Vedic concept of salvation - 2 books and stories free download online pdf in Gujarati

મુક્તિના સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી - ભાગ ૨

પ્રશ્ન: જીવાત્મા મુક્તિ અવસ્થામાં કેટલા સમય સુધી રહે છે?

મુક્તિ અવસ્થાનો સમયગાળો મનુષ્યના આયુષ્યની સરખામણીમાં ખુબ જ વધારે હોય છે. મુણ્ડક ઉપનિષદ પ્રમાણે, મુક્તિનો સમયગાળો ૩૬,૦૦૦ શ્રુષ્ટિ સર્જનના ચક્ર બરાબર હોય છે. અને શ્રુષ્ટિ સર્જનનું એક ચક્ર એટલે ૪૩.૨ x ૨૦૦૦ લાખ વર્ષ.

જયારે ગ્રંથો એવું કહે છે કે મુક્તિ અનંતકાળ સુધી છે, ત્યારે તેઓ એ સૂચવે છે કે જ્યાં સુધી મુક્તિનો આ સમયગાળો પૂર્ણ થતો નથી ત્યાં સુધી જીવાત્મા જન્મ અને મૃત્યુ ચક્રના બંધનમાં આવતી નથી.

પ્રશ્ન: મુક્તિ કાયમી હોતી નથી તેનું પ્રમાણ વેદોંમાંથી મળશે?

ઋગ્વેદ ૧.૨૪.૧-૨:

પ્રશ્ન: કોણ અતિ શુદ્ધ છે? આ શ્રુષ્ટિમાં કોણ સૌથી વધુ તેજસ્વી છે? આપણને મુક્તિ રૂપી ઉત્તમ આનંદની ભેટ આપ્યા પછી આ શ્રુષ્ટિમાં ફરી વાર આપણને માતા-પિતા કોણ આપે છે?

ઉત્તર: સ્વયમ તેજસ્વી, અનંત, હંમેશા મુક્ત એવો ઈશ્વર જ અતિ શુદ્ધ છે. માત્ર તે જ આપણને મુક્તિ રૂપી ઉત્તમ આનંદની ભેટ આપ્યા પછી આ શ્રુષ્ટિમાં ફરી વાર માતા-પિતા આપે છે.

શંકરાચાર્યએ તેમના ગ્રંથ, છાન્દોગ્ય ઉપનિષદ (૮.૧૫.૧ અને ૪.૧૫.૧)માં કહયું છે કે, જ્યાં સુધી મુક્તિનો સમયગાળો પુરો ન થાય ત્યાં સુધી જીવાત્મા બ્રહ્મલોકમાં જ રહે છે. ૬.૨.૧૫ ના વર્ણનમાં તે કહે છે કે જીવાત્મા મુક્તિ અવસ્થામાં ઘણાં વર્ષો રહે છે. શતપથ બ્રાહ્મણ ૧૪.૬.૧.૧૮ તે વિગતવાર ખુલાસો કરે છે કે “જો જીવાત્મા મુક્તિ મેળવ્યા પછી શ્રુષ્ટિમાં પાછી ન આવે તો મંત્રમાનો “Iha” શબ્દનો કોઈ અર્થ ન રહે.”

પ્રશ્ન: મુક્તિમાંથી જીવાત્માની પુનરાવૃત્તિ ન માનવામાં કયા દોષ છે?

ઘણાં દોષ છે:

૧. ઉપર જણાવેલા સંદર્ભ અનુસાર જીવાત્માનું મુક્તિ અવસ્થામાંથી સંસારમાં પાછું ન ફરવું એ વેદ વિરુદ્ધ છે.

૨. જીવાત્મા અજન્મા અને અનાદિ હોવાં છતાં પણ જો મુક્તિ ન મેળવી શકે, તો પછી જો મુક્તિ કાયમી હોત તો મુક્તિ મેળવવી આપમેળે જ અશક્ય બની જાય. સંસારમાં જીવાત્માનું અસ્તિત્વ જ જીવાત્મા માટે મુક્તિની અવધી સીમિત હોવાનું શ્રેષ્ઠ પ્રમાણ છે.

૩. મુક્તિ જીવાત્માના જ્ઞાન, કર્મ અને ઉપાસનાનું ફળ છે. અને આ બધાં (જ્ઞાન, કર્મ અને ઉપાસના) સીમિત છે. આથી જીવાત્માના કર્મનું ફળ પણ સીમિત હોવું જોઈએ. જો ઈશ્વર જીવાત્માના સીમિત કર્મોનું અસીમિત કર્મફળ આપે તો ઈશ્વરનો ન્યાય ભંગ થાય.

