિવસમાં બે-ત્રણ વાર લેવી જોઇએ. તેના ઉપયોગથી ઝડપથી ચરબી બળે છે. વજન ઘટાડવામાં પ્રોટીનનો ફાળો ઘણો મોટો હોય છે. જો તમે માંસાહારી ના હોય તો પ્રોટિન માટે દહીં, પનીર, રાજમા અને વિવિધ દાળનું સેવન કરી શકો છો. પ્રોટીન ભૂખને દબાવે છે અને વારંવાર ખાવાની ઇચ્છા વધારે થતી નથી.

વજન ઘટાડવાના ઉપાય સાથે વજન વધવાના કારણોનો પણ વિચાર કરવો જોઇએ. અને વજન ના વધે એવી જીવનશૈલી અપનાવવી જોઇએ. આજની દોડભાગવાળી જિંદગીમાં ગમે ત્યારે ગમે તે ભોજન કરવાથી શરીરમાં ચરબી વધે છે. લાંબા સમય સુધી એક જ જગ્યા પર બેસી રહેવાથી પેટ અને શરીરના અન્ય ભાગોમાં ચરબી વધે છે. ઘણા લોકો ભોજન લીધા પછી બેસી જ રહે છે. થોડું પણ હરતા-ફરતા નથી. નાસ્તો કે ભોજન લીધા પછી ઘરમાં પંદર મિનિટ આંટા મારવા જોઇએ. કેટલાક તો જમીને તરત જ સૂઇ જાય છે. હંમેશા સૂવાના બે થી ત્રણ કલાક પહેલાં ભોજન કરી લેવું આદર્શ મનાય છે. કેટલાક લોકો ઓછી ઊંઘ લેતા હોવાથી પણ ચરબી વધે છે. વધારે પડતી તળેલી અને કાર્બોહાઇડ્રેટવાળી વાનગીઓથી ચરબી વધે છે. દારૂ પીવાથી અને ધૂમ્રપાનની આદતથી પણ પેટની ચરબી વધતી હોવાથી તેને ટાળવા જોઇએ. જે પણ ખાઇએ તેને પચાવવું જરૂરી છે. નહીંતર તે શરીરમાં ચરબીના સ્વરૂપમાં જમા થાય છે.

આયુર્વેદમાં તજના અનેક લાભ બતાવવામાં આવ્યા છે. તજ વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. તજથી મે ટાબોલિઝમ વધે છે. તજનો એક પ્રયોગ છે. સવારે ઉઠયા પછી સૌપ્રથમ તજના પાણીનું સેવન કરવાથી ભૂખ ઓછી લાગે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ મળે છે. ભોજનમાં મરીનો ઉપયોગ કરવાથી પણ મેટાબોલિઝમ વધે છે.તે શરીરને ડિટોક્સ કરવા સાથે ચરબી ઓછી કરે છે.

ડાયટિશિયન નીલમ જૈન કહે છે કે એટલું સમજી લેજો કે વજન ઘટાડવાનો કોઇ શોર્ટકટ હોતો નથી. ક્યારેક ઝડપથી વજન ઘટાડવા જતાં શરીરને નુકસાન થાય છે. રાતોરાત વજન ઘટાડવાના ફોર્મૂલા તમને નુકસાન કરી શકે છે. યોગ્ય વ્યાયામ અને યોગ્ય ડાયટ તેનો એકમાત્ર સાચો રસ્તો છે. વજન ઘટાડવાની દવાઓ શરીર માટે જોખમી સાબિત થઇ શકે છે. તેનાથી લીવર અને કિડનીની બીમારીનું જોખમ ઊભું થાય છે. વજન ઘટાડવાની દવાઓ ભૂખને ખતમ કરી દે છે. અને ભૂખ ખતમ થતાં શરીરને જરૂરી પ્રોટીન મળતા નથી. અને શરીરનું મેટાબોલિઝમ વધારનારા વિટામિન્સ તથા મિનરલ્સને ખતમ કરે છે. ઝડપથી વજન ઘટાડવાનો આગ્રહ રાખતા દરેક જણે એ હકીકત સમજવી જોઇએ કે ૩૫-૪૦ વર્ષ ખાધા પછી જે વજન વધ્યું છે એ ચાર-છ મહિનામાં ઘટી શકે નહીં. ધીરજપૂર્વક વજન ઘટાડી શકાય છે. ઘણાનું એક વર્ષના સતત પ્રયત્ન પછી વજન ઘટે છે. એક-બે મહિનામાં વજન ઘટાડવાનો દાવો કરનારા પર વિશ્વાસ કરી શકાય નહીં.

બીજા રસપ્રદ વિકલ્પો