૪. જો મુક્તિની અવધી અસીમિત હોય અને જીવાત્મા અનંતકાળ સુધી મુક્તિમાં જ રહેતી હોય તો આ સંસાર જ ન રહે. કારણ કે જીવાત્માની સંખ્યા નિશ્ચિત છે. જો એક-એક કરીને બધી જ જીવાત્મા મુક્ત થઇ જાય તો સંસાર બનવાનું બંધ થઇ જાય. આ ઉપરાંત જીવાત્મા અજન્મા અને અનાદિ હોવાથી નવી જીવાત્માઓનું સર્જન શક્ય નથી. જો નવી જીવાત્માઓનું સર્જન કરવામાં આવે તો જીવાત્મા અવિનાશી અને અજન્મા ન રહે.

૫. જો મુક્તિ અનંતકાળ સુધી હોત તો મુક્તિ એક એવું કેદખાનું બની જાય કે જ્યાંથી કોઈ જીવાત્મા પછી ફરી ન શકે.

૬. જો જીવાત્મા માટે મુક્તિસ્વરૂપ આનંદ અનંતકાળ માટે હોય તો તે જીવાત્મા માટે મુક્તિસ્વરૂપ આનંદનું કાંઈ મહત્વ ન રહે. કારણ કે દુઃખના અનુભવ વિના સુખનું મૂલ્ય સમજાતું નથી. આ ઉપરાંત જે જેટલો ભાર ઉપાડી શકે, તેટલો જ ભાર તેના પર મુકવો તે બુદ્ધિમત્તા છે. આથી અલ્પજ્ઞ અને અલ્પ સામર્થ્યવાળી જીવાત્માઓ પર અનંત સુખનો ભાર મુકવો તે ઠીક નથી. આથી મુક્તિની અવધી પૂર્ણ થયા બાદ જીવાત્માને સંસારમાં પાછી મોકલવી એ જ તેના માટે શ્રેષ્ઠ ન્યાય છે

પ્રશ્ન: જો મુક્તિની અવધી પૂરી થયા બાદ સંસારમાં જીવાત્માની પુનરાવૃત્તિ થતી હોય, તો જીવાત્માએ મુક્તિ મેળવવા શ્રમ કરવો જ શા માટે?

જીવાત્મા અલ્પજ્ઞ અને અલ્પ સામર્થ્યવાન છે. આથી જીવાત્મા માટે મુક્તિ અવસ્થામાં પહોંચી, જ્યાં સુધી ૩૬૦૦૦ વાર શ્રુષ્ટિની ઉત્પત્તિ અને પ્રલયનો સમય ન વીતે, ત્યાં સુધી મુક્તિના આનંદમાં રહેવું, અને દુ:ખ ન થવું એ કાંઈ નાની વાત નથી.

આ સંસારમાં જીવ એક કલાક, એક દિવસ, થોડા મહિનાઓ કે વર્ષો સુધી ખુશ રહેવા ઘણાં પ્રયત્નો કરતો રહે છે. માત્ર ૧૦૦ જેટલા આયુષ્યમાં પણ આપણે સુખની પ્રાપ્તિ માટે કેટલું બધું આયોજન કરીએ છીએ. આપણે આજે ખાધું હોય તો પછી કાલે ક્યારે ખાઈશું તેનું પણ આયોજન કરી લઈએ છીએ.

જો આપણે ખુશ થવા માટે આવાં નાના અને ટૂંકા ગાળાના લક્ષ્ય માટે પણ શ્રમ કરતાં હોઈએ તો, દીર્ધકલીક મુક્તિસ્વરૂપ અપાર આનંદની અવસ્થાએ પહોચવા માટે શ્રમ કેમ ન કરવો?

પ્રશ્ન: બરાબર છે. પણ મુક્તિ માટેનો મારો સિદ્ધાંત અલગ છે. જેમ કે, મને હજી પણ માનવામાં આવતું નથી કે મુક્તિ અનંતકાળ સુધી નથી. હું એવું માનું છું કે જીવાત્મા અને ઈશ્વર એક જ છે. મને બીજા મતભેદો પણ છે. તો મારે શું કરવું?

મુક્તિ જેવા સિદ્ધાંતો સમજવામાં મતભેદો ઉભા થાય તે સ્વાભાવિક છે. કારણ કે આવાં સિદ્ધાંતોને સમજાવવા માટે અલગ-અલગ શબ્દાવલી અને રૂપકોનો પ્રયોગ થાય છે. આ ઉપરાંત, આ જટિલ સિદ્ધાંતો સમજવા માટે મન અને ઇન્દ્રિયો નિયંત્રણમાં રહે તે ખુબ જ જરૂરી છે.

મુક્તિ વાસ્તવમાં કેવી હોય છે એ તો મુક્તિ મળ્યાં પછી જ સ્પષ્ટપણે સમજી શકાશે. પણ એ વાત ખુબ જ સ્પષ્ટ અને નિશ્ચિત છે કે આપણી દુનિયા આ સંસાર પુરતી સીમિત નથી. આપણી દુનિયા આ સંસારથી પણ પરે છે. એટલે કે આપણું અસ્તિત્વ આ જીવન મૃત્યુના ચક્રની બહાર પણ છે. આથી મુક્તિ મેળવવા માટે દરેક જીવાત્માએ પ્રયત્ન કરવો જ જોઈએ.

પ્રયત્નો દ્વાર સ્વયમની અનુભૂતિ થયા પછી જ આપણે આ સત્યને આગળ વધારે સમજી શકીશું.

આથી તમારા મત ભિન્ન હોય તો પણ કોઈ ફરક પડતો નથી. મુક્તિની અવસ્થા કેવી હશે તે વિષે આપણને ભલે ને ગમે તેટલા મતભેદ હોય પણ મુક્તિ મેળવવા માટે આપણે બધા એ એક સરખા જ કર્મો (સત્કર્મો) કરવા પડે છે. મુક્તિ માટે આપણે બધા એ જ પ્રયત્નો દ્વારા અજ્ઞાનતા દુર કરવાની રહે છે.

આથી મુક્તિ તરફ વધવા માટેનો માર્ગ આપણાં બધા માટે એક સરખો જ છે ભલેને પછી મુક્તિની અવસ્થાને લઇ આપણાં વિચારો અલગ અલગ હોય.

પ્રશ્ન: મુક્તિ એક જન્મમાં જ મળી જાય છે કે તેના માટે અનેક જન્મો લેવા પડે છે?

મુક્તિ મેળવવા માટે ઘણાં જન્મો લેવા પડે છે. કારણ કે કુસંસ્કારોના બીજ બાળ્યાં સિવાય મુક્તિ મળતી નથી. અને દરેક કુસંસ્કાર દુર કરવા માટે પુરતા સમય અને પ્રયત્નોની જરૂર પડે છે.

હવે આપણને એ વાતની ખબર હોતી નથી કે આપણે આ માટે અગાઉથી કેટલા જન્મો લઇ ચુક્યા છે. આથી આપણે આ જન્મમાં જ મુક્તિ મેળવવા માટે શ્રેષ્ઠ પ્રયત્નો કરવા જોઈએ. કારણ કે પ્રયત્નનોની તીવ્રતાની ગણતરી આપણાં સત્કર્મોમાં સૌથી વધારે થાય છે.

પ્રશ્ન: જો જન્મ અનેક છે, તો પૂર્વજન્મ અને મૃત્યુની વાતો આપણને કેમ યાદ નથી રહેતી?

જીવાત્મા અલ્પજ્ઞ છે, ત્રિકાળદર્શી નથી. આથી જીવાત્માની યાદશક્તિ પણ સીમિત છે. પૂર્વજન્મની વાત તો જવા દો, આ જ શરીરીમાં જ્યારે જીવ ગર્ભમાં હતો, શરીર બન્યું, પછી જન્મ્યો, પાંચમાં વર્ષની પહેલાં જે જે વાતો બની હતી, તે યાદ કેમ નથી રહેતી? વર્ષો પહેલાંના આપણાં બધાં જ સ્વપ્નો અને કર્મો આપણને યાદ રહેતા નથી. કોઈ તમને પૂછે કે, બાર વર્ષ અગાઉ તેરમા વર્ષના પાંચમાં મહિનાના નવમે દિવસે દસ વાગ્યે પહેલી મિનિટમાં તમે શું કર્યું હતું, તો તેનો જવાબ તમે નહીં આપી શકો. તો શું એનો અર્થ એ થાય કે તે સમયે તમારું અસ્તિત્વ ન હતું?

આપણને પૂર્વજન્મનું કશું યાદ નથી રહેતું તે માટે આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. કારણ કે આપણને પૂર્વજન્મનું કશું યાદ નથી રહેતું એટલા માટે જ આપણે સુખી છીએ. આપણે આ જ જન્મના આપણાં દુઃખદ અનુભવો, વિચારો અને કર્મોને ભૂલી જવાનો પ્રયત્ન કરતાં રહીએ છીએ. આથી જરા વિચાર કરો કે જો આપણે પૂર્વજન્મોના દુ:ખદ અનુભવોને ભુલાવી ન શકતા હોઇએ તો આપણી આ જન્મમાં શી દશા થાય!

આ ઉપરાંત, જીવાત્માનું જ્ઞાન અને સ્વરૂપ અલ્પ છે. જીવાત્માના પૂર્વજન્મના કર્મો યાદ રાખવાનું કામ ઈશ્વરનું છે. જીવાત્મનું કામ તો પોતાની ઈચ્છાશક્તિના પ્રયોગથી સત્કર્મો કરી અજ્ઞાનતા દુર કરવાનું છે.

પ્રશ્ન: પાછલા કર્મો યાદ ન હોવાં છતાં ઈશ્વર આપણને તેના માટે સજા શા માટે કરે છે?

તમને જયારે તાવ આવે છે ત્યારે તમે ડોક્ટર પાસે જાઓ છો. તે સમયે તમને તાવ આવવાનું કારણ ખબર હોતું નથી. પણ એ વાતનો તો તમે જરૂરથી સ્વીકાર કરશો કે ભૂતકાળમાં કશીક ભૂલ થઇ જ હશે કે જેના લીધે મને તાવ આવ્યો.

આવી જ રીતે, ઈશ્વરનો કર્મનો સિદ્ધાંત સમજવા માટે પાછલા જન્મના કર્મોને યાદ રાખવાની જરૂર હોતી નથી. આપણે આ સંસારમાં ઘણી વિવિધતાઓ, સામાજિક સ્તરો અને અનેક પ્રકારના જીવોને જોઈએ છીએ. તેના પરથી આપણને ખ્યાલ તો આવી જ જાય છે કે આ બધું અત્યંત જટિલ હોવાં છતાં તેનું સચાનલ ખુબ જ આયોજનપૂર્વક થઇ રહ્યું છે. આધુનિક વિજ્ઞાને મોટા મોટા દાવાઓ કર્યા હોવાં છતાં પણ તેઓ આ જટિલતા અને તેની પાછળના આયોજનને ૧% પણ સમજી શક્યા નથી.

આ સંસારની અગણિત વિવિધતાઓ અને તેનું સુનીયોજિત સંચાલન આપણને એ નિષ્કર્ષ કાઢવા માટે વિવશ કરે છે કે આ બધાની પાછળ એક મહાન સંચાલક (ઈશ્વર) છે જે આપણને આપણાં કર્મો પ્રમાણે વિવિધ પરિસ્થિતિઓ આપે છે.

બુદ્ધિ સંપન્ન લોકો કે જેઓ આત્મનિરીક્ષણ અને બાહ્ય અવલોકન કરી શકે છે તેઓ નજીકના જ ભવિષ્યમાં સત્કર્મોથી થતા લાભ અને પાપકર્મોથી થતા નુકશાનને જોઈ શકે છે. તો પછી આપણાં કર્મફળનો વિસ્તાર આ જન્મની બહાર પણ કેમ ન હોય શકે?

આથી ભલે ને આપણને પાછલો જન્મ યાદ ન રહેતો હોય, પણ આ સંસારમાં દેખાતી વિવિધતા એ વાતનું પ્રમાણ છે કે ઈશ્વર આ જન્મના કર્મફળ સ્વરૂપ આપણને બીજા જન્મમાં કર્મ કરવા માટે યોગ્ય વાતાવરણ આપતો જ રહે છે.

પ્રશ્ન: જો મુક્તિ જન્મજન્માંતર પછી જ મળતી હોય તો મારે મુક્તિ મેળવવા માટે આ જન્મમાં શા માટે ઉતાવળ કરવી?

એમ.બી.એ કરી નવો-નવો બહાર આવેલ સ્નાતક તર્ક કરતો હોત તેમ લાગે છે.

આ સંસારનો અપરિવર્તનશીલ નિયમ એ પણ છે કે “કા તો તમે પ્રગતિ કરો છો અથવા તો ક્રમશ: તમારી અધોગતિ થાય છે.” પ્રગતિ વગરની સ્થિરતા પણ અધોગતિ જ છે. ઉદાહરણ તરીકે, આપણે પ્રેમાળ અને સુંદર બાળક સાથે રમવાનો આનંદ માંણીએ છીએ. પણ આપણને તેનું આકર્ષણ માત્ર થોડાં મહિનાઓ સુધી જ રહે છે. કલ્પના કરો કે જો આ બાળક વર્ષો પછી પણ નાનું જ રહે તો શું થાય? આપણને એ ચિંતા થવા લાગશે કે બાળકને કોઈ ગંભીર રોગ તો નથી થયો ને? આપણે એવી પ્રાર્થના કરવા લાગીશું કે આ બાળક સ્વસ્થ રીતે વૃદ્ધિ પામે. ઈશ્વર પણ આપણને આ સંસારમાં સ્વસ્થ રીતે વૃદ્ધિ પામવાનું જ કહે છે.

ધંધામાં પણ આમ જ બને છે. જો કોઈ કંપનીનો વૃદ્ધિ દર અમુક વર્ષો સુધી અટકેલો રહે તો તે કંપનીનું મૂલ્ય બજારમાં ખુબ જ ઘટી જાય છે.

આ જ રીતે, આપણે સત્કર્મોમાં વૃદ્ધિ ન કરી મુક્તિ તરફ આગળ ન વધીએ તો આ સંસારમાં આપણું મૂલ્ય પણ ઘટતું જાય છે. આથી આપણો આવનારો જન્મ આપણાં આ જન્મ કરતાં પણ વધારે ખરાબ બને છે.

માત્ર મનુષ્ય યોનીમાં જ મુક્તિ મળવી સંભવ છે. અને ઈશ્વરે આપણને મનુષ્ય યોનીમાં જન્મ આપી આપણાં પર અપાર દયા કરી છે. ઈશ્વરની આ દયાને ન્યાય આપવા માટે પણ આપણે સત્કર્મો કરી મુક્તિ તરફ આગળ વધવું જોઈએ.

પ્રશ્ન: શું પ્રાણીઓ મુક્તિ મેળવી શકે છે?

હા. પ્રાણીઓ પણ મુક્તિ મેળવી શકે છે. કારણ કે દરેક યોનીમાં જીવાત્મા એક સમાન જ હોય છે. પણ પ્રાણીયોનીમાંની જીવાત્મા જ્યારે મનુષ્યયોનીમાં જન્મ લે છે ત્યાર બાદ જ તે જીવાત્મા મુક્તિ માટે પ્રયત્ન કરી શકે છે.

એ વાત યાદ રાખો કે માત્ર મનુષ્યયોનીમાં જ જીવાત્મા તેની ઈચ્છાશક્તિનો ઉપયોગ કરવામાં સક્ષમ બની મુક્તિ તરફ આગળ વધી શકે છે. મનુષ્યયો સિવાયની બીજી બધી યોનીઓ નિદાન કેન્દ્રો જેવી હોય છે કે જેમાં જીવાત્માએ ભૂતકાળના તેના પાપકર્મોથી ઊંડે ઉતરેલા કુસંસ્કારોને દુર કરવાના હોય છે. પ્રાણીયોનીમાં જીવાત્મા મુક્તિ તરફ આગળ વધવા પ્રયત્ન કરી શકતી નથી.

આમ, જે લોકોને કોઈ ખાસ પ્રકારની ખરાબ લત કે આદત લાગેલી હોય છે અને તેઓ આ ખરાબ આદતના સંસ્કારોને દુર કરવા માટે પ્રયત્ન નથી કરતાં તે લોકો આગલા જન્મમાં એવી પ્રાણીયોનીમાં જન્મ લે છે કે જ્યા રહી તેનો તેમના કુસંસ્કારો દુર કરી શકે. અને જયારે તેમના કુસંસ્કારો સંપૂર્ણપણે દૂર થઇ જાય છે ત્યારે તેઓ ફરીથી મનુષ્યયોનીમાં જન્મ લઇ મુક્તિ માટે પ્રયત્નો કરવાને લાયક બને છે.

આથી દરેક મનુષ્યે તેના આવનારા દરેકે દરેક જન્મમાં મનુષ્યયોની જ મળે અને મુક્તિ તરફનો તેનો પ્રવાસ અટકે નહીં તે માટે સતત શ્રેષ્ઠત્તમ પ્રયત્નો કરવા જોઈએ. મનુષ્ય જન્મથી અમૂલ્ય બીજું કંઈ જ નથી. આ એક સુવર્ણ તક છે. આથી આપણે આવી સુવર્ણ તકનો મુકરી મેળવવા શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરવો જોઈએ.

પ્રશ્ન: અજ્ઞાનતા પણ આનંદ આપે છે. કારણ કે શ્રીમંત માણસ આરામદાયક પલંગમાં સુઈને પણ સુખી નથી. અને એક મજુરને પથ્થર પર પણ ગાઢ નિંદ્રા આવી જાય છે. પ્રાણીઓ મનુષ્યોની સરખામણીમાં અજ્ઞાન છે. પણ તેમ છતાં જંગલમાં પ્રાણીઓ ખુશ રહેતા હોય છે જયારે મનુષ્યો ચિંતા કરતાં રહે છે.

આ એક બાળક જેવું તર્ક છે:

તમે શ્રીમંતને મજુર બનવાનું કહો અને મજુરને ખુબ પૈસા આપી શ્રીમંત બનાવાનો વિકલ્પ આપો. તમે જોશો કે શ્રીમંત ક્યારેય સહમત નહીં થાય અને મજુર આ તક તરત જ ઝડપી લેશે. જો બંનેના જીવનમાં સરખો જ આનંદ હોય તો એકને પણ પોતાની હાલની પરિસ્થિતિ બદલવાની સહેજ પણ ઈચ્છા ન થાય.

કોઈપણ સમજુ માણસને પ્રાણી બનવાની ઈચ્છા ક્યારેય નહીં થાય કારણ કે મનુષ્યો જે ઉચ્ચ સ્તરનો આનંદ માણી શકે છે તે આનંદ પ્રાણીઓ માટે સંભવ નથી.

શ્રીમંત માણસના દુઃખનું કારણ પૈસો નથી પણ તેની નકારાત્મક વિચારસરણી છે. તેની આ નકારાત્મક વિચારસરણી તેના કર્મોનું જ ફળ છે.

અજ્ઞાનતા એ આનંદ મેળવવામાં સૌથી મોટી બધા છે. અલ્પજ્ઞાનથી ઉચ્ચજ્ઞાન તરફ આગળ વધવું એ જીવાત્માનો સ્વભાવ છે. ઉદાહરણ તરીકે, ૧ વર્ષના નાના બાળકની રમતોનો આનંદ તમે લાંબો સમય માંણી નહીં શકો. જે લોકોનું એમ કહેવું કે “અજ્ઞાનતા એ જ આનંદ” છે તેઓ પોતાની અજ્ઞાનતાનું જ પ્રદર્શન કરે છે.

વિદ્યાપ્રાપ્તિ સિવાય પરમ આનંદ મેળવવાનો બીજો કોઈ રસ્તો નથી.

પ્રશ્ન: સ્વર્ગ અને નર્ક શું છે?

સ્વ નો અર્થ થાય છે આનંદ. આનંદપ્રાપ્તિ એટલે સ્વર્ગ. અને દુ:ખ મળવું એટલે નર્ક.

સ્વર્ગ અને નર્ક એ કોઈ કાલ્પનિક સ્થાન નથી. આપણાં વિચારો અને કર્મો દ્વારા આપણે જે પરિસ્થિતિઓનું સર્જન કરીએ છીએ તે જ આપણું સ્વર્ગ કે નર્ક છે.

જયારે આપણે દરેક ક્ષણે સ્વર્ગનું સર્જન કરવા માટે અથાગ સત્કર્મો કરતાં રહી, અજ્ઞાનતાના બીજને બાળતા રહીએ છીએ ત્યારે જ આપણને પરમ આનંદ (ઈશ્વર) મળે છે.

આથી મૃત્યુ પછી અલ્લાહ કે જીજસ આપણને કાયમ માટે સ્વર્ગ કે નર્કમાં મોકલી દે છે તેવા ભ્રમમાં ન રહેવું જોઈએ. એવું પણ નથી એ આ સંપ્રદાયોને માનનારા જ કાયમ માટે સ્વર્ગમાં જશે અને બાકીના કાયમ માટે નર્કમાં.

આવાં ધર્મ સંપ્રદાયોને આપણે ત્યાં સુધી જ સહન કરવા જોઈએ કે જ્યાં સુધી તે આતંકવાદને જન્મ ન આપે. પૃથ્વીને સ્વર્ગ બનાવવા માટે અને મુક્તિરૂપી ઈશ્વરનો પરમ આનંદ મેળવવા માટે બધી જ જીવાત્માઓ માટે પ્રેમભાવ હોવો જરૂરી છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED